આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરીશ ઠક્કર ડૉ.

હરીશ ઠક્કર ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(ઘર-ઘર રમી શકે) – હરીશ ઠક્કર

અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે.

રહેવા ભલેને ઘર નથી, પણ ઘરનું સ્વપ્ન છે,
ફૂટપાથ પરનાં બાળકો ઘર-ઘર રમી શકે.

સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.

માણસને જાણવો ઘણો મુશ્કેલ છે, પ્રભુ!
ચહેરો હૃદય પ્રમાણે બનાવી નહીં શકે?

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

– હરીશ ઠક્કર

ગઝલનો મત્લા પહેલી નજરે કોઈ સાવ ઉપલક વાત કહેતું હોય એવો લાગે, પણ આ જ કવિની ખાસિયત છે. સરળ દેખાતા શેરની અંદર એ જાળવીને સત્ત્વ છૂપાવી દે છે. હળવેથી શેર ઊંચકો નહીં તો એ સત્ત્વ ચૂકી જવાની પૂરી ગેરંટી. પથ્થરની ભીતર છૂપાયેલા ઝરણાંની આ વાત છે. પ્રસંગોપાત જે માણસ સંવેદનહીન લાગતો હોય એ માણસની અંદર પણ ક્યાંક તો લાગણીની લીલપ છૂપાયેલી જ હોવાની. ત્રીજો શેર હાંસિલ-એ-ગઝલ શેર છે. આપણામાંથી મોટાભાગના લોકો સંબંધમાં પડતી ગાંઠમાં જ બંધાઈને અટકી જતાં હોઈએ છીએ, પરિણામે સંબંધ તો ટકી રહે છે, પણ એમાં પ્રાણ નથી હોતા અને જીવન આગળ વધવાનું બંધ કરી દે છે. મૃતપ્રાય સંબંધોની લાશ ખભે ઊંચકીને ફર્યે રાખતો માણસ વિક્રમાદિત્યની જેમ વડ અને સ્મશાન વચ્ચેના ફેરાઓમાં જ અટવાઈ રહે છે. એને ખભેથી ઊતારી જે મુક્ત થઈ શકે છે, એ જ સાચેસાચ જીવનમાં આગળ વધી શકે છે. બે જ પંક્તિમાં કેવી અદભુત અને ગહન વાત! વળી, પીછેહઠ સાથે આગેકૂચને સાંકળીને કવિએ ભાષાની પાસે પણ આબાદ કામ કઢાવ્યું છે. છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.

Comments (12)

(પ્રગટાવે મને) – હરીશ ઠક્કર

સાંજ પડતાંવેંત પ્રગટાવે મને,
યાદ આખી રાત સળગાવે મને.

એને જ્યારે એનું ધાર્યું કરવું હોય,
ત્યારે-ત્યારે ભાન ભુલાવે મને.

હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.

વાતમાંને વાતમાં કહેવાઈ જાય,
વાતને ગોઠવતાં ના ફાવે મને.

હું સમયની જેમ એને સાચવું,
એ સમયની જેમ વિતાવે મને…

– હરીશ ઠક્કર

સરળ ભાષામાં સહજસાધ્ય રચના. સાચું બોલવાનો તાવ આવે ત્યારે ડહાપણ સમજદારીની પેરાસિટામોલ લઈને ચુપ રહેવામાં જ છે, ખરું ને? જે કહેવું હોય એને શબ્દોમાં ગોઠવીને રજૂ કરવાના બદલે વાતમાંને વાતમાં સહજતાપૂર્વક કહી દેવાની કવિની હથોટી એમના કવનમાં પણ સાંગોપાંગ ઊતરી આવી છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (14)

(સો ગણું છે) – હરીશ ઠક્કર

સમજ આટલી આવે તો પણ ઘણું છે,
સમજમાં નથી એ હજી સો ગણું છે.

અમે કોઈનાથી પ્રભાવિત ન થઈએ,
અમારામાં જે છે એ પોતાપણું છે.

તમે નામ આપો તે નામે કરી દઉં,
ગગન નીચે જે છે, બધું આપણું છે…

તમારી પ્રતિમા તમારા થકી છે,
તમારા જ હાથોમાં એ ટાંકણું છે.

બીડાઈને ખૂલતું, ખૂલીને બીડાતું,
નયન જેવું નમણું તો બસ, પોયણું છે!

અરે! જિંદગી એવી જીવી ગયો છું,
ઘણીવાર લાગે જીવન વામણું છે.

