એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધવલ શાહ

ધવલ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અકડુ ઈતિહાસ – હાવર્ડ ઓલ્ટમેન (અનુ. ધવલ શાહ)

ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.

– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)

*

આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.

શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.

*
Holding Posture

History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.

– Howard Altmann

“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann

Comments (8)

પરમ આનંદ – હેયડન કરુથ

વર્ષો સુધી માત્ર મૈથુનમાં હતો અને મને
એનાથી વધારે ખબરેય નહોતી
                               ક્ષણિક
                                       પળ
માંડ એકાદ કે બે
જાતમાંથી બહાર નીકળી જવાની
                                       કે
સંગીતમાં જરા લાંબો ટકતો અને હું
ઉત્કૃષ્ટ વેદના-વલોણા
સૂરોથી ભર્યો ભર્યો 
                                       ને
આજે ય એટલો જ
ક્ષણિક અને અસ્પષ્ટ
બેઠો છું હું મારી ફાટલી ખુરશીમાં
શિયાળાની રાત્રે તાપણાંની બાજુમાં બહાર છે બરફ ને પવન
સૂસવાટા કરતો અને હું વિચારું છું
આખાય જગતમાં શાંતિ
                            શાંતિ
બધાય સુખી અને હૂંફાળા
એ અગાધ પીડાનું શમન 
                            ક્ષણ આ
તેજસ્વી અનુપમ આનંદની.

– હેયડન કરુથ
(અનુ. ધવલ શાહ)

પરમ આનંદ એટલે શું? – એનો જવાબ આ કવિતા છે. પરમ આનંદની ત્રણ અનુભૂતિઓ કવિ વર્ણવે છે.

પહેલી તે મૈથુનની ક્ષણ. એ પરમ આનંદની માત્ર ક્ષણિક અનુભૂતિ છે પણ અગત્યની વાત એ છે કે એ ક્ષણ માટે માણસ પોતાની જાતમાંથી બહર નીકળી જાય છે. બીજી અનુભૂતિ છે સંગીત. વેદનારંજીત સૂર જ્યારે હૈયાને વલોવી નાખે છે એ ક્ષણે કવિ પરમ આનંદ અનુભવે છે. આ આનંદ થોડો વધારે ટકે છે.

ત્રીજી અનુભૂતિ તદ્દન અલગ જાતની જાતની છે. કવિ શિયાળાની રાત્રે તાપણાની બાજુમાં બેઠા છે. એ વખતે કવિને એ હૂંફાળી, શાતાભરી ક્ષણ આખા વિશ્વમાં વિસ્તરતી અનુભવાય છે. આ ક્ષણે આનંદ ‘સ્વ’માંથી નીકળીને ‘સર્વ’ સુધી વિસ્તરે છે. આખી દુનિયાને શાતા થઈ છે એવું લાગે છે. એ ક્ષણે કવિને (જગતમાં રહેલી વિસંવાદિતાની) અગાધ પીડા શમતી લાગે છે. અને એનામાંથી પ્રગટે છે – તેજસ્વી અનુપમ આનંદ. જેમા આખુ વિશ્વ ભાગીદાર થઈ જાય એ પરમ આનંદની ક્ષણને જતા રહેવાનું કોઈ કારણ જ રહેતું નથી !

કરુથે નાના ગામમાં કુદરતના ખોળે નેકી અને મહેનતનું જીવન પસંદ કરેલું. પાછલી વયે જ્યારે એમની કવિતાને અનેક ઈનામો મળ્યા ત્યારે પણ એ જરાય બદલાયા નહોતા.

*  * *

Ecstasy by Hayden Carruth

For years it was in sex and I thought
this was the most of it
            so brief
                    a moment
or two of transport out of oneself
                    or
in music which lasted longer and filled me
with the exquisite wrenching agony
of the blues
        and now it is equally
transitory and obscure as I sit in my broken
chair that the cats have shredded
by the stove on a winter night with wind and snow
howling outside and I imagine
the whole world at peace
                at peace
and everyone comfortable and warm
the great pain assuaged
                    a moment
of the most shining and singular gratification.

