કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શબ્દોત્સવ

શબ્દોત્સવ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ

પાણીમાં   હરીફોની   હરીફાઈ   ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.

*

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું  છે  એ કે  છે  જનમ  કે  અવતાર;
મયખાનામાં  યે  સાચા  શરાબી  છે જૂજ,
મસ્જિદમાં  યે  છે  સાચાં નમાઝી બે-ચાર.

*

શ્રદ્ધાથી   બધો    ધર્મ વખોડું  છું હું,
હાથે  કરી  તકદીરને   તોડું  છું  હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

Comments (4)

શબ્દોત્સવ – ૭: મુક્તક – અમૃત ઘાયલ

જર  જોઇએ,  મને  ન ઝવેરાત જોઇએ,
ના  જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે  તો દોસ્ત તારી મુલાકાત  જોઇએ.

બાજુમાં ગુલ અને નજરમાં બહાર,
હાથમાં  જામ,  આંખડીમાં ખુમાર;
આવી પહોંચી સવારી ‘ઘાયલ’ની,
બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. 

( એક મુશાયરામાં પ્રવેશ વખતે બહુ જ દાદ મેળવેલ મુક્તક )

*

ઉલ્લાસની   ઉમંગની  અથવા  વિષાદની,
ફરિયાદની   હો  વાત, કે હો વાત યાદની;
થાતી  નથી  મુરખને કોઇ વાતની  અસર,
કડછીને ‘જાણ’ હોતી નથી રસની, સ્વાદની.

અમૃત ઘાયલ

Comments

શબ્દોત્સવ – ૭: મુક્તક : પેરિસમાં શું કરે છે ? – શેખાદમ આબુવાલા

આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે ?
લાંબી  સડકો પર એ  લાંબા કદમ  ભરે છે.
એ  કેવી રીતે ભૂલે પોતાની  પ્યારી માને !
પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે !

– શેખાદમ આબુવાલા

Comments

શબ્દોત્સવ – ૬: ભજન: મંગલ મન્દિર ખોલો ! – નરસિંહરાવ દિવેટિયા

મંગલ મન્દિર ખોલો
દયામય ! મંગલ મન્દિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય-તૃષાભર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !

– નરસિંહરાવ દિવેટિયા

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (જન્મ: 03-09-1859, મૃત્ય: 14-01-1937) પંડિતયુગના ઉત્તમકોટિના સર્જક છે. જાણીતા સાક્ષર કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી. વડનગરા નાગર. મુંબઈમાં ગુજરાતીના પ્રાધ્યાપક. પાછળથી ખેડા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર. જેવા કવિ એવા જ સંવેદનશીલ ગદ્યસર્જક. ક્યારેક કોઈ એક જ કૃતિ પણ કવિને અમર કરી દેતી હોય છે. યુવાનપુત્ર નલિનકાન્તના મૃત્યુપર્યંત રચેલા ‘સ્મરણસંહિતા’ દીર્ઘકાવ્યમાંનું આ  ભજનગીત એની સાબિતી છે. એમની એક બીજી અમર પંક્તિ છે: ‘છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખપ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’.

કાવ્યસંગ્રહો: ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’, ‘સ્મરણસંહિતા’.

Comments (1)

શબ્દોત્સવ – ૬: ભજન: સમય મારો સાધજે વ્હાલા !

સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….

જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….

કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….

આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા …. 

–  સંત પુનીત

Comments

શબ્દોત્સવ – ૬: ભજન: સાધો, તંબૂર પણ તરફડશે – હરીશ મીનાશ્રુ

સાધો, તંબૂર પણ તરફડશે
ભજનના એક જ ઘૂંટડા સારુ હરિ ઘૂંટણિયે પડશે.

મદિરા ભેગું મુરશિદ તેં
એવું શું દીધું પાઈ,
સાકી ને સાખીમાં અમને
ભેદ દીસે ના કાંઈ;
ભગતિનો પરસેવો સૂંઘી લીલાપુરુષ લડખડશે.

ખર્યા પાંદ પર દિકપાલે
બેસાડ્યા ચોકીપ્હેરા,
કરે ઠેકડી એક જ હળવી
મલયપવનની લ્હેરા;
ફરી વળગશે દીંટે જો હડફેટે સંતન ચડશે.