– હરીશ ઠક્કર

ફરી એકવાર નિવડેલી કલમથી સ્રવેલી સાદ્યંત સુંદર રચના. આપણી ઇમેજના એકમાત્ર અને ખરા ઘડવૈયા આપણે સ્વયં છે એ વાત એકદમ સાહજિકતાથી કહેતો શેર તો હાંસિલે-ગઝલ શેર છે…

Comments (4)

(અનાડી છે) – હરીશ ઠક્કર

નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે,
અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે.

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે.

મજા પહેલા મિલનની આપણે કેવી બગાડી છે!
અમે મૂછોને દીધા તાવ, તેં લટને રમાડી છે.

તમારાથી વધારે વહાલી થઈ જાવા એ કરતી’તી,
તમારી ચિઠ્ઠી મેં ચૂમી ભરી, હમણાં જ ફાડી છે.

શરૂઆત આપનાથી થઈ, બસ એનું દુ:ખ રહ્યું અમને,
પછી હરએક વાતે હરકોઈએ ‘ના’ જ પાડી છે.

– હરીશ ઠક્કર

‘તક’લીફ અને ‘તક’દીર –બંનેમાં ‘તક’ શોધી બતાવતા કવિ કિસ્મતના હાથની કઠપૂતળી બનવા તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે. કવિ તો ભાગ્યરેખાઓને મનમરજી મુજબ રમાડવામાં નિપુણ છે. ભાગ્યની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓ ની બદલે એજ શક્તિમાન છે (શેખાદમ ગ્રેટાદમ) જિંદગીના ટાંકણાથી ભલભલાના ઘાટ બદલાઈ જાય છે. જિંદગીની પાઠશાળામાં ભણી લેનારની સંવેદનશીલતા ઓછી થઈ જાય છે અને ચાપલૂસી કરી પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ સહજ થતી જાય છે એ વાતને કવિએ ગઝલના બીજા મત્લામાં જે સહજ વેધકતાથી રજૂ કરી છે, એ ઉમદા કવિકર્મની સાહેદી પૂરાવે છે. ડૉ. હરીશ ઠક્કરની ગઝલનું સૌથી મોટું સુખ એ કે એમની મોટાભાગની ગઝલો સાદ્યંત આસ્વાદ્ય હોય છે. પ્રસ્તુત રચના એનો જ એક પૂરાવો છે.

Comments (7)

(ડરે છે!) – હરીશ ઠક્કર

મહદ્અંશે લોકો સજાથી ડરે છે,
કોઈ કોઈ છે, જે ગુનાથી ડરે છે.

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે.

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને,
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે!

બધી આપદા એને શોધી જ લેશે,
જે માણસ સતત આપદાથી ડરે છે.

ડરી જાઉં હું જો, તો લોકો શું કહેશે-
ઘણા માત્ર એ ધારણાથી ડરે છે.

જો જીતી શકો તો એ ડરને જ જીતો,
એ શું જીતે, જે હારવાથી ડરે છે!

– હરીશ ઠક્કર

માણસથી વધુ ઘાતકી પ્રાણી કોઈ નથી. ખોટું કરતી વખતે માણસને ક્યાં તો કાયદાનો ડર હોય, ક્યાં તો ઈશ્વરના દરબારનો. ત્રીજો ડર હોય સામાજિક પ્રતિષ્ઠાનો. આવી કોઈ જ પ્રકારની સજાનો કોઈ ડર ન હોય તો ભાગ્યે જ કોઈ માણસ ગુનો આચરતાં પોતાને રોકે, આ સનાતન સત્ય મત્લામાં કેવી સરળ રીતે ઉજાગર થયું છે! આ જ વાત બીજા શેરમાં ખુદામાં માનતા હોય એ લોકો જ ખુદાથી ડરતા હોવાના કથનરૂપે બહુ સરસ રીતે રજૂ થઈ છે. ડર વિશેની આ મુસલસલ રચનામાં કવિ ડરના અલગ-અલગ આયામ જે રીતે રજૂ કરે છે, એ નખશિખ આસ્વાદ્ય છે…

Comments (9)

(સો-સો સલામ પણ) – હરીશ ઠક્કર

‘ગાલિબ,’ ‘મરીઝ,’ ‘શૂન્ય’ને સો-સો સલામ પણ,
કહેવાના બાકી છે હજી મારા કલામ પણ.

થોડીક જીહજૂરી છે, થોડો દમામ પણ;
બેગમનો બાદશાહ છું, એનો ગુલામ પણ.

મારાં બધાંય કામમાં બે જણને હું પૂછું –
એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ.

તદ્દન સફેદ ક્યાં છે? એ કાળુંડિબાંગ ક્યાં?
જીવન જરાક શ્વેત છે, થોડુંક શ્યામ પણ.

દોડાય તેટલું હજી દોડી લે દિ’ છતાં,
સૂરજ ડૂબે પછી જરૂરી છે મુકામ પણ.

