નકી પંડિતાઈનું મડદું હશે અહીં,
નહીં તો દલીલોની બદબો ન આવે.
મકરંદ દવે

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2019

(રાહત થઈ ગઈ) – ભરત ભટ્ટ ‘પવન’

આજે પાછી સદગત થઈ ગઈ,
ઇચ્છાની આ આદત થઈ ગઈ.

એની સાથે રહેવા માટે
નિષ્ફળતા પણ સંમત થઈ ગઈ.

દુઃખોની જે ઢગલી કીધી;
એ પણ પળમાં પર્વત થઈ ગઈ.

તારી-મારી જૂની વાતો;
બસ, ઓચિંતી સાંપ્રત થઈ ગઈ.

ચર્ચાની વચ્ચે-વચ્ચે પણ
થોડી ચર્ચા અંગત થઈ ગઈ.

બાપા જલ્દી મૃત્યુ પામ્યા!
કન્યા જલ્દી ઓરત થઈ ગઈ.

શ્વાસો લેવાનું મેં છોડ્યું;
તે દા’ડાથી રાહત થઈ ગઈ.

– ભરત ભટ્ટ ‘પવન’

સરળ. સહજ.

Comments (1)

સહસ્ત્રદળ ઊઘડે – જવાહર બક્ષી

તિમિર ને તેજનું આ તલમલાતું છળ ઊઘડે
હું આંખ બંધ કરું ને બધાં પડળ ઊઘડે

અનર્થલોકનાં અગણિત ભુવન ને સ્થળ ઊઘડે
શબ્દ પડે ને ગગન સામટું સકળ ઊઘડે

સમયની પાર બીડેલી મિલનની પળ ઊઘડે
યુગોથી જીવમાં થીજેલ કૈં વમળ ઊઘડે

નદી તળાવ સમુદ્રોનાં તળ અતળ ઊઘડે
તમારાં પગલાં પડે ને સમસ્ત જળ ઊઘડે

સુગંધ શ્વાસનાં દ્વારે અડે… ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઊઘડે

– જવાહર બક્ષી

Comments (3)

તો થાય શું? – અનિલ ચાવડા

અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?
ધોધમાર ચોમાસું ખાબકે ને તોય પછી પથ્થરની આંખો ભીંજાય શું?

અધકચરા માળાને છોડી જાય પંખી તો
વસમું બહુ લાગે છે ડાળને!
એમ કર્યો દૂર તમે જીવનથી જાણે કોઈ
ભોજનમાં આવેલા વાળને!

હોઠે લગાડવાની વાંસળીને પથ્થર પર પટકી પટકીને તોડાય શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

માથા પછાડતા આ દરિયાના કાંઠે હું
જોઉં છું દૂર જતી નાવને,
ઊછળતાં મોજાંના ઘૂઘવાટા વચ્ચે ક્યાં
સાંભળશે એ મારું, “આવને!”

જળમાં જળ ભેળવીને જાય નદી ચાલી તો પાછળ જઈ શકશે તળાવ શું?
અધવચ્ચે તરછોડી જાય કોઈ ત્યારે ત્યાં રડવું ના આવે તો થાય શું?

– અનિલ ચાવડા

 

રામબાણ વાગ્યા રે હોય તે જાણે….

Comments (2)

નજર – ભરત ભટ્ટ ‘પવન’

મીઠી મજાની કાલ સુધી તો હતી નજર;
આજે જ કેમ સાફ નથી લાગતી નજર?

ક્યારેક વીંટળાઈ જઈ વેલ થઈ જતી,
ક્યારેક આરપાર મને વીંધતી નજર.

આંખોને ફૂટી પાંખ, ચમત્કાર થઈ ગયો,
મારી ઉપર તો નાખ જરા ઊડતી નજર.

તેથી જ આજકાલ બળે છે ત્વચા ઘણી;
રાખો છો, દોસ્ત! કેમ તમે ચાંપતી નજર?

નજરોની ચાલ જોઈ ‘પવન’ દંગ થઈ ગયો,
થઈ જાય સ્થિર તોય સતત દોડતી નજર.

– ભરત ભટ્ટ ‘પવન’

નજરને કેન્દ્રમાં રાખીને કવિ એક અદભુત રચના લઈ આવ્યા છે. ઊડતી નજર, ચાંપતી નજર જેવા રુઢિપ્રયોગ એવી સહજતાથી ગઝલમાં વણી લેવાયા છે કે વાહ કહી ઊઠવાનું મન થાય. એમાંય મક્તામાં સ્થિર દેખાતી હોવા છતાં દોડતી નજરની લક્ષણિકતા કવિએ જે બખૂબી ઝાલી છે, એ સિફત બહુ ઓછાને હસ્તગત હોય છે.

