જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષદ ત્રિવેદી

હર્ષદ ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાત અધૂરી- – હર્ષદ ત્રિવેદી

રહી છે વાત અધૂરી –
શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી –
.                                  રહી છે વાત અધૂરી –

એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
અકળ મૌનની આવજાવમાં સળવળ કરે સબૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત;
આમ ઝુરાપો અડધે મારગ, આમ જાતરા પૂરી!
.                                  રહી છે વાત અધૂરી –

– હર્ષદ ત્રિવેદી

કવિશ્રી હર્ષદ ત્રિવેદીને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે બહુમતીથી વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

જીવતર અધૂરું જ મધુરું લાગે. ખરી મજા જ અધૂરપની છે. વાત તો કરવી છે પણ પૂરી કરી શકાતી ન હોવાની અવઢવનું આ ગીત છે. પોતે જે કહેવું છે એ કહેવા માટે યોગ્ય શબ્દો ન જડે ત્યારે શબ્દ અને અર્થની વચ્ચે બહુ અંતર પડી ગયું હોવાની વેદના અનુભવાય. એક પળમાં શબ્દનો વરસાદ વરસે છે એમ લાગે તો બીજી જ પળે તડકો નીકળી આવે એમ મૌન પથરાઈ વળે. અભિવ્યક્તિની મોસમનું આ રૂપ બંને માટે અજાણ્યું છે. મૌન કળી ન શકાય અને સબૂરી પણ ખૂટી રહી હોય, સળવળ કરતી હોય ત્યારે કેવો વલોપાત હૈયું અનુભવે! જળમાં મારગ, મારગમાં જળ – જે શબ્દ જ્યાં બોલાવા જોઈએ એ બોલી નથી શકાતા અને જે નથી કહેવા જેવું એ કહેવાઈ જાય ત્યારે માટી જેવી આ જાત ઓગળવા માંડે… હોવાપણું લુપ્ત થતું લાગે એ પળે ઝીણું ઝીણું માંડ કાંતી શકાય છે. થોડું કહી શકાયું છે, થોડું નથી કહી શકાતું, વાત અધૂરી જ રહી છે, પરિણામે એક તરફ તો ઝૂરાપો એમનો એમ અનુભવાય છે, બીજી તરફ જાતરા પૂરી થયાનો પરિતોષ પણ થઈ રહ્યો છે. કહ્યું ને, અધૂરપમાં જ મધુરપ છે… ખરું ને?

Comments (6)

મળશું! – હર્ષદ ત્રિવેદી

ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું !

તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાંનું તો એવું –
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
.                                      ઓણ મળશું..

અમે એક સપનાને ખાતર પૂરું જીવતર ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યાં!
સપનાનું તો એવું –
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
.                                      ઓણ મળશું…

એ હતી અમાસી રાત તે કાજળ આંખ ભરીને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યા!
ચહેરાનું તો એવું –
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું !
.                                      ઓણ મળશું….

