ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રતિલાલ ‘અનિલ’

રતિલાલ ‘અનિલ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તુંયે જવાબદાર છે! – રતિલાલ ‘અનિલ’

આ પાપ, પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે!
મૃત્યુ એ સ્વર્ગ-નર્કનું જાણે પ્રવેશદ્વાર છે !

મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે!
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત-બહાર છે !

શ્રદ્ધા ભલે અપાર છે, શંકાય બેસુમાર છે;
ઇશ્વર! હજી તો વિશ્વમાં તર્કો અને વિચાર છે.

થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્વરની કલ્પના કરી,
એને ગમ્યું તે સાર છે, બાકી બધું અસાર છે.

મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો,
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે!

– રતિલાલ ‘અનિલ’

ઈશ્વરને કેન્દ્રમાં રાખીને મૃત્યુ-પાપ-પુણ્ય-સ્વર્ગ-નર્કની હકીકતની ખરાખરી કરતી ઉમદા ગઝલ. ઈશ્વર બીજું કશું નથી પણ દુનિયાના અને પોતાના અસ્તિત્વ વિશે વિચારી-વિચારીને થાકી ગયેલ મગજે સમાજવ્યવસ્થા ઊભી કરવા અને જાળવવા માટે સર્જેલી એક વિભાવના માત્ર છે. ઈશ્વરમાં આપણને એક તરફ અપાર શ્રદ્ધા પણ છે અને બીજી તરફ એના હોવા-ન હોવા બાબતે બેસુમાર શંકા પણ છે. તર્કો અને વિચારની વચ્ચે ક્યાંક ઈશ્વર છે અથવા નથી. અને જો ઈશ્વરને પસંદ હોય એ સારપ હોય અને બાકીનું અસાર હોય અને જો ઈશ્વર આપણા સહુમાં વસી રહ્યો હોય તો આપણા પતનને માટે શું એ પણ જવાબદાર નહીં? આસ્તિકતાના મૂળિયાંમાં વજ્રાઘાત કરતી આ ગઝલ વાસ્તવિક્તાની કેટલી નજીક ઊભી છે!

Comments (4)

કોણ માનશે? – રતિલાલ ‘અનિલ’

કંટકની સાથ પ્યાર હતો – કોણ માનશે?
એમાંય કાંઈ સાર હતો – કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતો – કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું જ ઘરબહાર હતો – કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતો – કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
એ સાર ખુદ અસાર હતો – કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતો – કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો – કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતો – કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,
હૈયામાં એનો પ્યાર હતો – કોણ માનશે?

-રતિલાલ ‘અનિલ’

Comments (3)

પ્રેમમાં ઔદાર્ય – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઈએ,
જાતની સાથે ઝગડવું જોઈએ !

બહારનાં સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઈએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઈએ !

આમ આવ્યા ને ફક્ત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઈએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઈએ !

પ્રેમમાં ઔદાર્ય તો હોવું ઘટે !
આળ જેવું કૈંક ચડવું જોઈએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઈએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’
એક તક છે, કૈંક જડવું જોઈએ !

– રતિલાલ ‘અનિલ’

વિન્ટેજ વાઇન! અરૂપ ઈશ્વરની સામે માનવજાતને સામી કરીને કવિ જે રીતે સર્જનનો સંદેશ આપે છે એ કાબિલે-દાદ છે. રાહમાં કૈંક નડ્યું ન હોય તો મુસાફરી શા કામની? અને ભલેને ખાલીપો કેમ ન હોય, ખખડે નહીં તો એના હોવાપણાની જાણ શી રીતે થાય? મક્તાનો શેર પણ મજબૂત…

Comments (1)

…..હતો ! – રતિલાલ ‘અનિલ’

મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !

આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !

પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !

ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !

કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !

બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !

-રતિલાલ ‘અનિલ’

Comments (3)

ગઝલ – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે.  “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !

Comments (7)

રસ્તો – રતિલાલ ‘અનિલ’

ratilal anil
(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯  થી ૨૯-૦૮-૨૦૧૩)

*

રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત.  ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…

૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !

*

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

-રતિલાલ ‘અનિલ’

Comments (19)

પ્રત્યુત્તર – રતિલાલ ‘અનિલ’

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

Comments (6)

ગઝલ – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં ?

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન,
તારા હૈયે કૈંજ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

– રતિલાલ ‘અનિલ’

આમ તો શિયાળાની મોસમ છે. ઠંડી દિન-બ-દિન વધી રહી છે. પણ ગઈ કાલે એક મજાની વરસાદી ગઝલ મળી ગઈ એટલે આજે પણ એક વરસાદી ગઝલ જ લઈને આવ્યો છું… ક્યારેક ભરશિયાળામાં ભીંજાવાની મજા પણ લઈએ, ખરું ને ?

