તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2008

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૩ : ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
                                     મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

ગનીચાચાનું મઝાનું ગીત.

Comments (8)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૨ : ઉપવને આગમન

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
                    ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.
ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
                    ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.

શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
                    કળી   પાંદડીઓના  પડદે   રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
                    તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

બધી  રાત  લોહીનું  પાણી  કરીને
                    બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,
પધારો કે  આજે  ચમનની  યુવાની
                    બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

હરીફો  ય  મેદાન છોડી ગયા છે
                    નિહાળીને  કીકી  તમારાં નયનની,
મહેકંત  કોમળ  ગુલાબોની કાયા
                    ભ્રમર – ડંખથી  બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
                    કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,
ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
                    પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
                     કલાકારનું     ચિત્ર   સંપૂર્ણ   જાણે,
તમે  જો  ન  હો  તો  બધા  કહી ઊઠે કે;
                     વિધાતાથી  કોઇ  કસર  થૈ  ગઇ છે.

‘ગની’,   કલ્પનાનું  જગત  પણ  છે  કેવું,
                     કે આવી  રહી છે  મને મારી ઇર્ષ્યા !
ઘણી  વાર  આ  જર્જરિત   જગમાં  રહીને,
                     ઘણી  જન્નતોમાં  સફર  થૈ  ગઇ  છે.

– ગની દહીંવાલા

પ્રિયજનની હાજરીની કલ્પના માત્રથી ઉપવન કેવું જન્નત થઈ જાય છે – આટલા સાદા વિચાર તંતુથી લખાયેલી આ ગઝલ ગુજરાતી ગઝલનો એક યાદગાર મુકામ છે. ઉપવનમાં હાજર બધી જ ઉપમાઓ અને કલ્પનોને કવિએ અહીં આબાદ કામે લગાડ્યાં છે. આટલી બધી વાર વાંચ્યા-સાંભળ્યા પછી પણ આ ગઝલની તાજગી ઓછી થતી નથી એ કવિકર્મની સિદ્ધિ છે.

Comments (6)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૧ : ફૂલદાની

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.

-ગની દહીંવાલા

ગનીચાચાની આ ગઝલનો પહેલો શેર બહુ જાણીતો છે. આખી ગઝલ ગનીચાચાની આગવી શૈલીની ગવાહી પૂરે છે.

Comments (8)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

વ્હાલા મિત્રો,

13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

Comments (45)

હવા – પ્રદીપ પંડ્યા

બારણાં ખુલ્લાં હતાં
ધીમે ધીમે
મંદ પગલે
એ આવી.
જુલ્ફને જરાક
રમાડી…
કોણ છે
જોઉં છું ત્યાં તો
એવી જ રીતે
ચાલી ગઈ
સઢની જેમ ઊડીને
સંકેલાઈ જતા, બારીના
પડદાએ કહ્યું,
‘હવા હતી.’

– પ્રદીપ પંડ્યા

એક કલ્પન એટલું નાજુક-નમણું હતું કે એના ‘હોવા’ અને ‘ન-હોવા’ વચ્ચે મન અટવાયું હતું ! 

Comments (7)

આદિ ધર્મ – અમૃતા પ્રીતમ

મેં જ્યારે તને પહેર્યો
ત્યારે બંનેના શરીર અંતર્ધાન હતાં,
શરીર ફૂલોની જે ગૂંથાયાં
અને આત્માની દરગાહ પર
અર્પિત થઈ ગયાં…

તું અને હું હવનના અગ્નિ,
તું અને હું સુગંધિત સામગ્રી,
એકબીજાના હોઠેથી નીકળ્યાં
તો એ જ નામ પૂજાના મંત્ર હતાં,
આ તારા અને મારા
અસ્તિત્વનો એક યજ્ઞ હતો.

