બેઠા છીએ ખૂલ્લા દ્વારે,
આવો તમને ફાવે ત્યારે.

મોટું ઘર છે, ખડકી નાની,
નમવું પડશે સ્હેજ તમારે.
વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઊંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઈ નોંધ?
કોણ વીણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારો કે ફૂલ કોઈ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તોય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

Comments (10)

હરિ ૐ – અંબાલાલ પટેલ

રમું હું તુજમાં, ભમું હું તુજમાં,
પ્રભુ આંનંદુ તુજ આનંદમાં.
તુજ તેજ તરંગ ઝીલી જીવવા,
જનમ્યો જગમાં તુજમાં શમવા.

સઢ કીશ્તી તણા ભવ સાગરમાં,
કુમકુમ વરણે પૂલ નાંગરવા,
તરી પાર જવા, તુજ રૂપ થવા,
લખું મંત્ર નવા ઉર ઉજ્જ્વળવા.

સચરાચર તું પ્રભુ એકજ તું.
નીરખું જ્યાં જ્યાં ત્યાં પ્રભુ તું.
તું રૂપ સહુ, સહુ રૂપ જ તું.
પછી હું થી જુદો પ્રભુ ક્યાં લગી તું.

મુજ હું પ્રભુ એમ તું રૂપ થતાં,
જડ ભીષણ ભેદી દિવાલ જતાં,
જગ લોપ થયું. મુજ હું ય ગયું. 
તુજ સત્ ચિત આનંદ રૂપ રહ્યું.

ભરી ભર્ગ વરેણ્ય તું ૐ બન્યો.
તુજ આદ્ય ધ્વનિ પ્રભુ ૐ સુણ્યો.
એ ૐ મહીં સ્વર સોહમ્ ના,
ઝીલતાં મુજ હું ગળી ૐ થતાં,

હરિ ૐ સુણું હરિ ૐ ભણું,
હરિ ૐ રટે સ્થુળ સુક્ષ્મ અણું
હરિ ૐ વિભુ ૐ પ્રભુ ૐ નમું
રટી ૐ, હરિ ૐ, હરિ ૐ વિરમું

– અંબાલાલ પટેલ

બહુ જાણીતા નહીં તેવા આ સાધક કવિનું એક જ પુસ્તક ‘ વેણુના નાદ’ અમારા ઘરમાં હતું. અમે ભાઇ બહેનો નાના હતા ત્યારે સોનેરી મુખપૃષ્ટ વાળા તે પુસ્તકને અમે બહુ આદરથી જોતા. તેમની સ્તુતિઓ અને ગરબા અમારા કુટુંબોમાં વારંવાર ગવાતા. અમારા ઘરમાં આ સ્તુતિ હજુ પણ ગવાય છે. માત્ર સ્મૃતિ પરથી આ સ્તુતિ લખી છે.

Comments (4)

બંદર છો દૂર છે – સુંદરજી બેટાઇ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

Comments

શહેરમાં પધાર્યા તાપી માત !

રૂડું   સૂરત   સરખું   શહેર,   જગરેલે  કાઢ્યું  ઝેર,
કંઈક     દહાડાનું     વેર,    એણે     લીધું    છે.

ઘણું   કીધું છે  નુકશાન,  સૌનાં  ઉતાર્યા છે માન,
એ    તો   કરતી  આવી  તાન,   દુ:ખ   દીઘું છે.

ફરતી   ફરતી  ઠામેઠામ,  સૌએ મૂકી મનની હામ,
કાંઠા   ઉપરના   ગામ,   ઘસડી    લાવી     છે.

બીજે   દહાડે   મંગળવાર, માએ રસ્તા રોક્યા બાર,
જોવા    નીકળ્યા   અમલદાર,    હારી   બેઠા  છે.

જ્યાં જ્યાં જઈએ ત્યાં પાણી, દુનિયા કરી ધૂળધાણી,
જાણે   સૂરત   લેશે   તાણી,    ભય    લાગે   છે.

આજે જ કોઈએ આ પંક્તિઓ તાપીના પાણી સામે હારી ગયેલા સુરતની હાલત જોઈને લખી હોય એવી લાગે છે. પણ ખરેખર આ પંક્તિઓ સો વરસ કરતા પણ જૂની છે. આ કૃપાશંકર વ્યાસે 1883માં લખેલી ગરબી ‘શહેરમાં પધાર્યા તાપી માત!’માંથી લીધી છે.

સવાસો વર્ષના સમય પછી અને બે-બે બંધ બાંધેલ હોવા છતાં આજે પણ પરિસ્થિતિ એની એજ છે એ પણ જોવા જેવી વાત છે.  કાલ સુધીમાં ધીમે ધીમે પાણી ઉતરશે એવી વાત છે. આ તો માત્ર શક્યતાની જ વાત છે અને વળી સામે વધુ વરસાદની આગાહી છે. સુરતમાં મારા ઘરમાં બેથી ચાર ફૂટ પાણી ભરાયા છે એવા સમાચાર મળ્યા છે. (અત્યારે ત્યાં કોઈ રહેતું નથી) હવે સુરતમાં કોઈ ફોન લાગતા નથી. માત્ર સમાચાર પરથી પરિસ્થિતિનો અંદાજ મેળવવાની કોશિશ કરું છું પણ આ તો કોઈ રીતે મગજમાં ના ઉતરે એવી વાત છે.

Comments (2)

ઝાલ સુરતનો હાથ, ભગવાન !

આજે સુરતના માથે મોટી આફત આવી પડી છે. અતિવૃષ્ટિને કારણે તાપી છલકાય ગઈ છે. એક બાજુથી ઊકાઈ બંધમાંથી વધુને વધુ પાણી છોડ્યા વગર છૂટકો નથી જ્યારે બીજી બાજુ ભરતીને કારણે દરિયો પાણી લેતો નથી. મોટા ભાગના શહેરમાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે. 1968ની રેલથી પણ વધારે પાણી શહેરમાં આવી જશે એવો ડર છે. આટલે દૂરથી કાંઈ કરી ન શકવાનો ખેદ થાય છે. વિવેકને ત્યાં ફોન લાગતો નથી પરંતુ એ શહેરના જે ભાગમાં છે ત્યાં પાણી ભરાયા નથી.

સુરત શહેરને બધાની શુભેચ્છાઓની જરૂર છે. કહે છે કે મંગળવારનો દિવસ નીકળી જાય તો પછી પાણી ઓસરી જશે. આશા રાખીએ કે ‘સોનાની મૂરત’ આ આફતમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવે.

1938ની સાલમાં સૂરતમાં બળેવના દિવસે જ એક હોનારતમાં હોડી નદીમાં ડૂબી જવાથી 80 જણાએ જાન ગુમાવેલા એ હોનારત હજુ ઘણા યાદ કરે છે. આ બળેવે તો આખું શહેર જ ડૂબવા બેઠું છે. સુરતને ભગવાન જ બચાવી શકે એમ છે. સુરતનો હાથ ઝાલ, ભગવાન !