Comments (3)

રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

Comments (10)

ઘાસ – કાર્લ સેન્ડબર્ગ

ઢગલો કરજો લાશોનો કુરુક્ષેત્ર ને પાણીપતમા. 
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર - 
        હું ઘાસ છું; હું બધું આવરી દઉં છું.

ને કરજો ઊંચો ઢગલો હલ્દીઘાટીમાં
ને કરજો ઊંચો ઢગલો કારગિલમાં ને પ્લાસીમાં.
બસ માટીમાં ઊતારી દેજો અને પછી છોડી દેજો મારા પર.
બે-પાંચ વરસમાં તો આવતા જતા લોકો પૂછશે: 
        આ વળી કઈ જગા છે?
        આપણે ક્યાં છીએ?

        હું ઘાસ છું. 
        મને કરવા દો મારું કામ.

– કાર્લ સેન્ડબર્ગ
(અનુવાદ – ધવલ શાહ)

માણસ પોતાની તાકાતનું સૌથી મોટું પ્રદર્શન યુદ્ધ કરીને કરે છે. ખડકે છે લાશો ને સીંચે છે લોહી. જીતનાર હરખાય છે અને હારનાર બીજા યુદ્ધની તૈયારીમાં લાગી જાય છે. પણ આ બધી સિદ્ધિઓનું સમયની આગળ કોઈ મૂલ્ય નથી. જે ભૂમિ માટે આટલું લોહી વહ્યું એનો તો ઉત્તર એક જ રહેવાનો છે : ધીમે ધીમે એ જમીન ઘાસથી આચ્છાદિત થઈ જાય છે. જે યુદ્ધ ખૂબ જરૂરી લાગતું હતું, જે યુદ્ધ જીવનમરણનો ખેલ લાગતું હતું એ પણ છેવટે ઈતિહાસનું એક પાનું જ થઈ જવાનું છે. તમને ગમે કે ન ગમે, કાળ બધાને એકસરખા કરી નાખે છે. નાનકડી કવિતામાં તુચ્છ ઘાસના પ્રતિકથી કવિ વિશ્વને બદલી નાખનારી ઘટનાઓનું ક્ષુલ્લકપણું છતું કરે છે. 

Comments (9)

વિકાસ – શુન્તારો તાનિકાવા

ત્રણ વર્ષે
મને ભૂતકાળ જેવું કંઈ હતું જ નહીં

પાંચ વર્ષે
મારો ભૂતકાળ ગઈકાલ સુધી જ પહોંચતો

સાત વર્ષે
મારો ભૂતકાળ પહોંચતો રાણા પ્રતાપ સુધી

અગિયાર  વર્ષે
મારો ભૂતકાળ પ્રસર્યો છેક ડાયનોસોર સુધી

ચૌદ વર્ષે
મારો ભૂતકાળ સંમત હતો પાઠ્યપુસ્તકો સાથે

સોળ વર્ષે
ભૂતકાળની અનંતતા સામે જોતા મને ડર લાગતો

અઢાર વર્ષે
મને સમય વિશે કશુંય જ્ઞાન નથી

– શુન્તારો તાનિકાવા
(અનુ. ધવલ શાહ)

માણસની સમજના વિકાસનો ગ્રાફ દોરી આપતું નવી જાતનું કાવ્ય.

નાની ઉંમરે સમયનો કંઈ ખ્યાલ ન હોય. પછી ધીમે ધીમે ગઈકાલનો, વિતેલી સદીઓનો, વિતેલા યુગોનો અને છેવટે પાઠ્યપુસ્તકમાં હોય એવી બધી જ ઘટનાઓનો ખ્યાલ આવતો જાય. ને પછી એક દિવસ ખ્યાલ આવે કે પાઠ્યપુસ્તક્નો પનો તો ભૂતકાળને માપવા માટે બહુ ટૂંકો પડે છે. ને છેલ્લે ખબર પડે કે સમયની આખી વિભાવના જ કેટલી તકલાદી છે … ને પછી જ (કદાચ) માણસના વિકાસની ખરી શરૂઆત થાય !