ધર્મકર્મની કથા
તો બહુ પછીની વાત છે…

– અમૃતા પ્રીતમ

ધર્મની શરૂઆત થઈ એ પહેલા ય પ્રેમ તો હતો જ.બલ્કે એ વખતે પ્રેમ જ ધર્મ હતો. કહે છે કે, એક માણસ બીજા માણસની આંખમાં પ્રેમથી જુએ છે ત્યારે ઈશ્વરનું નામકરણ થાય છે.

Comments (10)

કિરતાર તારી કળા ! – મકરંદ દવે

જેટલી    વેદના    એટલો   સ્નેહ !
જેટલી    લૂ   ઝરે   એટલો   મેહ !
ધન્ય છે, વાહ, કિરતાર તારી કળા !
તેં   દીધી   ચેતના  ને   દીધી  ચેહ.

– મકરંદ દવે

Comments (4)

સદૈવ – પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!

કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત  નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?

Comments (17)

વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

-નર્મદાશંકર

વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

પ્રોષિતભર્તૃકા

(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

Comments (4)

યાદ તવ નિતરે સખા… – ઊર્મિ

વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.

એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.

શ્વાસના ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!

શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!

જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!

ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…

-’ઊર્મિ’

ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત અને લાડકી બનેલી ઊર્મિનો આજે જન્મદિવસ છે. એની જ એક ગઝલ આજે લયસ્તરો પર જન્મદિવસની એક નાનકડી ભેટ તરીકે. ગંગાનું અવતરણ થતું હોય એમ ધસમસતી યાદોના પ્રપાતમાં શબ્દોનું ખાલીખમ થઈ જવું સ્વાભાવિક છે અને જ્યારે શબ્દ સાવ ખાલી થઈ જાય છે ત્યારે વરસાદ વરસી ગયા પછીના આભ જેવું સ્વચ્છ મૌન બહેકી ઊઠે છે. આવી મદમસ્ત યાદો નિતરતી હોય ત્યારે કાગળ પર જે કંઈ શબ્દ-ચિત્ર દોરાતા હોય છે એ જ તો છે સાચી કવિતા…

વર્ષગાંઠ મુબારક હો, ઊર્મિ!

Comments (15)

સંકેત – નીલેશ રાણા

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ? 
                        અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે 
                         ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !

– નીલેશ રાણા

‘પૃથ્વી પરના સ્વર્ગ’ને નરકમાં બદલનારાઓને સમર્પિત.

Comments (17)

છોરી પંજાબની – સિતાંશુ યશશ્ચંદ્ર

છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !

ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !

આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…

– સિતાંશુ યશશ્ચંદ્ર

પંજાબી છોકરીનું વ્યક્તિત્વ કાબેલ પીંછીના લસરકાથી આબાદ ઊપસી આવે છે. ગીતનો લય, વિચારનો તંતુ અને વર્ણનની ગરિમા – ત્રણે ક્યાંય ખોટકાતા નથી. ‘તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી’ – પાંચ શબ્દોમાં કવિએ એક આખા અધ્યાય જેટલી વાત કરી દીધી છે ! સરખાવો : કેરલ કન્યા.

(પંચનદ=પંજાબ)

Comments (3)

કેવી લડત છે – શેખાદમ આબુવાલા

સત છે અસત છે
સરતું જગત છે

કેવી લડત છે
હું છું જગત છે

દિલની લડત પર
સૌ એકમત છે

ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે

તારાં નયનમાં
શી આવડત છે

શાયરનું સ્વપ્નું
શાયરની લત છે

દિલ પાળી શકશે
દિલની શરત છે

મંઝિલ બરાબર
રસ્તો ગલત છે

સર્જન વિસર્જન
જાણે રમત છે

– શેખાદમ આબુવાલા

ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !

Comments (7)

પુષ્પ વિષે… – હેમેન શાહ

લખાવટ સુઘડ ને લચકદાર છે,
સુમન પ્રકૃતિના લલિત અક્ષરો,
ભ્રમર જાણે ખસતા અનુસ્વાર છે !