તા.ક. : વિવેકે મોકલેલા સુરતના ફોટા અહીં છે.

Comments (3)

હું હજી પણ ત્યાં જ ઊભો છું – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

– શોભિત દેસાઈ

ચોધાર વરસતા વિષાદથી પલળેલી આ ગઝલમાં કવિ એક પછી એક શેરમાં જ્યારે ‘હું હજી પણ ત્યાં જ ઊભો છું’ ઘૂંટે છે ત્યારે હ્રદય પર ચાસ પાડતા હોય એવી લાગણી થઈ આવે છે. પોતાની લાચારીની વાત કવિ તદ્દન નિર્દયતાથી કરે છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ કારણ નથી, કોઈ આરો નથી કે કોઈ સહાનુભૂતિ નથી. છે તો માત્ર પલળવા, ચગળવા, કથળવા, બળવા ને છેલ્લે પીગળવાની વાત છે. મીણના પૂતળાઓને આનાથી વધારે કોઈ હક નથી.

Comments (3)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….

કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;

એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.

મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:

બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

વધુ આગળ વાંચો…

Comments (21)

પદ – નાથજી ગોપાળજી

(રાગ રામગ્રી)

વારંવાર વિચારતાં, અવગુણ એ મોટો;
કૃપણપણું જે આદરે, તેહનો ભવ ખોટો.               વારંવાર. ૧

સાથે તે હ જ આવશે, સુધારે વરશે;
જો વેળાં નહિ વાવરે, પછતાવો કરશે.                 વારંવાર. ૨

ધરણીનું ધરણી તળે, પરહાથી કે ચઢશે;
વણીક કને જો મૂકશો, દેવાળે પડશે.                    વારંવાર. ૩

ઘર માંહે સાંચ્યું હશે તે, ત્યમજ રહેશે;
જમકીંકર તે પંથમાં, ધિકદિક તાં કહેશે.               વારંવાર.  ૪

પાપ કરી એકઠો કરે, અધર્મનો માલ;
વહુજી પુઠે ન મોકલે, એક રતી કે વાલ.               વારંવા ર. ૫

ભાઈ મોકલશે નહિ, મોકલે ન કો પુત્ર;
પુત્રી મોકલશે નહિ, મોકલે નહિ મિત્ર.                  વારંવાર. ૬

… … … … … … … … … …
રજની થોડી વેશ બહુ, વાહશે ત્યાં વહાણું.            વારંવાર. ૭

લોભે લાગ્યો પ્રાણીઓ, હા દૈવ હા દૈવ;
માતાપિતા ગુરુ ઉપરે, મને દયા તે નૈવ.              વારંવાર. ૮

ધન તેડ્યું, ધર્મ છાંડીયો, માથે લીધો ભાર;
સાથે કો આવે નહિ, ચાલવું ન્યરધાર.                  વારંવાર. ૯

શંબલ સાથેનું કરો, દુસ્તર છે વાટ;
ઓળખીતો ત્યાંહા કો નથી, ત્યાંહા નથી તે હાટ.     વારંવાર.૧૦

ઉધારે મળશે નહિ, મારગ છે દૂર;
વળોટીઓ ત્યાં કો નથી, શબદ ઓ કેસુર.             વારંવાર. ૧૧

દાસપન કો રાખે નહીં, એક વીરજી સાહાય;
તેહેને સંતોખ્યાતણો, કાંઈ કરો ઉપાય.                વારંવાર. ૧૨

શી અભિલાષા જનની, અથવા શી પરની;
નાથજીને આશા ઘણી, એક લક્ષ્મીવરની.           વારંવાર. ૧૩

કવિ નાથજી ગોપાળજી વિશે જે છૂટક અને તૂટક માહિતી મળે છે એ પરથી એમ જણાય છે કે તેઓ ઈ.સ. 1630 થી 1710ની આસપાસના સમયગાળામાં થઈ ગયા હશે. અણહીલપુર પાટણના રહેવાસી અને જ્ઞાતે વડનગરા પટણી નાગર. 15 કડવાં (733 કડીઓ) ના ‘ચંડીપાઠ’ અને 35 કડવાં (1776 કડીઓ)ના ‘કાશીખંડ’ જેવા કાવ્યો ઉપરાંત થોડાં પદ મળી આવ્યાં છે જે અહીં પ્રસ્તુત છે. 300-400 વર્ષ પૂર્વેના ગુજરાતી સાહિત્ય વિશે આછો ખ્યાલ આ પદો પરથી મળી રહે છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવત આ પદમાંથી મળી આવી છે એમ જાણીએ તો આશ્ચર્ય ન થાય? લોભીની અહીંની ગતિથી પરલોક સુધીની અવગતિ આ પદોમાં સુંદર રીતે વણી લેવાઈ છે.

(કૃપણપણું= લોભ,  વાવરે=વાપરવું, જમકિંકર= યમદૂત, ધિકદિક= ધિક્કારવાચક ઉદગાર, દૈવ= નસીબ, નૈવ= જેમ નહીં, ન્યરધાર=નિરાધાર, શંબલ=ભાથું, પાથેય, સંતોખ્યાતણો=સંતોષ આપવા તણો)

Comments (1)

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ – સર્વેશ્વરદયાલ સક્સેના

ગોળી ખાઈને
એકને મોઢેથી નીકળ્યું-
‘રામ’

બીજાના મોઢેથી નીકળ્યું-
‘માઓ’

પણ
ત્રીજાના મોઢેથી નીક્ળ્યું-
‘બટાટા’

પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે
કે પહેલાં બેનાં પેટ
ભરેલાં હતાં.

– સર્વેશ્વરદયાલ સક્સેના 
(અનુ.-સુશીલા દલાલ) 

આ ગોળી જેવી કવિતા સીધી હ્રદય પર વાગે છે. જોવાની વાત એ છે કે એ વખતે આપણા મોઢામાંથી શું નીકળે છે?

Comments (2)

અર્ઘ્ય- સ્નેહરશ્મિ

(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
– મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

– સ્નેહરશ્મિ

Comments (1)

મારા અંતરના અંતરમાં – જયંતિલાલ આચાર્ય

મારા અંતરના અંતરમાં વિરાજેલા દેવ હે !
ધરવી શી મારે તમને અંજલી જો?

મારા હૃદીયાના તારે તારે ગાનો ઝંકારતાં,
ધરવી શી ગીતો કેરી અંજલી જો?

મારા નયનોની કીકી કેરાં નૂર છો જો,
ત્યારે શીદને અંધારે અમને અથડાવા દ્યો છો દેવ?
ક્યારે અજવાળે અમને દોરશો જો?

મારા કર્ણોની શ્રુતિ કેરા સૂર છો જો,
ત્યારે શીદને કોલાહલમાંથી ઉગારી લ્યો ના દેવ?
ક્યારે અનાહત નાદે પ્રેરશો જો?

