ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2014

સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

Comments (9)

પ્રકરણ 36 – તાઓ-તે-ચિંગ – લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

સંકોચવું હોય પહેલાં વિસ્તારવું પડે છે.

નબળું પાડવું હોય તો મજબૂત બનાવવું પડે છે.

પાડવું હોય તો પહેલાં ઊંચે ચડાવવું પડે છે.

લેવું હોય તો પહેલાં આપવું પડે છે.

આનું નામ ‘સૂક્ષ્મ દ્રષ્ટિ ‘ :

મૃદુ કઠોર ઉપર વિજય મેળવે છે અને

દુર્બળ સબળ ઉપર વિજય મેળવે છે.

માછલીને દરિયા બહાર કાઢવી ન જોઈએ . રાજ્યના ઉપયોગી સાધનો લોકોને બતાવવાં ન જોઈએ.

[ Lin Yutang નામના સ્કોલરના મતે અંતિમ વાક્ય આ પ્રકરણનું નથી. તે પ્રકરણ 43 અથવા 78 માં બંધબેસતું છે. વાત સાચી લાગે છે ]

– લાઓ ત્ઝુ અનુ- નગીનદાસ પારેખ

તાઓ-તે-ચિંગ મારી અતિપ્રિય બુક છે. ઈતિહાસમાં કોઈક આટલી નાનકડી પુસ્તિકા આટલી બધી controversy ઊભી કરે તે વાત પોતે જ અજોડ છે. એક વર્ગે એની અત્યંત તીખી આલોચના કરી છે. એક વિદ્વાન સમીક્ષક ઓગણીસમી સદીના માથાના ફરેલા ફિલોસોફર Nietzsche ને ટાંકે છે – ‘ Those who know that they are profound strive for clarity. Those who would like to seem profound strive for obscurity. ‘ સામે પક્ષે ચાહક વર્ગ પણ એટલો જ મોટો છે. એ વાત ખરી કે પુસ્તકમાં મહદઅંશે ગુહ્ય ભાષા જ વપરાઈ છે અને અમુક પ્રકરણ બિલકુલ અસંબદ્ધ લાગે-જરાય ન સમજાય એવા છે, પરંતુ એનું કારણ સમય સાથે પ્રવેશેલી વિકૃતિઓ લાગે છે. એમ તો એક પ્રમાણભૂત અભ્યાસ અનુસાર ભગવદ ગીતા ખરેખર માત્ર 200 જ શ્લોકની છે, બાકીનું બધું repetition જ છે જે કાળક્રમે ઉમેરાતું ગયું.

આ પ્રકરણ 36નું ભાષાંતર છે.

અર્થઘટન સૌ ભાવક પોતપોતાની રીતે કરે તો જ આ પુસ્તકનો મૂળભૂત હેતુ સચવાય તેથી અર્થઘટન કરવાની ધ્રુષ્ટતા હું નહીં કરું.

Comments (2)

પુરુષ અડતો સ્ત્રીને – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

અમે જઈ ઊભાં ઊંચે લળતી નાળિયેરી તળે,
સમુદ્ર મરજાદ શી નીલમ વેલ લૂમે વળે
નીચે પગ કને : તિમિર તણી પાંખ માંહી જરી
લપાઈ સુણતા પણે મુખર સાગરી ખંજરી.

પુરુષ અડતો સ્ત્રીને પ્રથમ વાર, ને સ્ત્રીય તે
વ્રીડા પ્રથમ ચુંબને ધરત; ને ઉન્હી સંગતે
સમુદ્ર, તરુ, વેલીઓ, સમીર ને દીવા દૂરના,
ત્રિલોક ગળતું મિષે ઉભય નેહના નૂરમાં.