*

ભ્રમર ને પતંગાઓ મોડા પડ્યા,
ખતમ રાતભરમાં જ થઈ ગઈ મહેક,
હવાના ફૂલો પર દરોડા પડ્યા !

*

ચમનમાં છે મેળાવડાની ઝલક
ચમેલી, જૂઈ, કેતકી, ગુલછડી,
હલો ! આપનું નામ શું ? શું અટક ?

– હેમેન શાહ

ત્રિપદીઓ એટલી તાજી હવાની લહેરખી. વાંચો અને ચહેરા પર સ્મિત આવી જાય એટલું જ શું ઘણું નથી ?

Comments (9)

અષાઢ – ઉષા ઉપાધ્યાય

આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.

આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.

ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું  જોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

-ઉષા ઉપાધ્યાય

આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. આકાશી આંબો, વાદળનાં પાનાં, ઠોઠ નિશાળિયા જેવા ફોરાં, આકાશના નટનું વીજળીની દોરી પર રમવું, નભની નાર અને ચોરપગલે ભીંજાવા આવતા તડકા જેવા કલ્પનો કવિએ એવા બખૂબી વણી લીધાં છે કે સહેજે થઈ આવે કે ચાલ, ન્હાવા જઈએ…

Comments (3)

ગઝલ – નીતિન વડગામા

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

-નીતિન વડગામા

મહાભારતનો ગુરુ દ્રોણ દ્વારા કૌરવ-પાંડવોની કરાયેલી પંખીની આંખ વીંધવાની કસોટીનો સંદર્ભ લઈ નીતિન વડગામા કેવા મજાનાં અર્થવલયો સર્જે છે !

(આ મજાની ગઝલ મોકલવા બદલ રાહુલ શાહ, સુરતનો આભાર..!)

Comments (6)

ગઝલ – અનિલ ચાવડા

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

-અનિલ ચાવડા

જીવનમાં સોમાંથી નવ્વાણુંવાર આપણને વિચાર આવતો હોય છે કે અરેરેરે… આના બદલે આમ કર્યું હોત તો સારું થાત… આમ બોલાઈ ગયું એના બદલે કદાચ આમ બોલ્યો હોત તો સારું થાત… દોઢસો રૂપિયા નક્કામા કહી દીધા…સો કહ્યા હોત તો પણ એ આપી જ દેવાનો હતો…રાંડ્યા પછીનું ડહાપણ દરેકને સૂઝતું જ હોય છે. અનિલ કેવી સહજતાથી આટલી સર્વસામાન્ય વાતને અસામાન્ય કવિતાનું રૂપ આપી દે છે! વળી શ્વાસને પેન્સિલની બટકી જતી અણી સાથે સરખાવી કવિ બટકી ન શકે એવો ગંભીર વિચાર લઈને આવે છે. શ્વાસ તો જે ઘડીએ લઈએ એ જ ઘડીએ નાશ પામવા સર્જાયો છે. એ લેવાયો નથી કે પાછો મૂકવાનું કામ અનાયાસ થઈ જાય છે. આપણી જિંદગી પણ જે ક્ષણે શરૂ થાય છે એ જ ક્ષણે એનો અંત પણ નિશ્ચિત જ થઈ જાય છે. જીવનની આ ક્ષણભંગુરતાને શી રીતે શાશ્વત કરવી? કવિ કોઈ ઉકેલ લઈને નથી આવ્યા. કવિ માત્ર પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રસ્તુત પણ છે કેમકે આપણા વ્હાણો સ્વપ્નમાં જ ડૂબતા રહે છે. આપણી પાસે પ્રશ્ન પૂછવાનો અવકાશ પણ નથી. આપણા જીવનમાં ક્યારેય સવાર થતું જ નથી. માત્ર રાત્રિનો રંગ જ બદલાતો હોય છે જેને આપણે સવાર ગણીને જાતને છેતરતા રહીએ છીએ. પણ ખરું અજવાળું તો આપણે આપણા પેન્સિલપણાંને સમજીને અનહદ સાથે સૂર સાધીશું પછી જ થવાનું છે…

Comments (13)

અખંડિત ક્ષણ નથી – સુરેશ દલાલ

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !

પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !

હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !

અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

– સુરેશ દલાલ

આપણે કહેલી બધી વાતોને ભૂલીને ન કહેલી વાતોને પકડી રાખીએ છીએ.. એવુ કેમ ? કેમ મન જે અપ્રાપ્ય રહી ગયું એને જ પંપાળ્યા કરે છે ? કેમ દિલ બધા સહારાને ભૂલી જાય છે પણ દરેક ઘાવને ‘સમી સાંજ’ સુધી યાદ રાખે છે ?

Comments (13)

મુક્તક – વિનોદ ગાંધી

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

– વિનોદ ગાંધી

Comments (9)

એ શહેર – પ્રીતિ સેનગુપ્તા

હું એ શહેરમાં આવી છું
જ્યાં આપણી મુગ્ધતાના અવશેષો
ક્યારેક જોવા મળે છે.
જેની ધૂળ પર
આપણા પ્રેમાધિકારના પગલાં પાડ્યાં હતાં
તે રસ્તાઓ  પણ કેટલા રહ્યા છે?
નદીની વ્યાખ્યા પર હસતા પટમાં
વાવેતર થાય છે,
ખેતરોના વિનાશ પર
સંસારની ભીડ થઈ ગઈ છે.

આ શહેરમાં કશું અપેક્ષિત નથી.
વર્ષોથી અહીં પડી રહેલી
પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું –
પછી ગોઠવાઈ જાઉં છું
પ્રાણને પીડતા ચક્રવ્યૂહમાં,
નવાં નવાં લઘુનગરોના
અપરિચિત આકારોમાં.

નિમંત્રણ વગર,
મહેમાન બનીને આવી છું.
અધિકાર ખોઈને
પ્રગલ્ભતાનાં ચણતર કરવા આવી છું.
આપણું હતું તે બધાંનું
નિલામ કરવા આવી છું.

– પ્રીતિ સેનગુપ્તા

મને મારા પોતાના શહેર -સુરત-માં વર્ષો પછી માત્ર મહેમાન તરીકે જવાનો અનુભવ છે એટલે આ કવિતા મને મારી પોતાની લાગે છે. જે શહેરની નસે નસ જાણવાનો કેફ હતો એ શહેર અજાણ્યુ લાગે એ જીવનની એક વિચિત્ર અવસ્થા છે. પ્રગતિ – માણસ માટે અને શહેર માટે – બન્ને માટે જરૂરી છે. કોઈને સ્થગિત રહેવું પાલવે એમ નથી. પણ દોસ્ત, આંખનો એક ખૂણો ભીનો રાખીને જીવે જવાની પણ એક ખુમારી છે. ને વળી દૂર ખૂણેથી રાજેન્દ્ર શાહ ટેકો કરે છે : ઘરને ત્યજી જનારને /  મળતી વિશ્વ તણી વિશાળતા.

Comments (4)

ઓળખાણ – શકૂર સરવૈયા

લોકો કહે છે કે મારો બૌદ્ધિક વિકાસ થયો છે.
હું
મૌન, ચુપકીદી અને નિ:શબ્દતા વચ્ચેનો ફરક
સમજી શકું છું.
કેડી, મારગ અને રસ્તાઓનો તફાવત
મારા મગજમાં બરાબર બેસી ગયો છે.
નજર નાખવી, નીરખવું, ધ્યાન દેવું
વગેરે મને સમજાવવું નથી પડતું.
મારું, અમારું,
તારું, તમારું,
પારકું, પરાયું,
બીજાનું, આપણું
આ ભેદભાવો મનમાં
રેતીમાં પડતા પગલાની જેમ ચોખ્ખા દેખાય છે
સર્વાનુમતે જાહેર થયું છે કે હું સમજણો થયો છું.
મને લોકોની નાદાની ઉપર હસવું આવે છે.
તેઓને આની ખબર નથી :
હું બધાને
બહુ સારી રીતે ઓળખી ગયો છું.