Comments (3)

મુસાફરી – રમણીક અગ્રાવત

સ્વભાવનાં વહેણમાં
સુકાન, હલેસાં કે લંગરવિહોણી નાવ લઈ
ઝંપલાવ્યું છે.
પવન કહે એ પથ
મોજાંની મરજી એ દિશા
નીકળી પડ્યા લઈ પાણીનો રથ.
દોરડાનો એક પુરાણો ટુકડો
જરઠ વાંસનો સાથ.
…આ ગઈ ગઈ- પડે સામટી ફાળ
ત્યાં તો, ત્યાં તો સાંકડમૂકડ ક્ષણ વચાળ
મળે આછેરી ભાળ!
સરસર સરસર કપાય સમય
હવા બજાવે મીંઢાં મનને :
ક્યાં, ક્યે છેડે જઈશું,
કોણ હશે રાહ જોતું? ક્યાં ક્યાં-
કઈ ભૂમિ પર હશે ઉતરાણ?
હમણાં કંઈ કશી ના જાણ…
‘સમાલ, સમાલ બેલી’
પવન પાતળો રવ ઊઠે
ને રહી જાય!

– રમણીક અગ્રાવત

વાત તો મુસાફરીની છે પણ આ મુસાફરી દુનિયામાં, દુનિયાએ પ્રશસ્ત કરેલા માર્ગો કે મુકામોની નથી. અહીં વાત છે સહજ થવાની. પોતે જે છે, એને યથાતથ સ્વીકારવાની અને સ્વ-સ્વીકૃતિમાં રહેલા જોખમો ખેડવાની તૈયારીની. સુકાન, હલેસાં અને લંગર વગરની નૌકા લઈને સ્વભાવના વહેણમાં ઝંપલાવવાનું છે. સ્વભાવ જેમ વહે એમ વહેવાનું છે. એકવાર સ્વ-ભાવમાં કૂદકો દીધો પછી પવન અને પાણી જેમ દોરે ને જ્યાં દોરે તેમ ને ત્યાં દોરાવાનું. ક્યાં જવાનું છે, ક્યાં પહોંચીશું, કોઈ રાહ જોતું હશે કે કેમ આવા કોઈપણ પ્રશ્નોની તમા રાખ્યા વિના આપણે જેવા છીએ તેવા જ રહીને દુનિયામાંથી પસાર થવાનું છે. પવનથીય પાતળો આત્માનો અવાજ વચ્ચે વચ્ચે સંભાળવાનું કહેતો રહે એ સાંભળીને બસ વહ્યે રાખવાનું છે… આ છે ખરી મુસાફરી.

આમ તો અછાંદસ રચના છે પણ કવિએ પંક્તિએ-પંક્તિએ વહેણની જેમ બદલાયે રાખતો લય અને પ્રાસ ઝાલી રાખ્યા હોવાથી આ મુસાફરીનું સંગીત અનુભવી કાનોમાં રણક્યા વિના નથી રહેતું.

Comments (1)

સુન્દ-ઉપસુન્દ – ઉદયન ઠક્કર

૧.
આજની છે ઘડી રળિયામણી, કે વગડામાં
કીર,કોયલ,કપિ,મૃગ,મોર બધાં અધ્ધરશ્વાસ!
ગોઠડી એક પછી એક નવી માંડે વ્યાસ

૨.
“સુન્દ-ઉપસુન્દ અસુર ભાઈ હતા,બન્નેમાં
એવો તો સંપ હતો,હેત કરી નવરાવે,
એકબીજાને વળી તાણ કરી ખવરાવે

જેઠનો માસ હતો,લૂ કહે કે મારું કામ!
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
વાયુનું વાળુ ને પાણીનું શિરામણ કરતા
શિખરે ઊભા રહી નામ રટણ પણ કરતા

ઇન્દ્રને ફાળ પડી ફાળ ભરીને આવ્યા,
– સ્વર્ગ છે ગપ,અને વૈકુંઠ શું છે? મોટું ગપ!
ખાઓ,પીઓ ને કરો લ્હેર,મૂકો તપની લપ!
પાંચ-દસ સુંદરી આપી ને સુરા યે રસબસ
એકના બે ન થયા કે ન થયા ટસથી મસ…

બ્રહ્મા પ્રકટ્યા તે પળે વાયુની ડૂંટીમાંથી!
– માગી લો,માગી લો,જે જોઈએ તે માગી લો!
સુન્દ-ઉપસુન્દે તો માગ્યું કે અમર થઈ જઈએ!
– ના હોં, એ તો ન મળે,બીજું કશું પણ માગો!