મારા મુખની વાણીના રસ, રૂપ છો જો,
ત્યારે શીદને આ વૈખરીમાં વિખરાવા દ્યો છો દેવ?
ક્યારે નીરવમાં સંચારશો જો?

મારા મનની નૌકાના તમે ધ્રુવ છો જો,
ત્યારે શીદને ભમાવી મારી ભટકાવા દ્યો છો દેવ?
ક્યારે ગહનમાં હંકારશો જો?

જાગો ! જાગો ! સૂતેલા દેવ!
જગવો ! જીવન ઘોર.
આ મંગળ ઘડીએ આવો મ્હાલતા જો!

– જયંતિલાલ આચાર્ય

સદ્ ગત શ્રી જયંતિલાલ આચાર્ય મારા પિતાશ્રીના મિત્ર હતા. તે જમાનામાં અમારા સમાજમાં શાંતિનિકેતન જઇ ગુરૂદેવ ટાગોર પાસે ભણ્યા હોય તેવી તે વિરલ વ્યક્તિ હતા. અમદાવાદની લબ્ધ પ્રતિષ્ઠીત ‘શ્રેયસ’ શાળામાં ગુજરાતીના આ શિક્ષકે કોઇ પુસ્તક પ્રસિધ્ધ કર્યું ન હતું. પણ તેમની આ સ્તુતિ અમારા ઘરમાં અવારનવાર ગવાતી.

આપણી અંદર જ રહેલા, આપણા કણ કણને સંચાલતા, પણ સૂતા પડીને રહેલા, તત્વને જગાડવાનું આ આવાહન મને સૌથી વધી ગમતી સ્તુતિ છે.

Comments (1)

નૂરે ગઝલ -‘શૂન્ય’ પાલનપુરી

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-‘શૂન્ય’ પાલનપુરી

આ રચના શ્રી મનહર ઉધાસે બહુ જ ભાવવાહી સ્વરાંકનમાં અને તેમના મધુર અવાજમાં ગાઇ છે. ગઝલ રૂપાળી કેમ લાગે છે તેનું આવું સુંદર બયાન ‘શૂન્ય’ જ આપી શકે.

બહારથી રૂપાળી દેખાતી ગઝલના મૂળમાં ‘સપનાં’ અને ‘શૂળ’ હોય છે તેની પ્રતીતિ આપણને આ ગઝલ વાંચતાં અને સાંભળતાં થાય છે.

રસિક જનોને માહિતી કે ‘શૂન્ય’ ની રચનાઓ બજારમાં આજ સુધી અપ્રાપ્ય હતી, પણ ‘મુસાફિર’ પાલનપુરીએ તેમના પાંચ સંગ્રહોમાંથી વીણી વીણીને રચનાઓ ભેગી કરી છે અને ‘શબ્દલોક પ્રકાશન’ ની સહાયતાથી આ વર્ષે એક પુસ્તકમાં પ્રકાશિત કરી છે, જેનું નામ છે – ‘દરબાર શૂન્યનો’

Comments (4)

એ જિંદગી – ઉશનસ્

આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું;
-ના તે નહીં,
એ તરફથી ડાઘુજન ગમગીન ચહેરે આવતું;
– તે યે નહીં.
રસ્તા વિશે એ બે ય ધારા જ્યાં મળે,
તે મેદની છે જિંદગી.

ભરતી વિષે ઉભરાય ખાડી, ખાંજણો યે આકળી;
-ના તે નહીં,
ને ઓટમાં એ હાડપિંજરની ગણી લો પાંસળી યે પાંસળી,
– તે યે નહીં
ઓટ ને ભરતી ઉભય સંધાય જે ક્ષણ;
તે સમુંદર જિંદગી.

ફૂલના જેવું વસંતલ સ્મિત ખીલે જે શૈશવે;
-ના તે નહીં,
ને અષાઢી મેઘ જેવી આંખડી સંતત રુવે,
– તે યે નહીં..
હર આહ કૈં મલકી જતી, હર સ્મિત ભરતું ડૂસકું
તે સંધિક્ષણ છે જિંદગી.
 

-ઉશનસ્   

Comments (5)

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી – મૂકેશ જોષી

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
                                      સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
                                     સાજન મારો…

– મૂકેશ જોષી

પ્રથમ વરસાદ જેવું તાજું આ ગીત દીલને એક જ ક્ષણમાં લીલુંછમ કરી દે છે. બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…એ એક જ પંક્તિ મન પર કબજો કરી લેવા માટે પૂરતી છે !

Comments (3)

મળી આવે – હિતેન આનંદપરા

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

– હિતેન આનંદપરા

માંગ્યું ન મળે એની જેટલી તકલીફ છે એટલી જ તકલીફ ઘણીવાર માંગ્યું મળી જાય એની પણ હોય છે. કવિ કહે છે એવું ટાંચણ મળી આવે તો શું કરવું? પહેલો શેર મને ખૂબ ગમ્યો. મને છૂટ હોય તો ‘નદીના’ ને બદલે ‘નદીમાં’ એટલું બદલું. એનાથી મને વધારે ગમતો અર્થ નીકળે છે !

Comments (7)

કિરણોત્સવ – કિરણસિંહ ચૌહાણના ચૂંટેલા શેર…

મૂળ વરિયાવનાં પણ હવે સુરતના જ કિરણસિંહ ચૌહાણ ગુજરાતી કવિતાની આજ અને આવતી કાલ છે. વિવેચકોએ એકીઅવાજે એમને આવનારી પેઢીના પ્રતિનિધિ કવિ તરીકે વધાવી લીધા છેં. જીવનના અભાવમાંથી કવિપણાના સ્વભાવ સુધીની મજલ કાપનાર કિરણ માર્દવ કંઠ પણ ધરાવે છે. એમના વ્યક્તિત્વની સાલસતા અને ઋજુ મનની પ્રામાણિક્તા જ્યારે કવિ-સંમેલનમાં ગઝલ બનીને ગળામાંથી વહી નીકળે છે ત્યારે શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા વિના બીજું કશું કરવાનું રહેતું નથી. એમની ગઝલમાં છંદની ચીવટાઈ અને અર્થની ઊંડાઈ ભાષાની સરળતા સાથે સુપેરે સરી આવે છે. કિરણના થોડા શે’ર અહીં માણીએ…
(જન્મતારીખ: 07-10-1974, ગઝલસંગ્રહ: સ્મરણોત્સવ, હઝલસંગ્રહ: ફાંફાં ન માર)

ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?

કેમ રિસાયા કરે છે તું ?
મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?

રોજનીશી હું લખીને શું કરું ?
જો બધું નોંધાય તારા ચોપડે !

તો હવે તારેય લખવી છે ગઝલ ?!
સાહ્યબી વચ્ચે તડપતા આવડે ?

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું ?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે.