– શકૂર સરવૈયા

કોઈએ ખરૂ જ કહ્યું છે, વહેવારની સમજ એટલે લાગણીને બુરખો પહેરાવવાની કેળવણી 🙂

Comments (4)

આપણા કાવ્ય-સામયિક – ૦૫ :કવિ

Kavi - Cover page

ગુજરાતી કાવ્ય સામયિક શ્રેણીની વાત ચાલતી હોય ત્યારે લુણાવાડા, પંચમહાલથી પ્રગટ થતા “કવિ”ની નોંધ લેવાનું વિસરી જઈએ એ ન ચાલે. પ્રો. મનોજકુમાર શાહ અને દિલીપ શાહના સંપાદન હેઠળ પ્રગટ થતું આ દ્વિમાસિક ઘણા વર્ષોથી નોંધપાત્ર કવિતાઓ ભાવક સમક્ષ પીરસે છે. ગણનાપાત્ર વિશેષાંકો એ આ સામયિકની ખૂબી છે. દેશ-વિદેશના કવિઓની કવિતાઓ ઠાંસી-ઠાંસીને ભરી હોવાથી વાચકને પૈસા વસૂલની લાગણી થયા વિના નહીં રહે. તમામ પ્રકારની કવિતાઓ ઉપરાંત અહીં પણ કાવ્યાસ્વાદો, કાવ્યાનુવાદો, કાવ્ય વિષયક પુસ્તકોની સમીક્ષાઓ, દેશ-વિદેશના સાહિત્યસ્વામીઓના પરિચય, સાહિત્યવૃત્ત અને કવિતા-ગઝલના સ્વરૂપ અંગેની અવારનવાર ચર્ચાઓ પણ દૃષ્ટિગોચર થાય છે.

*

કવિ” – દ્વિમાસિક
સંપાદક: શ્રી પ્રો. મનોજકુમાર શાહ, દિલીપ શાહ

લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 100/-, પરદેશ: 11 ડોલર, 8 પાઉન્ડ, આજીવન લવાજમ: રૂ. 1500/-
લવાજમ ‘કવિ’ના નામે ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: પ્રો. મનોજકુમાર શાહ, 18, મહર્ષિ અરવિંદ સોસાયટે, લુણાવાડા-389230. જિ. પંચમહાલ ફોન.: 02674-250273, 09377119646

Comments (6)

ગઝલ – ડૉ. મહેશ રાવલ

Mahesh Rawal - Majal kaapi ne betho chhu

(મહેશ રાવલના હસ્તાક્ષરમાં એમની જ એક ગઝલ કેલિગ્રાફી સ્વરૂપે)

મજલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું

ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

હવે શું અર્થ દરિયાનો
તરસને પીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું

ઉલેચી શ્વાસનો દરિયો
ઉંમર સ્થાપીને બેઠો છું

પ્રતીક્ષા છે સમયની બસ
અહીં ટાંપીને બેઠો છું

-ડૉ. મહેશ રાવલ

ડૉ. મહેશ રાવલની ગઝલો અને એમના મદમત્ત કરી દે એવા અવાજ અને તરન્નુમના કામણથી મોટા ભાગના નેટીજન પરિચિત છે જ. એમની કેલિગ્રાફીનો એક મજાનો નમૂનો એમના વ્યક્તિત્વના વધુ એક આયામના પરિચય સ્વરૂપે આજે અહીં મૂકીએ છીએ. જોગાનુજોગ ગઈએકાલે જ એમની વર્ષગાંઠ પણ હતી એટલે લયસ્તરો તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

