સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રિષભ મહેતા

રિષભ મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

એક દિવસ એકાંતે બેસી – રિષભ મહેતા

કર્યો સંબંધોનો સરવાળો,એક દિવસ એકાંતે બેસી,
દીધી મેં પોતાને ગાળો! એક દિવસ એકાંતે બેસી.

કોને કોને મળવામાં આ રહી ગયું મળવું પોતાને?
ચાલને જીવ, મેળવીએ તાળો,એક દિવસ એકાંતે બેસી.

મારા ઘરમાં મેળો મેળો તો પણ હું ખાલી ને ખાલી,
જોયો મેં ગરબડ ગોટાળો, એક દિવસ એકાંતે બેસી.

રોડાં રસ્તામાં નાખે છે,સરળ સફરને અટકાવે છે,
ગાંઠ અણગમાની ઓગાળો,એક દિવસ એકાંતે બેસી.

જે પરમની સાવ નિકટ છે, ટોળામાં એ મળે, વિકટ છે,
મનમાં જે ટોળું છે, ટાળો, એક દિવસ એકાંતે બેસી.

જે ટોળામાં ખોઈ બેઠા, સંભવ છે એ મળેય પાછો,
સહજ પ્રણયનો સુંદર ગાળો, એક દિવસ એકાંતે બેસી!

પોતીકા અજવાળાંની જો હોય આપને તલાશ તો તો
દીપક સાથે દિલ પણ બાળો, એક દિવસ એકાંતે બેસી.

ભીડમાં એને ગમવા લાગ્યું, મન ગમે ત્યાં ભમવા લાગ્યું,
મનને પાછું મનમાં વાળો, એક દિવસ એકાંતે બેસી.

એમ નહીં સમજાય આપને, રૂપ નહીં દેખાય આપને,
આ ગઝલની ભીતર ભાળો, એક દિવસ એકાંતે બેસી.

રંગતરંગ, સુગંધ, છંદ ને સ્પંદની નવલખ છોળ ઉછળશે,
તમે મને નખશિખ નિહાળો, એક દિવસ એકાંતે બેસી.

– રિષભ મહેતા

એકાંતમાં જાત સાથે વાત અને મુલાકાત આપણે ભાગ્યે જ કરતાં હોઈએ છીએ… કવિ એકાંતમાં બેસીને જિંદગીના નાનાવિધ પરિમાણો કેલિડોસ્કૉપિક કલમથી આપણને બહુ સુંદર રીતે અહીં બતાવે છે એ માણીએ…

Comments (5)

મારે તમને મળવું છે – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

બહુ ઓછા માણસ હોય છે જે જિંદગીમાં જેને મળે એ બધા એના મિત્રો જ બની જાય… શત્રુ કોઈ ધારે તોય બની ન શકે એવા મીઠડા તો કોઈક વીરલા જ હોય ને ! રિષભ મહેતા આવું જ એક નામ હતું… આજે આ નામ સાથે ‘હતું‘ લખતાં હાથ કાંપે છે… અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા… ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે…

Comments (13)

ખાલીપો… – રિષભ મહેતા

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

આમ તો કવિએ ચાર મહિના યુ.કે. રહીને વતન પરત ફરતા પોતાના મિત્રની યાદના ખાલીપાને સભર કરવા માટે આ ગીત લખ્યું હતું પણ સ્વતંત્ર રીતે ગીત કેટલું મજબૂત બન્યું છે એ જુઓ! જે ખાલી છે એ કેવી રીતે ખખડે? પણ ઘરમાં -કાયાનું ઘર? સ્મરણોનું ઘર?- એકલતા સિવાય કંઈ હોય જ નહીં ત્યારે ખાલીપો જ ખખડે ને! ખાલીપાના ખખડવાનું રૂપક જ એટલું વેધક થયું છે કે પહેલી પંક્તિ વાંચતા જ કલેજું ચીરાઈ જાય… આંખો ઉજ્જડ છે કેમકે હવે પ્રિયપાત્ર નજરના સીમાડાઓથી પર છે. આંસુઓ રોકાતા નથી અને આંસુઓના જળાશયમાં સ્મરણોના ફોટોગ્રાફ્સ સતત તર્યા કરે છે. સ્મરણોના ફોટાને પરપોટા સાથે સાંકળીને ક્ષણજીવી સધિયારાને અદભૂતરીતે તાદૃશ કરી આપ્યો છે. આમ તો શ્વાસ હવાથી બને છે અને એ પણ પરપોટાની જેમ ક્ષણિક જ હોય છે પણ અહીં પોતાની વેરાનીને પરાકાષ્ઠાએ લઈ જવા માટે કવિ હવાના શ્વાસને સ્મરણોના ફોટાના પરપોટામાં કેદ આલેખે છે… સલામ કવિ!

Comments

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

Comments (6)

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ… – રિષભ મહેતા

તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ…

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.

