અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2016

ઊઠે છે – સ્નેહી પરમાર

snehi parmar

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

– સ્નેહી પરમાર

બગસરાથી કવિમિત્ર સ્નેહી પરમાર એમનો બીજો ગઝલસંગ્રહ “યદા તદા ગઝલ” લઈ આવે છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત અને અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (8)

ગઝલ – પ્રમોદ અહિરે

શબદ તો કામ લાગે પ્રાસ માટે,
મને તો જોઈએ છે શ્વાસ માટે.

ફકત કાયામાં હું આવી શકું નહિ,
સકળ બ્રહ્માંડ દે આવાસ માટે.

રહું છું ઘરમાં ઘરથી પર રહીને,
તો શાને જાઉં વન વનવાસ માટે ?

તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.

હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.

– પ્રમોદ અહિરે

સુરતમાં ઘણા મજબૂત ગઝલકારો માત્ર એમની નિર્લેપતા અને કંઈક અંશે આળસના કારણે ગઝલપ્રેમીઓની નજરથી અછતા રહી ગયા છે. પ્રમોદ અહિરે એમાંના એક. એક-એક શેર હાથમાં લો. કવિએ કાફિયા કેવા ચપોચપ નિભાવ્યા છે એ જુઓ. કવિની ખુમારી જુઓ. બધા જ શેર લાંબા સમય સુધી તમારા મનોમસ્તિષ્ક પર કબજો કરી રાખે એવા બળવત્તર.

Comments (7)

ગઝલ – પારૂલ ખખ્ખર

ઉન્માદથી, અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.

ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.

સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં,
બન્ને તરફના સાદથી વાકેફ છું.

એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.

બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,
છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.

ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.

– પારુલ ખખ્ખર

કોઈ એક શેર પર આંગળી મૂકવી દોહ્યલું થઈ પડે એવી ગઝલ. હાથમાંથી હાથ છૂટે, સંબંધ તૂટે એવા દોરાહા પર આવી ઊભીએ ત્યારે એકતરફ તૂટેલા કે તોડવા પડેલા સંબંધમાંની પોઝિટિવિટિ અને બીજી બાજુ ગળામાંના ઘંટીના પડમાંથી આઝાદીની હવા આહ્વાન આપી રહી હોય એ કશ્મકશને તાદૃશ કરતો શેર “સાચું કહું?”ના લહેકાસભર ઉઠાવથી તરત જ દિલને સ્પર્શી જાય છે.

Comments (10)

જીવી ગયું – મેગી અસનાની

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…

– મેગી અસનાની

Comments (7)

જબ ભી ઘર સે બાહર જાઓ – નિદા ફાઝલી

જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો… જલદી લૌટ આઓ
જો કઈ દિન ઘર સે ગાયબ રહ કર
વાપસ આતા હૈ
વહ જિંદગીભર પછતાતા હૈ
ઘર…. અપની જગહ છોડકર ચલા જતા હૈ.

– નિદા ફાઝલી

બારીક ઈશારો છે……ઘરની જગ્યાએ સંબંધ, અનુશાસન, તક, તપસ્યા ઈત્યાદી મૂકી જુઓ…..

Comments (4)

ઘણાયે ભાર છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?

ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.

ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.

હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?

સરવાળે બધા જ શેર માર્મિક.

Comments (13)

ગઝલ – મેગી અસનાની

જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.

પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.

જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.

ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.

આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.

– મેગી અસનાની

આપણે સહુ આજે એવા વર્ચ્યુઅલ વિશ્વના વાસી બની ગયાં છીએ જેમાં આપણી પાસે આપણા સ્માર્ટ ફોન સિવાય વિશેષ કશું નોંધપાત્ર બચ્યું નથી. પરિવારના પાંચ સભ્યો સાથે બેઠાં હોય કે પાંચ-સાત જિગરી દોસ્તોની મહેફિલ જામી હોય યા નિકટના સ્વજનના લગ્નમાં જાનૈયાઓને જોઈએ – એવા દૃશ્યોની હવે નવાઈ નથી જ્યાં બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું. એટલે જ કવયિત્રી કહે છે કે જાત સાથે વાતમાં વીતે એ રાત ઝંઝાવાતમાં વીતે.

Comments (7)

બસ – કૃષ્ણ દવે

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?

Comments (13)

તું – જવાહર બક્ષી

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે !

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે

– જવાહર બક્ષી

અંતિમ શેરને બાદ કરતાં આખી ગઝલનો અંદાઝ-એ-બયાં જુઓ !!!!!!

Comments (11)

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
.               ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
.               પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
.               ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
.               રીતસર હારબંધ ઊડતા દીઠા!

કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

– ઉદયન ઠક્કર

મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.

ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………

Comments (9)

ગઝલ – નિનાદ અધ્યારુ

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

– નિનાદ અધ્યારુ

વાંચતાની સાથે જ આ ગઝલ એકદમ પ્યારી થઈ ગઈ. એક તો ટૂંકી બહેરમાં રવાની એવી મસ્ત, મજબૂત અને પ્રવાહી છે કે ગઝલ વાંચવી તો શક્ય જ નથી બનતી, ગણગણવી જ પડે ફરજિયાત. ગુજરાતી ગઝલમાં પહેલાં કદી જોવામાં ન આવ્યા હોય એવા અંબાજી, જીજાજી, શિવાજી, ધોરાજી જેવા અનૂઠા કાફિયામાં કવિએ એવી સહજ કળાકારીગરી કરી છે કે મજા મજા આવી જાય. શેરે-શેરે મૌલિકતા છલકાઈ રહી છે.

ત્રણેક શેર વિશે મેં કવિને એમનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે પણ મૂળભૂતપણે તો કવિતામાં અર્થ કરતાં અનુભૂતિ સવિશેષ મહત્ત્વની છે અને જ્યારે અનુભૂતિ અર્થને અતિક્રમી જાય ત્યારે ઉત્તમ કવિકર્મ થયું લેખાય.

Comments (20)

નીકળ્યા ! – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

ખરા સોના જેવી આ ગઝલ બે શબ્દોની મહોતાજ નથી. એ એટલી વિખ્યાત છે કે લયસ્તરો પર એ હશે જ એવા વિચારમાં કદી પૉસ્ટ જ ન કરી.

Comments (4)

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

કવિવર રા.શુ.નું એક અદભુત ગીત… જેમ જેમ ગણગણીએ તેમ તેમ વધુ ઉકલે…

(સૌજન્ય: ટહુકો.કોમ)

Comments (1)

બની જા! – શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

– શ્યામ સાધુ

તાજગીપૂર્ણ રચના….

Comments (3)

માનવીના હૈયાને – ઉમાશંકર જોશી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

– ઉમાશંકર જોશી

classic ……..

Comments (4)

ગઝલ – ધ્વનિલ પારેખ

વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.

હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.

જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?

જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.

– ધ્વનિલ પારેખ

આખી ગઝલ મજાની પણ પહેલો અને છેલ્લો શેર શિરમોર.

Comments (5)

ખૂબસૂરત સાંવરા – દયારામ

એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
તારીફ ક્યા કરું ઉસકી ? હે સબ ભાંત સે ભલા !

ઈસ નગર કી ડગર મેં મેરા ચિત્ત ચૂરા ચલા,
કહતી થી સબ આલમ યે હય નંદ કો લલા.

દેખી મુઝે નિધા કર તબસોં એ દુ:ખ ફેલા,
ચિતવન મેં કછૂ ટોના, કોઈ કછુ કલા.

અનંગ આગ લગી વે તન જાત હય જલા,
જીય જાયગા જરૂર સૈંયા ! સજન નહિ મિલા.

બૂઝતી જો મેં ઐસા, દર્દ બિરહ હય બલા,
તો મેં ઉસી પલક જાય પકરતી પલા.

મિલાઓ કોઈ મહેબૂબ ! દુસરી ન હય સલા,
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.

– દયારામ

ઘણા ગુજરાતી કવિઓ વ્રજભાષામાં નોંધપાત્ર કામ કરી ગયા છે. દયારામ એમાંના એક. એમનું આ પદ ખૂબ જાણીતું છે. બધી રીત બધાથી નોખા સાંવરિયાની પ્રીતિ દયારામ ગોપીભાવે કરે છે. નંદના લાલાએ એક જ નજરમાં કવિના ચિત્ત પર ન જાણે શું જાદુ-ટોણો કર્યો છે કે હવે અંગ-અંગમાં જો સાજન નહીં મળે તો જીવ જાય એ હદે કામની આગ પ્રજ્વળે છે. કોઈ કવિને એના પ્રીતમ પ્રેમી સાથે હવે મેળવી આપો, નહિંતર ગળું કાપીને મરવું પડશે…

Comments (3)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.

ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.

ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ચાર જ શેરની ગઝલ પણ પસાર થઈએ ત્યારે જે તૃપ્તિ અનુભવાય છે એ શબ્દાતીત છે. ઓરિજિનાલિટી જળવાઈ રહે અને ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય તો આ કવિ ગુજરાતી ગઝલની સબળ આવતી કાલ બનવા સક્ષમ છે…

Comments (10)

પ્રદક્ષિણા – મનીષા જોષી

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

– મનીષા જોષી

ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..

Comments (8)

શિલાલેખો – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

-મનોજ ખંડેરિયા

Comments (4)

એક વૃદ્ધાની સાંજ – નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.

– નલિન રાવળ

પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…

Comments (3)

વિલીન ગત થાવ – હરિશ્ચન્દ્ર ભટ્ટ

વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

– હરિશ્ચન્દ્ર ભટ્ટ

ગઈ ગુજરી ભૂલીને ઉજળા ભાવિ તરફ ડગ માંડવાની વાત કવિ પરંપરિત ઢબમાં રજૂ કરે છે. ઈશ્વર અને નિયતિનો સાથ માંગે છે પણ પોતાનું ભવિષ્ય અને પોતાનું ભાગ્ય તો આખરે પોતાના હાથમાં જ રાખવા માંગે છે.

Comments (5)