Comments (10)

સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા ઝીમ્બોર્સ્કા

The_Falling_Man
(The Falling Man, Photograph by Richard Drew)

એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.

ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.

બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.

પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.

એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.

હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.  

– વિસ્વાવા ઝીમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)

આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.

હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે. 

અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.

Comments (13)

ધસી જજે ! – મેરી ઓલિવર

તું યુવાન છે.
એટલે તને બધી જ ખબર છે.
ભલે તું હોડીમાં કૂદી પડ અને હંકારવા માંડ.
પણ પહેલા જરા મને સાંભળ.
ધમાલ વિના, અચકાટ વિના કે શંકા વિના.
સાંભળ. હું વાત કરું છું સીધી તારા આત્મા સાથે.

પાણીમાંથી હલેસા લઈ લે, જરા તારા બાવડાઓને આરામ કરવા દે.
અને તારા હૈયાને, ને હૈયામાંની જરાઅમથી બુદ્ધિને પણ આરામ કરવા દે.
ને મારી વાત સાંભળ.

પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.

જ્યારે તને માઈલો દૂરથી
તીણા ખડકોની ફરતે અમળાતા ને અફળાતા
અદીઠ જળનો ઘૂઘવાટ સંભળાય,
જ્યારે ભીનું ધુમ્મસ આવીને તારા ચહેરાને અડકી લે,
જ્યારે આગળ આવી રહેલા ખાબકતા ને ખળભળતા
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –

ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.

– મેરી ઓલિવર
(અનુવાદ -ધવલ શાહ)

જીવનમાં પ્રેમ હંમેશ બહુ મોટા જોખમ સાથે આવે છે. એક માણસ પર ઓવારી જવું એ આખી જીંદગી દાવ પર મૂકવાથી કમ જોખમ નથી. પ્રેમમાં ડગલે ને પગલે તકલીફો, અડચણો, ને કપરા ચડાણો છે. તો પછી કરવું શું ? પ્રેમની શોધ ચાલુ રાખવી કે એ રસ્તાથી દૂર જ રહેવું ? આ પ્રશ્નનો જવાબ આ કવિતા છે.

આખી કવિતા નવી પેઢીને – યુવાનને – સંબોધીને છે. કવિ શરૂઆત હળવી કરે છે. તું યુવાન છે એટલે તને બધી જ ખબર છે કહીને હળવો વ્યંગ કરે છે. પણ સાથે જ દિલ ખોલીને, જીંદગી શરૂ કરવાની ઉતાવળમાંથી બે ઘડી કાઢીને, પોતાની વાત સાંભળવાનું કહે છે.

પછી તરત કવિ મુદ્દાની વાત પર આવે છે : પ્રેમ વિના જીવન શક્ય તો છે પણ એ તદ્દન નકામું જીવન છે. અહીં કોઈ દાખલા દલીલ નથી. અહીં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કોઈ અડધી પડધી વાત નથી. કવિ સ્વયંપ્રકાશિત સત્ય કહેતા હોય એટલી દ્રઢતાથી આ વાત કહે છે. પ્રેમ વિનાના જીવનથી કવિને એટલી તો સૂગ છે કે એને એ નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ સાથે સરખાવે છે !

હોડી જીવનનું પ્રતિક છે. તો પ્રેમનું પ્રતિક શું રાખવું ? –  કવિ એના માટે જબરજસ્ત મોટા ધોધનું પ્રતિક પસંદ કરે છે. હોડી લઈને આવા ધોધમાં જવું એ મોટામાં મોટું જોખમ ગણાય.