જરીક થડકી ઊઠી હું અણચિંતવ્યા પ્રશ્નથી:
‘પ્રિયા ! પ્રિયતમા ! કહે, ક્યમ તું આટલા વર્ષથી
હતી વરી ચૂકી છતાંય મુજથી રહી વેગળી?’
‘તમેય…’ હુંય ઉચ્ચરી, ‘ક્યમ ન વાંસળી સાંભળી?’

અમે વરસ વેડફ્યાં ઉભય પ્રીતની શંકમાં,
કદી ન અળગાં થશું ! જીવશું એકડા અંકમાં !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

વરસોની મિત્રાચારી હોય પણ શરમ ને શંકામાં પ્રીતનો એકરાર કરી ન શકનાર એક યુગલ આજે ઢળતી સાંજે સમુદ્રકિનારે આવ્યું છે. પોતાનું એકાંત ન ઓજપાય એ માટે સમુદ્રથી દૂર એમણે ઝાડ પણ નારિયેળીનું પસંદ કર્યું છે – રખે ને એમનો પ્રેમાલાપ સાંભળી જાય ! અંધારાની આડશે લપાઈને દરિયાના મોજાંનું સંગીત સાંભળતા ઊભા છે.

પ્રથમ સ્પર્શ ! પ્રથમ ચુંબન ! સ્ત્રી પોતાની શરમ એ ચુંબનને અર્પણ કરી દે છે. પ્રણયના અજવાળામાં ત્રણેય લોક ઓગળી જાય છે. (શબ્દ પ્રયોગ તો જુઓ, સાહેબ – “ઉન્હી સંગતે” ! ત્રીસીના દાયકાનો કવિ પરંપરાના સૉનેટમાં હિન્દી શબ્દ ગોઠવી દે છે અને એ પણ એવી કુશળતાથી કે જરાય ખટકે નહીં)

Comments (4)

મૂંઝવણ્ય – પ્રદ્યુમ્ન તન્ના

એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી
પણ વણથંભ ચાલતી ચણભણ ચિતની હાયે જાયે ક્યમ રોકી ?!

તાવ હોયે તો વૈદ કને જઈ
ઓસડિયાં લઈં ફાકી,
ને ઝૂડ હોય તો નોતરી ભૂવો
ટૂમણથી દઈં હાંકી !
પણ ઉરની અકળ મૂંઝવણ્ય મીઠી કહીં જઈ દઈં ઓકી ?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી

કઠતો હોયે કમખો કે પછેં
સાવ કોરો કોક વાઘો,
ઉતારવાની દેર કે તુરત
સમૂળગો થાય આઘો
પણ પ્રાણ સું વળગી પીડ્ય પ્રીત્યુંની થાયે કહો ક્યમ નોખી ?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી

– પ્રદ્યુમ્ન તન્ના

ઓળઘોળ થઈ જવાનું મન થાય એવું ગીત. અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં કવિનું તળપદું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે.

વાણી ધમાલ મચાવે તો ભીડેલા હોઠની ચોકી મૂકીને શમાવી દેવાય પણ ચિત્તમાં જે વણથંભી ચણભણ ચાલે છે એને કેમની રોકવી ? તાવ હોય તો વૈદ અને બલા વળગી હોય તો ભૂવો બોલાવી શકાય પણ હૈયાની અકળ મૂંઝવણ ક્યાં જઈને ઓકી શકાય? કમખો ખૂંચતો હોય કે કોરા કપડાં ખૂંચતા હોય તો એને ઊતારી મેલતાવેંત એમાંથી સમૂળગી મુક્તિ પણ પ્રાણની જેમ પ્રણયની જે પીડા વળગી પડી છે એને કેમ કરીને નોખી કરવી ?

Comments (5)

નીકળી જવાનું છે – ડૉ મનોજ જોશી

આ નાચમનાચમાંથી આપણે નીકળી જવાનું છે,
પદારથ પાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધેથી વાળીચોળીને કરો અસ્તિત્વને ભેગું,
ખૂણા ને ખાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

બધાની જેમ એણે પણ તમોને છેતર્યા તો છે,
અરીસા-કાચમાંથી આપણે નીકળી જવાનું છે.

