શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2006

કરો અંત – ‘બેજાન’ બહાદરપુરી

મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !

કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !

કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો

પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો

સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.

‘બેજાન’ બહાદરપુરી

Comments

ગાંધીકથા

મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ 82 વર્ષની ઊંમરે બાપુને પુનર્જીવિત કરવાનો અશ્વમેધ યજ્ઞ આદર્યો છે. ચારે તરફ જ્યારે રામકથા કે ભાગવતકથાની ધૂમ મચી છે ત્યારે ગુજરાતના ગામડે-ગામડે તથા મુંબઈમાં ફરીને તેઓ ગાંધીકથા કરીને બાપુ વિશે લોકોમાં વ્યાપ્ત ગેરસમજણ દૂર કરી સહસ્ત્રાબ્દિના એ મહામાનવના જીવન પર પ્રકાશ પાડી રહ્યાં છે. સમગ્ર ગાંધીકથા પંદર સીડીના સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ છે. (‘મોંઘીબહેન બાળવિહાર’ના નામે 550રૂ.નો ચેક કે ડ્રાફ્ટ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, ભાવનગર, ગુજરાત ના સરનામે મોકલવો).

Comments (1)

મોહનજી તમો મોરલા – રાજે

મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
                                                                       આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
                                                                       આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
                                                                       આશ તમારી રે.
પૂંઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
                                                                       આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે;વિસાર્યો ઘર-વહેવાર,
                                                                       આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયાનાથ,
                                                                       આશ તમારી રે.

રાજે

ઈ. 18મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજે જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણભક્તિના સુંદર પદો વડે ધર્મ અને સમાજની પોકળ રેખાઓને વળોટી ગયેલાં. એમની ભાષા પણ એમના સમયથી ઘણી આગળ એવી આધુનિક લાગે.

Comments

સમાધાન – શેખાદમ આબુવાલા

તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !

– શેખાદમ આબુવાલા

Comments (3)

યારો ! અલગ અલગ અહીં તો સૌની શામ છે

 ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે? 

વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (3)

રણમાં બાવળ – અમૃત ‘ઘાયલ’

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

આગળ પાછળ
આવળ બાવળ

ડગલે પગલે
દ્રષ્ટિના છળ

માથે લટકે
મણ મણની પળ

મેરુઓ પણ
મનન ચંચળ

એના વચનો
ડોકના આંચળ

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ

– અમૃત ‘ઘાયલ’

મારા મતે ટૂંકી બહેરની ગઝલ લખવી એ ખૂબ અઘરું કામ છે. બે ચાર શબ્દોમાં જ અર્થસ્ફોટ થવો જોઈએ અને કાફિયો પણ સચવાવો જોઈએ. ચંદ જ શબ્દોમાંથી ઘાયલસાહેબ એક જ ઈશ્વર, એ પણ અટકળ! અને કૂંપળ કૂંપળ, કણસે ઝાકળ જેવા સુંદર શેર કોતરી આપે છે. આગળ શેખાદમની એક ટૂંકી બહેરની એક ગઝલ નીર છું રજુ કરેલી એ અહીં સાથે માણવા જેવી છે.

Comments (1)

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

Comments (4)

નમ્રતા અને નિધિ – શેખ સાદી

વાદળામાંથી એ જલબિંદું ખર્યું,
ને સમુદ્ર નિહાળી હૈયે થરથર્યું,
સિંધુ ક્યાં? ને ક્યાં હું બિંદુ? એ કહે
ત્યાં તો છીપે આવરી, અંકે ધર્યું.

– શેખ સાદી

Comments

નથી મળવું – હરીન્દ્ર દવે

ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.

હવામાં તારી હવા છે, છતાં નથી મળવું,
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.

મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.

છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું,
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.

– હરીન્દ્ર દવે
(‘મનન’)

Comments (1)

વૃક્ષ – ડૉ.વિવેક મનહર ટેલર

 

વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.  

પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.

જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.

છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.

પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.

ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.

ડૉ.વિવેક મનહર ટેલર

Comments (2)

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગૂલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!

o

ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જો ઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’

– લાભશંકર ઠાકર

Comments (5)

શાયર છું – ઘાયલ

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

– ધાયલ

Comments (12)

મારા મને વાવડ મળે – રવીન્દ્ર પારેખ

કોઈ પણ રીતે ન એની ગડ મળે,
બીજમાંથી કઈ રીતે એક વડ મળે ?

બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.

એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.

કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.

કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,
એ વિના ના ભીતરે ભેખડ મળે.

કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.

મારા જ શહેર સુરતના રવીન્દ્ર પારેખ (21-11-1946) એટલે નખશીખ પ્રયોગશીલ કવિ. એમની કવિતામાંથી જ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાંથી એક અજબ અજંપો તમને સતત ઝરતો અનુભવાય. સુંદર કવિ હોવા ઉપરાંત સારા વાર્તાકાર અને વિવેચક પણ ખરાં. એમનો પુત્ર ધ્વનિલ પણ સારો કવિ છે. કાવ્યસંગ્રહ: ‘ એ તો રવિન્દ્ર છે’.

Comments

બે વધુ ગુજરાતી બ્લોગ

ગુજરાતી બ્લોગજગત હવે ઝડપથી વિસ્તરતું જાય છે. બીજા બે નવા બ્લોગ એમાં ઉમેરાયા છે.

પહેલો છે, હૈદરાબાદથી સૂરજ નાહરનો બ્લોગ દસ્તક. એ મારી જેમ જ સૂરતના છે પણ હવે સૂરતથી દૂર રહે છે. અને મારી જેમ જ સૂરત શહેરને ખૂબ યાદ કરે છે. એ મૂળ હિન્દીભાષી છે અને કેટલાક સમયથી પોતાનો હિન્દી બ્લોગ ચલાવે છે. એમની ઓળખાણ એમના પોતાના જ શબ્દોમાં જુઓ.

राजस्थान के उदयपुर (अब राजसमन्द) जिले के देवगढ नामक कस्बे में जन्म हुआ, शिक्षा ज्यादा नही हुई, हिन्दी माध्यम से ११वीं (हायर सैकेन्डरी) तक ही कर पाया, परन्तु हमेशा कुछ नया सीखने की आदत ने कम्प्युटर का चस्का लगा दिया, अंग्रेजी बहुत कम जानता हुं लेकिन इस का कोई गम नहीं, हिन्दी में मुन्शी प्रेम चन्द जी से लेकर गुजराती के पन्ना लाल पटेल तक को पढा है.

અને બીજો છે નેહા ત્રિપાઠીનો બ્લોગ સ્નેહ સરવાણી. આ બ્લોગ પર હજુ એક જ પોસ્ટ છે અને એ છે સ્વરચિત કવિતાનો. (આભાર, મૌલિક)

Comments (2)

કવિતા – પન્ના નાયક

નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !

પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.

Comments (2)

પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
         નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
         અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
         પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
         આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પારેખ

Comments

ધાર કયાં હતી? – રઈશ મનીયાર

આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ –
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?

– રઈશ મનીયાર

Comments

બસ, બે ઘડી મળી… – વિવેક મનહર ટેલર


બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી. 

મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”

આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.

ડૉ. વિવેક મનહર ટેલર

Comments (3)

મારો અભાવ – મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ

ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ

આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.

મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

– મનોજ ખંડેરિયા

આજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં કીરણે આ ગઝલના છેલ્લા શેરના માત્ર આછાપાતળા શબ્દો મૂક્યા ને પૂછ્યું કે કોઈ પાસે આ ગઝલ છે કે કેમ. મયૂરે તરત જ શેર પૂરો કરી આપ્યો. અને હું ઘરે આવીને પૂરી ગઝલ શોધું એ પહેલા તો ભૈડુસાહેબે એને ગૃપ પર પોસ્ટ કરી પણ દીધી ! ઈંટરનેટ પર ગુજરાતી કવિતામાં વધતા જતા રસની આ નિશાની છે. આમ આંતરરાષ્ટ્રીય સહકારથી સાંભરેલી આ ગઝલ તમે પણ માણો.

આની સાથે જ આગળ રજૂ કરેલી મનોજ ખંડેરિયાની જ બે ગઝલ પણ જોશો – વિકલ્પ નથી અને એમ પણ બને .

Comments (1)

અદભૂત રંગ – શેખાદમ આબુવાલા

શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે !

શેખાદમ મુક્તકના માણસ હતા. એમણે મુક્તકોનો એક અલગ સંગ્રહ કરેલો. એમના મુક્તકોમાં એમનુ વ્યક્તિત્વ છલકી ઊઠે છે. એ વ્યંગ સાથે નાનકડી સરસ ટકોર મૂકે છે. પહેલા રજૂ કરેલા મુકતકો પણ માણો : તાજમહાલ, ગાંધી અને મુહોબ્બતના સવાલોના.

Comments (1)

આ તે કઈ રીત છે ? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?

– આશા પુરોહિત

આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.

Comments (8)

આરસીમાં – શેખાદમ આબુવાલા

આરસીમાં ડાબું જમણું હોય છે
ભૂમિતિનું એ ઉઠમણું હોય છે

જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે

દિનની ઈચ્છાઓનું ભારણ રાતમાં
કોણ જાણે કેમ બમણું હોય છે

જે ફરે છે દિવસે થૈને અનાથ
રાત્રે જન્મેલું એ સમણું હોય છે

– શેખાદમ આબુવાલા

Comments (1)

આકાશ તથા કાળ વિશેની ગરબી – કવિ દલપતરામ

જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.                     ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે.           ૧૪

કવિ દલપતરામ

શાળેય પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી આ સુંદર રચના એ સમયના કવિકર્મની આરસી છે. પ્રત્યેક કડીના આરંભે આકાશ તથા કાળનું એકએક પરસ્પર ભિન્ન એવું લક્ષણ દર્શાવી, ‘કહે સૈયર તે કોણ હશે?’ એવો પ્રશ્ન અને બીજી પંક્તિમાં લક્ષણની પૂર્તિ કરતા સૈયરના જવાબ સાથે ધ્રુવપંક્તિ કે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ એ રીતિ વડે આકાશ તથા કાળની આશ્ચર્યજનક લાક્ષણિકતાઓનું કવિ બયાન કરે છે. અનાદિ અનંત એવું આકાશ તથા એવો કાળ ખરે જ આ વિશ્વનું અકળ ‘અચરજ’ છે અને તેથી જ તે આ કાવ્યનો એક રસમય વિષય પણ છે.

Comments

અમે ઈચ્છયું એવું…….. માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

માધવ ઓધવદાસ રામાનુજ (22-4-1945, પચ્છમ, અમદાવાદ) એટલે ઋજુ ભાવોને ઋજુતાની ચરમસીમાએ અભિવ્યક્ત કરી શકે એવા સશક્ત કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને ચિત્રકાર પણ ખરા. એમના કાવ્યોમાં ગ્રામ્યજીવનનાં તળપદાં સંવેદનો અને આધુનિક જીવનની સંકુલતા સમાનાકારે ધબકે છે. શીર્ષકમાં શિખરણી છંદના આભાસ સાથે શરૂ થતા આ કાવ્યમાં સમગ્ર ઇબારત ગઝલની રહી છે, અને પંક્તિ-આયોજન સૉનેટના ઢાંચાનું સ્મરણ કરાવે છે. કાવ્યસંગ્રહ: ‘તમે’ અને ‘અક્ષરનું એકાંત’.

Comments (4)

ગુજરાતી સાહિત્ય હવે સીડી સ્વરૂપે

ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે એક ખુશખબરી એ છે કે આપણી ભાષાના મોભીઓને કોમ્પ્યુટર અને સીડીના માધ્યમના ઊગતા સૂરજનો પ્રકાશ દેખાવા માંડ્યો છે. આપણી ભાષાની અમર કૃતિઓ હવે ધીમે સીડી સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહી છે અને જો શરૂઆત સફળ થશે તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાભાગની જૂની અમર કૃતિઓને સીડી સ્વરૂપે પ્રકાશિત કરવાની યોજના સાકાર કરશે.

1887માં જેનો પ્રથમ ભાગ અને 1901માં જેનો ચોથો ભાગ પ્રગટ થયો હતો એ ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વખણાયેલી, ચર્ચાયેલી અને વંચાયેલી નવલકથા છે. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરી અને પ્રો. હસિત મહેતાના પુરૂષાર્થના પ્રતાપે સમગ્ર નવલકથા ફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ – એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).