– હર્ષદ ત્રિવેદી

વાત મળવાની છે અને કથક મળવાને કૃતનિશ્ચયી પણ છે. આ વરસે નહીં તો આવતા વરસે નહિતર એના પછીના વરસે, પણ મળીશું એ નક્કી. આ સમયે અથવા પેલા સમયે, આ સ્થળે અથવા પેલા સ્થળે –ક્યાંય પણ અને ક્યારેય પણ; એમ સ્થળ-કાળની કોઈપણ સરહદમાં કથક બંધાતો નથી, એ બંધાય છે તો કેવળ મળવાની વાતે. નાયિકાની ઉતાવળ સામે કથકની ધીરજ મુકાબલે ચડી છે. સસલું હોય એ અધવચ્ચે ઊંઘમાં સરી જઈ શકે, કાચબો ધ્યેયપ્રાપ્તિ સુધી અટકતો નથી. કાયા પંચમહાભૂતમાં મળી જાય ત્યાં સુધીના મક્કમ નિર્ધાર સાથે કથક મળવાનું વચન પૂરું કરવાની કોશિશ પડતી મેલનાર નથી. મનગમતું સપનું મેળવવા કથકે આખી જિંદગી સાધના કરી છે, પણ સામા પક્ષે સ્વપ્ન કે સ્વપ્નસિદ્ધિ કરતાં ઊંઘના સુખની કિંમત વધુ હતી. કોઈપણ સંજોગોમાં સાયુજ્યનું સ્વપ્ન તો જોવું જ છે, ભલે એ ફળે નહીં ને આજીવન દાહ કેમ ન દેતું રહે. બે જણ કદાચ અમાસી રાતે અલગ થયાં હશે એટલે અંધારામાં ન દેખવું-ન દાઝવુંના ન્યાયે એકમેકનું દર્દ જોઈ ન શકાય એમ અલગ થયાં હશે એ વાત તરફ આંખ ભરીને કાજળ આંજવાનું પ્રતીક વાપરીને કવિ ઈશારો કરે છે. હવે અષાઢની બીજના આછા અજવાળામાં બંને આંખ અરીસાની જેમ માંજી લીધી છે, મતલબ આંખમાં આંસુય નથી અને દૃષ્ટિ પણ હવે સાફ છે. બે જણ મળી શકે અને ચહેરા પર મલકાટ આવી જાય તો ઉત્તમ, અન્યથા એકમેકને સુખી હોવાનો ડોળ કરીને છળતાં રહીશું… ટૂંકમાં, પુનર્મિલનની આશા અમર રાખીને જિંદગી જે આપે તે સ્વીકારીને જીવ્યે જવાનું છે,બસ.

Comments (10)

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોય અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ !

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કે દરિયો નથી કે ભાન ભુલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

 

હર્ષદ ત્રિવેદી

 

આવાં સરસ મજાનાં ગીતોની ખોટ સાલે છે ! છેલ્લી પંક્તિ તો જુઓ ! કેવી ઘેરી વેદના….

Comments (1)

એમ મારે જવાનું – હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સફળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

– હર્ષદ ત્રિવેદી

મૃત્યુની ગઝલ છે પણ આખી ગઝલમાં મૃત્યુ શબ્દ વપરાયો નથી. जातस्य हि ध्रुवो मृत्यु | જન્મ્યા એ દરેકે જવાનું જ છે પણ કેવી રીતે જવાનું છે એ વિશે કવિ બહુ સલૂકાઈથી વાત કરે છે. નગરમાં દરેકે સમય આવ્યે જે રીતે ઊપડવાનું છે , એ જ રીતે કથકે પણ જવાનું છે, પણ કથક રસ્તા સુદ્ધાંને ખબર ન પડે એવી સહજતાથી જવા ઇચ્છે છે. કામના સફળ જિંદગીની છે, જોયેલાં સ્વપ્નો જીવતેજીવ સાફલ્યતાનો સ્વાદ ચાખે એની છે, પણ જતી વખતે સિકંદરની માફક ખાલી હાથે, ખુલ્લી મુઠ્ઠીએ અને સફળ થયેલાં સ્વપ્નોનું ગુમાન આંખોમાં રહી ન જાય એ રીતે કથક જવા ચહે છે. જવાનું થાય ત્યારે ઘડપણના કારણે દોડવા જઈએ તો ચરણ લથડિયાં ખાય છે, એટલે ઊભાં ઊભાં વિવશ થઈને દુનિયાને દોડતી જોવાની છે.

ગઝલ છે, પણ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે, જે મૃત્યુના રંગ સાથે તંતોતંત ઉચિત જણાય છે.

અલસગમના – ધીમું ચાલનારી [અલસ (ધીમું) + ગમન (ચાલ) + આ (નારીજાતિનો પ્રત્યય)]

Comments (8)

એમ મારે જવાનું – હર્ષદ ત્રિવેદી

આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.

મુઠ્ઠી ખોલી સકળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ્ને કણ કણ જડે એમ મારે જવાનું.

મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું;
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.

ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.

સંધ્યાટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.