હાથમાં હાથ પરોવીને કહ્યું બન્નેએ:
– એકબીજાથી જ મરીએ,ન કોઈ ત્રીજાથી!
– ‘ઠીક,’ બ્રહ્માએ કહ્યું સમજી વિચારીને, ‘ભલે!’ ”

૩.
સરવા કાનેથી કથા સાંભળીને શુક પૂછે:
– ને પછી શું?ને પછી શું?ને પછી શું?ને પછી…

૪.
“ધોડતા,ધરણીને ધમરોળતા ભાઈ,ભાઈ!
પળમાં સિંહ થતા વ્યાઘ્ર,તપસ્વીઓને
દાઢમાં રાખતા,દેવોને દબાવી દેતા
રાજવીઓને કચડ ખાતા ભચડ યક્ષોને”

૫.
પાંખ ફેલાવીને ચકરાઈ રહ્યાં છે ગીધો

૬.
“હાવરાબાવરા દેવો ગયા બ્રહ્મા પાસે
વિશ્વકર્માએ તો તિલ તિલ લઈને રત્નોથી
રૂપના પાતળા પર્યાય સમી એક કન્યા
રચી નવરાશથી, ને એને કહ્યું: હે ભદ્રા,
સુન્દ-
ઉપસુન્દ સમીપે જઈને ફૂટ પડાવ!

કહ્યું કન્યાએ, ‘પિતાજી,હું જરા પરકમ્મા
દેવતાઓની કરી લઉં…’ ને એ ફરવા માંડી
જોતાંજોતાં વળી એને વળી જોતાંજોતાં
શિવ ચતુર્મુખ થયા છે,એવું પુરાણો કહે છે”

૭.
આંખને કાણી કરીને કોઈ બગલો બોલ્યો:
– વાત તો સાચી કે ભગવાન બધું જુએ છે

૮.
“મ્હેકની જેમ પવનમાં એ મરકતી આવી
અડખે પડખેથી સરકતી ને થરકતી આવી
ઝાલ્યો કર એકે,ઝુંટાઝૂંટ થઈ,બીજાએ

ઝપઝપાઝપ ત્યાં થયા ખાંડા-ખડગના ઝટકા
ભલ્લ,ભાલોડાં,ભમરભાલા,ગદાના ભટકા
જોતજોતાંમાં અસુર બેલડી કટકે કટકા”

૯.
પશુ-પંખીથી અલગ બેસી રહેલો માણસ
ધાર કાઢી રહ્યો છે ધીરે ધીરે છૂરાની:
– કોણ આ સુન્દ હતો?ધ્યાન નહોતું મારું…

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– અને ઉપસુન્દ વળી કોણ હતો,એ ક્હેશો?

પશુ ને પંખી સહુ તાકી રહે માણસને

– ઉદયન ઠક્કર
————
સંદર્ભ: મહાભારત,આદિપર્વ

મહાભારતના આદિપર્વમાં સુન્દ અને ઉપસુન્દ બે ભાઈઓની ઉપકથા આવે છે. બંને ભાઈઓ… સૉરી, વાર્તા તો કવિએ કવિતામાં આખી કહી જ દીધી છે, એટલે એ હું નહીં કહું. માત્ર સૃષ્ટિની તમામ સુંદર વસ્તુઓ પાસેથી તલ-તલભાર સૌંદર્ય લઈને બ્રહ્માએ વિશ્વકર્મા કને જે સુંદરીનું સર્જન કરાવ્યું એનું નામ તિલોત્તમા હતું એટલી હકીકત હું ઉમેરી દઉં છું. ગુજરાતીમાં પ્રમાણમાં ઓછા ખેડાતા ગઝલનો છંદ લઈને કવિએ મીની-ખંડકાવ્ય રચ્યું છે, અને એને નવ ખંડોમાં વહેંચી દીધું છે. માત્ર એક પંક્તિથી લઈને ઓગણીસ પંક્તિઓ સુધીની અનિયત પંક્તિસંખ્યા આ ખંડોમાં જોવા મળે છે.

મહાભારતની આ ઉપકથા શું આ બે ભાઈઓના મૃત્યુ સાથે સાચે જ પૂરી થઈ ગઈ હતી? કે સુન્દ અને ઉપસુન્દ કદી મર્યા જ નથી? આપણે બસ, આ જ સમજવાનું છે,…

Comments

પીડાના ટાંકણાંની….- મનોજ ખંડેરિયા

પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું.