તમે ધાર્યા મુજબ ક્યારેય પણ આકાર ના પામ્યા,
જીવનની ટાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

જરા મુશ્કેલ છે કિન્તુ, ચહો તો થઇ શકે ચોક્ક્સ,
સમયની ચાંચમાંથી આપણે નીકળી જવાનું છે.

-ડૉ. મનોજ જોશી ‘મન’

Res Ipsa Loquitur !

Comments (12)

કહું – હરીન્દ્ર દવે

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

– હરીન્દ્ર દવે

Comments (8)

નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (8)

વરસાદ પછી – લાભશંકર ઠાકર

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમુનાજલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતાં
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નૈનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ કનૈયો ?

– લાભશંકર ઠાકર

વરસાદ પછીની ભીની ભીની ધરતી જાણે યમુનામાં સ્નાન કરીને નીકળતી રાધા હોય ને તડકાના ધોળા ટુવાલથી દેહ લૂછતી હોય અને કવિના શ્યામ નયન શ્યામ ખુદ હોય અને એ રૂપના ઘૂંટ ભરતો હોય એવું મજાનું કલ્પન “ગાગાગાગા”ના ચાર આવર્તનના કારણે રેવાલ ચાલે ચાલતા ઘોડાની ગતિની મસ્તીનો અનુભવ કરાવે છે.

Comments (3)

જડ્યો જડ્યો હું જડ્યો – અનિલ ચાવડા

જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.

નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પિંડ તમે બાંધ્યો મારો તો હુંય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું !
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.

– અનિલ ચાવડા

કેવા સરળ શબ્દો, કેવા સહજ કલ્પન અને કેવી મોટી વાત ! વાહ કવિ !!

*

દિલ્હી સાહિત્ય અકાદમી’ દ્વારા આપવામાં આવતો ‘યુવાગૌરવ પુરસ્કાર’ આ વર્ષે કવિમિત્ર અનિલ ચાવડાને ‘સવાર લઈને’ સંગ્રહ માટે મળનાર છે. ટીમ લયસ્તરો તરફથી અનિલને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ….

Comments (11)

મેઘ-મુબારક – નીતિન વડગામા

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

લાંબી ગઝલ પણ બધાઅ જ શેર સ-રસ ! મેઘ-મુબારક જેવી અનુઠી રદીફ પણ કવિ દસે-દસ શેરમાં કેવા બખૂબી નિભાવી શક્યા છે !

Comments (7)

મરજાદીની વાત – જવાહર બક્ષી

ઇચ્છાય વળી મરજાદી ક્યાં ઝટમાં બોલે,
બોલે તોપણ ક્યારે કૈં પરગટમાં બોલે.

ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની,
ઝાંઝર પણ પડઘાઈને ઘૂંઘટમાં બોલે.

ઘરખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે,
આખી રાતનું અંધારું પનઘટમાં બોલે.

લાગણીઓની જાત જનમથી છે મિતભાષી,
વરસે અનરાધાર અને વાછટમાં બોલે.

સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું,
એ ધારી કે કોઈ તો ઉપરવટમાં બોલે.

– જવાહર બક્ષી

મક્તાનો શેર બાકીના શેરની સામે ઝાંખો પડતો લાગ્યો. બાકી સરસ અભિવ્યક્તિઓ સાથે નાજુક રજૂઆત…..

