આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2020

સવા શેર : ૦૨ : જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
-જવાહર બક્ષી

વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ થાય છે. ‘હું કોણ છું’નો પ્રશ્ન તો અનાદિકાળથી માનવમાત્રને સતાવતો આવ્યો છે. રાજેન્દ્ર શુક્લ કહે છે: ‘કૈં નથી તો હું ક્યહીંથી? હું નથી તો છું ક્યહીંથી?’ આ જ ભાંજગડ ગાલિબના કવનમાં પણ જોવા મળે છે: ‘डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?’ પ્રસ્તુત શેર લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો મત્લા છે અને આખી ગઝલનો મિજાજ સુપેરે વ્યક્ત પણ કરે છે. ઓછું પણ ઘાટું લખતા કવિના આ શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ – બે મિસરાઓના દરવાજાના મિજાગરા છે, જેના ઉપર શેરના યોગ્ય ખૂલવા-ન ખૂલવાનો આધાર છે. પોતાની ઓળખ આપવાના હેતુથી કવિ શેર પ્રારંભે છે. કહે છે, હું ટોળાંની શૂન્યતા છું. પણ રહો, બીજી જ પળે એમને પોતે જ પોતાની આપેલી ઓળખ સામે વાંધો પડ્યો છે. કહે છે, જવા દો ને આ પંચાત જ. હું કશું નથી. શૂન્યતા પણ નહીં. ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ન દિલ, ન દિમાગ. ટોળું એટલે એક અર્થહીન, શૂન્યતા. ટોળું માણસને ભ્રામક સલામતીનો અહેસાસ આપે છે. ટોળાંમાં રહીને કરાતી પ્રવૃત્તિની જવાબદારી કોઈના માથે હોતી નથી. માણસ એકલો હોય ત્યારે એની સામે એનો આત્માનો અરીસો સતત ઊભો હોય છે, જેમાં સારું-નરસું જોવાથી બચી શકાતું નથી. પણ ટોળાંનો કર્તૃત્વભાવ શૂન્ય છે. ‘લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ’ એ ટોળાંની લાક્ષણિકતા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ ટોળાંનો ભાગ બને છે, ત્યારે દ્રૌપદીના ભાગે લૂંટાવાથી વિશેષ કશું બચતું નથી. ટોળાંમાં બધાના ‘સ્વ’ ખાલીખમ હોય છે. ટોળું એટલે એક ખાલીખમ સ્વકીયતા. વિરાટ શૂન્ય. આપણે જ્યારે ટોળાંના ગાડરિયા પ્રવાહમાં તણાતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતા, એક અવ્યવસ્થાથી વિશેષ કશું જ હોતાં નથી. વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો ભાગ બનીએ ત્યારે આપણા સ્વતંત્ર ‘હું’ હોવા-ન હોવા બરાબર હોય છે. ટોળાંથી અલગ ઓળખ બનાવી ન શકાયા હોવાની આત્મસ્વીકૃતિની ક્ષણે, આત્મજાગૃતિની ક્ષણે કવિને ખ્યાલ આવે છે કે પોતે પોતાના જીવનનો મર્મ છે, અર્થાત્ શૂન્ય છે. પોતાના હોવાની સાથે જ ન હોવું પણ જોડાયેલું છે. એટલે જ કવિ ‘હું છું’ કે ‘હું નથી’નો શાશ્વત પ્રશ્ન ઊભો કરી બેમાંથી એક શક્યતાનો હાથ ઝાલવાની વિમાસણ સર્જવાના સ્થાને ‘છું’ તથા ‘નથી’ની વચ્ચે (અ)ને મૂકીને ઊભયના સ્વીકારનું સમાધાન સ્વીકારે છે. Descartesના પ્રખ્યાત વિધાન ‘I THINK , THEREFORE I AM’થી પણ કવિ અહીં આગળ વધ્યા જણાય છે. અસ્તિત્વના હકાર અને નકાર –બંનેનો સુવાંગ સ્વીકાર આ શેરને મૌલિક અભિવ્યક્તિની નવી જ ઊંચાઈ બક્ષે છે.

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

Comments (6)

(રંગાયા વગર) – અનિલ ચાવડા

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.

આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,

મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.

માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!

પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.

મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.

