કહીં ગયા? કહીં આવ્યા? – પ્રિયકાન્ત મણિયાર
મઘમઘ ડોલે મોગરો એને જૂઈની આવે મ્હેંક,
વન આ વ્હાલું લાગતું પણ મન આ લેતું ઠેક.
આંજી જેવી આંખડી નભમાં ઊગ્યો ચંદ,
જલમાં રૂવે પોયણી એનો છલછલ છલક્યો છંદ.
સમીરણ સાંભળ આટલું પૂછીશ નહીં એ પાન,
કળપે કાળજ કેટલું ઓલી કોયલડીનું ગાન.
ઊડતાં ઊડતાં આભલે થઈ પયોધર-પ્રીત,
વરસી ક્યાં ગઈ વાદળી? એનું ગાવું મારે ગીત.
વસંત માંડી ચાલવા વળવાની મા ભૂલ!
ખરી ગયેલી ડાળ પર તુજ ફૂંકથી ફૂટે ફૂલ!
કહીં ગયા? કહીં આવિયા? નેણ વિનાની રાત,
‘ઠક’ ‘ઠક’ છેડો જાણતો ધૂળની કેવી ભાત!
– પ્રિયકાન્ત મણિયાર
ગીતલેખનમાં રસ હોય એવા સર્જકમિત્રો માટે ખાસ. કાવ્યસ્વરૂપ પ્રમાણે તો ગીત જ પણ પ્રચલિત છંદોલયના સ્થાને કવિએ અહીં દોહાઓની ગૂંથણી કરી છે. દોહામાં હોય એ મુજબ બંને પંક્તિ બબ્બે ચરણમાં વિભાજિત કરાઈ છે અને બંને પંક્તિમાં પહેલા ચરણના અંતે ‘લગા’ અને બીજા ચરણના અંતે ‘ગાલ’ પ્રમાણે માત્રા પણ કવિએ જાળવી છે. હા, બંને ચરણમાં અનુક્રમે હોવી જોઈતી ૧૩-૧૧ માત્રાઓ બધે જળવાઈ નથી એ અલગ વાત છે, પણ કવિને મન પ્રચલિત દોહા લખવા કરતાં ગીત લખવાનું પ્રાધાન્ય વિશેષ હોવાથી આ નિર્વાહ્ય ગણી શકાય.


Varij Luhar said,
July 4, 2025 @ 11:26 AM
વાહ.. ખૂબ ખૂબ સરસ
GIRISH SHARMA said,
July 4, 2025 @ 1:21 PM
Excellent