Comments (5)

દેવ બન્યા તે પહેલાં….. – મનીષા જોષી

આપણા સૌની સામૂહિક ચેતનાના ઢગલા પર બેઠેલા
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયાઓ હું જોઈ શકું છું.
મંદીરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતા
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા
તેના ચાર પગ પર ચઢવા જતા
હું કેટલીયે વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાઓની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે
પણ હું ક્યારેય તેમની વચ્ચેથી પસાર નથી થઇ શકતી.
જો કે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે
રસ્તા પર રઝળતાં નધણિયાતાં પ્રાણીઓ
અને ઉત્સવપ્રિય લોકોનાં ટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો દેખાય છે
કેટલાયે જાણીતા અને ઓછા જાણીતા દેવો,
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત્ત,
દેવ બન્યા તે પહેલાંના અવતારમાં.
વરદાન આપતાં શીખ્યા તે પહેલાંના રૂપમાં.
માત્ર બે જ હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી પત્તાં રમી રહેલા દેવો.

– મનીષા જોષી

દેવ એ માનવની કલ્પના છે. પાપ-પુણ્યની વ્યાખ્યા ભલભલા માંધાતાઓ પણ નથી કરી શક્યા. કાવ્ય ગર્ભિત અર્થોથી સભર છે. પરંપરાગત સ્થૂળ ભક્તિથી મોહભંગ થતાં સાંખ્ય ઇત્યાદિના માર્ગે સ્વર્ગારોહણનો પ્રયાસ કરે છે કવિ. જરાક દ્રષ્ટિ વિશાળ થતા દેખાય છે બે વર્ગ – એક કે જે ઓછો ચતુર છે……તે દેવપૂજામાં રત છે. અને બીજો જે થોડો વધુ ચતુર છે તે દેવ બનીને પ્રમાદમાં રત છે.

Comments (8)

એક લાલ ગુલાબ – રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

પ્રિય ! મારો પ્રેમ છે લાલ, લાલ ગુલાબ સમો,
જે જુનમાં ખીલે છે નવોનવો;
પ્રિય ! મારો પ્રેમ જાણે છે સંગીતની ધૂન,
જેને મીઠાશથી વહે છે સૂર.

જેટલી ગૌર તું છે, મારી નમણી રમણી,
એટલો ગળાડૂબ છું હું પ્રેમમાં;
અને હું ચાહતો રહીશ તને, મારી પ્રિયા,
સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો

સૂકાઈ જાય જ્યાં સુધી સહુ સમંદરો, પ્રિયે !
અને સૂર્ય પીગાળી દે સહુ ખડકોને;
અને હું છતાં પણ તને ચાહતો રહીશ, પ્રિયે,
જ્યાં સુધી જીવનની રેતી સરતી રહેશે…

અને હું રજા લઉં છું, મારી એકમાત્ર પ્રિયા !
અને હું રજા લઉં છું થોડી વાર માટે;
અને હું ફરીને આવીશ, મારી પ્રિયા,
ભલે વચ્ચે હજારો માઇલ કેમ ન પથરાયા હોય.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
અઢારમી સદીમાં લખાયું હોવા છતાં જુન મહિનામાં ખીલેલા લાલચટ્ટાક ગુલાબ જેવું તરોતાજા ગીત. સીધી દિલને સ્પર્શી જાય એવી વાત. અંગ્રેજી ભાષામાં આ ગીત ખૂબ વખણાયેલું અને ખૂબ ગવાયું છે.

*

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.
Robert Burns

Comments (2)

લેખાં-જોખાં – માધવપ્રિયસ્વામી

તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં,
.                         કેમ થાય લેખાં ને જોખાં !

ડૂબી ગઈ પેઢિયું ને લૂંટાયા માલ રામ,
.                         ખટકે છે ખાલી આ ખોખાં !

સિંહોની બોડ્ય જિયાં રુએ શિયાળ તિયાં,
.                         કરવા શું કાયરું ના ધોખા !

હંસોનાં રાજ ગયા બગલાનાં કાજ થયા,
.                         અંદર મેલા ને બા’ર ચોખા !

માનવીના માલખામાં માયાની છાંટ નહીં ,
.                         માણસ કે જારનાં મલોખાં !

હૈયાની વાત રામ હોઠે લવાય ના,
.                         માટીના રંગ નિત નોખા !

