તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2008

કબૂલ મને – હનીફ સાહિલ

કોઈ પણ  હો  ડગર કબૂલ મને,
એની  સાથે  સફર   કબૂલ મને.

એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ  હો  કે  સહર  કબૂલ મને.

કોઈ પણ  સ્થાન તને મળવાનું
કોઈ  પણ  હો પ્રહર કબૂલ મને.

તારી  ખુશ્બૂ  લઈને   આવે  જે
એ  પવનની  લહર કબૂલ મને.

જે  નશાનો  ન  હો  ઉતાર કોઈ
એ  નશીલી  નજર  કબૂલ મને.

ખૂબ  જીવ્યો  છું  રોશનીમાં   હું
આ તિમિરતમ કબર કબૂલ મને.

જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ  પ્રલંબિત  સફર  કબૂલ મને.

-હનીફ સાહિલ

નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની  વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે?  પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?

Comments (29)

નાખી છે – મરીઝ

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

– મરીઝ

Comments (1)

હતી – હરકિસન જોષી

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી

નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી

– હરકિસન જોષી

રીઢા થઈ ગયેલા કલ્પનોને સહેજ ઊલટાવીને કવિ આ ગઝલમાં વૈચારિક તાજગી ભરી દે છે. આગ તો છુટ્ટી હતી… એ શેર સૌથી વધારે ચોટદાર થયો છે. કોઈને આ ગઝલના વધારે શેર ખબર હોય તો જણાવજો.

Comments (9)

વૃક્ષો અને પંખીઓ – થોભણ પરમાર

કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.

– થોભણ પરમાર

Comments (8)

ગઝલ – ગુણવંત ઉપાધ્યાય

તમારા     શહેરની     આબોહવામાં
સતત  છું  વ્યસ્ત  આંસુ  લૂછવામાં.

તમારી  વ્યગ્રતા   વધવાનું  કારણ
તમે  નિર્મમ  છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને  રસ  ફકત  છે   તોડવામાં.

પ્રયત્નો  લાખ  એળે  જઈ  રહ્યા  છે
તમારા   મન   સુધી   પહોંચવામાં.

તમારી   જાતમાં   જાતે    સમાઉં
પછી  આગળ  કશું  શું બોલવાનાં ?

– ગુણવંત ઉપાધ્યાય

Comments (1)

પંખાળા દેશમાં – બંકિમ રાવલ

હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
.                  મેલ કાતરિયે વચકો ને વાયદો

થીજે કે ઓગળે આંસુના પ્હાડ
.                  પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
.                  પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
.                  ખરો મારગ છે સાવ જ અલાયદો.

વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
.                  સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
.                  ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
.                  પગપાળા જાતરાનો કાયદો !

– બંકિમ રાવલ

લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…

Comments (7)

આવો – જયન્ત પાઠક

ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

-જયન્ત પાઠક

આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…

(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)

Comments (6)

ગઝલ – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…

Comments (15)

થઈ ગયું છે – રતિલાલ ‘અનિલ’

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.

છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.

– રતિલાલ ‘અનિલ’

વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.

Comments (4)

એક ઘડી હું તારી રે – પુનશી શાહ ‘રંજનમ’

સાઠ ઘડી હું ગોપાલકની
         એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
           એક ઘડી હું તારી,

સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,

માધવ ગિરિધર
       લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
         એક ઘડી હું તારી રે ! 

– પુનશી શાહ ‘રંજનમ’

મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા

Comments (1)

હવે હું… – પ્રિયકાંત મણિયાર

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

– પ્રિયકાંત મણિયાર

બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !

Comments (3)

તાજા શાકભાજી – ક્રિસ્ટીન બર્કી-એબટ

સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.

પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.

એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.

જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.

– ક્રિસ્ટીન બર્કી-એબટ

શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?

Comments (5)

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

Comments (16)

ગઝલ – રિષભ મહેતા

ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !

હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!

સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય

કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !

વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.

-રિષભ મહેતા

આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?

Comments (12)

ગઝલ – નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)

આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.

વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.

ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.

ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.

ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.

પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.

-નૈસર્ગી મુસળે

પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?

અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.

અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.

નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…

Comments (51)

અનુભૂતિ… – મણીન્દ્ર રાય

જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.

– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)

Comments (1)

બુરખો – પ્રવીણ જોશી

આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.

મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.

હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.

ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.

જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?

– પ્રવીણ જોશી

ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !

મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.

Comments (4)

‘ઉદ્દેશ’ : એક વધુ સત્વશીલ સામયિક વેબ પર

ગુજરાતીનો વ્યાપ વેબ પર ખૂબ વધી રહ્યો છે એ તો આનંદની વાત છે જ. પરંતુ એનાથી પણ વધુ આનંદની વાત એ છે કે સત્વશીલ સાહિત્ય સામયિકો પણ હવે વેબ પર આવી રહ્યા છે. થોડા દિવસ પર સુધીરભાઈ પટેલે મને ‘ઉદ્દેશ’ની વેબસાઈટ વિશે ખાસ લખી જાણાવ્યું.

‘ઉદ્દેશ’ની વેબસાઈટ ગુજરાતી સાહિત્યના દરેક રસિયા માટે નાના ખજાના સમાન છે. એમાં ‘ઉદ્દેશ’ના તાજા અંકમાંથી સામગ્રી (ઉદ્દેશ-સુરખી) ઉપરાંત બીજા ઊંચી ગુણવત્તાવાળા સામાયિકોમાંથી ચયન (આચમન) અને સાહિત્ય સમાચાર (ઉદ્દેશ વૃત્ત) પણ છે. ‘ઉદ્દેશ’ના સન 1990-91ના બધા અંકો પૂરેપૂરા અહીં મૂક્યા છે. કદાચ આગળ જતા બીજા અંકો પણ મૂકાશે એવી આશા રાખીએ. વધારામાં, સુંદરમ સંપાદિત ‘દક્ષિણા’ના થોડા વિરલ અંકો પણ મૂક્યા છે.

વેબસાઈટ સરસ ‘ડિઝાઈન’ કરેલી છે. કમનસીબે, કોઈ ફોંટનો ઉપયોગ કરવાને બદલે બધી સામગ્રી ‘સ્કેન’ કરીને મૂકેલી છે. સામગ્રી ઘણી છે પણ તેને કોઈ પણ રીતે ‘સર્ચ’ કરવાની વ્યવસ્થા નથી એ એક બીજી મર્યાદા છે. આ નાની બાબતોને નજરઅંદાજ કરી તમે જરૂરથી આ સાહિત્યના ખજાનાની સત્વરે મુલાકાત લેશો.

Comments (3)

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો – મૂકેશ જોશી

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…

– મૂકેશ જોશી

ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.

Comments (9)

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

Comments (5)

અમસ્તો થઈ ગયો – જવાહર બક્ષી

એ રીતે છૂટોછવાયો થઈ ગયો
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

ક્યાં જવું એની ગતાગમ રહી નથી
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો

આજનું આકાશ ઓગળશે નહીં
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો

આમ પણ કારણ વધારે ક્યાં હતાં
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો

મારી પાસેથી તમે ચાલ્યા ગયા
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો

-જવાહર બક્ષી

ગયા અઠવાડિયે શૂન્ય પાલનપુરીની ગઝલના છંદ-કાફીયા-રદીફના પાયા ઉપર તુષાર શુક્લે રચેલી અલગ જ ઈમારત જોઈ. વિષમ છંદ ગઝલનો એ એક નમૂનો હતો. એમાં શેરની બંને કડીમાં એક જ છંદના અલગ-અલગ આવર્તનો જળવાયા હતા. આજે એવી જ એક વિષમ છંદ ગઝલ જવાહર બક્ષીની કલમે માણીએ. અહીં બંને કડીમાં છંદ પણ અલગ અલગ વપરાયા છે. દરેક શેરની પહેલી કડીમાં ગાલગાગા | ગાલગાગા | ગાલગા અને બીજી કડીમાં લગાગાગા | લગાગાગા | લગાગાગા | લગા છંદ વપરાયો છે.
આ એક એવો કવિ છે જે કદી ઠાલાં શબ્દો વેડફશે નહીં. મત્લાનો શેર જોઈએ. માણસ ગમે એટલો મોટો ચમરબંધ કેમ ન હોય, પ્રેમ એને માખણથી ય મુલાયમ કરી નાંખે છે. હજારોની મેદની સામે સિંહગર્જના કરી શક્નાર પણ પ્રિય વ્યક્તિની સામે આવી ઊભે તો સસલાને ય બહાદુર કહેવડાવે એ રીતે ફફડી શકે છે. પ્રેમ અને પ્રિયાની ઉપસ્થિતિ બે હોઠોની છીપમાંથી ધાર્યા શબ્દોના મોતી સરવા દેતાં નથી. અને જે બોલાય એ પણ તૂટક-તૂટક… છૂટક-છૂટક… આવી જ કોઈ અનુભૂતિને કવિ અહીં શબ્દોમાં ઢાળે છે… એ રીતે છૂટોછવાયો થઈ ગયો, તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો

બીજો શેર જોઈએ. જીવન જ્યારે લક્ષ્યહીન બની જાય, ત્યારે સંભાવનાઓ અ-સીમ થઈ જતી હોય છે. આપણું લક્ષ્ય ઘોડાની આંખ આગળના ડાબલાંઓની જેમ આપણને જકડી રાખી કૂવામાંના દેડકા બનાવી દે છે એટલે જિંદગીનું ખુલ્લાપણું આપણે કદી દેખી-માણી શક્તા નથી. જે દિવસે આપણે આપણી દિશા ગુમાવીએ છીએ ત્યારે અવદશામાંથી દશા પામીએ છીએ. હેતુ ત્યજીએ ત્યારે જ જીવનના સાચા સેતુઓ દેખાય છે, હદમાંથી અનહદ તરફ જવાની કડી અને કેડી ખૂલે છે.

બાકીના શેર જાતે માણીએ પણ આખરી શેર વિશે આપ સૌનો અભિપ્રાય ઈચ્છીશ…

Comments (10)

ઝીણા ઝીણા મેહ – ન્હાનાલાલ

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.

-ન્હાનાલાલ

મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…

(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)

Comments (4)

ગઝલ – ધૂની માંડલિયા

છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત,
પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે.

આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે,
હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ હશે.

જીવ્યો છું શબ્દમાં, મર્યો છું માત્ર મૌનમાં,
મારે કબર ઉપર ફરકતું લીલું ખડ હશે.

જીવ્યો છું શબ્દમાં સમયને સાંકડો કરી,
વાવ્યો છે શબ્દ ત્યાં કદી ઘેઘૂર વડ હશે.

– ધૂની માંડલિયા

શબ્દને તપાસવાની રમત શબ્દ-રસિયા કવિઓને અતિપ્રિય રમત છે. એટલે જ ‘શબ્દ’ વિષય પર અનેક સરસ કવિતાઓ છે : જુઓ 1, 2, 3 . સાથે જ આ કવિની આગળ મૂકેલી ગઝલનો ખૂબ જાણીતો મક્તાનો શેર પણ મમળાવવાનું ભૂલતા નહીં.

Comments (4)

‘મા’ સિરિયલ – કીર્તિકાંત પુરોહિત

પ્રથમ એપિસોડ:

દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.

દ્વિતીય એપિસોડ:

દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.

તૃતીય એપિસોડ:

મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ:

– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.

– કીર્તિકાંત પુરોહિત

સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.

આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !

Comments (7)

પ્રયત્ન – વિપિન પરીખ

ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…

– વિપિન પરીખ

વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.

Comments (7)

પ્રેમની વાર્તા – જયન્ત પાઠક

આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.

– જયન્ત પાઠક

પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !

( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )

Comments (4)

ગઝલ – અનિલ ચાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે અમદાવાદથી અનિલ ચાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા

માત્ર ૨૨ વર્ષની ઉંમરે અનિલ ચાવડાની કલમ દિગ્ગજ કલમકારોને શરમાવે એવા ચમકારા બતાવી જાણે છે. ગઝલના છંદોના નિયમિત આવર્તનોથી એક આવર્તન વધુ રાખી ગઝલ લખવાની કળા એમને સિદ્ધહસ્ત છે. નિરાશા અને વ્યથાના કાળા રંગોથી ભરી હોવા છતાં આ ગઝલ એટલી સલૂકાઈથી આખી વાત કરે છે કે ક્યાંય કશું ભારઝલ્લું લાગતું નથી. ગઝલનો આખરી શેર તો ગુજરાતી ભાષાનો સદાકાળ અમર શેર બનવા માટે જ સર્જાયો છે. મિત્ર અનિલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (45)

ગઝલ – તુષાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

-તુષાર શુક્લ

ગઈકાલે શૂન્ય પાલનપુરીની એક ગઝલ આજ છંદમાં, આજ રદીફ અને આજ કાફીયા સાથે આપણે માણી. એટલે સુધી કે મત્લાની પહેલી કડી (ઉલા મિસરા)માં પ્યાલી અને સુરા પણ યથાવત્ રહ્યા છે. પણ તોય બંને ગઝલની મૌસિકી સાવ જ અલગ છે અને બંને ગઝલમાં જે વાતાવરણ ઊભું થાય છે એ પણ તદ્દન નોખું. શૂન્યની ગઝલમાં મૃત્યુના શ્વાસ અડતાં અનુભવાય જ્યારે તુષાર શુક્લની ગઝલમાં પ્રણયની રાગિણી રેલાતી સંભળાય. એકનો રંગ ભગવો છે તો બીજાનો ગુલાબી. એકમાં વિરક્તિ છે તો બીજામાં મસ્તી. કવિતાની કળા એ આજ ને?