– અનિલ ચાવડા

ગઝલનો મત્લા વાંચતા જ અકબર ઇલાહાબાદીનો ‘दुनिया में हूँ दुनिया का तलबगार नहीं हूँ, बाज़ार से गुज़रा हूँ, ख़रीददार नहीं हूँ’ શેર યાદ આવે. વાત એ જ છે પણ અંદાજે બયાં નોખો છે. પ્રેમ અને મૃત્યુની વાત કરતા બીજા-ત્રીજા શેર પણ સરસ થયા છે. પણ મને માર્ગ અને પંખીવાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા. જેનો સ્વભાવ જ ફંટાવાનો છે, એવા સાથે મૈત્રી સાચવીને જ કરવી. અને ભીતરના ભેદ જાણનાર જો મૂંઝાયા વગર મોઢું ખોલવાની હિંમત ન કરે તો આજે નહીં તો કાલે ઘર કા ભેદી લંકા ઢાયેનો ઘાટ થવાનો જ છે. છેલ્લા શેરમાં કવિએ ‘ગઝલ’ શબ્દ અધ્યાહાર રાખ્યો છે એ બાબત થોડો વિચાર માંગી લે છે. ગઝલના પહેલા બે શેર કવિ કે કથકની સ્વગતોક્તિના શેર છે, જ્યારે છેલ્લા શેરમાં ગઝલ અથવા કવિતા પોતાની આપવીતી રજૂ કરે છે. આમ તો ગઝલના દરેક શેર સ્વતંત્ર એકમ ગણાય પણ કથનકેન્દ્રનો આ વિરોધાભાસ કથકને અધ્યાહાર રાખ્યો હોવાથી થોડો ખટકે છે. શેર જો કે સરસ થયો છે. ગઝલે દાયકાઓ સુધી ઓરમાયું વર્તન સહન કર્યું છે. કવિતાના જાણકાર લોકો અને વિદ્વાન-પંડિતોએ ગઝલમાંથી સાચા અર્થમાં પસાર થયા વિના જ એની વર્ષો સુધી અવગણના કરી. થોડું extrapolate કરીએ તો આ વાત ગઝલની જેમ જ જિંદગીને પણ લાગુ પાડી શકાય. મૂળ સુધી ઉતરવાના બદલે આપણે સહુ ટીકા-ટિપ્પણીઓમાં જ સમય વેડફતાં રહીએ છીએ, પરિણામે અર્ક તો નજર બહાર જ રહી જાય છે… સરવાળે મજાની ગઝલ!

Comments (10)

(ખુદવફાઈ માંગે છે) – ગુણવંત ઠક્કર ‘ધીરજ’

ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.

ક્યાં કોઈ વારસાઈ માંગે છે,
ભાઈ છે તું, એ ભાઈ માંગે છે.

એ ફકત માણસાઈ માંગે છે,
કેમ તું પાઈ પાઈ માંગે છે.

યાદ કરવાની પણ મનાઈ કરી,
આ તુ કેવી જુદાઈ માંગે છે!

ચામડીથી એ સાંધવાય પડે,
જ્યાં સંબંધો સિલાઈ માંગે છે.

ધનની માફક તમે છુપાવી જે,
લોકો એ માણસાઈ માંગે છે.

હોય એવા રજૂ થવાનું બસ,
સત્ય ક્યાં બીજું કાંઈ માંગે છે.

દરગુજર મેં કર્યુ તો સામે એ,
ઊલટી મારી સફાઈ માંગે છે.

– ગુણવંત ઠક્કર ‘ધીરજ’

કોઈપણ પ્રકારની તાજપોશીની કામના વિના સંતની પેઠે ગઝલના ગોખમાં બેસીની કાવ્યારાધના કર્યે રાખતા સુરતના ગુણવંત ઠક્કરનું ધીરજ તખલ્લુસ સાચે જ એમના સ્વભાવને ઉજાગર કરે છે. અજાતશત્રુ અને દરિયાદિલ – આ બે જ શબ્દો એમની ઓળખ માટે પૂરતા છે. ઊંડી કાવ્યસૂઝના માલિક આ કવિમિત્રની કોઈ સ્વતંત્ર રચના લયસ્તરો પર આજ સુધી આવી જ નથી એ લયસ્તરોનું જ કમભાગ્ય ગણાય… સ્વાગત, ગુણવંતભાઈ!