છેલ્લી બે પંક્તિમાં કવિએ કમાલ કરી છે. જબરજસ્ત ધોધ – એટલે કે પ્રેમ – નું વર્ણન કર્યા પછી એ સલાહ શું આપે છે ? – પાછા ફરવાની ? – ના. સાવચેતી રાખવાની ? – ના. વિચાર કરવાની ? – ના. એ તો સલાહ આપે છે ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જીંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે !

જીંદગી બચાવવાનો એક જ રસ્તો છે -પ્રેમ. આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ.

(મૂળ અંગ્રેજી કવિતા નીચે મૂકી છે.)

Comments (12)

સંગીતને – રેનર મારિયા રિલ્કે

સંગીત: શીલ્પોનો શ્વાસોચ્છવાસ. કદાચ:
ચિત્રોનું મૌન. જ્યાં તું બોલે બધી ભાષાઓ
શમી જાય. તું હૈયાના લય પર ટેકવેલી એક ક્ષણ.

કોના માટેની લાગણી?  તું લાગણીનું રૂપાંતર,
પણ શેમાં?: સાંભળી શકાય એવી પ્રકૃતિમાં.
તું એક આગંતુક: સંગીત. તું અમારા હૈયામાંથી
વિકસેલો કોમળ ખૂણો. અમારી અંદરનો સૌથી અવાવરૂ ખૂણો,
જે ઊંચે ઊડીને, બહાર ધસી આવે છે,
– મહાભિનિષ્ક્રમણ.
જ્યારે અંતરતમ બિઁદુ આવીને ઊભું રહે છે
બહાર, બરાબર પડખે જ, વાતાવરણની
બીજી બાજુ થઈને:
નિર્મળ,
અનંત,
જેમાં હવે આપણાથી ન વસી શકાય.

– રેનર મારિયા રિલ્કે
(અનુવાદ: ધવલ શાહ)

સંગીતની વ્યાખ્યા શું? આ સવાલ પર તો સદીઓથી ચિંતન ચાલે છે. મોટા મોટા ચિંતકો અને ફિલસૂફોની વચ્ચે આ નાની કવિતાને પણ આ મહાપ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરવી છે.

પહેલા જ ફકરામાં કવિ સંગીતની ચાર અદભૂત વ્યાખ્યાઓ આપે છે: શીલ્પોનો શ્વાસોચ્છવાસ, ચિત્રોનું મૌન, ભાષાઓ શમી જાય પછીની ભાષા અને હૈયાના લય પર ટેકવેલી ક્ષણ. અહીં જ કાવ્યનો અંત થયો હોત તો પણ કાવ્ય સંપૂર્ણ બનત. પણ આ સામાન્ય કવિતા નથી અને રિલ્કે સામાન્ય કવિ નથી એટલે કવિતા આગળ ચાલે છે.

સંગીતને કવિ લાગણીનું સાંભળી શકાય એવી પ્રકૃતિમાં રૂપાંતર અને હૈયામાં વિકસેલો કોમળ ખૂણો કહે છે. અને સંગીતના બહાર આવવાની ઘટનાને કવિ મહાભિનિષ્ક્રમણ (holy departure) સાથે સરખાવે છે.  સંગીત જાણે બહાર આવે ત્યારે એ બધા સાંસારિક બંધનોને તોડીને જ આવે છે. કેટલી ઉમદા કલ્પના !

સંગીત – હ્રદયનું અંતરતમ બિંદુ – જ્યારે બહાર આવે ત્યારે તેને કવિ વાતાવરણની બીજી બાજુ કહે છે. જાણે અત્યાર સુધી હતુ એ બધું જ એક ક્ષણમાં બદલાઈ ગયું. આ વિશ્વ હવે નિર્મળ અને અનંત, સ્વર્ગસમ, જેમાં સામાન્ય જીવોને રહેવું પણ શક્ય નથી.

( મૂળ કવિતા તો જર્મન છે. આ અનુવાદ અંગ્રેજીના આધારે કર્યો છે જે નીચે મૂક્યો છે.)