જો તું નથી તો કેમ તારી કલ્પના પણ છે?
હું અંધ છું આ દર્પણો શું કામના પણ છે!
ગૂંગળાવું ક્યાં લગી આ ખામોશીથી કંઇ તો બોલ…!
કે ‘હા’ નહીં તો આખરે જાણી લે ‘ના’ પણ છે.

પ્રેમ તારો હું નકારી ના શકું,
ને છતાંયે આવકારી ના શકું;
તું હૃદયમાં ધબધબે પ્રત્યેક પળ,
ને છતાંયે હું પુકારી ના શકું.

હું તને ક્યારેય ના ત્યાગી શકું,
ને ખુદા પાસેય ના માંગી શકું;
પાસ હું આવી નથી શકતો વધુ,
દૂર પણ તારાથી ના ભાગી શકું.

હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

-રિષભ મહેતા

 

સહુકોઇએ અનુભવી હોય તેવી અભિવ્યક્તિ…..સરળ,સચોટ અને સુકોમળ…..

Comments (5)

મારે તમને મળવું છે ! – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

ઈશ્કે-મિજાજી પણ હોઈ શકે……ઈશ્કે-હકીકી પણ હોઈ શકે…..દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (9)

પ્રથમ પ્રણયાનુભૂતિ – રિષભ મહેતા

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈં
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈં

ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈં

રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈં

હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈં

એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈં

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈં

મ્હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં –
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈં

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈં

– રિષભ મહેતા

એક નાજુક ગઝલ…….

Comments (12)

એવું બોલજે -રિષભ મહેતા

એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.

મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.

આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.

કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.

કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

– રિષભ મહેતા

આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.

Comments (16)

પતંગ -રિષભ મહેતા

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !

ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !

આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !

મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !

એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?

એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…

-રિષભ મહેતા

(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)

આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂

લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…

Comments (10)

અંગત અંગત : ૦૪ : કવિતાનું ઋણ

કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું.  ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી.  શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા.  એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ !  રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી.  ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-

તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…

અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું  ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છેચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું.  મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો.  કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…

સ્વર-સંગીત: રિષભ મહેતા

[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]

હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?

કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?

કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.

એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.

– નયન દેસાઈ

સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો.  ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું.  જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો.  દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા.  દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે.  અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે.  કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…

Comments (13)

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

Comments (6)

ગઝલ -રિષભ મહેતા

દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે,
હું છુપાઈ જાઉં એમાં, તું જગતભરને મળે.

ભીંત સામે વ્યર્થ કાં માથું પછાડો છો તમે ?
ક્યાં કદી ભીંતોના પથ્થરમાંથી પાણી નીકળે !

તું કરે મારા વગરની જિંદગીની કલ્પના,
ને મને તારા વગરની કલ્પના પણ ના મળે.

એટલે આંસુ ગણી એને લૂછી શકતો નથી,
એ તમારાં સ્વપ્ન જે આંખોમાં આવી ઝળહળે.

માનવું કે એ નથી અજવાળું કિન્તુ આગ છે,
કો’ શમા ‘બેતાબ’ જ્યારે બેઉ છેડેથી બળે.

રિષભ મહેતા ‘બેતાબ’

મને લાગે છે કે બે જ વ્યક્તિ સામેથી દર્દ માંગી શકે, એક પ્રેમી અને બીજા કવિ… 🙂  બધા જ શેરો વાંચતાવેંત ગમી જાય એવા સ-રસ થયા છે.

Comments (12)

સાંજ પડે ને… – રિષભ મહેતા

સાંજ પડે ને તું યાદ આવે; સાંજ પડે ને…
ટહુકો પણ પાંખો ફફડાવે ! સાંજ પડે ને…

મન હવે છે પાંખ વગરના પંખી જેવું
ઝાડ ભલેને ડાળ નમાવે; સાંજ પડે ને…

કટાઈ ગયેલી એકલતા સાથે જીવવાનું
દીવો એકાંતો ચળકાવે સાંજ પડે ને…

શબ્દો ગોઠવતા રહેવાનો યત્ન કરું છું
થાકેલી એક પંક્તિ આવે સાંજ પડે ને…!

કેવળ તારા એક જવાથી શું શું ખોયું ?
સરવાળો કરતાં ન ફાવે સાંજ પડે ને…

શ્વાસ કહો; નિશ્વાસ કહો; ભરતા રહેવાનું
હવા મને એવું સમજાવે સાંજ પડે ને…

પડછાયો પણ ઘરમાં મારી સાથ ન આવે
ઉજ્જડતા એને અકળાવે સાંજ પડે ને…

– રિષભ મહેતા

સાંજનો રંગ ઉદાસીનો રંગ છે. સાંજના રંગ જેમ જેમ વધુ ઘુંટાતા જાય છે, પ્રિયજનની યાદ બળવત્તર બનતી જાય છે. ઝાડ ભલે ઝુકીને આમંત્રણ આપે પણ પાંખ વગરના પંખી જેવું મન ક્યાંથી ઊડી શકવાનું ? સાંજના અંધારામાં પંડનો પડછાયો પણ અદૃશ્ય થઈ જાય છે, કદાચ પ્રિયજનના ન હોવાની ઉજ્જડતા એને અકળાવતી હશે ?