પોતાની જાતને માપી લે એની જ સફર પૂરી થઈ ગણાય એવું અદભુત સત્ય ઉચ્ચારનાર આ કવિ પાસે કશું છાનું નથી. ઉઘાડા દ્વારથી વિશેષ ઉઘાડું શું હોઈ શકે? કવિ પાસે જે છે એ બધું જ આપી દઈને કવિ ઉઘાડા દ્વાર સમા બેઠા છે. અંદરના દ્વાર ઉઘડે ત્યારે જ બહારના અ-સીમ આકાશ સાથે તાદાત્મ્ય સધાય… ઉડવાનું કોને ન ગમે? પણ ઝંખનાને પાંખ જ ન ફૂટે તો? કવિને કોઈ અસુવિધા કે મુસીબતોનો કોઈ રંજ જ નથી. જ્યાં પાંખ ફૂટવી જોઈતી હતી ત્યાં એ ગઝલ સ્થાપીને બેઠા છે. હવે કહો, અમને ઉડતાં કોણ રોકશે?

Comments (14)

આમંત્રણ – ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)

કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…

Comments (7)

તદાકાર છું હું ! – રાજેન્દ્ર શુક્લ

સદા નિર્વિકારી, નથી મૃત્યુભીતિ,
ન તો જન્મ લીધો, નો માતા પિતા કો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

નથી દુઃખકારણ, ન હું દુઃખપૂર્ણ,
ન કો શત્રુમારે ન હું શત્રુ કોનો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

નથી રૂપ મારે, નથી કોઈ સીમા,
સકળ સ્થળથી પરહું અને કાળથી પર,
વસું છું બધામાં, બધું મુજ મહીં છે,
છું આનંદ હું વિશ્વવ્યાપી બધે છું;
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ,
તદાકાર છું હું તદાકાર છું હું !

અદેહી, ન હું દીહના કંઈ વિકારો,
ન તો ઈન્દ્રિયો, ઈન્દ્રિયોના વિકારો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

ન તો પાપ છું હું, ન તો પુણ્ય છું હું,
ન મંદિર, ન પૂજા, ન યાત્રા, ન ગ્રંથો,
છું સદ્રુપ, ચિદ્રુપ, આનંદપૂર્ણ;
તદાકાર છું હું તદાકાર છું હું !

– સ્વામી રામતીર્થ
– અનુવાદ રાજેન્દ્ર શુક્લ

સામાન્ય રીતે અનુવાદમાં કવિતાનો ખુરદો બોલી જતો હોય છે. આ કવિતાનો અનુવાદ એટલો મોહક થયો છે કે મૂળ અર્થ વધુ આકર્ષક રીતે ઉપસી આવે છે. સમસ્ત અખીલમાં વિસ્તરી રહેલ ભાવાતીત અસ્તિત્વની વાત બહુ સરસ રીતે કરી છે. મૂળ કવિતા સરખામણી માટે:

I am That

I have no scruple of change, nor fear of death
Nor was I ever born, nor I had parents
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

I cause no misery, nor I am miserable
I have no enemy, nor I am enemy
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

I am without form, without limit,
Beyond space, beyond time,
I am in everything, everything is in me
I ma the bliss of the universe, everywhere am I

I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,
I am without body, or change of body,
I am neither senses, nor object of senses

I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,
I am neither sin, nor virtue
Nor temple, nor worship
Nor pilgrimage, nor books
I am Existence Absolute, Knowledge Absolute, Bliss Absolute,
I am that, I am that,

– Swami Ramtirth

Comments (2)

હું અને મારી ગઝલ – હરજીવન દાફડા

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

– હરજીવન દાફડા

અંત:કરણની વાત, અને એય ટૂંકાણમાં, કહેવાનું મન થયું ત્યારે રચાઈ તે ગઝલ .. કેવી સરસ વાત ! જ્યારે ગઝલ પ્રગટે છે ત્યારે જ કવિનો પણ જન્મ થાય છે – એ વિચારે ‘હું અને મારી ગઝલ’ વધુ અર્થસભર બને છે.

Comments (10)

કૂંચી – શૂન્ય પાલનપુરી

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે,
સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે;
દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની,
કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે.

– શૂન્ય પાલનપુરી

Comments (5)