Comments (16)

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

Comments (4)

પરમ સખા મૃત્યુ :૦૬ : મ્રત્યુ તું એક કવિતા છે – ગુલઝાર

મ્રત્યુ તું એક કવિતા છે
કવિતાનો વાયદો છે, મળશે મને

આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય
ફિક્કો ચાંદો જ્યારે ક્ષિતિજે પહોંચે
દિવસ તો હજુ પાણીમા અને રાત કિનારા પર
ન અંધારુ ન અજવાસ, ન હજુ દિવસ ન હવે રાત

જ્યારે શરીરનો અંત આવે ને આત્મા ઉઘડતો જાય
કવિતાનો વાયદો છે, મળશે મને

– ગુલઝાર
(અનુ. ધવલ શાહ)

આ કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. આ કવિતા ઘણા જુદા જુદા પ્રસંગે વાંચવામાં આવી ત્યારે,  સમય સાથે,  મારા મનમા એના અર્થવિભાવો બદલાતા ગયા છે. પણ કવિતાનો કેફ હજુ એવોને એવો જ છે.

પહેલી જ લીટી જુઓ તો કવિ સીધી જ મૃત્યુ સાથે વાત કરે છે : મૃત્યુ તુ એક કવિતા છે. અને એ પણ તુંકારાથી !

કવિ મૃત્યુને કવિતા કેમ કહે છે ? અરે ભાઈ, કવિને કઈ વસ્તુ પોતિકી લાગે ? કવિતા જ ને.  કવિતા કવિની ઓળખીતી ચીજ છે. કવિતા પર કવિને વિશ્વાસ છે. કવિ મૃત્યુને કવિતા સાથે સરખાવે છે કારણ કે  મૃત્યુ કવિને ઓળખીતું અને વિસ્વસનીય લાગે છે. જાણે કે પોતાનો ઓળખીતો ‘પર્સનલ ગાઈડ’ જેણે કવિને ચોક્કસ સમયે મળવાનો વાયદો કરેલો છે.

મૃત્યુની ક્ષણનું વર્ણન કવિ બે લીટીમાં આબેહૂબ કરે છે. આથમતા શ્વાસોમાં જ્યારે પીડાઓ પોઢી જાય. મૃત્યુ જીવનનો અંત તો છે એ વાત આપણે એટલી બધી ઘૂંટ્યા કરી છે કે મૃત્યુ બધી પીડાઓનો પણ અંત છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. (પીડાઓના અંતને તો વધાવવાનો જ હોય ને ?!! ) ફીક્કા ચહેરાવાળો ચંદ્ર પક્વફળ જીંદગીનું પ્રતિક છે જે છેક ક્ષિતિજ સુધી આવી પહોંચીં છે ને ડૂબવાની તૈયારીમાં છે.

એના પછીની બે પંક્તિમાં જીવન અને જીવન પછીની અવસ્થાના સંધિકાળની વાત છે. મૃત્યુની ક્ષણે જીંદગી પૂરી થવામાં છે પણ હજુ પૂરી થઈ નથી. અને જીંદગી પછીની અવસ્થા શરૂ થવામાં છે પણ હજુ શરૂ થઈ નથી.

આ સંધિકાળે કવિ મૃત્યુને કવિતારૂપે જુએ છે. મૃત્યુ માણસને જીવનમાંથી હાથ ઝાલીને જીવન પછીની અવસ્થામાં લઈ જશે એવી વાત છે. મૃત્યુ એક ‘પર્સનલ ગાઈડ’ છે જે કવિને તદ્દન નવી જગ્યાની ઓળખાણ કરાવશે.

આ બધુ ચિંતન કવિએ કશુ છ્તું કર્યા વિના તદ્દન સહજ શબ્દોમાં વણી લીધું છે.