– હર્ષદ ત્રિવેદી

વાત જવાની છે….મૃત્યુ પણ હોઈ શકે….કોઈની જિંદગીમાંથી જવાની વાત પણ હોઈ શકે. એક જ ભાવ ઉજાગર કરતા શેરોમાં સહજરીતે ચમત્કૃતિ વણી લેવાઈ છે, જેમ કે બીજા શેરમાં સિકંદરની મૃત્યુટાણે ઉઘાડી રહી ગયેલી મુઠ્ઠીની વાત છે. ‘ખિસ્સામાં સ્મરણ ખખડે…’ – અભિવ્યક્તિ પણ સબળ છે. મને સૌથી વધુ પાંચમો શેર ગમ્યો. હૃદય જે કરવા માંગે છે તેને વ્યવહારમાં મૂકી નથી શકાતું-કારણ કોઈ પણ હોઈ શકે – એ વિવશતાને મસ્ત અંદાઝમાં ગૂંથી છે…..

Comments (1)

અજવાળાંના દેશે – હર્ષદ ત્રિવેદી

ઝીણી ને મધુરી વાગે ઘંટડી,
.            ધોરી ડમણું ખેંચે રે જૂના ગામનું,
.                       અણજાણ્યા મારગની કેડી સાંપડી…

અજવાળાના દેશે સાજણ સંચરો,
.            ઝલમલ વાણાં વાયે રે આઠે પ્હોર,
.                       અંજાતી આંખ્યુંમાં સૂરજની છડી…

સાદ કરી બોલાવે ઊંડી શેરિયું,
.            ખલકામાં ખોવાવું ધરવી ધાણ્ય જો,
.                       ઝાકળની ઝળહળમાં દેખું વા-ઝડી…

અળગા રે થાવું ને ભળવું ભેદમાં,
.            અંઘોળે અંઘોળે મનખો માંજવો;
.                       પલકારો પામ્યાની આવી રે ઘડી…

નરી રે નજરુંથી ભાળું ભળકડે,
.            હાથ રે લંબાવું છેટાં જોજનો,
.                       સૂનાં રે સપનાં ને સૂની આંખડી…

– હર્ષદ ત્રિવેદી

ઉંમરનું નાકું આવી લાગ્યું છે. આ ગાડું જૂનું થયું છે પણ ન થવાનું થયું છે. પાકટ વયે અજાણ્યા માર્ગની કેડી સાંપડી છે ને આતમરામ નામનો બળદ ખખડધજ ડમણિયાંને ઝીણી ને મધુરી ઘંટડી સાથે આ નવા મારગ પર ખેંચી લઈ જઈ રહ્યો છે… આ અણજાણ્યા મલકમાં સૂરજ ઊગી ચૂક્યો છે, અજવાળું જ અજવાળું છે. આધ્યાત્મની ઊંડી શેરીઓ જ્યારે સાદ કરીને બોલાવતી હોય ત્યારે ફકીરમાં-ગુરુમાં ખોવાઈ જવાનું હોય, એમને અર્ધ્ય આપવાનું હોય… આમ કરીએ તો ઝાકળમાં પણ વાવાઝોડું નજરે ચડે… યશોદાને મુખમાં બ્રહ્માંડ નહોતું દેખાયું? ‘હું’થી અળગાં થઈને મર્મજ્ઞાનમાં ભળવાનું છે, મનખાને માંજવાનો છે કેમકે પલકારો પામવાની ઘડી આવી ઊભી છે… વીજળીના ઝબકારે મોતીડાં પરોવવાનાં છે…

આધ્યાત્મની વાત બાજુએ મૂકીએ તો પણ ગીત એના લય અને મોટાભાગની પંક્તિઓમાં જોવા મળતી વર્ણસગાઈના આંતર્લયના કારણે વધુ આસ્વાદ્ય બન્યું છે.

ધોરી – બળદ
ડમણું – ગાડું
ખલકો – ફકીરનો ઝભ્ભો, કાયા
ભેદ – મર્મજ્ઞાન; એકત્વરૂપમાં પરિણત પુદ્ગલપિંડ (સ્થૂલ શરીર)નો વિભાગ થવો તે. પુદ્ગલ સ્પર્શ, રસ ગંધ અને વર્ણવાળા હોય છે તથા તે શબ્દ, બંધ, સુક્ષ્મત્વ, રથૂલત્વ, સંસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે. ભેદના પાંચ પ્રકાર છે: ઔત્કરિક, ચોર્ણિક, ખંડ, પ્રતર અને અનુતર. (ભગ્વદ્ગોમંડલમાંથી સાભાર)
અંઘોળ – સ્નાન
ભળકડું – ભડભાખળું, પ્રાતઃકાળ

Comments (3)

આવે છે ! – હર્ષદ ત્રિવેદી

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં મેર પછીય મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ –
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે !

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયા’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં ? ચારેકોર તડકો આવે છે !

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે !

– હર્ષદ ત્રિવેદી

 

Comments (8)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !

પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !

વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !

કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !

હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !

-હર્ષદ ત્રિવેદી

મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…

Comments (12)

અવાજની -હર્ષદ ત્રિવેદી

તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.

હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.

તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.

મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !

ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.

-હર્ષદ ત્રિવેદી

મજાની સરળભાષી ગઝલ… આમ તો પાંચેય શે’ર મજાનાં થયા પરંતુ મને સ્વભાવવાળો શે’ર ખાસ ગમી ગયો.  રસ્મો-રિવાજની પડી ન હોય એવી બગાવતો તો ઘણીવાર જોવા મળી જાય છે, પરંતુ કંઈ ન અડવાવાળા સ્વભાવાવાળી સ્થિતપ્રજ્ઞ અવસ્થા હોવી એ ઘણું કઠીન છે અને જીવનમાં એ પ્રમાણે જીવતાં જૂજ લોકો જોવા જરૂર મળે છે.

Comments (8)

ત્રણ પંચપદી – હર્ષદ ત્રિવેદી

કદી તો અમારે વિશે કૈં વિચારો,
અહીં રૂના ઢગમાં પડ્યો છે તિખારો;
પરિસ્થિતિ કાયમની આવી રહી છે,
ને બાકી ગઝલ એક ગાવી રહી છે;
ન દીઠો કદી કોઈએ આ નઝારો !

* * *

આપણી વચ્ચેની દૂરી ક્યાં ગઈ ?
જાળવેલી એ સબૂરી ક્યાં ગઈ ?
એમ લાગ્યું રણઝણે છે કોઈ સાજ,
સાંભળ્યો મેં દૂરથી તારો અવાજ;
બંદગીનો જીહજૂરી ક્યાં ગઈ ?

* * *

અલગ કંપ લાગ્યો મને આ ધરામાં,
તમે પગ મૂક્યો જ્યારથી ઉંબરામાં;
જગતને અમે જાગતું જોઈ લીધું,
કદી છાને ખૂણે જઈ રોઈ લીધું,
રહ્યું ના અજાણ્યું કોઈ જાતરામાં !

-હર્ષદ ત્રિવેદી

મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે…

Comments (2)

ગઝલ – હર્ષદ ત્રિવેદી

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

– હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરના ખેરાળી ગામના અને હાલ ગાંધીનગર મુકામે સ્થિત હર્ષદ ત્રિવેદી આજના અગ્રણી કવિ, સંપાદક અને વાર્તાકાર છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક. સાહિત્ય તરફની એમની ચીવટાઈ કેવી હશે એ તો શબ્દસૃષ્ટિનો એક અંક હાથમાં લઈએ કે તરત જ સમજાઈ જાય. એમની કવિતામાં અભિવ્યક્તિની નવીનતા અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. પ્રસ્તુત ગઝલ આમ તો આખી જ મજેદાર છે પણ જરા આખરી શેર ફરીથી વાંચો તો…..

(જન્મ: ૧૭-૦૭-૧૯૫૮, કાવ્યસંગ્રહો: ‘એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તારો અવાજ’.)

Comments (13)

લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર  નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…

Comments (16)

કાંકરી ખૂંચે છે – હર્ષદ ત્રિવેદી

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાન્તે હોય તો ય એકલાં નહીં
ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય
તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;

કોઇ બારણું અધૂકડું ખોલી ક્હે આવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સ્હેલું પણ ભળવાનું અઘરું
ને ખોવાનું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર
ક્યાંક મળવાનો એવો પણ છેલ !

કોઇ માંડે છે મધરાતે મીઠી રમત
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

–   હર્ષદ ત્રિવેદી 

Comments (2)