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું.

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું.

ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું.

– મનોજ ખંડેરિયા

હું તો મક્તાથી જ ઘાયલ થઇ ગ્યો…..

Comments (1)

વાંસળી હૃદયની – શેખાદમ આબુવાલા

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની ;
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને,
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઉડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

– શેખાદમ આબુવાલા

જો શેખાદમ હયાત હોતે તો આજે તેઓ 90 પૂરા કરતે ! મને નાનપણથી જ ગમતા આ શાયર…..ઘણા શાસ્ત્રીય કસબીઓ તેઓને બહુ મહત્વ નથી આપતા પણ મને તો કાયમ તેઓ ગમતા જ રહ્યા છે.

Comments (2)

ક્ષણો આકરી છે – વિનોદ માણેક ‘ચાતક’

ન ચર્ચા, ન ચોવટ, ન વાતો કરી છે
નીરવ મૌનની એ ક્ષણો આકરી છે.

ન અફવા, ન બણગા, ન ખોટું કહીશું
જરા સત્ય બોલ્યું, જુબાં પણ ડરી છે.

ન દિવસે, ન માસે, ન વર્ષે મળી તું
ફકત તું મળે એ ક્ષણો કરગરી છે.

ન વર્ષા, ન ઝરમર, ન ફોરાં, કશું ના
છતાં આભમાં સપ્ત રંગી પરી છે.

ન શબ્દો, ન છંદો, ન શેરો સમજતા
તમારી કૃપા કાવ્ય થૈ અવતરી છે.

– વિનોદ માણેક ‘ચાતક’

ગીત જે રીતે ધ્રુવપંક્તિ પકડીને વર્તુળાકાર ગતિ કરે એ જ રીતે પાંચેય શેરના ઉલા મિસરામાં ત્રણ નકાર પકડીને આગળ વધતી આ ગઝલ કેવી મજાની થઈ છે! હા, બીજા શેરમાં કથન થોડું ખટકે છે એ નિવારી શકાયું હોત તો સારી ગઝલ ઉમદા ગઝલ બની હોત.

Comments (2)

(અડાડે છે કોઈ) – શબનમ

પ્રથમ છોડ રૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતી ઉખાડે છે કોઈ!

જો દરિયે ડૂબું, કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડૂબાડે છે કોઈ!

પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !

વહી જાય મન મારું મૂષકની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ !

થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઉઠી છે!
કે ‘શબનમ’ ને ફૂલો અડાડે છે કોઈ.

– શબનમ

કલાપીની અમર પંક્તિ -‘જે પોષતું એ મારતું, એવો દીસે ક્રમ કુદરતી’- યાદ આવી જાય એવો મજાનો મત્લા. પણ ખરી મજા તો પ્રિયજનની પ્રતીક્ષામાં કમાડે ટકોરાના ભણકારા સાંભળતા કાન આંખનું કામ કરતા થઈ ગયા હોવાનો જે ઇન્દ્રિયવ્યુત્યય કવયિત્રી લઈ આવ્યાં છે એમાં છે. વાંસળીવાળાની ધૂન પર મદહોશ થઈ દોરાતા ઉંદરોની વાર્તા યાદ કરાવતો શેર તો સ-રસ જ થયો છે, પણ મક્તા તો ભઈ, વાહ! આમ તો ફૂલ પર ઝાકળ હોય એટલે ઝાકળ ફૂલોને અડતી હોય એવું આપણને લાગે પણ તિર્યક દૃષ્ટિએ જગત જુએ નહીં એ કવિ શાનો? અહીં ફૂલને ઝાકળ નહીં, ઝાકળને ફૂલ કોઈક અડાડી રહ્યું છે અને ફૂલના બદલે ઝાકળ ખીલી ઊઠ્યું છે, સૉરી ‘શબનમ’ ખીલી ઊઠી છે!! પોતાના નામનો કેવો અર્થસભર અને ચપોચપ પ્રયોગ!

Comments (9)

ધ્રિબાંગ ઢોલ બાજે – હિરેન ગઢવી

જે ક્ષણ સમય નવાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
મન મોહતા અવાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ધ્રિબાંગ ઢોલ બાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
ઘૂંઘટમાં ફૂલ લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ના જાણું કોના કાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
અંતરમાં મારા આજે ધ્રિબાંગ ઢોલ બાજે.