ટૂંકી બહેરની આ ગઝલમાં ચુસ્ત કાફિયા સાથે એમણે કેવું અદભુત કામ પાર પાડ્યું છે! જિંદગી આપણી પાસે કશું વધારાનું કે બીજાનું માંગતી જ નથી, આપણે આપણી પોતાની જાત સાથે વફાદારી કરી શકીએ એટલું જ જિંદગી ઇચ્છે છે પણ આપણામાંથી કેટલા આ કરી શકે છે? સંબંધો ફાટી જાય તો ચામડીથી પણ સાંધવા પડી શકે છેની વાત કરતો શેર તો અજરામર થવા સર્જાયો છે. જૂઠને લાખ વાનાંની જરૂર પડે, સત્યને તો માત્ર હોઈએ એમ ને એમ રજૂ થઈ જઈએ એ જ અભિપ્રેત છે. છેલ્લો શેર પણ મજબૂત થયો છે. આપણે મન મોટું રાખીને કશું જતું કરીએ તો આજનો જમાનો એવો છે, કે આ મનમોટાઈને માન આપવાના બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટેના ન્યાયે આપણી સફાઈ માંગવામાં આવે છે.

Comments (14)

સવા શેર : ૦૧ : મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા

કેટલીક કૃતિ વાંચતાવેંત કૃતિ, કર્તા અને વિષયવસ્તુ -ત્રણેયના પ્રેમમાં પડી જવાય. ‘વરસોનાં વરસ લાગે’ આવી જ કૃતિ છે. ગઝલનો મત્લા જોઈએ. ‘લગાગાગા’ના ચાર આવર્તનોથી બનેલા મિસરાની મોટા ભાગની જગ્યા ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફે પચાવી પાડી છે. લાંબી રદીફ સિદ્ધહસ્ત કવિઓની ગઝલોમાં પણ બહુધા લટકણિયું બનીને રહી જતી હોય છે. પણ અહીં એ કવિકર્મનૈપુણ્યની દ્યોતક બની છે. રદીફની આગળ ‘તોડવા’, ‘છોડવા’ જેવા હેત્વર્થ કૃદંતના કાફિયા. એમાંય ‘-ડવા’ કાફિયાઓનો સામાન્ય અવયવ, એટલે મત્લામાં તો કવિ પાસે ‘લગાગાગા’ની માત્ર સાત માત્રા જ બચે છે. આવી અતિસાંકડી ગલીમાંથી અર્થચમત્કૃતિ અને કવિતા નિપજાવવાનું ભગીરથકાર્ય અહીં થયું છે.

પ્રથમદર્શી વાત સરળ છે. કવિના મતે ક્ષણોને તોડવાનું અને બુકાની છોડવાનું કામ દેખાય એવું સહેલું નથી, કરવા બેસો તો વરસોનાં વરસ લાગી જાય. પણ આ તો થઈ સપાટી પરની વાત. મહાસુખ તો મહીં પડ્યા તે જ માણે ને?! ડૂબકી જ ન મારો તો મોતી શીદ હાથ લાગે, કહો તો? ક્ષણ યાને કે સમય અમૂર્ત છે પણ એને તોડવાની ક્રિયાનો કાર્યકારણસંબંધ તો મૂર્તતા સાથે છે. ‘બુકાની’ સાથે ‘છોડવા’ની ક્રિયા જેટલી સાહજિક છે, એટલી જ ‘ક્ષણો’ સાથે ‘તોડવા’ની ક્રિયા અસાહજિક છે. પ્રથમ બે જ શબ્દોમાં કવિએ આવનારી અર્થચમત્કૃતિ તરફ કેવો ઈશારો કર્યો! કવિએ ક્ષણ અને વરસ, સૉરી, વરસોને, સૉરી, વરસોનાં વરસને સામસામા (juxtapose) કર્યાં છે. ક્ષણોનો સરવાળો યાને વરસો અને વરસોનો સરવાળો છે જીવન. પણ બધી ક્ષણમાં જીવન નથી હોતું. જન્મથી મૃત્યુ તરફની અનવરત મુસાફરીમાં આપણને જોતરતી અસંખ્ય ક્ષણોમાંની એકાદ ક્ષણ કાયાપલટની હોય છે. એને પકડી શકે એ જ મહાત્મા બની શકે છે. એક ક્ષણમાં વાલિયો લૂંટારો વાલ્મિકીત્વ તરફ ગતિ કરે છે તો બોધિવૃક્ષ તળેની એક ક્ષણ બુદ્ધના જન્મની ક્ષણ બની રહે છે. સ્ટેશન પર ફેંકાવાની એક ક્ષણના ગર્ભમાંથી મહાત્મા ગાંધી જન્મે છે તો ક્ષણાર્ધભર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા તો કોઈક હત્યા પણ કરી શકે છે. ક્ષણનો યથર્થ મહિમાગાન અહીં કરાયો છે. કવિ અન્યત્ર કહે છે: ‘કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.’ પણ અહીં કવિતા ક્ષણોને જોડવાની નહીં, તોડવાની વાતમાં છે. રામસભામાં સીતાએ આપેલી માળાના અમૂલ્ય મોતીઓના હનુમાન તોડીને ફાડિયાં કરે છે. કારણ? એમને એમાં શ્રીરામની તલાશ છે. અહીં પણ આ જ ઇજન અપાયું છે. ક્ષણોને તોડવાની છે, કેમ કે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને, ક્ષણોને તોડીને, વિચ્છેદન કરીને જાત સુધીની જાતરા કરવી હોય તો વરસોના વરસ પણ ઓછાં ન પડે? વળી, ક્ષણોના સરવાળા સમી આ જિંદગીને આપણે જેવી છે, શું એવીને એવી જીવીએ છીએ? એક ચહેરો અને હજાર મહોરાં… આપણા વ્યક્તિત્વમાં ક્યાંય એકત્વ કે સમત્વ નથી. પ્રતિપળ આપણે છીએ એનાથી અલગ રજૂ થઈએ છીએ. બુકાની તો ક્ષણભરમાં છૂટી જાય, પણ છીએ તેવા દેખાવું હોય તો? ઓળખ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો? વરસોનાં વરસ ઓછાં ના પડે? અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક માત્ર કવિના સમગ્ર(oeuvre)નું જ નહીં, સમસ્ત ગુજરાતી ગઝલોનું એવરેસ્ટ છે.