આ મિલનનો અંત તો બસ, આપમેળે આવશે,
સાંજને તેડી જશે આ સૂર્ય રાબેતા મુજબ.

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

કહોને; કોઈ કોને ક્યાં સુધી ને કેટલું ચાહે ?
ભલા, ક્યારેક તો બદલાય ને વાતાવરણ મનમાં !

આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?

વધુ આગળ વાંચો…

Comments (14)

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

Comments (5)

ટચૂકડી જા X ખ – ઉદયન ઠક્કર

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે

કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની
બેદરકારીને કારણે, પલક મીંચવા-
ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી
વાંચતી-લખતી એક આખી પેઢી.

ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ
કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો
કહેશે, ‘જેક એન્ડ જિલની’

ગોતીને પાછી લાવનાર માટે
ઇનામ એકે નથી. કારણ કે એ
હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

-ઉદયન ઠક્કર
(‘સેલ્લારા’)

ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે.

( મૂળ અંગ્રેજી પંક્તિઓ : Lost, yesterday, somewhere between sunrise and sunset, two golden hours, each set with sixty diamond minutes. No reward is offered, for they are gone forever! )

Comments (3)

જીવન રેખ- ઇન્દ્ર શાહ

વિસ્તૃત તટ પરે
એક રેખા
બે બિંદુ મધ્યે પડી
અચેતન, સુપ્ત     

મુગ્ધ હું એના વળાંક પર
શોધી રહું
ચોતરફ
અણદીઠ હસ્ત!

– ઇન્દ્ર શાહ
શ્રી. ઇન્દ્ર શાહ સાથે મારો પરિચય સાવ નવો છે. પણ એમની કવિતાઓમાં મને મારા અંતરનો અવાજ સંભળાય છે.ઉત્ક્રાન્તિના જે તબક્કે માનવ નામના પ્રાણીને પ્રજ્ઞા લાધી, ત્યારથી આ પ્રશ્ન તેને મુંઝવી રહ્યો છે, કે આ જીવે છે તે શું છે? મરણ બાદ જે જતું રહે છે તે શું છે? અને આ પ્રશ્નમાંથી જ માણસે ઇશ્વર નામના કોઇ અસ્તિત્વ કે અનસ્તિત્વની કલ્પના કરી.

ઇન્દ્ર ભાઇ પણ આ જ શોધે છે. જન્મ અને મૃત્યુના બે બિંદુ વચ્ચે જિંદગીની જડ રેખા લાંબી થઇને, સુતી પડી છે. આ રેખા પર મુગ્ધ થયા છતાં કવિને સંતોષ નથી. એમને તો ન દેખાતા, પણ ખરેખર ચેતનાથી સભર હાથની શોધ છે, જેની પાર્શ્વ ભૂમિમાં આ રેખા અંકાયેલી છે. આપણે દરરોજ આપણો હાથ જોઇએ છીએ, પણ તેને જોવાની આ દ્રષ્ટિમાં કેટલું ઉંડાણ ધરબાઇને પડ્યું છે? અછાંદસ હોવા છતાં સુપ્ત અને હસ્ત નો અંત્યાનુપ્રાસ આ રચનાને એક લય અને મધુરતા આપી જાય છે.

Comments (1)

હું – પ્રફુલ્લ દવે

કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.

કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.

બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.

કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.

રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.

નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.

અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે.

– પ્રફુલ્લ દવે

આ પ્રફુલ્લ દવે જાણીતા લોકસંગીતના ગાયક નહીં પણ અમદાવાદમાં રહેતા, ભાવનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ છે. એમને મળવું હોય તો ભાવનગરની ‘બુધ સભા’ માં અને અમદાવાદના શનિવારી ‘ સાહિત્ય ચોરામાં’ મોટાભાગે મળી જાય.કવિતા વાંચવા સાંભળવામાં રસ રાખે છે એટલું જ નહીં જાતે સુંદર રચનાઓ કરે છે પણ ખરા. મોટાભાગે થોડાક જ વખત પહેલાં તેમનો કાવ્ય સંગ્રહ પણ છપાયો છે.

જે લોકો ‘હું’ને છોડી દેવાની વાત કરે છે, તે ‘હું’ શું છે તે જાણતા જ નથી. આપણે જેને જાણતા જ ન હોઇએ તેને છોડી કેવી રીતે શકીએ?‘હું’ની બરાબર ઓળખ આપતી તેમની આ ગઝલ મારી પ્રિય ગઝલ છે. તેમાં શ્રીકૃષ્ણ , વેદ વ્યાસ, નરસિંહ મહેતા અને શબરીને ‘હું’ ની સાથે ખરી ખૂબીથી વણી લીધા છે. જ્યારે આપણા ‘હું’નું તાદાત્મ્ય આ બધા ‘હું’ ના સ્વરૂપો સાથે થાય છે, ત્યારે આપણા ‘હું’ ને ત્યજવાનું નહીં પણ તેની સાથે એકાકાર થઇ જવાનું કવિ ઇજન આપે છે. અહમ્ તો આ રીતે જ ઓગળે.

Comments (6)

પ્રસ્ફૂરણ – પંચમ શુક્લ

હાથ શ્યામલા હોમ છાંટતાં,
શૈલ ગુચ્છ પર રોમ છાંટતાં.

લોધ્ર પુષ્પ શિલીન્ધ્ર મઘમઘે,
મેઘ વૃન્દ સહુ વ્યોમ છાંટતાં.

ઇન્દ્રકેત આચ્છાદ વાયરે,
સ્વર્ણભસ્મરજ ભોમ છાંટતાં.

જાત્ય વર્ષતાં પર્ણ નીલજલ,
જલજ બિંમ્બ જલ જોમ છાંટતાં.

ગ્રહ નિશીથ સોલ્લાસ ઝરમરે,
ખર્વ ખર્વ હરિઓમ છાંટતાં.

– પંચમ શુક્લ

આ ગઝલ વિષે પંચમભાઈ કહે છે, પ્રસ્ફૂરણ એટલે વિશિષ્ટ સ્ફૂરણ…દૈવી વર્ષા! આમ મુખ્ય ભાવ છે વર્ષાનો પરંતુ પ્રાચીન પતીકો અને શબ્દાવલિઓનો વિનિયોગ અને ગઝલનું કલેવર વર્ષાનાં એક જુદા જ ભાવ વિશ્વનું નિર્માણ કરે છે. જાણે કે ઈન્દ્ર સ્વયમ આહુતિ રૂપે પર્વત શૃંગો પર લીલા ઘાસ રૂપી રોમવલ્લીનું નિર્માણ કરે છે. હિમાલય પર થતા લોધ્ર અને શિલીન્ધ્ર  પુષ્પો આખું આકાશ ભરીને મઘમઘે એવો મેઘ વરસે છે. વર્ષા ભીની પવન લહેરમાં ઇન્દ્ર્કેતનો છોડ એના સ્વર્ણપરાગે ભૂમિને સોનેરી કરી દે છે. પાંદડા પરથી હળવેથી ટપકતાં આભજળનાં બિમ્બો નવા જોમનું સિંચન કરે છે. જાણે કે બ્રહ્માંડ આનંદિત થઈને અગણિત ‘હરિઓમ’ નાદનો છંટકાવ કરે છે.