તારા વિચાર આવે તો એનાથી રૂડું શું?
મનમાં સતત વિચાર તો આવે છે આમ પણ.

આ શાયરો તો બાળકો જેવા જ છે બધા,
માંગે છે દાદ ખૂબ, ઉપરથી ઇનામ પણ.

– હરીશ ઠક્કર

કવિની ખુમારી, સ્વ-ભાવ મત્લામાં આબાદ છતા થાય છે. પૂર્વસૂરિઓની મહાનતાના સ્વીકાર સાથે કવિ પોતાની સર્ગશક્તિમાં આત્મવિશ્વાસ પણ જાહેર કરે છે. પ્રમાણમાં સહજ-સાધ્ય રચના. બધા શેર ગમી જાય એવા.

ત્રીજા શેરમાં ભાષાકર્મ થોડું કઠે છે. ઉલા મિસરામાં કવિ પોતે જે કરે છે એ બધાંય કામમાં બે જણને પોતે કામ કરતાં પહેલાં પૂછે છે એમ કહે છે. વ્યાકરણની રીતે સાની મિસરામાં એક તો મને પોતાને અને બીજા અંદરના રામને -આમ આવવું જોઈએ પણ છંદ અને કાફિયા સાચવવા માટે કવિએ આ જગ્યાએ અનિવાર્ય છઠ્ઠી વિભક્તિનો ભોગ લેવો પડ્યો છે એ ટાળવા જેવું.

Comments (8)

(પગલાં નથી પડતાં) – હરીશ ઠક્કર

સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.

પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.

એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.

‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.

દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.

આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.

આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.

– હરીશ ઠક્કર

મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.

Comments (25)

(ઇશારે ચડી ગયા) – હરીશ ઠક્કર

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

– હરીશ ઠક્કર

લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…

રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.

Comments (21)

(ડરે છે) – ડૉ. હરીશ ઠક્કર

મહદ્દઅંશે લોકો સજાથી ડરે છે
કોઈ કોઈ છે જે ગુનાથી ડરે છે

એ સમજી શકાશે કે પાપી તો ડરશે,
એ બંદો ખુદાનો, ખુદાથી ડરે છે

એ ક્યાંનો નીડર જે ડરાવે બધાને
હકીકતમાં એ ખુદ બધાથી ડરે છે

ન ઇચ્છે કદી પણ બૂરું કોઈનું જે
ગ્રહો એની માઠી દશાથી ડરે છે

બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે

જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?

ડરી જાઉં હું જો તો લોકો શું કહેશે?
ઘણાં માત્ર એ ધારણાથી ડરે છે.

– ડૉ. હરીશ ઠક્કર

ડર માનવમનનો અવિભાજ્ય હિસ્સો છે. કોઈને કોઈ કારણે, કોઈને કોઈ વસ્તુનો કોઈને કોઈ સમયે આપણને ડર લાગતો હોય છે. કવિએ આપણા ડરના નાનાવિધ આયામો પ્રસ્તુત ગઝલમાં સુપેરે ઉજાગર કર્યા છે. સજાનો ડર ન હોય તો ભાગ્યે જ કોઈ મનુષ્ય ગુનો કરતાં ડર અનુભવે એ વાત મત્લામાં કેવી સ-રસ રીતે પ્રત્યક્ષ થઈ છે! સરવાળે આખી રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (9)

(લાગે છે) – હરીશ ઠક્કર

ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે

સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે

આપણા હાથમાં હલેસા છે
પણ પવનનું સુકાન લાગે છે

સ્વાદ નહિ ચાખે એ સફળતાનો
એનાં મોંમાં જબાન લાગે છે

ભાગ્યમાં કેમ માનતો નથી એ ?
આદમી ભાગ્યવાન લાગે છે.

બાપ છે એ બધાનો, ક્યાં ના છે ?
આપણો ઓરમાન લાગે છે.

– હરીશ ઠક્કર

સરળ બાની અને ઉત્તમ ગઝલ હરીશ ઠક્કરની ઓળખ છે. અને પ્રસ્તુત રચના એની ભરપૂર ચાડી ખાય છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે…

Comments (6)

ગઝલ – હરીશ ઠક્કર

જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.

એમ ક્યાંથી વાત એની નીકળે ?
વાતમાંથી વાત થાતી હોય છે.

બોલવામાં ધ્યાન તો રાખો જરા
સાવ ઉઘાડી જાત થાતી હોય છે.

કોઈનો કેમે દિવસ જાતો નથી
મારે સીધી રાત થાતી હોય છે.

એમ પ્રત્યેક વાતનો ઉત્તર ન વાળ,
કરવા ખાતર વાત થાતી હોય છે.