હાલત નથી એ દિલની ઉજવે પ્રસંગ કોઈ,
શું થાય ! લોક લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

કોઈના આંખે આંસુ, કોઈને મસ્તી મોઘમ,
આ કેવા રે મિજાજે ધ્રિબાંગ ઢોલ બાજે !

જીવ્યો છે ભવ્ય જીવન સાબિત થઈ રહ્યું છે,
જો ! રંકના જનાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

એ નાદ એ હદે આ માનસ ઉપર છે હાવી,
લાગે બધાય સાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

– હિરેન ગઢવી

નાદસૌંદર્ય કવિતાનું અભિન્ન અંગ છે. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી શ્રીકૃષ્ણ ઝૂલે ઝૂલતા હોય એવું સંગીત સંભળાય છે તો કાન્તના ‘સાગર અને શશીનો ઝૂલણા દરિયાના મોજાંની આવ-જાનું સંગીત તાદૃશ કરી આપે છે. શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સમુદ્રમાંથી ઊઠતા મોજાંઓ હજારો ઘોડાઓ કૂચે ચડ્યા હોય એવો નાદ જન્માવી અવનિ-આભને ભરી દે છે. હિરેન ગઢવીની આ ગઝલમાંથી એ જ રીતે ધ્રિબાંગ ધમ ધ્રિબાંગ ધમ ઢોલ બાજતો ન સંભળાય તો કહેજો…

Comments (9)

આજ હું ઉદાસ નથી થાતો – હરીન્દ્ર દવે

આજ હું ઉદાસ નથી થાતો, કે કાલના
જુવાનિયાની આંખ ન્હોય ભીની,
આજની આ વેદના વરાળ સમી, એટલે જ
યાદ કરું વારતા પછીની.

આ તને આશ્લેષે લીધી
ને ભીંસ એની આવનારી સદીઓમાં
કેટલાંય જોબનઘેલાંને મૂંઝવશે :
બદલાતી દુનિયાના પલટાતા વહેણે
સાવ ઓચિંતાં બોલાયાં નેહનાં બે વેણ,
સદા એવાં ને એવાં રહી તરશે.
કડવાં આ પાંદડાં તો આવશે જશે
ને હશે લીમડાની છાંય મ્હેકભીની.

ઝેરની પિયાલી કદી પીધી મીરાંએ
હવે તારે ને મારે
એ જીરવી જવાનું ભાગ્ય આવશે,
રડવાનું એટલું આસાન
અને આંખને તો જળની માયા છે ખૂબ
તોય, કહે, હસવાનું ફાવશે ?
ગંગાજમુનામાં ભળે ત્રીજો પ્રવાહ
કદી સાંભળી તેં વાત એ નદીની ?

– હરીન્દ્ર દવે

 

પ્રેમની ભાષા કાલાતીત છે…..

Comments (1)

લક્કડબજાર – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.

Comments (1)

જવાબ આપવો નથી – પારુલ ખખ્ખર

છે આકરા પ્રહાર પણ જવાબ આપવો નથી,
નથી સ્વીકારી હાર પણ જવાબ આપવો નથી.

મલમ લગાવશું નહીં આ ઘાવ તાજો રાખશું,
છે તીર આરપાર પણ જવાબ આપવો નથી.

જવાબ આપીએ નહીં, હા! એ સ્વંય જવાબ છે,
કરી દીધો છે વાર પણ જવાબ આપવો નથી.

સમય જરૂર આવશે સમય જવાબ આપશે,
ઘસીશું શબ્દ ધાર પણ જવાબ આપવો નથી.

જો એક મારશું તો દસ ઉભા થશે એ રાવણો
ટકી જશું ધરાર પણ જવાબ આપવો નથી.

– પારુલ ખખ્ખર

‘જવાબ આપવો નથી’નો ટંકાર કરતાં-કરતાં કવયિત્રી જવાબના કેવા તાતા તીર ચલાવે છે એ જુઓ…

Comments (8)

(શ્રદ્ધા બિચારી) – ડૉ.મનોજ જોશી ‘મન’

શ્રદ્ધા બિચારી-બાપડી થઈને ઉભી રહી,
શંકા હતી તે ખાતરી થઈને ઉભી રહી.

પંપાળ્યે રાખી પ્રેમથી તો કદ વધી ગયું,
ચપટીક ચિંતા, ગાંસડી થઈને ઉભી રહી.

તપતા રહ્યા તે આખરે પાક્કા બની ગયા,
તકલીફ એવી તાવડી થઈને ઉભી રહી.