પ્રાકૃત શબ્દો અને પૌરાણિક રૂપકોનો ઉપયોગ આ ગઝલને જુદી જ શ્રેણીમાં મૂકી દે છે. પહેલી વાર વાંચતા આનો અર્થ મને પણ કાંઈ સમજાયલો નહીં, એ હવે વારંવાર વાંચ્યા પછી અને કવિની ‘હીંટ્સ’ની મદદથી સમજાયો. આ વાંચતા શ્રી હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતમાંથી અનુવાદ કરેલા મુકતકો ને સુભાષિતોની યાદ આવી જાય છે.

Comments (1)

છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં… – શરદ વૈદ્ય

છોકરાએ બાગ મહીં ભટકી ભટકીને કૈંક
                         એવો તે વેપલો કીધો,
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

હોઠોમાં થનગનતા શ્વાસોને લાગેલું
                         રૂપાળા ચહેરાનું ઘેલું,
હોઠોની વંડીઓ ઠેકતું એ જાય દૂર
                         ઘેલી સીસોટીઓનું ટોળું.
સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
                         છોકરીએ ખોબલે પીધો,
લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
                         મ્હેક ભર્યો ફોટો તે લીધો,
                         છોકરા એ છોકરીને ફૂલોના…

છોકરીની છાતીમાં નળિયાં તૂટ્યાં ને પડ્યો
                         નળિયે વરસાદ કૈંક એવો,
ઝબકીને જાગ્યા રે ફળિયા એ ફળિયામાં.
                         ઊમટ્યો તો સાદ નીક જેવો.
શમણાંને સથવારે રેશમી રૂમાલ લાલ
                         પૂર્યો તો સેંથીમાં સીધો,
મીરાં બનીને પછી છોકરીએ લ્હાય લ્હાય
                         ભગવો તે શ્વાસ એક લીધો
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

– શરદ વૈદ્ય

આ રમતિયાળ ગીતમાં મુગ્ધપ્રણયની વાત આબાદ રજૂ થઈ છે. મન અને જીવનની કુમળી અવસ્થામાં જ એવો પ્રેમ શક્ય છે જે શરૂ તો થાય રૂમાલથી, પણ વધીને છેક મીરાંના ભગવા સમોવડિયો ઊભો રહી શકે. ગીતની રચના અને શબ્દોને જોઈને સહજ રીતે જ રમેશ પારેખની યાદ આવે એવું સુંદર આ ગીત બન્યું છે. 

Comments (4)

કલાગુરુ શ્રી રવિશંકર રાવળની કૃતિઓનો ખજાનો

Ravishankar Raval

શ્રી રવિશંકર રાવળે ગુજરાતમાં કળાના વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. ગુજરાતમાં કલાકારોની એક આખી પેઢી એમના માર્ગદર્શન અને પ્રેરણાથી તૈયાર થઈ. ગુજરાત કલા સંઘમાં એમના શિષ્યોમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જગન મહેતા, સોમાલાલ શાહ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે. એમણે શરૂ કરેલ ‘કુમાર’ સામાયિક તો ગુજરાતી સાહિત્યનો મોભ છે. શ્રી કાકાસાહેબ કાલેલકરે સાચી રીતે જ એમને ‘કલાગુરુ’ કહીને બિરદાવ્યા છે.

એમની કૃતિઓની વેબસાઈટ એમના પુત્ર શ્રી કનક રાવળે બનાવી છે. આ વેબસાઈટ પર ર.મ.રા.ની બધી ખ્યાતનામ કૃતિઓ મૂકી છે. ગુજરાતી સાક્ષરોના એમણે કરેલ વ્યક્તિચિત્રો અને કનૈયાલાલ મુનશીની કૃતિઓ પરથી એમણે કરેલ ચિત્રશ્રેણી ખાસ માણવાલાયક છે. એમણે કરેલ પ્રેમાનંદ, મીરાં, અખો વગેરેના ચિત્રો તો ગુજરાતીઓના માનસમાં અમર થઈ ગયા છે.

Comments (1)

ફફડાવી ગયો – યોગિની શુક્લ

લો, અહીં આ સૂર્ય તો આવી ગયો,
આંખથી અજવાસ છલકાવી ગયો.

કોક વાદળ આભમાં રમતું ભલે,
કો
ક દરિયો રેતને ભાવી ગયો.

ચોતરફ વેરાન છે આ બાગ પણ –
કો
’ક માળી બીજને વાવી ગયો.

પુષ્પ ને પમરાટની ઘટના જૂઓ
વાયરો નાહક અરે ! ફાવી ગયો.

પિંજરે છે કેદ જો માણસ અહીં,
બ્હાર પોપટ પાંખ ફફડાવી ગયો !


યોગિની શુક્લ

Comments (2)

રામબાણ – ધનો

રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !

ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે.
રામબાણ o

મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની
પુત્ર બેઉ તાણે. રામબાણ o

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે.
રામબાણ o

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે.
રામબાણ o

ધના ભગત ઈસ્વીસનની 19મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયાં. કેટલાક કવિ ફક્ત એક જ કવિતાથી ચિરંજીવ બની ગયાં છે. ધના ભગતનું નામ આ યાદીમાં જરૂર મૂકી શકાય. રામબાણ વાગ્યાં હોય તે જાણે આ ધ્રુવપંક્તિ જાણે આપણા વાણીકોશમાં દૂધમાં પાણી ભળે એમ ભળી ગઈ છે.  

Comments

એ વર્ષો – મુકુલ ચોકસી

એ  વર્ષોમાં  જો  હું  ટાંકું  ઉદાહરણ  તારાં,
ચહલપહલ શી મચી  ઊઠતી’તી  પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને     ફરી     રચી     આમ્રમંજરીઓમાં…

એ   વર્ષો  જેમાં  હતાં  ટોળાબંધ સપનાંઓ
ને  મોડી  રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને  થોકબંધ   સમસ્યાની   આવજા   વચ્ચે
સમયનો   ઝાંપો  ઉઘાડો  રહી ગયેલો હતો.

એ વર્ષોમાં તો  રચાઈ નહોતી ભાષા  છતાં
હું બૂમ પાડી બધું બોલતો,  ખબર છે તને?
સમયની  શોધ થઈ  તેની  આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુઘી એનો  મેં ઉછેર  કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ને અંતે  બાકી  રહેલી  બે’ક  વાત  કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને  પ્રાણવાયુની  ટાંકીમાં  આપઘાત કરીશ.

