કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

યાચના – ઝવેરચંદ મેઘાણી

મોરલા હો ! મુને થોડી ઘડી
                  તારો આપ અષાઢીલો કંઠ:
        ખોવાયેલી વાદળીને હું
        છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઈંદ્રધનુ ! તારા રંગ-ધોધોમાંથી
                         એક માગું લીલું બુન્દ:
          સાંભરતાંને આંકવા કાજે
          પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
                             ખેંચવા દે એક તાર:
           બેસાડીને સૂર બાકીના
          પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
                          આપજે એક કલ્લોલ:
          હૈયું એક નીંદવિહોણું-
         ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળનું
                         મારે નથી કાંઈ કામ:
           ગાઢ અંધકાર પછેડા
          ઓઢાડી દે ઊંઘની વેળા.

– ઝવેરચંદ મેઘાણી

(મૂળ કવિતા- રવીન્દ્રનાથ ટાગોર)

‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે… 

Comments (6)

કોડિયું – ઝવેરચંદ મેઘાણી

અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.

તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’

– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)

Comments (8)

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…

Comments (12)

ફૂલમાળ – ઝવેરચંદ મેઘાણી

વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
                      રોપાણાં ત્રણ રૂખડાં હો…જી 1
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
                      મુગતિના ઝરે ફૂલડાં હો…જી

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
                      ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી
વીરા મારા ! સતલજ નદીને તીર
                      પિંજર પૂરાં નો બળ્યાં હો…જી

વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
                      નવ નવ ખંડે લાગિયું હો…જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
                      ઠારેલી ભલે ટાઢિયું હો…જી

વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
                      ઓરાણો તું તો આગમાં હો…જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
                      લાડકડા ! ખમા ખમા હો…જી

વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
                      ધાવેલાં હજી ફોરતાં હો…જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
                      જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી

વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
                      દુનિયાથી દૂરે દોડવા હો…જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
                      જનમીને ફરી આવવા હો…જી

વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
                      તરસ્યોયે નો’તો રક્તનો હો…જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
                      માભૂમિ કેરા ભક્તનો હો…જી

વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
                      પે’રીને પળ્યો પોંખણે હો…જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
                      સ્વાધીનતાના તોરણે હો…જી

ઝવેરચંદ મેઘાણી

પંચોતેર વર્ષ પૂર્વે આજે, ત્રેવીસમી માર્ચે, અંગ્રેજોએ છળપૂર્વક નિર્ધારિત દિવસથી પહેલાં જ પ્રજાના રોષથી બચવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને એમના મૃતદેહોને કાયરતાપૂર્વક સતલજના કાંઠે અધકચરો અગ્નિસંસ્કાર આપ્યો હતો. એ ત્રણ લબરમૂછિયા નવજવાનોને સમર્પિત ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય આજે પણ આપણા રૂંવાડા થથરાવી જાય છે. અગમ્ય કારણોસર શહીદદિન તરીકે આજનો દિવસ ભલે ઓળખવામાં આવ્યો ન હોય, લયસ્તરો તરફથી એ ત્રણે તથા માભોમ પર ફના થનાર તમામ શહીદોને આજના દિવસે અમારી આ નાનકડી શબ્દાંજલિ છે.

(1 ત્રણ રૂખડાં= ત્રણ વૃક્ષો (ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ), 2 દોખી= દુશ્મન,
3 દાવ= વિરોધી, 4 પળ્યો= જવું, 5 પોંખણે=નવદંપતીને લગ્ન પછી પોંખીને અપાતો આવકાર.)

Comments (9)

હું દરિયાની માછલી – ઝવેરચંદ મેઘાણી

દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લે’તી
હું દરિયાની માછલી!

હાં રે મને બારણે કઢવી નો’તી,
હું દરિયાની માછલી!

જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા,
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા,
હું દરિયાની માછલી! -દરિયાના…

તારલાનાં તેજ ઊગી ઊગી આથમશે,
ચંદ્ર કેને પાશે અજવાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

છીપલીની છાતીઓથી કોણ હવે ઝીલશે,
મોં ઊઘાડી મોતીડાં રૂપાળાં?
હું દરિયાની માછલી! -દરિયાના…

દરિયાના દેશથી વિછોડી,
દુનિયાસું શીદ જોડી !
હું દરિયાની માછલી!

-ઝવેરચંદ મેઘાણી

Comments (4)