‘હસ્તાક્ષર’ આલ્બમના આધારે લીધેલી આ ગઝલમાં શક્ય છે કે અન્ય શેર પણ હોય. કોઈ મિત્ર જો ખૂટતાં અશ્આર (જો હોય તો!) મોકલી આપશે તો ઋણી રહીશું. (આ ગઝલને વિષમ-છંદ ગઝલ કહી શકાય ખરી? મત્લાના શેરની બંને કડીમાં ‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તન વપરાયા છે જ્યારે પછીના ત્રણે ય શે’રમાં ઉલા મિસરામાં ચાર આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં ત્રણ આવર્તન વપરાયા છે).

(આવતા અઠવાડિયે એક વિષમ-છંદ ગઝલ માણીએ…)

Comments (18)

ગઝલ – શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

‘ગાલગા લગાગાગા’ના ત્રણ આવર્તનોથી બનેલી આ ગઝલ એની ઝીણી કોતરણી બદલ દાદ માંગી લે છે. એક તો છંદના આવર્તનોના કારણે એક અજબ લય ઊભો થાય છે અને એ મૌસિકી(સંગીત)માં ઉમેરો કરે છે ‘લો અમે તો આ ચાલ્યા‘નો બળકટ ગેય રદીફ. ‘અમે તો આ ચાલ્યા’ કહીને હાથ ખંખેરીને ચાલ્યા જવાને બદલે શૂન્ય આગળ ‘લો’ ઉમેરીને અહીં બીજું જ નિશાન તાકે છે. એક ‘લો’ શબ્દનો ઉમેરો વાચકને ઈંગિત કરતો જાય છે કે અમે તો ચાલ્યા, પણ તમારું શું? સાથે જોડાશો કે નહીં? કે જીવનની સફરમાં બેસી ને જ કાપશો?

કહેવાય છે કે ગઝલનો પહેલો શેર-મત્લા- એ ગઝલમાં પ્રવેશવાનો દરવાજો છે. કવિએ અહીં ત્રણ-ત્રણ મત્લા વાપરીને ભાવકને ગઝલ-પ્રવેશની ખાસ્સી અનુકૂળતા કરી આપી છે. એમ પણ કહી શકાય કે ગઝલનું આગવું ભાવવિશ્વ ત્રણગણું ઘૂંટીને આખા માહોલને વધુ પ્રભાવક બનાવી દીધો છે. એક બીજી નોંધવા જેવી વસ્તુ છે તે આ ત્રણેય મત્લામાં સતત પુનરાવર્તિત થયેલા નાનાવિધ વિરોધાભાસ. પ્યાલી રાગની હોય તો સુરા ત્યાગની. મસ્તી છલકાતી હોય ત્યાં આત્મભાન અડોઅડ. બુદ્ધિની વીણા પણ આલાપ લાગણીનો. બેદર્દી દુનિયાના બીજા પલ્લામાં દિલની દોલત. કણની સૂક્ષ્મતા સામે સૂર્યની વિશાળતા. ગજ એક જાન જેવડો નાનકડો પણ માપ દુનિયા જેવડું વિશાળ. જીવનની ફિલસૂફી આ ત્રણ મત્લામાં ઘૂંટી-ઘૂંટીને શૂન્ય ભાવકને એવી જગ્યાએ લાવી ઊભો કરી દે છે જ્યાંથી ગઝલ-પ્રવેશ ન માત્ર સરળ બની રહે છે, એક ફાટી ફીટે નહીં એવી ભાત પણ અંકાઈ જાય છે.

(આવતીકાલે એક નાનકડું સરપ્રાઈઝ આ કૃતિના અનુલક્ષમાં.)

Comments (6)

ઠાકોરજી – મા – હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

– હસમુખ પાઠક

હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.

Comments (3)

અમદાવાદ – રાધેશ્યામ શર્મા

મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.

– રાધેશ્યામ શર્મા

અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.

Comments (2)