– મુકુલ ચોકસી

મુકુલ ચોકસીની એ વર્ષો નામની પ્રલંબ નઝમમાંથી આ અંશ લીધા છે. ૩૦ ચોપદીઓની પૂરી નઝમ ફરી કોઈ વાત આખી અહીં મૂકીશ. આ નઝમમાં પ્રિયજનથી જુદાઈના વર્ષોની વાત એવી સહજીકતા અને સચ્ચાઈથી વણી છે કે એ વેદના આપણને પોતીકી લાગે છે. અહીં વેદનાનો દેખાડો નથી, વેદનાની માત્ર સહજ રજૂઆત છે; જાણે એક દોસ્ત બીજા દોસ્તને કહેતો હોય એમ.

Comments (4)

નથી હોતી – ‘આસીમ’ રાંદેરી

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમ’ રાંદેરી

મૂળ સુરતના અને હાલ કેલીફોર્નીયામાં, રહેતા ‘આસીમ’ રાંદેરી 100 વર્ષથી પણ વધારે ઉમ્મરના છે અને ‘લીલાકાવ્યો’ ના સર્જક તરીકે વધારે જાણીતા છે. શ્રી.મનહર ઉધાસે આ ગઝલ બહુ જ કર્ણપ્રિય લયમાં ગાઇ છે.

Comments (12)

ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા

બાલાશંકર કંથારીયા, મણિલાલ નભુભાઇ દ્વિવેદી અને કલાપીએ શરુ કરેલી, ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સર્જનની પ્રક્રિયા, પરંપરાગત ગઝલની હતી.
‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.
શ્રી. મનહર ઉધાસના કંઠે ગવાયેલ આ ગઝલને સાંભળવી તે પણ એક લ્હાવો છે.

Comments (6)

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

 

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં માત્ર ગણતરી તરીકે જ નથી આવતી, એ તો આવે છે સમજાવવામાં માટે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય.   

Comments (41)

ગઝલ ગુર્જરીનો નવો અંક : આદિલ મન્સૂરી સપ્તતિ પર્વ વિશેષ

ગઝલ ગુર્જરીનો નવો અંક પ્રગટ થઈ ગયો છે. નવો અંક શ્રી આદિલ મન્સૂરીના સપ્તતિ પર્વ નિમિત્તે એમની રચનાઓને સમર્પિત છે. આ અંકમાં ગુજરાતના ખ્યાતનામ સર્જકોના આદિલસાહેબના જીવન અને કવન અંગેના રસપ્રદ લેખો છે. મળે ન મળેના કવિને નજીકથી મળવાનો આ મોકો ચૂકશો નહીં.

Comments (1)

એક પોએટ એટલે મૂંઝાય છે – અદમ ટંકારવી

એક   પોએટ    એટલે    મૂંઝાય   છે
ભાષાબાઈ    એઇડ્સથી   પીડાય  છે

વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી
બ્લડસ્ટ્રીમમાં   પીડા   જેવું   થાય  છે

એઈજ  સિક્સટીની  થઈ ગઈ  એ  ખરું
કિન્તુ    તું     સિક્સટીન   દેખાય   છે

હું   લખું   ઇંગ્લીશમાં   તારું   નામ ને
એમાં    સ્પેલિંગની    ભૂલો    થાય છે

શી  વુડન્ટ  લિસન ટુ એનિવન  અદમ
આ   ગઝલને   ક્યાં  કશું   કહેવાય છે

– અદમ ટંકારવી

 

વર્ષોથી બ્રિટનમાં વસેલાં અદમ ટંકારવીએ અંગ્રેજી શબ્દોનો ગઝલના અવિભાજ્ય અંગ તરીકે ઉપયોગ કરીને ‘ગુજlish ગઝલો’ નામે આખો સંગ્રહ કર્યો છે. અંગ્રેજી ભાષા અહીં અર્થમાં ઉમેરો કરતી આવે છે અને ગઝલને એક નવું પરિમાણ આપે છે.  એક પોએટ એટલે મૂંઝાય છે, ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે – એ વાત ગુજરાતી કરતા અંગ્રેજીમાં જ વઘારે સચોટ લાગે છે.

Comments (1)

રસ્તા પર સૂતેલા માણસનું ગીત – નયન દેસાઈ

અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને  તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ.  જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’,  ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)

Comments (3)

ક્યાં ગયા? – વિશ્વરથ

મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?

લોભ-લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?

ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયમ્,
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?

વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?

ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઇ નાખવા,
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?

મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?

રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં,
‘વિશ્વરથ’ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?

– વિશ્વરથ

 

Comments

યાદ- હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહીતી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયોતો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

તમે એમને પત્રકાર, નિબંધકાર, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, અનુવાદક યા સંપાદક તરીકે ભલે ઓળખો, હરીન્દ્ર દવેની સાચી ઓળખ તો કવિ તરીકેની જ. કવિ તરીકે મુખ્યત્વે એ ગીતકાર. રાધા-કૃષ્ણના ભક્તિગીતો એ હરીન્દ્ર દવેની આગવી લાક્ષણિક્તા. સ્વભાવ જેટલો મૃદુ, ગીતો ય એટલાં મસૃણ. પરંપરા અને આધુનિક્તાનું સાયુજ્ય સાધીને નમણી ઊર્મિઓ લયની નજાકત લઈને એમના ગીતમાંથી પથ્થરમાંથી ફૂટતા ઝરણાની સહજતાથી વહી નીકળે છે. અને ગીત જેટલી જ મધુરી છે એમની ગઝલો. ‘યાદ’ કાફિયા પરથી રચાયેલી યાદગાર ગઝલોમાંની એક અહીં માણીએ. (જન્મ 19-09-1930ના રોજ કચ્છમાં અને મૃત્યુ 29-03-1995ના રોજ મુંબઈમાં. એમ.એ. સુધીનો અભ્યાસ. કાવ્ય સંગ્રહો: આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી અને મારગે મળ્યાતા શ્યામ. ચાલ, વરસાદની મોસમ છે…. એ એમની સમગ્ર કવિતા.)

Comments (3)

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.

“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?

Comments (1)

ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલમસ્તીમાં મઝા લેજે !

બાલાશંકર કંથારીયા

મને બહુ જ ગમતી આ કવિતા/ સ્તૂતિ માનનીય શ્રી. મનવંતભાઇ પટેલે મારી વિનંતિને માન આપીને એક જ દિવસમાં ટાઇપ કરીને મોકલી આપી છે. પ્રેમ અને સહકારનું આનાથી મોટું બીજું શું ઉદાહરણ હોઇ શકે?