– વિવેક મનહર ટેલર

Comments (14)

બંધિયાર નથી – જિગર જોષી ‘પ્રેમ’

અપાર દીવડા ને ગોખલાનો પાર નથી
નથી ‘જિગર’ તો ફકત ગમતો અંધકાર નથી

ગગનની પાર જઈનેય હું ટહુકી શકું :
તમે હશો તો હશો પણ હું બંધિયાર નથી

તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે
તમે તો વાતો કરી જાણો – જાણકાર નથી.

ઝપટમાં આવી ગયા છે બધા કદી ને કદી
હવે ઉદાસી! નવો એક પણ શિકાર નથી

જુએ છે રાહ હતો જ્યાંનો ત્યાં ઝરૂખો હજી
દશામાં પણ કે દિશામાંય કંઈ સુધાર નથી

ગમે તે થાય ‘જિગર’ આંખમાં છુપાઈ રહે
અમારાં આંસુ હજી એવાં હોશિયાર નથી

– જિગર જોષી ‘પ્રેમ’

આમ તો આખી જ ગઝલ સુવાંગ સુંદર થઈ છે પણ ત્રીજો અને છેલ્લો શેર તો સવિશેષ સ્પર્શી ગયા. ઉપર ઉપરથી જ્ઞાનસાગર બનીને મહાલતા લોકોની સહેજ નજીક જઈએ તો જાણ થાય કે આ ભાઈ તો બસ, વાતો કરી જાણે છે, સાચુકલા જાણકાર નથી. ‘જાણ’ ધાતુના ત્રણ રૂપ –જાણ્યું, જાણો, જાણકાર- એક જ મિસરામાં વાપરીને કવિએ કેવો દમદાર શેર નિપજાવ્યો છે!

Comments (6)

એક કુહાડી – વિનોદ જોશી

એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.

સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;

એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;

રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;

વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;

એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;

જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.

– વિનોદ જોશી

ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.

Comments (13)

દિપાવલી પર્વની સ્નેહકામનાઓ…

*

છુપાયું છે ભીતર, એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોનાં હૃદય પળપળ ઉજાળીને;
કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !

– વિવેક મનહર ટેલર

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળી અને નૂતન વર્ષની અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (11)

ડૂબવું – પ્રતિષ્ઠા પંડ્યા

હું જાણું છું
કે હું ડૂબી રહી છું
હું તરવું પણ જાણું છું
ને છતાંય ડૂબી રહી છું
ગાત્રો કેટલાં શિથિલ છે
ખબર નથી
પણ જાણું છું
કે મારા ડૂબવામાં એમનો હાથ નથી
હા, મારા શ્વાસને મેં બાંધીને રાખ્યા છે
ક્યાંક ડહોળાય પાણી ને ફેલાય લહેરો
તો હું અનાયાસ વહેવા ના માંડું
એટલે કરીને
એક નિસાસો સુધ્ધાં નથી નાખ્યો.
પણ એમ કહેવું કે
હું ડુબાડી રહી છું જાતને
એ પણ ખરું નથી.
ડુબાડવું અને ડૂબવા દેવું
એ બેની વચ્ચેની ખાલી જગ્યામાં થઈને
જો હું સરકી જાઉં
કોઈ છીપના પાણીપોચા અંધારમાં
તો કદાચ ખીલું થઈ મોતી કાલે
કોઈ મરજીવાની બરછટ હથેળીમાં
એવા કોઈ સપનાંના ભાર તળે
હું ડૂબી રહી છું.

