હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હવે બોલવું નથી – સૈફ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

 

……..હવે બોલવું નથી……

Comments (3)

પરિચય છે -‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી ‘ઈર્શાદ’, સૈફ પાલનપુરી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

*

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

Comments (6)

રહ્યો છું…… – ‘સૈફ’ પાલનપુરી

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો,
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (2)

જિંદગી – ‘સૈફ’ પાલનપુરી

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

– ‘સૈફ’ પાલનપુરી

Comments (3)

ફૂલ કેરા સ્પર્શથી – ‘સૈફ’ પાલનપુરી

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.

આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

– ‘સૈફ’ પાલનપુરી

Comments (7)

કોણ કરે ? – સૈફ પાલનપુરી

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

-સૈફ પાલનપુરી

Comments (7)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

મુક્તક -સૈફ પાલનપુરી

માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !

-સૈફ પાલનપુરી

Comments (11)

આપણી યાદગાર ગઝલો : ૦૮ : ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.           

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા ! 

 – સૈફ પાલનપુરી
(1923 – 1980)

સ્વર-સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય 

[audio:http://tahuko.com/gaagar/layastaro/Saif Palanpuri-Khushboo Na Khilela Phul.mp3]

સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા…. એટલે કે આપણા પ્રિય ગઝલકાર ‘સૈફ’ પાલનપુરી. પોતાને ‘શયદાશિષ્ય’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવતા સૈફ સાહેબનું  ગુજરાતી ભાષાની મુશાયરાપ્રવૃત્તિના વિકાસમાં ખૂબ જ નોંધનીય યોગદાન રહ્યું છે.  અને એમની કોઈ યાદગાર ગઝલની પસંદગી વાત આવે એટલે યાદ કરવાનો પ્રયત્ન કર્યા વગર આ ગઝલ તરત જ મગજમાં આવી જઈ જાતે જ છવાઈ જાય.  એક એકથી ચડિયાતા શેરવાળી એમની આ ગઝલ ખૂબ જ લોકપ્રિય થયેલ છે. 

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં“… ફૂલ તો આમેય ખુશ્બૂમાં જ ખીલતું હોય છે, એ જ રીતે ખીલવાનો એનો સ્વભાવ છે. પરંતુ કવિ મત્લાનાં શેરમાં જ આપણને પ્રણયનાં ચાર તબક્કાની સફર કરાવી દે છે. પ્રેમનાં સાન્નિધ્યમાં ખીલવાનું એટલે કે ‘કંઈક થયું છે ‘નો પ્રથમ તબક્કો. અને બીજો તબક્કો એટલે પ્રેમથી છલોછલ અને લાગણીથી ભરપૂર એવા નશાનો જાજરમાન તબક્કો… પરંતુ પછી મોટા ભાગની પ્રેમકથામાં કહાનીમેં ટ્વીસ્ટ ની જેમ આવતો ત્રીજો તબક્કો…! એટલે કે અશ્રુઓનાં સમીકરણોથી લખાતો આંસુઓનો ભૂતકાળ… જે અધૂરી ઈચ્છાઓની લાશો અને અનાથ સ્વપ્નોનાં ખંડેરોથી ભર્યો ભર્યો હોય… અને વળી એ એક એક આંસુઓનાં નામો પાડી શકાય એટલો અકથ્ય વિરહ એટલે કે પ્રણયનો ચોથો અને પરિપક્વ તબક્કો… (અને કુલ કેટલા તબક્કાઓ હોય છે, એ તો દરેક પ્રણયકથા પર અંગત-આધારિત હોય છે!) આવી રીતે મને તો એમ જ લાગે છે કે આ એક જ શેરમાં કવિએ જાણે આખી પ્રણયકથા કહી નાંખી છે.      

મનુષ્યમાત્રને જેટલું જીવન હોય એટલું ઓછું જ લાગે. આપણે હમણાં કોઈને પૂછીએ તો મોટાભાગનાં લોકો લગભગ એમ જ કહેશે કે અત્યારે મોત આવે તોય મને જરાય વાંધો નથી. પરંતુ જો કોઈ જ્યોતિષ આપણને ખાનગીમાં કહે કે આવતા ફલાણા દિવસ સુધી તમારા માથે ભારે ઘાત છે તો એના નિવારણ માટે આપણે લગભગ બધું જ કરી છૂટીએ… અને જો મોતનાં સમયની સાચે જ ખબર પડે અને યમદેવતા સાથે જો વાત કરવાનો મોકો મળે તો આપણે બધા 100% એમ જ કહીએ કે બેચાર કામ પતી જાય પછી અમને તમારી સાથે આવવામાં બિલકુલ વાંધો નથી… વળી સાથે સાથે થોડી શિકાયતો અને ખુલાસાઓ બાકી રાખ્યા હોય તો એનો હિસાબ પણ પતાવવાનો તો હોય જ. અને આ બધી તો આપણા બધાની સાવ સીધી, સાદી ને સાચી વાત છે, જેમાંથી લગભગ કોઈ જ બાકાત નથી. પરંતુ કવિએ આ જ સહજ વાતને એકદમ સહજતાથી સ્વીકારીને આપણને એક અસહજ શેરની ભેટ ધરી દીધી છે.