– હરીશ ઠક્કર

સોની જેમ દાગીનાને એકદમ બારીકાઈથી ઘડે, બરાબર એમ જ ગઝલ કરતા ગઝલકારોની યાદી બનાવવાની હોય તો હરીશ ઠક્કરનું નામ મારે મોખરાની યાદીમાં મૂકવું પડે. આ ગઝલ જુઓ… સાવ સીધા ને સટાક કાફિયા… એકદમ સહજ અને સરળ ભાષા… પણ ગઝલ જુઓ તો ? એક-એક શેર પાણીદાર. સંઘેડાઉતાર.

Comments (7)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

હામ ને હેસિયત થકી બેઠો,
હુઁ નથી કોઈના વતી બેઠો.

શ્વાસ ખાવો કે રોટલા ખાવા ?
બેઉનો મેળ ક્યાં કદી બેઠો ?

જીવ ઉભડક હતો તમારી સમક્ષ,
સ્હેજ મલક્યા તમે, પછી બેઠો.

ચિત્ર દોરું છું તારું રોજેરોજ,
હાથ મારો હજી નથી બેઠો.

જેમનું નામ છે ઘણું મોટું,
એમનું નામ, હું પૂછી બેઠો.

– ડૉ. હરીશ ઠક્કર

આમ તો આખી ગઝલ જ કવિની તાસીર પ્રમાણે સંઘેડાઉતાર થઈ છે પણ મને ત્રીજો-ચોથો કવિકર્મના અરીસા જેવો લાગ્યો. જીવનું બેસવું અને કોઈ વસ્તુ પર હાથ બેસવો- આ બે રૂઢીપ્રયોગો જે સરળતા-સફલતાથી કવિ ટૂંકી બહેરમાં પ્રયોજી શક્યા છે એ કાબિલ-એ-દાદ છે.

Comments (4)

ગઝલ – હરીશ ઠક્કર

લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.

બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.

છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.

ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.

હૈયું ખોલે ને શરત એવી કરે –
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.

– હરીશ ઠક્કર

આખેઆખી મનનીય ગઝલ… શબ્દકોશવાળું કલ્પન કેવું મજાનું ! અને ચીસ પાડીને વાત કરવી પડવાની વાત તો આપણા સહુના જીવનની કહાણી જ નથી?

Comments (9)

ગઝલ – હરીશ ઠક્કર

ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.

ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.

કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.

વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.

નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.

– હરીશ ઠક્કર

સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.

નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

– હરીશ ઠક્કર

ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…

Comments (15)

ગઝલ – હરીશ ઠક્કર

એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.

અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.

મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.

સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.

– હરીશ ઠક્કર

સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…

Comments (9)

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

Comments (13)

ગઝલ – ડૉ. હરીશ ઠક્કર

ક્યારેક દુશ્મની કરે, ક્યારેક મિત્ર છે,
જો ને ઋણાનુબંધ આ કેવો વિચિત્ર છે !

તરસાવે તો છે રણ અને વરસાવે તો ગગન,
કેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે !

ગંગા સુધી જવાય ના તો શી ફિકર તને
જે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે.

બીજા બધા તો ઠીક છે, મારા સગડ નથી,
મારી ગઝલ શું કોઈનું જીવન ચરિત્ર છે ?

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.

– ડૉ. હરીશ ઠક્કર

ફરી એકવાર આજે એવી ગઝલ જેના દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય છે… કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કળવું દોહ્યલું થઈ પડે એમ છે. પણ જે રીતે કવિએ બીજા શેરમાં લાગણીને નાણી છે એ શબ્દાતીત છે…

Comments (18)

(મુશ્કેલ છે) – હરીશ ઠક્કર

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.

માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

– હરીશ ઠક્કર

ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…

આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!

Comments (19)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

વધુ આગળ વાંચો…

Comments (16)

ઝાકળબુંદ : ૨ : ચાડી ખાય છે – ડો. હરીશ ઠક્કર

હાલ મારા એજ ચાડી ખાય છે
દર્દ છાનું કોઈ ફાડી ખાય છે

શાયરી જીવતા નથી જે શાયરો
શબ્દને ઠાલા રમાડી ખાય છે

ઝૂલ્ફમાં ને પાલવે અટવાય છે
ઠોકરો કેવી અનાડી ખાય છે

કોઈના હાથે ચડી વીંઝાય છે
લાકડાને ક્યાં કૂહાડી ખાય છે

કૈંકની થાળી ઊજાડી ખાય છે
અન્ન જે આંખે અડાડી ખાય છે

– ડો. હરીશ ઠક્કર

Comments (6)