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી ભક્તિપદોમાં આ અલગ ભાત પાડે એવું આ ભજન છે. એમાં એક તરફ કબીરના પદોની છાયા છે. તો બીજી બાજુ ઉર્દુ ગઝલમાં વપરાતા (મૂરશિદ અને સાકી) અને પ્રાકૃત(મલયપવન) રૂપકોની પણ હાજરી છે.અહીં બહુ passionate ભક્તિની વાત છે. પોતાની જાત માટે તંબૂર શબ્દ વાપર્યો છે.  જ્યારે જાતમાં  તરફડાટ જાગશે ત્યારે એ એક ભજનને ખાતર હરિના ચરણમાં જઈ પડશે. ગુરુ(મુરશિદ)એ ભક્તિની મદિરા સાથે એવુ શુ પીવડાવી દીધું છે કે હવે સાકી અને સાખી(ઈશ્વરની સાક્ષી)નો ભેદ ભૂંસાતો જાય છે.  ભક્તિમાં એટલી જબરજસ્ત મહેનત હશે કે એના પરસેવાની સુંગધથી જ ઈશ્વર પીગળી જશે !  જીવનનું ખરેલું પાંદડું જે પવનમાં ધ્યેયહીન રખડી રહ્યું છે એ જો સંતની હડફેટમાં ચડશે તો ફરી પાછું ડાળ પર પહોંચશે. અહીં શબ્દોની પસંદગી જુઓ – સંતના સમાગમમાં આવવાની વાત ને માટે ‘હડફેટે ચડશે’ એવો મઝાનો અને તળપદો પ્રયોગ કર્યો છે. ફરી ફરી વાંચતા, આ લીસ્સા પથ્થર જેવું ગીત, મનને એક અલગ જ જાતની શાતા આપતું જાય છે.

Comments

શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.

*

અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.

*

વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.

*

વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.

-રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ કવિતા ભણી આકર્ષાયા. અનુગાંધીયુગના પ્રભાવશાળી કવિ. એમની કવિતાઓમાં અધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીનો હૃદયંગમ નવોન્મેષ થતો પ્રતીત થાય છે. એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલો પણ લખી.

કાવ્યસંગ્રહ: ‘ધ્વનિ’, ‘આંદોલન’, ‘ઉદ્ ગીતિ’, ‘શ્રુતિ’, ‘મધ્યમા’, ‘શાંત કોલાહલ’, ‘ચિત્રણા’ ‘વિષાદને સાદ’, ‘પત્રલેખા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘દક્ષિણા’, ‘પ્રસંગ સપ્તક’, ‘પંચપર્વા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’.

Comments (4)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – સ્નેહરશ્મિ

બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે

*

વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.

*

આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે

*

પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.

***

ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે

–  સ્નેહરશ્મિ

Comments (1)

શબ્દોત્સવ – ૫: હાઈકુ – પન્ના નાયક

અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં

– પન્ના નાયક

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…

Comments (12)

શબ્દોત્સવ – ૪: ગીત: ફુલ વીણ સખે! – કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

કલાપી

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: અનુભૂતિ – જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
                  કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
                  જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
                  એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
                  રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
                  આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
                  જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
                  જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને  ઠરવાનો
                  જળને છે ઝીણો સંતોષ !

– જગદીશ જોષી

Comments (1)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07-03-1916-મસ્તુપુરા, મૃત્યુ:28-02-1993,અમદાવાદ) એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતોથી આપણી ભાષાનો આગવો ટહુકો બની શક્યા છે. સરળતા, મધુરતા અને હૃદયસ્પર્શિતા એ એમની કવિતાની વિશેષતા.

ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. કૂખેથી કાણી ડોલ, ઢાંકણ વગરની બોખી શીશી, તૂટેલાં ચશ્માં અને આવો ઘણો બધો સામાન મધ્યમવર્ગના માનવીનું એક ચિત્ર વાચકના મનોજગતમાં દોરી રહે ત્યાંથી કવિતા આગળ વધે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ અસબાબ છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને છેલ્લી નજર નાંખે છે ત્યારે. અરે! આ તો એ જ ઘર, જ્યાં દામ્પત્યનો પહેલો મુગ્ધ દાયકો વિતાવ્યો હતો! અહીં જ તો ઈશ્વરકૃપા સમો પુત્ર મળ્યો! પણ એ સુખ ક્યાં કવિના નસીબમાં હતું જ? આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે ગમે ત્યાં સાથે તો લઈ જવાતી હતી ને! મહામૂલા પુત્રરત્નને તો અહીં જ મૂકી જવાનો હતો ને! મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

કાવ્યસંગ્રહ: ‘પરિક્રમા’., ‘કુંતલ’. બાળકાવ્યસંગ્રહ: ‘સોનચંપો’, ‘ઝરમરિયાં’, ‘અલ્લક દલ્લક’.