ભાગ્યે જ કોઈને એ ખબર નહીં હોય કે આ કવિતા ગુલઝારે ‘આનંદ’ ફિલ્મ માટે લખેલી. ફિલ્મમાં અમિતાભે એટલી જ ભાવવાહી રીતે એને રજુ પણ કરેલી. તો સાંભળો મૂળ કવિતા અમિતાભના અવાજમાં :

Comments (11)

પ્રેમ જ પ્રેમ – ડેરેક વોલ્કોટ

એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.

ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે

આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.

– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)

માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.

ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.

Comments (12)

અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા
હું કોણ હતો કે કેવો હતો
એ કાંઈ મને યાદ નહીં રહે.

ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ
મારા અને ચક્રવ્યૂહની વચ્ચે
હતી માત્ર જીવલેણ નિકટતા
એ મને સમજાયું જ નહીં.

ચક્રવ્યૂહમાંથી નીકળીને
સ્વતંત્ર થઈ જાઉં તો ય
ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી.

મરુ કે મારુ,
ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું.
અશક્ય છે આ નિર્ણય.

સૂતેલો માણસ
ઊઠીને એક વાર ચાલવા માંડે,
પછી એ કદી સપનાના પ્રદેશમાં
પાછો નથી ફરી શકતો.

ચુકાદાના તેજ તળે
બધુ એકસરખું જ થઈ જશે ?
એક પલ્લામાં નપુંસકતા,
અને બીજામાં પૌરુષ,
અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
અર્ધસત્ય.

– દિલીપ ચિત્રે
( અનુ. ધવલ શાહ)

દિલીપ ચિત્રે એક બહુવિધ પ્રતિભા હતા. કથાકાર, ચિત્રકાર, દિગ્દર્શક, અનુવાદક એ બધુ ય ખરા પણ કવિતા એમનો પહેલો પ્રેમ. આજે એક પરથી બીજી કવિતા શોધતા એમની આ કવિતા હાથ લાગી ગઈ, જાણે અનુભવોની એક આખી પંગત સામટી બેસી ગઈ.

દિલીપ ચિત્રેએ આ કવિતા ‘અર્ધસત્ય’ ફિલ્મ માટે લખેલી. ‘અર્ધસત્ય’ ફિલ્મનો નાયક, અનંત વેલણકર, ફીલ્મમાં આ કવિતા વાંચે છે. પહેલી વાર તો સમજ નહોતી પડી પણ બીજી-ત્રીજી વારમાં જ્યારે સમજાઈ ત્યારે આ કવિતા વીજળીની જેમ પડેલી. એક આખી પેઢી માટે આ ફિલ્મ ભ્રષ્ટાચારના કલંક અને ઈમાનદાર લોકોની હતાશાનું પ્રતિક બની ગયેલી. વેવલી ગણાતી ‘આર્ટ ફિલ્મ’ જોવા લોકો લાઈન લગાડતા આ ફિલ્મ પછી થયેલા.

પહેલા આપણે જ એક અડધા સત્યને ત્રાજવાની દાંડી પર બેસાડીએ છીએ. અને પછી આપણે જ ફરિયાદ કરે રાખીએ છીએ કે નપુંસકતા અને પૌરુષમાં કોઈ ફરક નથી રહ્યો. ભ્રષ્ટાચારનો આખો ચક્રવ્યૂહ તોડવો હોય પહેલા અર્ધસત્યનો નાશ કરીને સત્યને ઉપર બેસાડવું પડે. પણ અર્ધસત્યને મહાત કરવાની આપણી ત્રેવડ નથી. ફિલ્મના અંતમાં અંનત વેલણકર તો ‘સર, મૈંને રામાશેટ્ટી કો માર દિયા’ બોલીને પોતાનું પૌરુષ પાછું મેળવી લે છે, પણ સાથેસાથે, આપણા કપાળ પર નપુંસકનું લેબલ મોટા અક્ષરે લગાડતો જાય છે. ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

( હિંદી કવિતા)

Comments (9)