– પ્રતિષ્ઠા પંડ્યા

કાવ્યાંતે થોડી ચોટ આપે એવી ચાટુક્તિઓને અછાંદસમાં ખપાવી દેવાનો વેપલો આપણી ભાષામાં થોકબંધ ફાલી નીકળ્યો છે, એવામાં આવું વિશુદ્ધ કાવ્ય હાથ આવે ત્યારે એમાં ઠે…ઠ અંદર ડૂબી જવાનું મન થાય. કવિતા પણ ડૂબવા વિશેની જ છે. પરંતુ કવયિત્રી બહુ સ્પષ્ટ છે, ડુબાડવું અને ડૂબવા દેવા વચ્ચેના તફાવત બાબતમાં. જાત કે જમાના સાથે વાંધો પડે અને આત્મહત્યા કરવા પાણીમાં ઝંપલાવવું અલગ બાબત છે અને અકારણ જાતને ડૂબવા દેવું આ બે વચ્ચેની ખાલી જગ્યામાં થઈને એ પાણીમાં ઊંડે ગરકાવ થવા ચહે છે. વળી, એવું નથી કે તરતાં નથી આવડતું અને એવુંય નથી કે ગાત્રો ઢીલાં પડી ગયાં હોવાથી તરવાની શક્તિ જ બચી નથી. કોઈ પણ પ્રકારનો થાક કે મજબૂરીનો આ ડૂબવાની ઘટના પાછળ કોઈ હાથ નથી. ભીષ્મનું ઇચ્છામૃત્યુ પણ આ તબક્કે સાંભરે. ડૂબવાનો નિર્ણય એટલો તો અફર છે કે કવયિત્રીએ પોતાના શ્વાસોને પણ મક્કમ ઇરાદાઓથી બાંધી રાખ્યા છે, ક્યાંક એકાદો શ્વાસ કે નિસાસો નંખાઈ જાય અને પાણી ડહોળાતાં લહેરો ઊઠે અને ડૂબતું શરીર તરવા ન માંડે! અને આ ડૂબવા પાછળનો હેતુ? તો કે, છીપના અંધારામાં મોતી થઈ ખીલી ઊઠવાનો! પણ આ મોતી માત્ર કોઈ મહેનતકશ મરજીવા માટે જ છે! મહેનત કરીને હથેળી બરછટ થઈ હોય અને સાગરના પેટાળ સુધી ઊતરવાની તૈયારી હોય એના હાથમાં જ આ અંધારું મોતી થઈને પ્રકાશનાર છે.

અને અહીં સુધી પહોંચ્યા બાદ સમજાય છે કે પોતાના ભીતરમાં ઊંડે સુધી ડૂબકી મારવાની જહેમત ઊઠાવવા તૈયાર હોય એવા કોઈ મનના માણીગરના હાથમાં જ પોતાની જાતનું મોતી ભેટ ધરવાનું નાયિકાનું જે સપનું છે, આ ડૂબવાની ઘટના એ સપનાનાં ભાર તળે ઘટી રહી છે!

Comments (16)

(લીલુંછમ મૌન) – મુકુલ ચોક્સી

‘આ ખખડધજ હાસ્યમાં એક પુલ જીવતો હોય છે’
– એક નદી જેવો જ ભોળો દોસ્ત કહેતો હોય છે.

મનને એ તારા ઉઘાડું પાડી દેતો હોય છે
આ પવન હોય જ નહીં એ રીતે વહેતો હેાય છે.

સાંજટાણે તું લીલુંછમ મૌન રહેતો હોય છે
તોય બબ્બે ગામનું વેરાન સહેતો હોય છે

ત્યાં નદી હોવાનો સંભવ ખૂબ ઓછો હોય છે
જે નદી કાંઠા ઉપર તું બેસી રહેતો હોય છે.

– મુકુલ ચોક્સી

સ્મિત બે અલગ વ્યક્તિઓને એકમેક સાથે જોડતો સેતુ છે, એ આપણે જાણીએ છીએ પણ આ જ વાત કવિ કહે ત્યારે કેવી બદલાઈ જાય છે! ભલે ક્ષીણ થઈ ગયું હોય તોય સંબંધોને પુનર્જીવન આપવાની, જોડી આપવાની સ્મિતની ક્ષમતા કદી ઓછી થતી નથી. ચાર જ શેરની ગઝલ પણ કેવી મજબૂત! બબ્બે ગામનું વેરાન તો મારો અતિપ્રિય શેર!

