કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
સ્નેહી પરમાર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2024

જાગવું – પારુલ ખખ્ખર

“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,

જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય

ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.

જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય

નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય

હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય

થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય

-પારુલ ખખ્ખર

*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત

લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલ માણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.

Comments (7)

આપણામાંથી કોક તો જાગે – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!

હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!

– વેણીભાઈ પુરોહિત

ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.

Comments (3)

જાગે છે – મનોહર ત્રિવેદી

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

– મનોહ૨ ત્રિવેદી

ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.

Comments (1)

મિસ જૂલિયટીનું પ્રણયગીત – રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.

– રાવજી પટેલ

આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.

‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.

Comments (3)

(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

Comments (4)

(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

Comments (7)

નહીં ફાવે અવતરવાનું – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’

નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?

છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું

બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?

આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…

https://i0.wp.com/layastaro.com/wp-content/uploads/2024/01/haath-jaajam-thai-jata.jpg?resize=373%2C585&ssl=1

 

Comments (4)

સ્વપ્ન – રવીન્દ્ર પારેખ

સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.

સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.

સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.

સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.

સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.

સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.

સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.

– રવીન્દ્ર પારેખ

સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.

Comments (9)

અધૂરપ – માધવ આસ્તિક

અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ

બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ

ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ

છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ

ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ

ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ

કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ

બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ

સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ

તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ

બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ

– માધવ આસ્તિક

ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.

Comments (5)

મોજ પડે તો – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…

નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…

વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…

કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.

Comments (4)

રાખો મારાં વેણ – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

રાખો મારાં વેણ હરિવર! રાખો મારાં વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારાં નેણ
હરિવર! રાખો મારાં વેણ

ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ

કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ

‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.

Comments (5)

એ…હેહેય…હેહેય…,ઝાડ – રમેશ પારેખ

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)

રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.

કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.

વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…

ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.

Comments (11)

શેર – પરવીન શાકિર

मैं उस की दस्तरस में हूँ मगर वो
मुझे मेरी रज़ा से माँगता है

परवीन शाक़िर

હું તો એના વશમાં જ છું – પણ એ મારી જાતને મારી પાસેથી મારી રજામંદીથી માંગે છે

વાહ ! વાતની નજાકત જૂઓ….ઊંડાણ જૂઓ  !!! પ્રેમની ખરી ઊંચાઈ !!! કોઈ માલિકીપણાની વાત નહીં…. અધિકાર પૂરો છે-બંનેને ખબર છે,પણ વ્યક્તિને એક અદના અસ્તિત્વ તરીકે પૂરું સન્માન !!! પ્રજ્ઞાવાન વ્યક્તિ પણ ઘણી વખત આ સકંજામાંથી બચી નથી શકતા-જેને ચાહે છે એને સહજતાથી ગૂંગળાવી નાંખતા હોય છે અને તે વ્યક્તિને પોતાને એ વાતનું ભાન સુદ્ધાં હોતું નથી….સામું પાત્ર બિચારું ગૂંગળાઈને બેસી રહે…..

આખી ગઝલ મૂકવી હતી પણ બાકીના શેર એટલા મજબૂત નથી અને વળી મારે આ શેરને પૂરતી સ્પેસ આપવી હતી.

Comments (1)