Comments (7)

પહેલી પ્રીત – રતિલાલ ‘અનિલ’

યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !

નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી,
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી!

પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!

ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?

તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?

ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.

– રતિલાલ ‘અનિલ’

તમામ વાચકમિત્રોને લયસ્તરો તરફથી ફાગણનાં રંગો અને હોળીની શુભેચ્છાઓ… (એમ પણ અમેરિકામાં જરા મોડી જ આવે છે! 🙂 ) અને પહેલી પ્રીતનાં રંગોથી રંગાયેલી આ રંગીન ગઝલ પણ !

Comments (11)

શબ્દોથી રહેવાયું નહીં ! – રતિલાલ ‘અનિલ’

કોરું હૈયું કૈં જ ભીંજાયું નહીં ?
કેમ તેં વરસાદમાં ગાયું નહીં ?

માટીમાંથી મ્હેક ઊઠે છે ભીની,
સાવ જે છલકાય તે, પાયું નહીં ?

વાયુ ને વરસાદ પાગલ થઈ ગયા,
ભીની મોસમમાં કોઈ ડા’યું નહીં !

ગાંડી વર્ષાની ઝડી, પાગલ પવન;
તારા હૈયે કૈં જ ભટકાયું નહીં ?

ફૂલ શું, આ લીલું લીલું ઘાસ પણ,
કોણ છે એવું, જે હરખાયું નહીં ?

ભીની મોસમને ભરી લે પ્રાણમાં,
બીજ કરશે શોક : ‘ફણગાયું નહીં !’

રંજ એવો, દિલને દેવો ના ઘટે;
પર્વ, લીલું પર્વ ઉજવાયું નહીં.

કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !

– રતિલાલ ‘અનિલ’

આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી. લીલોતરીનો સંબંધ વર્ષા સાથે છે એનાથી વધારે ઉષ્મા સાથે છે. એટલે અહીં રહીને અષાઢના પ્રથમ દિવસની કલ્પના વધુ રોમાંચક લાગે છે. વરસાદમાં જ્યારે ‘શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી !

Comments (11)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

થઈ ગયું છે – રતિલાલ ‘અનિલ’

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.

ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.

હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.

છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.

‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.

– રતિલાલ ‘અનિલ’

વહી ગયેલી પેઢીના ગઝલકારની આવનારી પેઢીને પ્રેરણા આપે એવી ગઝલ. એક એક નમૂનેદાર, અર્થ-નકશીથી શોભતા શેર તો જરા જુવો ! આ ગઝલના ભાવજગતને વર્ણવવા જાવ તો detached existance, emotional fatigue, burden of being, realization of nothingness અને metaphysical crisis જેવા – કાફકા અને સાત્રના – શબ્દો મગજમાં આવે છે. માણસ કેવી સ્થિતિએ પહોંચતો હશે કે જ્યારે કહે કે મધ્યાહ્ન …મૂગી તરજ થઈ ગયું છે ! તડકાના કેનવાસ પર કોયલ ચિતરવાનું કામ તો સૌંદર્યના સર્જનનું કામ છે – પણ એને માટે ય કવિ કહે છે – આ બધુ કામ ફરજ થઈ ગયું છે. થાક અને એકરાગિતા જબજસ્ત ઘેરી વળે તો જ મોઢે અસ્તિત્વના કરજ થઈ જવાની વાત આવે. છેલ્લા શેરમાં કવિ આ આંતરિક એકલતામાંથી ઉપજતા લાભની વાત કરે છે. કવિ જે ‘મૌન’ની વાત કરે છે એ કાળું, અંધકારમય, એકલાપણાનુ મૌન નથી – એ તો છે તડકા જેવું પ્રકાશમય મૌન. એવું મૌન જે અંતરમનને સમજવા માટે સૌથી સબળ સાધન બની રહે છે.

Comments (4)

રસ્તા – રતિલાલ ‘અનિલ’

શહેરોમાં  રહે  છે,  જંગલોમાં  જાય  છે  રસ્તો;
કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા  ધામ  પાસે  કેટલો  વંકાય  છે  રસ્તો !

હું  ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોત,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,
નજરની શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

– રતિલાલ અનિલ

શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે !

Comments (2)

રતિલાલ ‘અનિલ’ને ‘આટાનો સૂરજ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.

સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !

એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.

Comments (3)