જે માસિકમાં કવિતા-લેખ છપાવામાત્રથી ગુજરાતી સાહિત્યજગત કવિ-લેખક તરીકે તમારો સ્વીકાર કરી લે એ ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ગણાતું ‘આવતીકાલના નાગરિકોનું માસિક’ ‘કુમાર’ પણ હવે આપણા સદભાગ્યે સીડી સ્વરૂપે ઉપલબ્ધ છે. છેક ઈ.સ. 1924 ના પ્રથમ અંકથી 2004 સુધીના એંસી વર્ષોના સળંગ 924 અંકો ફ્ક્ત રૂ. 2500માં સોળ સીડીના રૂપમાં મેળવી શકાય છે. વધુ 1000 રૂ. ઉમેરો તો પાંચ વર્ષનું લવાજમ, 924 અંકોની અનુક્રમણિકાની સીડી તથા છ થી સાત સુંદર પુસ્તકો પણ ભેટરૂપે મળે છે. (‘કુમાર ટ્રસ્ટ’, 1454, બાવાની પોળ સામે, રાઈપુર ચકલા, અમદાવાદ-380001. ફોન.: 079-22143745).

Comments

જ્યારે પ્રણયની જગમાં – આદિલ મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

– આદિલ મન્સૂરી

ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.

Comments (20)

પ્ર ક ભુ વિ – ઉમાશંકર જોશી

તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.

અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…

– ઉમાશંકર જોશી

Comments

ભીંત / કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી

-કમલ વોરા

કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.

Comments (2)

એક વધુ ગુજરાતી બ્લોગ માણો

સુરેશભાઈ જાનીએ ટેક્સાસ, યુએસએથી ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. આ બ્લોગ પણ ગુજરાતી કવિતા અને સાહિત્ય વિષયક છે. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત, સુરેશભાઈ.

Comments

પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!

ડૉ. વિવેક મનહર ટેલર

આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.

Comments (3)

ઘર – નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.

Comments

લઇને આવ્યો છું – ગની દહીંવાલા

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

ગની દહીંવાલા

Comments (5)

ગઝલ – રઇશ મનીયાર

થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.

થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.

મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.

મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.

હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.

રઇશ મનીયાર

Comments (2)

શેર – રમેશ પારેખ

આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.

-રમેશ પારેખ

Comments

અલવિદા બક્ષીબાબુ !

બક્ષીબાબુ એમના 185 પુસ્તકો સાથે !

બક્ષીબાબુને બધા ગુજરાતી બ્લોગરોએ પોતપોતાની રીતે અંજલી આપી છે. એ બધી અંજલીઓને સીધી લીંક. (આભાર,વિવેક.)

લયસ્તરો
સિધ્ધાર્થનું મન
હાથતાળી
કડવો કાઠીયાવાડી
મને મારી ભાષા ગમે છે
રીડ ગુજરાતી

આરપાર મેગેઝીને તો નવા અંકમાં બક્ષી પર લેખોની લહાણી કરી છે.

આ ઉપરાંત, ચંદ્રકાંત બક્ષીનો મૃત્યુ વિષય પર લખેલો લેખ મૃત્યુ : જો સ્વપ્નહીન નીદ્રા જ મૃત્યુ હોય તો એ આશીર્વાદ મને પૂર્ણત: સ્વિકાર્ય છે ગુજરાત ટાઈમ્સમાં વાંચ્યો. બક્ષી એટલે બક્ષી જ. એમની પોતાની આગવી શૈલીમા લખાયેલો આ લેખ માણવા જેવો છે. (લેખ વાંચવા માટે ગુજરાત ટાઈમ્સની વેબ સાઈટ પર જઈ, ડાબી બાજુની પેનલમાં છેક નીચે Suppliments પર ક્લીક કરો. એથી ‘સપ્તક’પૂર્તિના પાનાઓનું લીસ્ટ ખૂલશે એમાં ત્રીજે પાને આ લેખ છે.)

Comments (5)

પડી છે – ‘સાબિર’ વટવા

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.

હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.

ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.

– ‘સાબિર’ વટવા

Comments (2)

મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર

પરોઢે, પ્હેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો,
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો.

શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં, તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.

