વરસાદનો વાંધો – નીતિન વડગામા
વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!
કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.
બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.
ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.
લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!
મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.
સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.
– નીતિન વડગામા
વરસાદનો ભરોસો રહ્યો નથી. અચાનક માવઠું બનીને ત્રાટકે છે તો અચાનક આશા જન્માવી નાસી છૂટે છે… ભગવાન જાણે એને શો વાંધો પડ્યો હશે! પણ એમ કેડો મેલી દે એ વળી કવિ કેવા! કવિ એને પ્રેમના તાંતણે હળવેથી બાંધી રિઝવવાની નેમ ધરાવે છે. બળબળતી ધરતીના અંગે ફરફોલા પડી ગયા હોવાનું કલ્પન જેટલું પ્રભાવક થયું છે, એથી વધુ અસરદાર આખું આભ ભર્યું પડ્યું હોય તો એમાંથી બધા નહીં તો થોડા દરવાજા ખોલવાની વિનવણીનું રૂપક થયું છે. વરસાદ વિશે આપણી ભાષામાં હજારો ગીતો રચાયાં છે, પણ આ ગીત સાદગીના સૌંદર્યને લઈને અલગ જ ચોકો ચાતરે છે…
