આંખને વાંચી જવાનું હોય ત્યાં,
હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગદ્ય કાવ્ય

ગદ્ય કાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સ્વીકાર) – ગૌતમ બુદ્ધ

હું તમને કહું છું તે ભૂતકાળમાં કહેવાયું હતું તે કારણે માનશો નહીં;
પરંપરાથી ઊતરી આવ્યું છે તે કારણે માનશો નહીં;
આમ જ હોય એવું માનીને તેનો સ્વીકાર કરશો નહીં;
પવિત્ર ધર્મગ્રંથોમાં છે તેથી તેને માનશો નહીં;
અનુમાનથી તે પુરવાર કરી શકાય છે તેથી તેને માનશો નહીં;
એમાં વ્યવહારુ ડહાપણ છે એવું માનીને સ્વીકારશો નહીં;
એ સંભવિત લાગે છે તેથી તેને સ્વીકારશો નહીં;
પ્રખ્યાત અને પવિત્ર સાધુએ કહ્યું છે તેથી તેને માનશો નહીં;
પરંતુ તે જો તમારા વિવેકને અને અંતરાત્માને સુખકર અને શ્રેયસ્કર લાગતું હોય
તો જ તેનો સ્વીકાર કરજો અને તેને લાયક બનજો.

– ગૌતમ બુદ્ધ

ગાંધીજીમા ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તક (સંપાદક: વિશ્વાસ બા. ખેર)માંથી આ લખાણ મળી આવ્યું. આમ તો લયસ્તરો પર કવિતા સિવાયની પોસ્ટ ભાગ્યે જ મૂકીએ છીએ પણ આપણે ત્યાં તો પરાપૂર્વથી ગદ્ય અને પદ્ય –ઉભયને કાવ્ય તરીકે સ્વીકૃતિ સાંપડી છે. काव्यं गद्यं पद्यं च तद्विधा। (ભામહ) પ્રસ્તુત લખાણ કોઈ સમજૂતિનું મહોતાજ નથી. આમેય બુદ્ધે પોતાની વાત હંમેશા સરળતમ શબ્દોમાં જ કહી છે. આવી એકાદ વાત જીવનમાં ઉતરે તો જીવન નંદનવન બને.

Comments (6)

દ્વય – વર્ન રુત્સલા (અનુ.: સુરેશ દલાલ)

એક માણસ છે. હું એને આછો અમથો ઓળખું છું. એ મારી ખુરસીમાં બેસે છે, પહેરે છે મારો ચહેરો અને વસ્ત્રો, ખરેખર તો મારી આબેહૂબ આકૃતિ. એને કહેવાય છે નાગરિક. વાસ્તવમાં તો એ છે કઠપૂતળી, જેને હું નિયંત્રું છું. જ્યારે એ બોલે છે ત્યારે કોઈને દેખાતું નથી, પણ હોઠ તો મારા હલે છે.

– વર્ન રુત્સલા
(અનુ.: સુરેશ દલાલ)

નાનું અમથું ગદ્યકાવ્ય. ફકરો જ જોઈ લ્યો ને! કવિના સંગ્રહનું નામ જ ‘પેરેગ્રાફ્સ’ છે. વયષ્ટિને સંબોધીને લખાયેલ આ કાવ્ય હકીકતે તો સમષ્ટિને સ્પર્શે છે. આમેય સ્વથી સર્વ સુધી જાય એ જ કવિતા. દ્વય એટલે જોડી. પણ આ જોડી આપણા સહુની આપણા નકલી જીવન સાથેની છે. આપણે આપણને ખુદને પણ પૂરું નહીં, કેવળ આછું ને અમથું જ ઓળખી શકીએ છીએ એ આપણા જીવનની મોટી વિડંબના છે. વિશેષમાં નાગરિક શબ્દનું લેબલ આપણી બચીકુચી આદિમતાને પણ ખતમ કરી દે છે. આપણે સહુ સિસ્ટમની દોરીએ બંધાઈને બીજાની ઇચ્છા મુજબ નર્તંતી કઠપૂતળીઓથી વિશેષ કશું નથી.

Comments (4)

એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન (અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્ય -‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) -ની ખેવના કાયમ રહી છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

આ ગદ્યકવિતાનો સાછંદ પદ્યાનુવાદ જાણીતા કવિશ્રી મકરંદ દવેએ પણ કર્યો છે, જે લયસ્તરો પર જ આપ અહીં – https://layastaro.com/?p=1911 – માણી શકશો.

*
Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

Comments (7)

અમદાવાદ – મણિલાલ દેસાઈ

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ
અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ
પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું
એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.
અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા
પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ
ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.
સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો
બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર
અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ
બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી,
અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર
નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો
ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા
મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે
હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા
તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી
નાસી છૂટીશ.

– મણિલાલ દેસાઈ

દરેક શહેર એમાં રહેતા કવિઓને સતત પીડતુ રહે છે. કવિઓ પોતાના શહેરને જાણે ડંખતા જોડાની જેમ સહન કરે રાખતા હોય છે એવું લાગ્યા કરે છે. મહાદેવની જેમ વિષને ગળામાં રાખીને જીવવાની આ પીડા જાણે નગરકાવ્યોમાં બહાર આવે છે. ( સાથે જોશો : નગર એટલે, અમદાવાદ અને મુંબઈ )

Comments (4)

ગદ્ય કાવ્ય – પન્ના નાયક

મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.

-પન્ના નાયક

ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.

ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.

Comments (11)