Comments (8)

કબરની માટીથી – ગની દહીંવાળા

ઉતારી મેલે જગત ધૂળની સપાટીથી,
એ પહેલાં પ્રેમ કરી લ્યો કબરની માટીથી.

લખાણ રૂપે જો પ્રત્યક્ષ થૈ શક્યા ન અમે,
ઉપાડી લેવા હતા કો’ પરોક્ષ પાટીથી.

તરસના શ્વાસ જો ધીમા પડ્યા તો પડવા દો !
કે હોઠ ત્રાસી ગયા છે આ ઘરઘરાટીથી.

ખુદા ! ક્ષુધા હતી આદમની ઘઉંના દાણા શી,
અમે શિયાળ શું મન વાળ્યું દ્રાક્ષ ખાટીથી.

ન ભય બતાવ કયામતનો, મારા ઉપદેશક !
તને નવાજું હું જીવતરની હળબળાટીથી.

પરાણે જીવવું એ પણ છે એક બીમારી,
ઉપાય દમનો ન કરશો તબીબ ! દાટીથી.

નિરાંતે હાથ હયાતીની છાતીએ મેલ્યો,
ત્વચાનું પૂછ મા, દાઝી ગયા રુંવાટીથી.

‘ગની’, આ ગૂંચને જીવતરની પ્રક્રિયા જ ગણો,
દિવસ કપાય, તો રાત ઊભરાય આંટીથી.

– ગની દહીંવાળા

ક્લાસિક રચના…પ્રત્યેક શેર ઉમદા…

Comments (2)

એક છે તારી જિંદગી…- મરીઝ

એક છે તારી જિંદગી,એક ઉપર નિસાર કર,
રૂપ બધામાં એક છે, પ્રેમ પણ એક વાર કર.

હું જો નહીં રહું તને જાણી કોઈ નહીં શકે,
હું જ છું તારી આબરૂ; મારો બધે પ્રચાર કર.

તારી જ દેણ છે પ્રભુ મારી સમગ્ર જિંદગી,
મારુ કશું જશે નહીં જ્યાં ચાહે ત્યાં પ્રહાર કર.

નિષ્ફ્ળ જવાની છેવટે બેચેની તારી આંખની,
દર્શન જો એના જોઈએ દિલનેય બેકરાર કર.

શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં,
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર.

તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર.

મર્યાદા દુશ્મનીમાં છે, શકિત મુજબની હોય છે,
કિન્તુ ગજાથી પણ વધુ સૌને ‘મરીઝ’ પ્યાર કર.

– મરીઝ

પહેલા ચાર શેર પરવરદિગારને સંબોધે છે, પછી માનવીની વાત આવે છે. પ્રત્યેક શેર મરીઝના હસ્તાક્ષર સમાન છે….

Comments (3)

છાંયડાનો જવાબ – મનોહર ત્રિવેદી

તોછડા આ તડકાએ છાંયડાને કીધું કે છોડી જો ઝાડવાની ઓથ
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

છાંયડાએ હળવેથી પૂછ્યું કે જોર તારું
કિયા ખીલે બાંધ્યું છે, બોલ?
સાંજ પડ્યે રઘવાયો રઘવાયો થૈશ અને
ઝાડ કને માગીશ બખોલ
પીળુંપચ્ચ મુખ થાય રાતુંચટ્ટાકઃ જાણે મારી હો કો’કે અડબોથ?

અંધારે એકલુંઅટૂલું ના લાગે કે
રાતે ના પડવાનો ફેર
આઠે પહોર ઝૂલું ડાળીને સંગ
અને આઠે પહોર લીલાલહેર
ડુંગર ને સીમ-ગામ-રણમાં રઝળીને તારે થાકીને થાવાનું લોથ

ઊંચે અંકાશે મીટ માંડીએ તો કિરણો પણ
ભોંય ઉપર ચાંદરણાં પાથરે
ઓછું આવે ન મને આટલીક વાતે તે
શીતળતા ભરી અહીં વાયરે
આષાઢી બીજ, અખાત્રીજ : તમે, શ્રીગણેશ! જુદી શું માનો છો ચોથ?
પાંદડાંએ સૂરજના તાપથી ઉગાર્યો તે એમાં તેં મારી શી મોથ?

