મારી દોલત માત્ર મારા શબ્દ છે,
કોણ આવીને કહો એ લૂંટશે?
‘અગન’ રાજ્યગુરુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2006

આ શ્હેર… – રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

Comments (12)

બીજું કંઈ નથી અમે – ડૉ. વિવેક મનહર ટેલર

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

– ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (6)

ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.

Comments (3)

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

Comments (3)

સંયોગવર્ણન – નર્મદ

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;
પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.
બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;
નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.
ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

આખી કવિતા અર્થ સાથે કોમેન્ટ વિભાગમાં જુઓ.

સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. આજે નર્મદની પુણ્યતિથિ છે ત્યારે એક રતિકાવ્ય અહીં રજૂ કર્યું છે. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

Comments (3)

ક્યાં છે ? – સુધીર પટેલ

જાત આખીય હચમચી કયાં છે ?
વેદના પણ જરા બચી ક્યાં છે ?

વાર તો લાગશે હજી નમતા,
ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?

એટલે શબ્દનાં વળે ડૂચા
વાત ભીતર કશી પચી ક્યાં છે ?

મૌન પથ્થર સમું ધરી બેઠા,
વાત મારી કોઈ જચી કયાં છે ?

સોળ શણગાર કૈં સજે ‘સુધીર’,
એ ગઝલ તો હજી રચી ક્યાં છે ?

– સુધીર પટેલ

સુધીર પટેલ નોર્થ કેરોલિના, યુએસએમાં રહે છે. એમની રચનાઓ ગુજરાતી ગઝલ, ઝાઝી.કોમ, ગઝલ-ગુર્જરી વગેરેમાં પ્રકાશિત થાય છે. એ ઉપરાંત એમના બે કાવ્યસંગ્રહો નામ આવ્યું હોઠ પર એનું અને મૂંગામંતર થઈ જુવો પ્રગટ થયા છે.

Comments (1)

ગઝલ શીખવી છે? – સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર

ગઝલ શીખવી છે? નામે સરળ ભાષામાં ગઝલરચનાનું પાયાનુ જ્ઞાન આપતી નાનકડી પુસ્તિકા આશિત હૈદરાબાદીએ તૈયાર કરી છે. આ પુસ્તિકા ભાઈ અમિત ત્રિવેદીની વેબસાઈટ ગુજરાતી ગઝલ પરથી ડાઉનલોડ કરી શકો છો. રસિકો માટે આવી માહિતી હાથવગી કરી આપતી આવી પહેલી પુસ્તિકા વેબ પર જોવામાં આવી છે. ગઝલ રચનાની આજ પ્રકારની માહિતી શ્રી રઈશ મનીયાર એમની લેખમાળા ગઝલનું છંદશાસ્ત્રમાં ગઝલ ગુર્જરીમાં રસપ્રદ શૈલીમાં હપ્તાવાર આપી રહ્યા છે.

Comments (8)

તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
          મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
          તને ભીનું ન લાગે તો હું શું કરું?
                    મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
          તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
                    મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
          તારે કહેવી હો હા ને તોય તું શું કરે
                    તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

Comments (7)

ગઝલ – મરીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

‘ગુજરાતના ગાલિબ’ લેખાતાં મરીઝની આજે જન્મતિથિ છે. મારાં જ શહેર સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩. કાવ્યસંગ્રહ: ‘આગમન’, ‘નક્શા’.

Comments (23)

ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

Comments (4)

મુક્તકો – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

– શેખાદમ આબુવાલા

Comments (4)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

(રાજેશ વ્યાસ (જન્મ : ૧૬-૧૦-૧૯૫૫) એના કાવ્યસંગ્રહમાં કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.” એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”
સંગ્રહો : ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’[સંપાદન])

Comments (8)

તેજીની કવિતા – કવિ દલપતરામ

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

(શેરબજારની તેજી જ્યારે પૂરબહારમાં હતી ત્યારે વિવેકીને ભાન ભૂલાવે એવા સમયે કવિ દલપતરામ પણ કવિતાને બદલે શેર-સટ્ટાના કુ-છંદે ચડ્યા હતા. કવિએ તો નાણાં ગુમાવ્યા પણ ગુજરાતી ભાષાને આજદિન લગી વણખેડ્યા રહેલા શેરબજારની તેજી તથા સટ્ટાના પરિણામો જેવા વિષયો પર કેટલીક યાદગાર રચનાઓ મળી. અત્યારે જ્યારે ભારતના શેરબજારના ઇતિહાસે સર્વપ્રથમવાર દસ હજારનો સેન્સેક્ષ નિહાળ્યો છે ત્યારે આ કૃતિ સહજ જ પ્રાસંગિક બની રહે છે.)