વાંચ્યું’તું ખૂબ તક વિશે,પણ ના કળી શક્યા,
પહેલી હતી તે આખરી થઈને ઉભી રહી.

છે ભૂલ એનું નામ ! એ ભૂલ્યા’તાં આપણે,
એની હતી એ આપણી થઈને ઉભી રહી.

– ડૉ.મનોજ જોશી ‘મન’

મત્લા જ ‘મન’ જીતી લે એવો બળકટ થયો છે. સાવ સાચી વાત. આજે આપણે જે યુગમાં જીવી રહ્યાં છીએ, એમાં શ્રદ્ધા સાવ બિચારી ને બાપડી બનીને રહી ગઈ છે ને શંકા હિમાલય જેવું નક્કર સત્ય બની ગઈ છે. બીજા શેરમાં ‘ચિંતા બડી અભાગની’ની વાત કવિ કેવી અલગ રીતે રજૂ કરે છે! સમય પર ત્યાગ ન કરીએ અને પંપાળીએ તો ચપટીભર ચિંતા ગાંસડી બની જઈ આપણને કચડી નાંખવામાં વાર નથી લગાડતી. ને તકલીફની તાવી પર જે તપ્યે રાખે એ પાકા બની જાય છે એ વાત પણ સ-રસ. જો કે તાવડીના સ્થાને નિંભાડો કે ભઠ્ઠી શબ્દ વધુ અપેક્ષિત લાગે છે. તક અને ભૂલ વિશેના શેર પણ આસ્વાદ્ય થયા છે.

Comments (3)

ખેડૂતની ભૂખ શું ભાંગે? – રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

(‘આંધળી માનો કાગળ’ એ જાણીતી રચનાના ઢાળે)

ખેડૂતની ભૂખ શું ભાંગે? દશા એની દોહ્યલી લાગે!
મૂડી ઝાઝી ને મજૂરી ઝાઝી, ઝાઝેરાં માથે રણ;
મજૂરી કરીને જાત પાડે તોયે કોઠી ન ભાળે કણ! – ખેડૂતની.
બી જોઈતું ને, બળદ જોઈતા, જોઈતું ઝાઝું ઘાસ;
મેઘરાજા જો માન માગે તો પડતો ઝાઝો ત્રાસ. – ખેડૂતની.
ખેડી-ખેડીને ઘણા વાવ્યા, વર્ષા આવી ધાઈ;
કિંતુ એટલે અન્ન ના ઊછરે, સાંભળ ને મુજ ભાઈ? – ખેડૂતની.
ઊધઈ સૂકવે છોડવા ઝાઝા ખેડુ શું રાખે ખંત?
ઊગતા છોડવા આરોગીને સમાધિ લેતા સંત. – ખેડૂતની.
ઈયળ પડે ને ખપરાં પડે, ગેરુયે રંગે ધાન;
હિમોકાકોએ દયા કરે તો ખેડૂત ભાળે ધાન. – ખેડૂતની.
રોઝ, શિયાળવાં, વાંદરાં, મોર ને બાકી રહેલામાં ચોર;
એ સઘળાંથી ખાતાં બચેલું ખેડૂતને કર હોય. – ખેડૂતની.
વાઢી-લણી અને ખળામાં લાવી અનાજ લેવાતે દિન;
ભાંડ, ભવાયા, મીર, ભંગી અને ઢેઢની લે આશિષ. – ખેડૂતની.
અનાજ લાવી ઘરમાં નાખ્યું ઘણી ઉમેદો સાથ;
બીજે દહાડે લેણદારો સૌ આવિયા ચોપડા સાથ. – ખેડૂતની.
વેરો-વાઘોટી માગતો મ્હેતો, લેણાં માગતો શેઠ;
ખેડુ દિલમાં ઘણું દુભાયે, શાને ભરાશે પેટ? – ખેડૂતની.

– રૂપસિંહ વાઘસિંહ રાઠોડ

લગભગ સાઠ વર્ષ પહેલાં માત્ર સાત ચોપડી ભણેલા એક ખેડૂતકવિએ લખેલું આ કાવ્ય આજે પણ એટલું જ તાજું લાગે છે. કવિતામાંથી પસાર થતી વખતે કાવ્યપદાર્થ પ્રમાણમાં ઓછો હોવાનું અનુભવાય પણ ઓછું ભણેલા કવિની કુદરત અને સમાજ –બંને તરફની ઝીણવટભરી અને સચોટ અવલોકન શક્તિ આ કાવ્યને બાજુએ મૂકવા દેતી નથી.