– મનોહર ત્રિવેદી

આમ તો છાંયડાનું અસ્તિત્વ તડકાને આધારે હોય પણ કવિના તો ચશ્માં જ અલગ. તોછડો તડકો છાંયડાને ઝાડની ઓથ છોડી દેવાનું આહ્વાન આપતાં કહે છે કે તને ઝાડના પાંદડાંઓએ સૂરજના તાપથી બચાવી લીધો એમાં તેં એવું તે શું ભારી પરાક્રમ કરી નાંખ્યું? આ થયું ગીતનું મુખડું… અહીંથી આગળ સળંગ ગીત છાંયડાએ તડકાને દીધેલા જવાબનું ગીત છે અને રચનાનું શીર્ષક પણ એ જ છે. તડકાની તોછડાઈનો જવાબ છાંયડો હળવેથી આપે છે, એટલું કહીને કવિ બંનેની પ્રકૃતિ વચ્ચેનો ભેદ કેવો સ્પષ્ટ કરી બતાવે છે!

છાંયડો તડકાને હળવેથી ડામ દે છે કે બહુ જોર ના કર. સાંજ પડતાં જ તું રઘવાયો થઈ જશે ને તારું પીળું મુખ કોઈએ થપ્પડ મારી હોય એમ રાતુંચટાક થઈ જશે. છાંયડો એટલે અંધારું અને અંધારાને અંધારાથી શો ફેર પડે? તકલીફ તો તડકાને છે. દિ’ આખો રઝળી-રઝળીને લોથ થવાનું એના નસીબે લખાયું છે. ઊંચા આકાશેથી આવતાં કિરણો ધરતી પર ચાંદરણાં પાથરે એનાથી છાંયડાને ક્યાંક ઓછું ન આવી જાય એટલે શીતળ વાયરો વાય છે. અંતે પોતાનો કક્કો ખરો કરાવવા છાંયડો વળી આદ્યદેવ ગણપતિને વચ્ચે લાવે છે. ઈશ્વરને મન જેમ કોઈ તિથિઓમાં ભેદ નથી, એમ છાંયડાને દિવસ-રાત અને આઠે પહોરોમાં કોઈ અંતર નથી. એ તો બસ નકરી મોજમાં જ રહે છે…

બપોરનો પીળો તડકો, સાંજની લાલિમા, છાંયડાનું અંધારું અને ઠંડક – બંનેના મૂળભૂત ગુણોનો કવિએ કવિતામાં કેવો ચાતુર્યસભર વિનિયોગ કર્યો છે!

Comments (8)

(તમને મળે!) – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…

Comments (4)

(ગોદ માતની કયાં) – ચંદ્રકાંત શેઠ

છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની કયાં ?
શયનખંડ ને શય્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે,રાહત માની કયાં ?
ચાંદ, સૂરજ ને તારા મળશે, આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે,પાલવ માનો કયાં ?
સૂર,તાલ ને સંગીત મળશે,ટહૂકો માનો કયાં ?

હાજર હાથ હજાર હોય,પણ છાતી માની કયાં ?
બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

– ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી સાહિત્યાકાશમાં વિવેચનતારકોનો લાંબા સમયથી ભારી શૂન્યાવકાશ સર્જાયો છે. પરિણામે લખો એ કવિતા જેવું વાતાવરણ સર્જાયું છે. આ અંધેરનગરીમાં ઉદયન ઠક્કર જેવા કોઈક હજી છે એનો આનંદ. ચંદ્રકાન્ત શેઠ જેવા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને વિવેચક તથા સમસ્ત ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળની કૃતિચયનવિધિ પર પ્રકાશ ફેંકવાની આવી હિંમત આજે બીજા કોઈમાં તો દેખાતી નથી… ઉદયન ઠક્કરની કલમે આ રચના અને જેના થકી મરું-મરું થઈ રહેલી ગુજરાતી ભાષા જીવવાની નજીવી આશા હજી રહી ગઈ છે, એ પાઠ્યપુસ્તક વિશે શી અપેક્ષા છે એ જાણીએ:

પાઠ્યપુસ્તકમાંની કવિતાઓ – ઉદયન ઠક્કર

આ રચના ગુજરાત રાજ્યના ધોરણ નવમાના પાઠ્યપુસ્તક માટે પસંદ કરાઈ છે.રાજ્યભરના કિશોરો સામે આદર્શરૂપે મુકાતી કૃતિ પાસે, સ્વાભાવિક છે કે આપણે મોટી અપેક્ષા લઈને જઈએ. પહેલાં રચનાનું બાહ્યરૂપ તપાસીએ. પાંચમાંથી ત્રણ સ્ટાન્ઝા (શ્લોક)માં અંત્યાનુપ્રાસ સચવાયા છે. પરંતુ બીજા (રાહત-આંખો) અને ત્રીજા (પાલવ-ટહુકો) શ્લોકમાં અંત્યાનુપ્રાસ જળવાયા નથી. ચાર શ્લોકમાં અંતે ‘માની ક્યાં/માનો ક્યાં’ પદ આવે છે, પણ પહેલા શ્લોકમાં ‘માતની ક્યાં’ પદથી ચલાવાયું છે. આ કારણોસર રચનાનું શિલ્પ ખંડિત થતું લાગે છે.

હવે આંતરિક સૌંદર્ય તપાસીએ. ‘હેતની હેલી,’ ‘માની છાયા’ જેવા પદયુગ્મો નિશાળના નિબંધોમાં દાયકાઓ સુધી વપરાતાં રહીને પોતાની વ્યંજકતા ખોઈ બેઠાં છે. ઉનાળો પણ ‘ભર્યો’ અને શિયાળો પણ ‘ભર્યો’? ‘ગોદ’ અને ‘સોડ’ વચ્ચેની ભેદરેખા પાતળી હોવાથી પહેલી અને બીજી પંક્તિમાં પ્રશ્નનું પુનરાવર્તન થતું લાગે છે. ‘શયનખંડ’ અને ‘શય્યા’ને ‘સોડ’ સાથે સંબંધ છે એ સાચું, પણ ‘છત’ (તાપ-વર્ષા સામે રક્ષણ) અને ‘છત્તર’ (માન-મોભો)ને ભલા ‘ગોદ’ સાથે શો સંબંધ? ‘માની છાતી’ પ્રયોગ ગ્રામ્ય લાગે છે, ‘હૈયું’ જેવો કોઈ વિકલ્પ શોધી શકાતે.

અહીં શયનખંડ-સોડ, રાહી-રાહત, પલ્લવ-પાલવ, સંગીત-ટહુકો,હાથ-છાતી, મેહ-હેલી એવાં જોડકાં ગોઠવવામાં આવ્યાં છે, જેમાં કળાકૌશલ્ય કરતાં ગણિતકૌશલ્ય વધુ દેખાય છે. મા જેવો વિષય હોવા છતાં સંવેદન વર્તાતું નથી. માની આંખોને ચાંદ-સૂરજ-તારાની ઉપમા આપતા બીજા શ્લોકને મેઘાણીના ગીત ‘માની યાદ’ સાથે સરખાવી જોઈએ:

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ.
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું,
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું.
તગમગ તાકતી ખોળલે લૈ,
ગગનમાં એ જ દ્રગ ચોડતી ગૈ…
(ટાગોરના ગીતનો અનુવાદ)

કિમ્ બહુના? વધારે કહેવાની જરૂર ખરી?

શ્રી ચંદ્રકાન્ત શેઠ સહ-સંપાદિત ‘ગુજરાતી કાવ્યમુદ્રા’માં, આજથી સો વર્ષ પૂર્વે રચાયેલું દા.ખુ. બોટાદકરનું ગીત ‘જનની’ સ્થાન પામ્યું છે:

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે
…વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સંપાદકોને એવું મન નહિ થતું હોય, કે પોતે શીખ્યા હતા તેવા જ સુંદર ગીતો આજના કિશોરો સમક્ષ પણ મૂકે?

-ઉદયન ઠક્કર

Comments (14)

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

Comments (2)

कैसे कह दूँ….- शकील बदायुनी

कैसे कह दूँ की मुलाक़ात नहीं होती है
रोज़ मिलते हैं मगर बात नहीं होती है

आप लिल्लाह न देखा करें आईना कभी [ लिल्लाह = ભગવાનને ખાતર ]
दिल का आ जाना बड़ी बात नहीं होती है

छुप के रोता हूँ तिरी याद में दुनिया भर से
कब मिरी आँख से बरसात नहीं होती है

हाल-ए-दिल पूछने वाले तिरी दुनिया में कभी
दिन तो होता है मगर रात नहीं होती है

जब भी मिलते हैं तो कहते हैं कि कैसे हो ‘शकील’
इस से आगे तो कोई बात नहीं होती है

– शकील बदायुनी

મત્લાએ મને ઘાયલ કરી દીધો… શું વાત કીધી છે !!! દિલ ઉઠી જાય પછી શું મળવું અને શું ન મળવું…..!!

ગાલિબ યાદ આવે –

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

Comments (1)