Comments (1)

ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ

ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ PDF ફોરમેટમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ શબ્દકોશની પ્રસ્તાવનામાં શ્રી સુથાર લખે છે:

It is perhaps the first dictionary of the language created for the beginning student who is learning Gujarati language as a second language. It is also the first dictionary in Gujarati which gives phonetic transcription of the head words in International Phonetic Alphabet. Besides, it is also the first one that gives graphemic transcription of each head word.

આ જ સાઈટ ઉપર ગુજરાતી શીખવા માટે પાયાની માહિતી પણ છે. ભારત બહાર રહેતા કોઈને ગુજરાતી ભાષા શીખવા માટે આ સરળ રસ્તો છે.

Comments (5)

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.

Comments (11)

ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ અંગે હિમાંશુંભાઈ કીકાણીએ એક માહિતીપ્રદ પોસ્ટ એમના બ્લોગ અનુસંધાન પર મૂકયો છે. ગુજરાતી ભાષાની કુલ વેબસાઈટ માંડ 70-80 જેટલી છે. ગુજરાતીનો ઈન્ટરનેટ પર પ્રસાર હજુ પહેલી પગલી સમાન છે. ગુજરાતીને ઈન્ટરનેટ પર સ્થાપિત કરવા માટે આપણે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

ગુજરાતીને ઈન્ટરનેટમાં આગળ લાવવા માટે આટલા પગલાં ખાસ જરૂરી છે:

  • ગુજરાતી ભાષાને બધી સાઈટ Unicodeમાં જ હોવી જોઈએ. જેથી એ સાઈટ સહેલાઈથી જોઈ શકાય અને એમાંની માહિતી સર્ચ-એંજીનથી (દા.ત. ગૂગલ) સરળતાથી શોધી શકાય. ગુજરાતી છાપાઓએ આ બાબતમાંપહેલ કરવી પડે. આજે એક પણ છાપું Unicode વાપરતું નથી.
  • સસ્તા ભાવે કે મફત ગુજરાતી ફોંટ, વર્ડ પ્રોસેસર, ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન સોફટવેર વિગેરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
  • ગુજરાતીમાં અઢળક સાહિત્ય છે કે જે કોપીરાઈટથી બહાર છે. દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈની રચનાઓ. આ બધુ સાહિત્ય નેટ પર મૂકાવું જોઈએ. આ કામ સાહિત્ય પરિષદે કે પછી સુરેશ દલાલ જેવા કોઈ વ્યક્તિએ ઉપાડવું પડે.

Comments (9)

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

Comments (2)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Comments

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

Comments (9)

નહીં કરું – પ્રમોદ આહિરે

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

Comments (5)

ગઝલ ગુર્જરીનો નવો અંક

શ્રી આદિલ મંસૂરી સંપાદિત ગઝલ-ગુર્જરીનો નવો અંક વેબસાઈટ પર પ્રગટ થઈ ગયો છે. PDF ફોરમેટમાં આ અંક આપ ગઝલ-ગુર્જરી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક શ્રી રાજેન્દ્ર શુક્લને અર્પણ કરેલો છે. રાજેન્દ્ર શુક્લ ઉપરાંત આ અંકમાં હરીન્દ્ર દવે, અદમ ટંકારવી, ચિનુ મોદી, અશરફ ડબાવાલા, પંચમ શુક્લ વગેરે ગઝલકરોની સુંદર રચનાઓ છે. સાથે રઈશભાઈની ગઝલનુ છંદશાસ્ત્ર લેખમાળાનો પાંચમો ભાગ પણ છે. આપે ન વાંચ્યા હોય તો પહેલાના પાંચ અંકો પણ ઉપલબ્ધ છે.

Comments

વાતોની કુંજગલી – જગદીશ જોષી

વાતે વાતે તને વાંકું પડ્યું :
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
          મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
          પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
          હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
          કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
          કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

Comments (3)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(રઈશભાઈના પુસ્તકો – ગઝલ સંગ્રહો : કાફિયા નગર, શબ્દ મારાં સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી., નિહાળતો જા..(આગામી), પરણીને પહતાય તો કે’તો ની.(હાસ્ય ગઝલસંગ્રહ)
અન્ય : માહોલ મુશાયરાનો(ઉર્દૂ શે’રોનો આસ્વાદ), મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ, કૈફી આઝમીના કાવ્યો(અનુવાદ), તરકશ-જાવેદ અખ્તરના કાવ્યો (અનુવાદ), બાળઊછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?, તમે અને તમારું નિરોગી બાળક )

Comments (2)

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા’નજી
                              ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
                              ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
                              ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)

Comments (4)

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

Comments (5)

ઝાકળનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
                મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
                વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
                મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
                ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
                લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
                અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
                યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
                હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

Comments (1)