સામાન્ય વેશ્યાને – વૉલ્ટ વ્હિટમેન

સ્વસ્થ થા – નિરાંત અનુભવ – હું વૉલ્ટ વ્હિટમેન,
ખુલ્લા દિલનો અને વાસનાયુક્ત
– કુદરત જેવો જ;
જ્યાં સુધી સૂર્ય તને તરછોડે નહીં, હું ય તને તરછોડીશ નહીં.
જ્યાં સુધી પાણી તારા માટે ચળકવાનું છોડે નહીં,
અને પાંદડા તારા માટે અવાજ કરવાનું બંધ ન કરે,
મારા શબ્દો પણ
તારે માટે ચળકવાનું કે અવાજ કરવાનું બંધ નહી કરે.

પ્રિયે, હું તને વચન આપું છું કે આપણે જરૂર મળશું – હવે તારી જવાબદારી છે કે તું
તારી જાતને મારે લાયક બનાવે.
હું ન આવું ત્યાં લગી ધીરજ રાખજે અને તારી જાતને પૂર્ણ બનાવજે.

ત્યાં સુધી, મારી નજરની સલામ તને,
જેથી તું મને ભૂલી ન જાય.

– વૉલ્ટ વ્હિટમેન
(અનુ. ધવલ શાહ)

વ્હિટમેન એટલે અમેરિકન કવિતાનો દાદો. છેલ્લા દોઢસો વર્ષના બધા અમેરિકન કવિઓ એની કવિતાઓ વાંચીને ઉછર્યા છે એવું કહી શકાય. વ્હિટમેન માણસમાત્રની સમાનતાનો ભારે આગ્રહી હતો. આ કવિતા એણે વેશ્યા વિશે લખી છે પણ કવિતાનું હાર્દ માણસમાત્રની સમાનતાનો સિદ્ધાંત છે.

કવિએ આખી કવિતા વેશ્યા સાથે અંગત વાત કરતા હોય એમ લખી છે. શરૂઆત જ કવિ એકદમ ઋજુતાથી કરે છે. સામાન્ય વેશ્યાનું સ્થાન સમાજમાં એકદમ નીચે ગણાય. પણ એની સાથે કવિ કેવી ખુલ્લા દિલે વાત કરે છે એ જુઓ. કવિ પોતાનો પરિચય આપતી વેળા જ પોતામાં રહેલી વાસનાવૃતિની કબૂલાત આપે છે. પણ તરત જ ઉમેરે છે કે મારામાં વાસના છે એ કુદરતમાં – પ્રકૃતિમાં – વાસના છે એવી જ છે. વાસનાને લીધે જ આ સૃષ્ટિ ચાલે છે એ હકીકતને કવિએ સહજતાથી કહી દીધી છે.

જેમ કુદરતી તત્વો માણસ માણસ વચ્ચે ઊંચ-નીચના ભેદ કરતા નથી, એ જ રીતે કવિ પણ બધા માણસોને સમાન ગણે છે એ વિચાર કવિતાનું હાર્દ છે.

એના પછીની પંક્તિઓમાં કવિ, વેશ્યાને ‘પ્રિયે’ કહે છે અને મિલનનો વાયદો કરે છે. આ વાયદો દૈહિક મિલનનો વાયદો નથી. આ વાયદો જીવનના સ્તરથી ઉપરના સ્તરે મળવાનો વાયદો છે. ગમે તેટલી નીચા સ્તરની, પતિત વ્યક્તિની પણ ઉન્નતિ શક્ય છે એવી કવિની દ્રઢ માન્યતાનો આ પડઘો છે. સાથે જ કવિ આ ઊંચા સ્તરે પહોંચવા માટે કોશિષ કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની પર જ નાખે છે. પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે – Individualismનો આ પાયાનો સિદ્ધાંત કવિએ બહુ માર્મિક રીતે મૂક્યો છે.

Comments (21)

પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (15)

ચાલતા ચાલતા – રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન

એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.

એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!

– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)

જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?

(મૂળ અંગ્રેજી કવિતા)

Comments (7)