Comments (6)

શબ્દોત્સવ – ૩: સૉનેટ: છેલ્લી મંજિલ – સુંદરમ્

સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ!
સલામ, દિન કો ઊગે, દિન તણી ઊગે કેડી–ઓ
પ્રલમ્બ, મધુરી પ્રભાની, કનકાભ કો મેખલા;
ધરા પ્રણય-ધૂસરા મુજ પદોની ધાત્રી થતી.

અહો સુખ ઉરે ઘણું – ભવન તાહરે, મંજિલ !
હૂંફાળી તવ ગોદ, હૂંફભર તારી શય્યા સુખી,
સુખી મધુર આસવો, સુખભર્યાં ભર્યાં ભોજનો-
સદાય વસવું ગમે સુખદ સોણલે તાહરે.

અરે, પણ સદા ન મંજિલ કદાપિ વાસો બને.
નિશા સમયની ઘડી અબઘડી અહીં ગાળવી :
પ્રભાત કૂકડાની બાંગ સહ વાટને ઝાલવી.
સદા સફરી કાજ તો સ્વ-પથ એ જ સંગાથ હા,

સલામ : મુખ ફેરવી પગ હવે જશે, હા જશે :
ફરી ન મુખ તાહરું દૃગપથે કદી આવશે.

સુંદરમ્

(25-1-1952)

Comments

શબ્દોત્સવ – ૩: સૉનેટ: સખી મેં કલ્પી’તી – ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,
જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,
અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.
પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,
સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ.

સખી મેં વાંછી’તી વિરલ રસલીલાની પ્રતિમા,
સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,
અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,
જગે મર્દાનીમાં બઢવતી જ ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

– ઉમાશંકર જોશી
(‘નિશીથ’)

આ ઉમાશંકરના શ્રેષ્ટ સોનેટમાંથી એક છે. સખીનું અદભૂત વર્ણન તો સુંદર છે જ. પણ આ સોનેટને યાદગાર બનાવે છે એનો સંદેશ – પ્રિયજનની અપૂર્ણતા પણ એની મધુરતા છીનવી શકતી નથી !

Comments (1)

શબ્દોત્સવ – ૨: અછાંદસ: એક બપોરે – રાવજી પટેલ

મારા ખેતરના શેઢેથી
‘લ્યા ઊડી ગઈ સારસી !
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે.
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
એલે એઈ
બળદને હળે હવે જોતરીશ નંઈ…
મારા ખેતરને શેઢેથી –

-રાવજી પટેલ

ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામના વતની રાવજી પટેલ (જન્મ: 15-11-1939, મૃત્યુ: 10-08-1968) આયખાનો ત્રીસીનો આંકડો વતાવે એ પહેલા જ આ સારસીની પેઠે ઊડી નીકળ્યા. ક્ષયરોગની બિમારીમાં થયેલું અકાળ અવસાન આપણા સાહિત્યનો એક ગરવો અવાજ સમયથી પહેલાં છિનવી ગયું. કૃષિજીવન અને ગ્રામ્યપરિવેશ એમની કવિતાનો આત્મા. એ નિજત્વથી ભર્યો ભર્યો કવિ છે. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપતું નથી. અહીં આ કવિતામાં બહુ ઓછા વાક્યોમાં ગામડાના ખેતરનું ચિત્ર તાદ્દશ રચાય છે. ઉત્કટ પ્રેમના પ્રતીક રૂપ સારસીના એકાએક ઊડી ગયા બાદ નાયકની નકારાત્મક પદાવલિઓ ખેતર સમા જીવનના ખાલીપાના અર્થને અને એમાં કશું પણ ઉગાડી શકવાની ઈચ્છા અને શક્યતાઓને ઉજાગર કરે છે.

મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘અંગત’.

Comments (5)

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ફરતી ટેકરીઓ ને….રમેશ પારેખ

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

ખેતર ઉપર કંકુવરણું આભ ઊગે
ને કેટકેટલાં હંસ સમાં ચાંદાનાં ટોળાં ઊડે
ફરફરતી કૈં પવનકોરને લયની ઝાલર બાંધે

ચાસચાસમાં વાંભ વાંભનો કલરવ ઝૂલે

મને થાય કે હમણાં ભૂરી પાંખ સમેટી આભ ઊતરશે
કૂવાના મંડાણ લગી
ને કલબલ કલબલ માનસરોવર પીશે

હમણાં –
કોરાભસ કૂવાથાળે કૈં જળના દીવા થાશે

હમણાં –
ખાડાખૈયા સૂકાં પાનની જેમ તણાતા જાશે

હમણાં –
તરબોળાશે કેડી ત્યારે તરબોળાતી કેમ કરી રોકાશે મારી લાલ પછેડી ?

ત્યાં તો –
ઝળહળ ઝરતો પ્હોર
આભના ઘુમ્મટ પર ચીતરાય
પીળું ઘમરખ બપોરટાણું ધોમ તપે તડકો એવું કે
પડછાયાઓ વેંતવેંત પથ્થરમાં ઊતરી જાય
આંખ અને નભ વચ્ચે અંતરિયાળ ઓગળે
પસાર થાતા એકલદોકલ વનપંખીની કાય

ફરતી ટેકરીઓ ને વચ્ચોવચ્ચ આપણાં ખેતર, સોનલ…

રમેશ પારેખ

Comments

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ઘર – ઉદયન ઠકકર

મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.

હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.

ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’

ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?

– ઉદયન ઠકકર

મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર  તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !

Comments

શબ્દોત્સવ – ૧: ગઝલ: ચાલ મજાની આંબાવાડી! – ‘ગની’ દહીંવાળા

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

-‘ગની’ દહીંવાળા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17-08-1908, મૃત્યુ: 05-03-1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’

Comments (5)

શબ્દોત્સવ – ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ – જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

જવાહર બક્ષી

Comments (6)

શબ્દોત્સવ – ૧: ગઝલ: આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા – મુકુલ ચોકસી

શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા

હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા

કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા

સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા

સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા

હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા

ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા

ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

– મુકુલ ચોકસી

સૌથી મોઘાં વાઈનની બાટલી લોકો વર્ષો સુધી સંઘરી રાખે છે. અને કોઈ ખાસ અવસરના દિવસે જ એને ખોલે છે. આ ગઝલનું મારાં માટે એવું છે. મુકુલ ચોકસીની આ ગઝલ મારા માટે ખૂબ ખાસ છે. અમે આ ગઝલ સ્કૂલકાળમાં મહિનાઓ સુધી રોજ થોડી થોડી માણતા. દોસ્તો આના શેર અવારનવાર ટાંકતા. એ રીતે અમારા દોસ્તોમાં બધાની ખાસ ગઝલ થઈ ગયેલી. એના એક એક શેર સાથે કેટલીય યાદો સંકળાયેલી છે. મૂળ ગઝલ તો લગભગ પચ્ચીસ પાના લાંબી છે. એમાં ગહનચિંતનથી માંડીને તદ્દન રમતિયાળ એવા બધા પ્રકારના શેર છે. અહીં તો માત્ર થોડા શેર ટાંકુ છું. આ ગઝલ, એ દિવસોની યાદમાં જ્યારે ગઝલ એ વાંચવાની નહીં પણ જીવવાની ચીજ હતી !

Comments (6)

શબ્દોત્સવ : લયસ્તરોની બીજી વર્ષગાંઠની ઊજવણી

લયસ્તરોની બીજી વર્ષગાંઠની ઊજવણી માટે શબ્દોત્સવથી વધારે સારી રીત કઈ હોઈ શકે. આવતી કાલથી એક અઠવાડિયા સુધી રોજ અમે એક નવો કાવ્ય પ્રકાર આપની સામે રજૂ કરીશું. આવતી કાલે શરૂઆત ગઝલથી કરીશું. એ પછી અછાંદસ, સોનેટ, ગીત, હાઈકુ, ભજન અને છેલ્લે મુક્તકનો વારો. રોજ અમે ત્રણે જે તે કાવ્યપ્રકારની ત્રણ રચનાઓ મૂકીશું. એટલે કે સાત દિવસમાં કુલ એકવીસ રચનાઓ. તો આવતી કાલથી જોડાઓ અમારી સાથે લયસ્તરોની બીજી વર્ષગાંઠ નિમિત્તે આ શબ્દોત્સવમાં !

Comments (1)