Comments (9)

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત – વિવેક ટેલર

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારે ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– ડૉ.વિવેક મનહર ટેલર

Comments (13)

મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ

મુંબઈ પશ્ચિમ રેલ્વે લાઈન પર ‘દોડતું શહેર’ કહેવાતી પરાંની ટ્રેનોમાં અગિયારમી જુલાઈએ (7/11) સાંજના દસ જ મિનિટના ગાળામાં થયેલા આઠ પ્રચંડ બૉમ્બ વિસ્ફોટોએ મુંબઈની ધોરી નસ કાપી નાંખી આખા રાષ્ટ્રને જાણે બાનમાં લીધું. સાંજ પડ્યે ખિસ્સામાં સપનાં, આશા અને સંબંધો લઈને પાછી ફરતી લગભગ બસો જેટલી જિંદગી અચાનક ‘હતી’ થઈ ગઈ… ઘરના રાહ જોતા ઊંબરા પર એ પગલાં હવે કદી નહીં પડે.

રમેશ પારેખની લયસ્તરો પર અગાઉ પ્રકાશિત એક ગઝલના બે શેર અહીં રજૂ કરી ત્રાસવાદના આકસ્મિક શિકાર બનેલા એ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ….

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

Comments (2)

કૂર્માવતાર – પન્ના નાયક

અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
-હવે શું ?

ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં

અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.

અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું ? ક્યાં લગી ?

સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?

-પન્ના નાયક

Comments (8)

ગઝલ – સુધીર પટેલ

જરા તું સમય પાર થૈ વાત કર,
– ને હોવાની પણ બ્હાર થૈ વાત કર!

રહ્યો આજ સુધી તું ગફલત મહીં,
હવે તો ખબરદાર થૈ વાત કર.

પછી દ્રશ્યમાં રંગ કૈં જામશે,
મળ્યું એ જ કિરદાર થૈ વાત કર.

અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તુંય સાકાર થૈ વાત કર.

જો એ લાવે ખુમાર કેવો સુધીર,
ગઝલમાં તું ખુવાર થૈ વાત કર!

– સુધીર પટેલ

ઘણીવાર કવિ ગઝલ પાસે જઈને રચના કરતો હોય છે, પણ ક્યારેક એવું પણ બને છે કે ગઝલ કવિ પાસે આવે છે. અનાયાસ અને આયાસની વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ આવું કોઈ કાવ્ય વાંચીએ ત્યારે સમજી શકાય છે. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય ભાસતા આ તમામ શેર જો ઝીણવટથી જોવામાં આવે તો કવિ શું ચીજ છે એ સમજવું આસાન થઈ પડે છે. સમયની કે પોતાની જાતથી અળગા થઈને જ્યારે વસ્તુને જોઈ શકાય ત્યારે જ સાચું મૂલ્યાંકન થઈ શકે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જે છીએ તે થવા માંગતા નથી અને જે નથી તેનો મોહ રાખીએ છીએ. જે પાત્ર મળ્યું છે એને જો આત્મસાત્ કરી શકાય તો જ જીવનમાં રંગ જામી શકે. અને અંતે ખુવાર થયા વિનાનો ખુમાર પણ નકામો છે એ વાતને સર્જનના સંદર્ભમાં સાવ સરળ અને અદભૂત રીતે વ્યક્ત કરીને કવિએ સર્જનનો ચમત્કાર કર્યો છે!

Comments (2)

ગઝલ – ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘

ગઝલ લખુ છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.

પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.

પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.

સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.

જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.

જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.

આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.

નિહાળો દૂરથી નાશાદ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.


ગુલામ અબ્બાસ
નાશાદ

સમય નો પ્રહાર તો અણધાર્યો હોવાનો અને સતતપ્રતિપળ સમયની આંખમાં આંખ મેળવી રાખવું પણ કંઈ શક્ય તો નથી જ. આ વાસ્તવિક્તા છે પણ કવિની કલ્પનાને કોણ રોકી શકે? સમયની વાત હોય કે પછી જીવનની કે પ્યારની કે પીડાની વાત હોય સાવ સામાન્ય ભાસતી વાતને અનાયાસે અસામાન્ય કરી દે એનું જ તો નામ છે કવિતા!

Comments (5)

બિન્ધાસ્ત નિમંત્રણ – ‘અગમ’ પાલનપુરી

‘આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે !
વણ કીધે પણ આવ;
સાવ અચાનક ક્ષણનો અધધ…
માણિએ ઉભય લ્હાવ !

બહારથી ભરું બાથ મને હું
ભીતરે પહોળે હાથ;
સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
ભાદર્યો તારો સાથ !
બારણું વાખું જગ મલાજે…
બારીએ ધીરું ફાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે પણ આવ !

દીવડે સૂના આયખે બળ્યું…
ઝળહળાટ્યું જોર;
હાલતી રાગે મ્હાલતી રતે
શ્યામ તો ચારેકોર !
તલસાટોનું સુરમઇ કળણ
ઊજવે મિલન સાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે ઝટ આવ !

-‘અગમ’ પાલનપુરી

પ્રિયજન વગર કહ્યે આવી ટપકે એની જે મજા છે એ આ ‘બિન્ધાસ્ત નિમંત્રણ’ના શબ્દ-શબ્દે દ્રષ્ટિગોચર થાય છે. ભીતરનો ઓરડો તો સાવ ખાલીખમ છે, એ તો પ્રિયાના આવવાથી જ ભર્યો-ભાદર્યો થાય ને ! દુનિયાની લાજે બારણું તો વાસ્યું છે, પણ મારા દિલની બારી તો સદા ખુલ્લી જ છે ને ! પરંતુ બીજા ફકરામાં કવિએ જે વાત કરી છે એ વિચારણા માંગી લે છે. મને જે ‘અગમ’ લાગ્યું છે, એ વિશે મિત્રોનું શું કહેવું છે?

(મલાજે = મર્યાદા, અદબ/રત = ઋતુ, આસક્ત/સુરમઈ = કાજળયુક્ત)

Comments (3)

બની જા – જલન માતરી

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે   ચાંદથી  સુંદર  બની જા;
જગે    પુજાવું   જો   હોય   તારે
મટી જા માનવી પથ્થર બની જા.

– જલન માતરી

Comments (8)

વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !  …

– શેખાદમ આબુવાલા

વ્યથાને સંબોધીને લખાયેલી આ રચના શ્રી. હરિહરને શ્રી. અજિત શેઠના સ્વરાંકનમાં અત્યંત ભાવવાહી રીતે ગાઇ છે. વ્યથાનું ગૌરવ ગાતી આ રચનામાં માધુર્યની સાથે જીવનની એક મહાન ફિલસુફી પણ કવિએ તેમની આગવી શૈલીમાં વણી લીધી છે.
કોના જીવનમાં વ્યથાનો વાસ નથી હોતો? પણ એ વ્યથાના ગાણાં ગાવાં અને રડતાં રહેવા કરતાં તેને ભીતર જ શમાવી શકીએ તેવી આરજુ આ ગીતમાં સાંભળી એક નવું જ બળ આપણા કણ-કણ માં પ્રસરી જાય છે.

Comments

માણસ છું – નાઝીર સાવંત

માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઈ ગયેલો માણસ છું.

એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઈને, પથરાઈ ગયેલો માણસ છું.

દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઈ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઈ ગયેલો માણસ છું.

યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઈ ગયેલો માણસ છું.

‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
જાતને થોડી ખરચીને, ખરચાઈ ગયેલો માણસ છું.

– નાઝીર સાવંત

લયસ્તરો પર આ ગઝલ નાઝિર દેખૈયાની ગઝલ તરીકે પૉસ્ટ કરી હતી પણ મિત્ર હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયાએ આજે જાણ કરી કે આ ગઝલ નાઝિરની જ છે પણ દેખૈયા નહીં, સાવંતની છે… ધ્યાન દોરવા બદલ બંને મિત્રોનો આભાર…

Comments (41)

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Comments

સમજે તે ના બોલે – ઇન્દ્ર શાહ

સમજે  તે  ના   બોલે,  બોલે   તે  ના   સમજુ
ડુબ્યા વિના થઇ  શકે ના કદી કોઇ પણ મજનુ !

બીજ છુપાયું ધરતી નીચે સાવ જ ઓછા કદનું,
તમે  જુઓ  છો ફૂલ, વૃક્ષની ઉપર ઊંચા પદનું.

અંતના મૂળમાં આદિ, અંત આદિનું અંતિમ પગલું,
અનંતની ઓળખ માટે ના શૂન્ય વિના કંઇ ખપનું.

ડાબા જમણી ગયા વિના આ વચમાં રહેવું અઘરું,
નટના જેવું કામ  આ તો  ધ્યાન અને છે તપનું.

આકારો  સૌ  નિરાકારના,  શું  સાચું  શું  સપનું?
સપાટીએ સૌ જુદા જુદા પણ ભીતર સરખું સરખું.

– ઇન્દ્ર શાહ

ઓહાયોમાં રહેતા, મૂળ અમદાવાદના શ્રી ઇન્દ્ર શાહ વ્યવસાયે વકીલ, પણ અંતરથી કવિ છે. તેમનો કાવ્ય સંગ્રહ ‘બે ફૂલ’ ઊપરથી જુઓ તો પણ એક વિશિષ્ટ સર્જન છે. તેમના પોતાના હસ્તાક્ષરમાં છપાયેલ આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ આપણને છાપકામની પહેલાંની દુનિયામાં લઇ જાય છે, તો તેની ભીતરની રચનાઓમાં આક્રોશ છે અને ગહન તત્વની ચર્ચા છે. ઝેન, બુદ્ધ અને ઓશોના વિચારો તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. ગઝલનો વચલો શેર આપણને ‘શૂન્ય’ પાલનપુરીની યાદ અપાવી દે છે.

Comments (4)

મારી પહેલી ટપાલ!

આભાર ધવલ વિવેક ( શ્વેત શાણપણ !)

ગુજરાતી બ્લોગ જગતમાં આ એક બીજું પગલું છે, જેમાં સહકાર અને સહ અસ્તિત્વની ભાવનાથી પ્રેરાઇને, સાવ અજાણ્યા અને જે હજુ સુધી એક બીજાને મળ્યા પણ નથી, તેવી વ્યક્તિઓ એક જ શ્વાસની મહેંક માણીને ‘ગમતાંનો ગુલાલ’ કરવા કટિબધ્ધ થયા છે. પહેલા પગલામાં મૃગેશ, હરીશભાઇ અને હું ‘ગુજરાતી સર્જક પરિચય’ માં સાથે કામ કરવા જોડાયા હતા.

મારું એક સ્વપ્ન અહીં ફરીથી દોહરાવું છું કે, આપણે સૌ આ બ્લોગ મધુશાલાના દિવાનાઓનું એક એવું સુંદર વિશ્વ રચીએ અને એવાં એવાં નૂતન સર્જનો કરીએ, જેના થકી મા ગુર્જરીની શાન વિશ્વભરમાં પ્રસરે, અને અખિલ વિશ્વ માં પથરાયેલા સૌ ગુજરાતીઓ આપણા આ આનંદમાં સહભાગી થાય.

Comments (2)

છે – સુરેશ ઝવેરી ‘બેફીકર’

ઘાત  અને આધાત નડે છે,
રોજ  પડે  ને  જાત નડે છે.

સરખે  ભાગે વહેંચી લઈએ,
આપણને  જે  વાત નડે છે.

લલચાવે  છે  અંત  ભલેને,
ઈચ્છાની  શરૂઆત નડે છે.

વાંધો ક્યાં  છે ખરબચડાંનો,
લીસ્સાં  પ્રત્યાઘાત  નડે છે.

પરપોટાને   જત  લખવાનું,
બોલ! તને કઈ ઘાત નડે છે.

– સુરેશ ઝવેરી ‘બેફીકર’

ગઝલમાં કોઈ વાર તદ્દન સાદા શબ્દો પણ એવી ધાર સાથે આવે છે કે ઘા કરી જાય છે. વાંધો ક્યાં  છે ખરબચડાંનો, લીસ્સાં  પ્રત્યાઘાત  નડે છે – જેવા શેર પછી ગઝલ મનમાં ન રમ્યા કરે તો જ નવાઈ. વાત તો ખરી જ છે, ઘાત અને આઘાત કરતાં પણ વધારે તો આપણને જાત જ નડે છે !

Comments (3)

સ્વાગત સુરેશભાઈ !

શ્રી સુરેશભાઈ જાની આજથી લયસ્તરોમાં જોડાય છે. ગુજરાતી બ્લોગજગતમાં સુરેશભાઈને ન ઓળખતું હોય એવું કોઈ મળવું મુશ્કેલ છે. ટેક્સાસ, યુ.એસ.એ.માં રહેતા સુરેશભાઈ ગુજરાતી બ્લોગજગતના સૌથી વધુ સક્રીય સભ્યોમાંથી એક છે. એમના સ્વરચિત કૃતિઓનો બ્લોગ અને કાવ્ય-રસાસ્વાદ બ્લોગ આપણા બધાના માનીતા છે. એમનો નવો, સૌથી વધુ રસપ્રદ અને મહત્વકાંક્ષી બ્લોગ છે – ગુજરાતી સર્જક પરિચય. એમાં એ ગુજરાતી ભાષાના બધા સર્જકોનો પરિચય કરાવવાનું ધ્યેય રાખે છે.

સુરેશભાઈ લયસ્તરોમાં જોડાય છે એ અત્યંત આનંદની ઘટના છે. એમના વાંચન અને અનુભવોનો આપણને બધાને ઘણો લાભ મળશે. અત્યારે એ અઠવાડિયે બે દિવસ કાવ્યો આપણી સમક્ષ રજુ કરવાના છે. વધુને વધુ સાથીઓ મળતા જવાથી લયસ્તરોની મહેફીલ વધુને વધુ જામતી જાય છે એ સૌથી વધારે મઝાની વાત છે. લયસ્તરોમાં આપનું હાર્દિક સ્વાગત છે, સુરેશભાઈ !

Comments (7)