જુઓ, ત્યાં પગલીઓ મૂકી પવન પર, ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો.

પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ટ પલળ્યા છે,
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો.

આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.

– ઉદયન ઠક્કર

આ ગઝલ વાંચીને ‘આનંદ’ ફીલ્મ માટે ગુલઝારે લખેલી કવિતા ‘મોત તુ એક કવિતા હૈ’ યાદ આવે છે. એમાં પણ આવા જ એક સહજ-મૃત્યુની વાત હતી.

આપણે એક હદ સુધી મૃત્યુને ટાળી શકીએ, એ હદ પછી તો મોતને વધાવી જ લેવું રહ્યું. એમા વળી કવિને તો કલરવ અને ઝાકળથી શોભિત સવારમાં કુદરતના ખોળે મળે એવું જ મોત ખપે છે. ‘વગડાઉ વૈભવમાં’ જીવવાનું જ નસીબ બહુ ઓછા લોકોને મળે છે, અને ‘વગડાઉ વૈભવ’માં મરવાનું તો એનાથીય ઓછા લોકોને !

મોતને ખુલ્લમખુલ્લા વધાવવાની વાત કરતી કવિતાઓ ઓછી જ મળશે. એમાંય આ ગઝલ તો કવિએ એવાં નમણાં કલ્પનોથી સજાવી છે, જે મૃત્યુના સંદર્ભમાં કદી જોવા જ ન મળે.

Comments (4)

મુક્તક – ઉદયન ઠક્કર

સુધારી શકાતી નથી
સમારી શકાતી નથી
ઈમારત અમુક વર્ષ બાદ
ઉગારી શકાતી નથી.

– ઉદયન ઠક્કર

Comments

તો અમે આવીએ… – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન !
        પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઉંબરની કોર લગી લાવ્યાં

આપી આપીને તમે ટેકો આપો, સજન !
        નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન !
        આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.

Comments (4)

મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઈ

મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઇ.

જાકે સિર મોર મુકુટ , મેરો પતિ સોઇ;
તાત માત ભ્રાત બંધુ , આપનો ન કોઇ… …મેરે

છોડ દઇ કુળકી કાન , કહા કરિ હૈ કોઇ;
સંતન ઢિંગ બૈઠિ બૈઠિ , લોક લાજ ખોઇ… …મેરે

ચુનરી કે કિયે ટૂક , ઓઢ લીન્હીં લોઇ;
મોતી મૂંગે ઉતાર , બનમાલા પોઇ… …મેરે

અંસુવન જલ સીંચિ સીંચિ , પ્રેમબેલિ બોઇ;
અબ તો બેલ ફૈલ ગઇ , હોની હો સો હોઇ… …મેરે

દૂધકી મથનિયાં , બડે પ્રેમસે બિલોઇ;
માખન જબ કાઢિ લિયો, છાછ પિયે કોઇ… …મેરે

ભગત દેખી રાજી હુઇ, જગત દેખી રોઇ;
દાસી મીરાં લાલ ગિરિધર , તારો અબ મોહી… …મેરે

Comments

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નારાયણનું નામ જ લેતાં
                      વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
                      લક્ષ્મીવરને ભજીયે રે…

કુળને તજીએ, કુટુંબને તજીયે,
                      તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
                      જેમ તજે કંચુકી સાપ રે…

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
                      નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
                      નવ તજીયા શ્રીરામ રે…

ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
                      તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
                      પામી પદારથ ચાર રે…

વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
                      સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
                      મોહનવરશું મ્હાલી રે…

તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.

Comments

જ્યારે મમ અંતરમાં… – ગણપતલાલ ભાવસાર

જ્યારે મમ અંતરમાં કોઈના
                      કરતો મૃદુ વિચાર
હૈયાના ખેતરની સીમ
                      વધતી વેંતો ચાર !

ચાર વેંત એ વારિ ઝીલશે,
                      ઊગશે અમૃતધાન,
જેનાથી મમ જીવન જીવશે,
                      તૃપ્ત થશે મમ-પ્રાણ.

ચાર ચાર વેંતો કરતાં
                      કરતાં આ પૃથવિ આખી
મમ અંતરની સીમામાં
                      લેવાની ઇચ્છા રાખી.

-ગણપતલાલ ભાવસાર

Comments