દર વર્ષે આપઘાત કરનાર ખેડૂતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એ હકીકત એ વાતની સાબિતી છે કે ખેડૂતની દશા આજની તારીખે પણ બહુ સુધરી નથી. ખેડૂતના નસીબે મજૂરી જ વધુ લખી છે. ખેતી માટે બી, બળદ, ઘાસ – એક તરફ આ સાધનો ટાંચા પડે છે તો બીજી તરફ વર્ષારાણી પર આધાર રાખવો પડે છે. વરસાદ ઠીક થાય તોય ઊધઈ અને ઊગતા છોડમાં પડતી કાતરાની જીવાત (સમાધિ લેતા સંત)નો ત્રાસ. હિમવર્ષાથી બચી જવાય તો પશુપક્ષીઓ અને ચોરોની પળોજણ માથે ઊભી જ હોય. એ બધામાંથી બચાવીને કંઈક હાથ લાગે એમાંથી ભાંડ, ભવાયા, મીર, ભંગી, ઢેઢને ભાગ આપવો પડે. આટલું પત્યું નથી કે લેણદારો આવી ઊભા રહે, મહેતો વેરો ઊઘરાવવા આવી ચડે અને શેઠની ઊઘરાણી પણ માથે ઊભી જ રહે છે. ખેડૂતના પોતાના પેટ-પરિવાર માટે કંઈ બચશે ખરું?

Comments (7)

અહો ગાંધી ! – સુન્દરમ્

(શિખરિણી)
અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી,
રચી આંધી, શાંતિપ્રિય જન, ન છાજે જ તમને !
ગયા- ના રોકાયા વચન ‘જઉં છું’ એય વદવા,
ઘડી તો પૃથ્વીનું પણ સ્થગિત હૈયું કરી ગયા !

તમારે ના વૈરી, પણ જગતનાં વૈર સહ હા
તમે બાંધી શત્રુવટ, પ્રણયની વેદી રચવા
ચહ્યું, વિશ્વે અદ્રિ સમ વિરચવા શાંતિસદન:
મચ્યા એ સંગ્રામે કવચ ધરીને માત્ર પ્રભુનું.

ઢળ્યા એ સંગ્રામે ! પ્રભુ થકી જ આ ત્રાણ ઊતર્યું ?
તમોને વીંધી ગૈ સનન, કરુણા એ શું પ્રભુની ?
મનુષ્યે ઝંખેલાં પ્રણય-સતનો સિદ્ધિ-પથ આ
અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ ?

હજી રોતી પૃથ્વી : પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી. એને ગત કરી, પ્રભો ! તેં રુદનને
વધાર્યાં. ક્યારે યે રુદન સ્મિતમાં ના પલટશે ?
કહે, પૃથ્વી અર્થે પ્રગટ તવ આનંદ ન થશે ?

(અનુષ્ટુપ)
પૂર્ણથી પૂર્ણ એ તારા સત્ય આનંદનો ઘટ
અક્ષુણ્ણ ધરતીતીરે પ્રગટાવ, મહા નટ !

– સુન્દરમ્
(૧૫-૦૨-૧૯૪૮)

આ અવનિ પર ગાંધીજીએ પ્રથમ શ્વાસ લીધો એને આજે ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં. દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીના અવસાનના પંદર દિવસ પછી લખાયેલું આ કાવ્ય આપ સહુ માટે રજૂ કરીએ છીએ..

કળી ન શકાય એવી સફર સાધીને ગાંધી તો ચાલતા થયા પણ આ શાંતિપ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે જે આંધી સર્જાય, એ એમની શાંતિપ્રિયતાથી શું વિપરિત નહોતી? શું એ ગાંધીને છાજે ખરું? જાઉં છું એવું કહેવાય એ રોકાયા નહીં, ને ઘડીભર તો પૃથ્વીનું હૈયું પણ સ્થિર થઈ ગયું. અજાતશત્રુ ગાંધીજીની શત્રુતા દુનિયાભરની શત્રુતાની સામે હતી. દુનિયામાંથી વેરભાવ મિટાવી દુનિયાને પ્રણયની વેદી બનાવવી એ એમની એકમાત્ર ઇચ્છા હતી. અને આ સંગ્રામમાં તેઓ માત્ર પ્રભુનામનું કવચ પહેરીને કૂદી પડ્યા હતા. ગાંધી-સાધી અને આંધીનો આંતર્પ્રાસ રચનાને બળકટતા આપે છે.