– માધવપ્રિયસ્વામી

સર્વકાલીન સમાજને ચપોચપ બંધબેસતી વાત…

Comments (7)

ગીત – હિતેન આનંદપરા

આથમતી સાંજ લઈ લખવાને બેઠો છું છેલ્લો કાગળ તને આજે
પહેલો અક્ષર હજી માંડું ત્યાં આંગળીએ ધ્રુજારી ધ્રુજારી બાજે.

પ્રિય તને લખવાનો હક ના રહ્યો એવું કાનોમાં કહે છે હવા
નામ તારું હળવેથી નીકળી ગયું કોઈ બીજાની પાસે જવા.
સંબોધન લખવાની લીલી જગા પર
ખાલીપો આવી બિરાજે.

યાદ મને આવે છે સોનેરી દિવસોમાં ફૂલ સમું આપણું ઊઘડવું,
મળવામાં મોડું જો થાય એ વાતને ઘટના બનાવી ઝઘડવું.
નદીઓ બે જુદી જગાઓની વહેતી’તી
આપણામાં એક જ અવાજે.

એ મોસમ ગઈ, એ દિવસો ગયા, બસ સ્મરણોનો કેફ રહ્યો બાકી,
ગળતી દીવાલો બહુ થાકી ગઈ તો એણે આંખોને બાનમાં રાખી.
આંસુની નોંધ કોઈ લેતું નથી,
ઉપરથી ચહેરાઓ દાઝે.

– હિતેન આનંદપરા

સંબંધ ફાટી જાય ત્યારે છેલ્લો કાગળ લખવાની વેદના આમ તો રક્તનીંગળતી હોવાની પણ પ્રેમ દિલથી કર્યો હોય ત્યારે જુદાઈમાં કોઈ પણ ફરિયાદ વિનાની આવી સમતા જોવા મળે.

Comments (8)

નિર્વ્યાજસ્તુતિ – પંચમ શુક્લ

IMG_9422

તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …

તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …

તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …

તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …

તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …

તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …

– પંચમ શુક્લ

જીવ અને શીવઃ આ વિષય પર ઘણા કાવ્યો છે. પણ આ કાવ્યની અલગ મજા છે. કલ્પનોની નવીનતા અને શબ્દોની પસંદગી તો દાદ માંગી લે તેવી છે જ. એ ઉપરાંત, આટલા ગહન-ગંભીર વિષયના કાવ્યમાં પણ સૂક્ષ્મ વિનોદ વણી લીધો છે એ અલગ.

Comments (12)

પંચતત્ત્વ (ગણપતિ ગીત) – મકરંદ મુસળે

પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી,
દુંદાળા તારી મૂર્તિમાં એ જ તત્વ કાં બાકી ?

થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ
જળચર મરવાનાં છે કેમિકલને ચાખી ચાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

આતશબાજી, ધૂળ-ધુમાડા, શ્વાસ ગયો રૂંધાઈ,
ઢોલ, નગારાં, ડી.જે. ગર્જે કાન ગયા ગભરાઈ
આંખ હવાએ ચોળી રાતી, કાળી ખાંસી ખાધી
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

સરઘસ ટાણે ટોળું આવી ક્યાંક પલીતો ચાંપે,
અગ્નિ નામે તત્વ ભરાઈ બેઠું બોમ ધડાકે,
આગ હવે જોવા ટેવાયા, આંખે પાણી રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

મારા મનનું પંખી માંગે એક જ ટુકડો આભ,
એય પચાવી બેઠા તારી મૂર્તિઓના પ્હાડ,
આભ બની લાચાર જુએ છે, મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

બોલ શરમ રાખું કે માણસ-ધરમ હવે નિભાવું?
બોલ ગજાનન આ વર્ષે પણ તને ફરી બોલાવું?
તું સમજીને ના આવે એવી ઇચ્છા મેં રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