Comments (25)

નસીબ -રિષભ મહેતા ‘બેતાબ’

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.

કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ?
અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ.

એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.

ઓ વિધાતા! આંસુઓથી તો નથી એને લખ્યું,
એ કહે કે કેમ લાગે છે મને ખારું નસીબ ?

એ દયાળુ કેટલો અંધકાર દીધા બાદ પણ,
ના દીધું રાત્રિને જેણે છેક અંધારું નસીબ.

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

-રિષભ મહેતા ‘બેતાબ’

આજે જ રિષભ અંકલનો ગઝલ સંગ્રહ ‘તિરાડ’ હાથમાં આવ્યો અને ત્યારે જ મને ખબર પડી કે એમનું તખલ્લુસ ‘બેતાબ’ છે, જે એમને ડૉ. રશીદ મીરે આપેલું છે. એમની ઘણી બધી ગઝલો મને આમ તો ઘણી જ ગમી ગઈ, પરંતુ આ ગઝલ જરા વધુ ગમી ગઈ. એમાંયે પાંચમા શેરમાં રાત્રિને છેક અંધારું નસીબ ન દેવાની વાત તો એકદમ સ્પર્શી ગઈ.

Comments (5)

ગઝલ – રિષભ મહેતા

ભરઉનાળે પણ થયો વરસાદમય
હું સ્વયં શ્રાવણ છું તારી યાદમય !

હું ગઝલ કહું ત્યાં જ બે આંખો ઢળી
થઈ ગયું વાતાવરણ ખુદ દાદમય !

જ્યાં હણાયું ક્રૌંચ હું તે વૃક્ષ છું
હું રહું તો શી રીતે સંવાદમય ?!

સૂર્યનો હું પુત્ર છું કે દાસીનો ?
કર્ણ છું; રહેવાનો હું વિવાદમય

કૃષ્ણ ! હું અર્જુન નથી; કુરુક્ષેત્ર છું
હું હજી છું એટલે વિષાદમય !

વાંસળીની જેમ કોરાવું પડે
હોય જો રહેવું તમારે નાદમય.

-રિષભ મહેતા

આ સ્વયંમુખરિત ગઝલનું સૌંદર્ય કશા જ ઉપોદઘાત વિના જ માણીએ તો ?

Comments (12)

મુક્તક – રિષભ મહેતા

કોઈ પણ રીતે મળી શકતાં નથી,
એકબીજામાં ભળી શકતાં નથી.
થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
કે જરા પણ ઓગળી શકતાં નથી ?

– રિષભ મહેતા

Comments (6)

ચાલ, અહીંથી ભાગી છૂટીએ – રિષભ મહેતા

આ કંઈ રહેવા જેવું સ્થળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ
માણસો છે કે મૃગજળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ઉપર ઉપરથી આઝાદી, વાસ્તવમાં તો કેદ છે સાદી
સંબંધો નામે સાંકળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

એમ છલોછલ લાગ્યા કરતી, ક્યાં આવે છે એમાં ભરતી ?
કેવળ કાગળ પર ખળખળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

ચારે બાજુ બસ અંધારું, હો તારું કે જીવન મારું
આ તો સપનાંની ઝળહળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હોય ભલે વરસાદી મોસમ; તું સુક્કી હું કોરો હરદમ
છત કે છત્રી બંને છળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હું ન લાગું માણસ જેવો; તું ન લાગે પારસ જેવો
ઓળખ બંનેની નિષ્ફળ છે ! ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

હુંય એકલો તુંય એકલો; કરીએ ઈશ્વર એક ફેંસલો
કોઈ ક્યાં આગળ પાછળ છે ? ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

મેં જોયા શબ્દોને ડરતા; અંદર અંદર વાતો કરતા;
‘જીર્ણ થયેલો આ કાગળ છે, ચાલ, અહીંથી ભાગી છૂટીએ !’

અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.

-રિષભ મહેતા

આ સરસ મજાની ગઝલની બીજી એક ખૂબીએની આંતરિક પ્રાસરચના છે. દરેક શેરની પહેલી પંક્તિના બન્ને ટુકડામાં અંત્યાનુપ્રાસ જળવાયો હોવાથી ગઝલમાં એક અનોખો લય ઉપસી આવે છે. રિષભ મહેતા કોલેજમાં આચાર્ય છે. જન્મ: વેડછા ગામ (નવસારી), 16-12-1949. કાવ્યસંગ્રહો: ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.

Comments (2)