વીણેલાં મોતી – વિનોદ ઓઝા
કેવો બન્યો બનાવ, કશું જાણતો નથી,
કોણે કર્યો છે ઘાવ, કશું જાણતો નથી.
આકાર શોધીએ કે નિરાકાર શોધીએ,
શબ્દો મહીંથી કોઈ મદદગાર શોધીએ.
શાંત જળમાં કેમ આ ઊઠ્યાં વમળ?
કોણ ફેંકે છે નજર આ જળ તરફ?
એક, કેવળ એક પળની શોધમાં,
મીટ માંડી છે સતત હર પળ તરફ.
ડાળ પરથી પાંદડું નીચે ખર્યું હશે,
એ ક્ષણે એ ડાળને શું શું થયું હશે?
હાથમાં લીધાં કલમ કાગળ હવે,
જોઈએ શું થાય છે આગળ હવે.
આ હવામાં જેટલાં રજકણ હતાં,
શબ્દને પણ એટલાં કારણ હતાં.
આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી.
જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?
જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.
એમ નહીં ભૂલી શકો સહેલાઈથી,
આ ગઝલ છે, આજનું છાપું નથી.
તું હવે વરસી પડે તો માનશું,
ખૂબ સાંભળ્યું છે તારું ગાજવું.
જિંદગીની એ જ છે સાચી મજા,
સ્મિતનું આંસુની સાથે આવવું.
– વિનોદ ઓઝા
લયસ્તરો પર આજે એક ‘તાઝા કલમ’ અને ‘તાઝા કલામ’ને સસ્નેહ આવકારીએ… કવિ વિનોદ ઓઝાના ગઝલ સંગ્રહ ‘કશું જાણતો નથી’માંથી પસંદગીના કેટલાક શેર મમળાવીએ….