– મકરંદ મુસળે

અંગ્રેજી સામ્રાજ્ય સામે લડવા માટે જરૂરી એકતા પ્રજામાં જન્મે એ માટે બાળગંગાધર લોકમાન્ય ટિળકે ગણેશપૂજાના શ્રીગણેશ કર્યા ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એકતાના સ્થાને આ પ્રથા ધીકતો વેપાર બની જશે. ટોળું, કાન-ફાડ ઘોંઘાટ, સમયનો વેડફાટ, ઇવ-ટિઝિંગ, પ્રદુષણ અને કવચિત્ કોમી હુલ્લડ એ આજે આ તહેવારનું મુખ્ય આભૂષણ બની બેઠાં છે એવામાં કવિ મકરંદ મુસળે માટીથી શરૂ કરી એક પછી એક અંતરામાં એક પછી એક પંચત્ત્ત્વને સ્પર્શીને સાંપ્રત સમસ્યાને યથાર્થ વાચા આપે છે.

Comments (9)

કરે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.

રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતાં શીખ્યો,
કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે .

પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ ગઝલના મક્તાએ મને ખાસ આકર્ષ્યો….. આ વાત સૂક્ષ્મરૂપે સદીઓથી માનવજાતને લાગુ પડેલો મહારોગ છે. સત્યની આસપાસ એવો અદભૂત લુચ્ચાઈ-ચતુરાઈથી સાત કોઠાનો વ્યૂહ ઘડી કાઢવામાં આવે છે કે પછી……. કહેવાતા આધ્યાત્મમાર્ગીઓ પણ આમાંથી બાકાત નથી. તટસ્થ આંતરદર્શન અને આમૂલ પરિવર્તન વિના આ રોગનો કોઈ ઈલાજ નથી.

Comments (6)

ના તરછોડો – સંજુ વાળા

અધવચ ના તરછોડો
કોઈ કંઠનો હાર બનીને છોને મ્હાલે
.                 અમે રહીશું થઈને પગનો તોડો.
.                         જી…અધવચ ના તરછોડો

છોને ખૂણે પાળી-પોષી અમે ઉછેર્યું મબલખ,
એ મબલખની માથે ઊગ્યાં અણધાર્યાં આ દઃખ.
કેમ છોડીએ વાળે વાળે વાત પરોવી
.                    કચકચાવી બાંધ્યો જે અંબોડો !
.                         રે…અધવચ ના તરછોડો !

હજુ લોહીમાં રણઝણ થાતાં હાથ મળ્યાનાં કંપન,
એ કંપનના શરમશેરડા થયા આંખનું અંજન
ભરી તાંસળી દો છુટકારો એ જ હાથથી
.                      વહાલું, એ હાથે જો ડોક મરોડો.
.                         પણ…અધવચ ના તરછોડો !

– સંજુ વાળા

મીરાંબાઈ કૃષ્ણભક્તિનું કોઈ પદ લખે એ આરતથી સંજુ વાળા પ્રણયગીત આલેખે છે. ભલે પગનો તોડો બનાવીને રાખો, ભલે કોઈ બીજું ગળાનો હાર બની જાય પણ અમને અધવચ્ચેથી તરછોડશો નહીં. એક-એક વાળમાં પરોવેલી વાત અને જાતનું કલ્પન તથા આ પાર યા ઓ પારની ધંખા કવિતાને વધુ આસ્વાદ્ય બનાવે છે.

