શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી ભરેલાં ચામડીનાં વાસણો છીએ વધારે કૈં નથી.
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અરદેશર ફ. ખબરદાર

અરદેશર ફ. ખબરદાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાદગાર ગીતો :૦૧: ગુણવંતી ગુજરાત – અરદેશર ખબરદાર

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શીશ :
માત મીઠી ! તુજ ચરણ પડીને માગીએ શુભ આશિષ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન-શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કલ્લોલ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરીએ જાત !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય;
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર;
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ, મુસલમિન, પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ !
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જયજયકાર
.                                                         અમારી ગુણવંતી ગુજરાત !

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત !

– અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

(જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩)

સંગીત સંયોજન : મેહુલ સુરતી
સ્વર : દ્રવિતા ચોક્સી

[audio:http://urmisaagar.com/saagar/audio/gunvanti-gujarat.mp3]

ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પારસી કોમના જે કવિઓનો ફાળો રહ્યો છે, એમાં અરદેશર ખબરદારનું સ્થાન ધ્રુવના તારા સમું છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી એ અમર કીર્તિ પામ્યા છે. દમણમાં જન્મેલા અને ત્યાં જ વસેલા, માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા આ કવિ મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા પણ અનિર્વચનીય વતનપ્રેમથી છલકાતા હતા.  (કાવ્યસંગ્રહો: ‘કાવ્યરસિકા’, ‘વિલાસિકા’, ‘પ્રકાશિકા’, ‘ભારતનો ટંકાર’, ‘સંદેશિકા’, ‘કાલિકા’, ‘ભજનિકા’, ‘રાસચંદ્રિકા-1’, ‘દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’, ‘કલ્યાણિકા’, ‘રાસચંદ્રિકા-2’, ‘નંદનિકા’, ‘ગાંધીબાપુ’, ‘કીર્તનિકા’)

સદાકાળ ગુજરાત‘ આપ માણી ચૂક્યા છો એટલે યાદગાર ગીતોની શ્રેણીની શરૂઆત આજે એમના આ બીજા ગીતથી કરીએ.  નંદનવન જેવી મનોહર આ વાડીમાં શું શું નથી? સંત, મહંત, વીરોની આ ભૂમિ અરણ્ય, ઉપવન, સરોવર-નદીઓ, ઝરણાં-સમુદ્ર વડે શોભાયમાન છે. પણ કવિને જે ભાવ અભિપ્રેત છે એ છે કોમી એખલાસનો અને એ દ્વારા ગગન ગાજે એવો જયજયકાર કરવાનો છે…

Comments (9)

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

(કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)

Comments (8)