ત્રણ ગોળી સનન કરતી વીંધી ગઈ, એ બતાવવા કવિએ વાપરેલ ત્રણ અક્ષરનો સ-ન-ન ત્રણ ગોળીઓ જેવો ભાસે છે. આ કવિકર્મની કમાલ છે. ‘અસત્-હસ્તે થાવું સતત હત, એ અંતિમ પથ’ –અહીં પણ જે નાદસૌંદર્ય જન્મ્યું છે એ કાવ્યની કરુણાને વધુ ઘેરી બનાવે છે. પૃથ્વી પરનાં સૌ રુદન દૂર કરી શકે એ પહેલાં જ ગાંધી વિદાય થયા એટલે રુદન ઓર વધી ગયાં. કાવ્યાંતે કવિ આ મહા નટને અરજી કરે છે કે એના સત્ય અને આનંદનો ઘડુલો ધરતીના કાંઠે પ્રગટાવે… એની અનુપસ્થિતિમાં એણે કરેલા કાર્યો અને એણે ચીંધેલા માર્ગે ચાલીને આપણે પરમ શાંતિ અને ચરમ આનંદની પ્રાપ્તિ કરીએ…

Comments (4)

વાજીંતર… – તુષાર શુક્લ

હથેલીઓમાં ફૂલ હોય ને તોય લાગતું; જાણે અંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

હું ને તું ના કાંઠા તોડી એક થઈને વહીએ આપણ
પ્રથમ મિલનના મૌનને તોડી, કહેવું છે તે કહીએ આપણ

સ્નેહ જીવનમાં અહમ્ આપણો ઓગળી રહેશે નિત્ય નિરંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

મળવાની મોસમ છલકી છે, શાને અળગાં રહીએ આપણ?
ફૂલ પાંખડીનું અંતર પણ, શાને સ્હેજે સહીએ આપણ?

શ્વાસ શ્વાસમાં ગૂંજી રહ્યો છે આઠ અક્ષરનો મીઠો મંતર
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

એકમેકને ચાહીએ એવું, ગગન ધરા થઈ, બેઉ આપણ
બંને તરસ્યા, બંને વરસ્યા, ભીંજવતા ભીંજાયા આપણ

વરસીને પણ કોરાં રહીએ એવું તે કૈં હોય સદંતર?
હળવે હળવે બજે હૃદયમાં વ્હાલનું આ કેવું વાજીંતર!

– તુષાર શુક્લ

મુગ્ધતા પછીની અવસ્થાનું કાવ્ય જાણે કે…..

Comments

ચ્યુંઇગમ – મુકેશ જોષી

તારી ચોકલેટી ઇચ્છા પર મારો મુકામ
થાક જીવતરનો સ્હેજ હું ઉતારું
તારી એ ચાખેલી ચ્યુઇંગમને ચગળીને
તરફડતા દિવસોને કાઢું
એક ચ્યુઇંગમ પર જાતને જિવાડું

ચ્યુઇંગમનાં નારંગી મોસંબી અજવાળાં
મારે અંધાર સમે ટેકો
ચ્યુઇંગમથી અળગી હું જાત કરું લાગે કે
આત્માને ખોળિયાથી ફેંક્યો
રૅપરમાં વીંટેલી ચ્યુઇંગમની જેમ
મારા શ્વાસ તને ક્યાંથી વીંટાળું…એક ચ્યુંઇગમ

ચ્યુઇંગમના રસ્તા કે તારી એ યાદો કે
મારી આ લાગણી ના ખૂટે
ભીતરમાં જેમ તને મમળાવું એમ મારી
એક નસ તંગ થઈ તૂટે
ચ્યુઇંગમની જેમ તને ચાખીચાખીને
આંખ શબરીની જેમ હું પલાળું…એક ચ્યુંઇગમ

અહીં સહુકોઈ પોતાની ચ્યુઇંગમ મમળાવે
ને સહુકોઈ એના બંધાણી
ચ્યુઇંગમ એ કાંઈ નથી બીજું કે
યાદ કોક આવે ને લાવી દે પાણી
ચ્યુઇંગમ તો ચોંટે પણ જન્મારો જેનામાં
ચોંટે એ ક્યાંથી ઉખાડું…એક ચ્યુંઇગમ

– મુકેશ જોષી

 

વિષયનું નાવીન્ય જ માત્ર મહત્વનું નથી, આવા અઘરા વિષય ઉપર અર્થગંભીર વાત કરવી એ સિદ્ધહસ્તતાની નિશાની છે….છેલ્લા અંતરામાં કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ થઇ જાય છે….

Comments (3)