માણસ ભલે અંદરનાં અજવાળે સફર કરતો હોય પરંતુ જ્યારે ખુદ મંઝિલ અને એ મંઝિલ ઉપર પહોંચવાના બધા રસ્તાઓ જ બદનામ હોય તો એની સફર ગમે તેટલી સ્વચ્છ હોય, પણ એ સફર વિશે જાતજાતની અફવાઓ તો નક્કી ઉડવાની જ. અને જ્યારે આ લખું છું ત્યારે મને વિચાર આવે છે કે નેક ઈરાદાવાળા ગણ્યાંગાંઠ્યા થોડા સારા માણસોની અત્યારે બિલકુલ આવી જ દશા હશે, કે જેઓ આપણાં દેશનાં રાજકારણની ગંદકી સુધારવા માંગે છે.

જખ્મોવાળો પ્રખ્યાત શેર તો બધાને સાવ પોતીકો લાગે છે… સૌને જાણે એમના માટે જ કવિએ લખ્યો હોય એમ જ લાગે છે. જો કે, વાતેય સાવ સાચી છે. જીવનની સમી સાંજે જો આપણે આપણને મળેલા જખ્મોથી યાદી તપાસવા બેસીશું, તો જખ્મો આપવાવાળાઓનાં નામો યે કદાચ નામ લઈ પણ નહીં શકાય એવાં સાવ અંગત અંગત જ નીકળશે… અને જો અંગત ન હોય તો એમનું નામ જખ્મોથી યાદીમાંયે શું કામ આવે?! એમ પણ કોઈકે સાચું જ કહ્યું છે કે આપણને સૌથી વધુ દુ:ખ આપવાની શક્તિ માત્ર એમનામાં જ હોય છે કે જેમને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ.

આપણે આપણી જાતથી અલગ થઈને કેટલી વાર સ્વને ચકાસીએ છીએ?  કવિએ મક્તાનાં શેરમાં તો ખરેખર કમાલ કરી છે. જેમ આપણે અન્ય લોકોનું આસાનીથી અવલોકન કરી શકીએ છીએ, બસ એવી જ રીતે કવિની જેમ જો જાતને અવલોકીશું તો ખબર પડશે કે આપણું સાચું મ્હોરું કયું છે અને કયું લગાવીને હંમેશા ફર્યા કરીએ છીએ…!

ઉર્દુનાં ગઝલકાર સૈફ ગુજરાતીનાં ગઝલકાર કેવી રીતે બન્યા?!… એ વાત એમના જ શબ્દોમાં વાંચો !

(ઓત્તારી… ગઝલ વિશેનાં મારા વિચારો પ્રગટ કરવા જતાં આ તો હારો નિબંધ જ લખાઈ ગયો…!  🙂 )

Comments (4)

છે ઘણા એવા – સૈફ પાલનપુરી

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

સૈફ પાલનપુરી

Comments (5)

ઝરૂખો – સૈફ પાલનપુરી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતુર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઊર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

– સૈફ પાલનપુરી

કયા ગુજરાતી કલા અને સાહિત્યના પ્રેમીએ ‘સૈફ’ પાલનપુરી ની આ નઝમને શ્રી મનહર ઉધાસના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય?

ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે આટલા મોટા ગજાના શાયરે, જે વ્યક્તિને પોતે જાણતા પણ નથી, તેને માટે, કેમ આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? એ સૌ યુવાનોને યુવાવસ્થામાં થતા, એકપક્ષી પ્રેમની અભિવ્યક્તિ માત્ર જ છે, કે તેથી વધારે કાંઇક છે? આ કોઇક ઉપમા તો નથી? ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-

અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળપણની નિર્દોષ સુંદરતાને શાયરે એક નવયૌવના સાથે સરખાવી નથી લાગતી? અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું – વાર્ધક્યના ખાલીપાનું – મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું – કરુણ વર્ણન નથી લાગતું ?

આ ખાલીપો આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતો ?

Comments (7)

સંજોગોના પાલવમાં – સૈફ પાલનપુરી

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

Comments (5)

કેવા રમતારામ હતા – સૈફ પાલનપુરી

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો ?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા !

– ‘સૈફ’ પાલનપુરી

સૈ.પા.ની આ ગઝલ જખ્મોની યાદીવાળા શેરથી પ્રખ્યાત છે. પણ બાકીના બીજા શેર પણ એકએકથી ચડીયાતા છે. છેલ્લા શેરમાં ‘સૈફ’ પોતાની જાતમાંથી નીકળીને, દૂરથી પોતાના વિષે વાત કરે છે એ અલગ જ પ્રભાવ પાડે છે.

Comments (6)

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

Comments (3)

વિરહના ત્રણ શેર

રાત મેં એક વિતાવી હતી ખાલી ઘરમાં
ખૂણે ખૂણાના પ્રસંગો મને ભરપૂર મળ્યા
-સૈફ પાલનપુરી

તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
-ઘાયલ

તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી
એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે

Comments (2)