 

Comments (8)

શ્રી મનના શ્લોક – સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)

man na shlok

*

લગભગ ચારસો વર્ષ પૂર્વે (ઈ.સ. ૧૬૦૮માં) મહારાષ્ટ્રમાં જન્મેલા સમર્થ રામદાસ (મૂળ નામ નારાયણ ઠોસર) માત્ર છત્રપતિ શિવાજીના ગુરુ હોવાના નાતે નહીં પણ એમના श्री मनाचे श्लोक (શ્રી મનના શ્લોક)ના કારણે વધુ વિખ્યાત છે. છેલ્લી ચાર-ચાર સદીઓથી આ શ્લોક મરાઠી માનુષના આત્મસંસ્કારનું સિંચન-ઘડતર કરી રહ્યા છે. મકરંદ મુસળે આ શ્લોકોનો સાછંદ પદ્યાનુવાદ લઈ આપણી પાસે આવ્યા છે…

એક-એક શ્લોક ખરા સોના જેવા…

*

मना जे घडी राघवेवीण गेली।
जनीं आपुली ते तुवां हानि केली॥
रघूनायका वीण तो शीण आहे।
जनी दक्ष तो लक्ष लावूनि पाहे॥४६॥

વિના રામના નામની પળ વિતે જો
ઘડી વ્યર્થ ગઈ એમ માની જ લેજો
પ્રભુને ન જાણે તે વ્યાકુળ ફરે છે
પ્રભુને પિછાણે તે આશ્વસ્ત રે’ છે ॥૪૬॥

मना कल्पना कल्पितां कल्पकोटी।
नव्हे रे नव्हे सर्वथा रामभेटी॥
मनीं कामना राम नाही जयाला।
अती आदरे प्रीती नाही तयाला॥५९॥

કરો મોહની કલ્પનાઓ કરોડો
નહીં રે નહીં રામનો થાય ભેટો
ન હો ચિત્તમાં રામની જેને માયા
મળે કઈ રીતે એમને પ્રેમ પ્યાલા? ॥૫૯॥

मना राम कल्पतरु कामधेनु।
निधी सार चिंतामणी काय वानू॥
जयाचेनि योगे घडे सर्व सत्ता।
तया साम्यता कायसी कोण आता ॥६०॥

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે ॥૬૦॥

उभा कल्पवृक्षा तळीं दु:ख वाहे।
तया अंतरीं सर्वदा तेचि आहे॥
जनी सज्जनी वाद हा वाढवावा।
पुढें मागता शोक जीवीं धरावा॥६१॥

ભલે હો ઊભા કલ્પવૃક્ષોની છાંયે
મળે એજ છે, જે વિચારો છો માંહે
મના સંત-સંવાદ સુખ આપવાના
વિવાદોમાં રાચ્યા તો દુઃખ પામવાના ॥૬૧॥

– સમર્થ સ્વામી રામદાસ (મરાઠી)
(અનુ. મકરંદ મુસળે)

Comments (7)

મુક્તક – કિરણસિંહ ચૌહાણ

IMG_9841

કૈંક   મજાના   ગીતોમાં   છું,    ટહુકામાં  છું,
બીજા  શબ્દોમાં  કહું  તો  બસ  જલસામાં  છું.
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું  કહું  છું  કે, ‘આવું છું…  બસ  રસ્તામાં છું.’

– કિરણસિંહ ચૌહાણ

ખરી વાત છેઃ આપણે બધાય ખરેખર (ઉપર જવાના) રસ્તામાં જ છીએ ઃ-)

Comments (11)

કૅન્વાસ – હેમેન શાહ

IMG_5275

કૅન્વાસ પર એક ઊભી રેખા દોરી હતી
બાકી અવકાશ.

સામે ઊભેલી વ્યક્તિ કહે,
આ તો ગાંધીજી!
આ ગાંધીજીની લાકડી
અને ગાંધીજી પડદા પાછળ.
પણ લાકડી તો બીજા પણ રાખે કદાચ.
તો આ રેખાને ચશ્માની દાંડી તરીકે પણ તો જોઈ શકાય.

બીજો માણસ કહે,
આમાં તો પૃથ્વીનો આખો ઇતિહાસ આવી જાય.
પણ સીધી રેખા પૃથ્વી કેવી રીતે બને?
કેમ? રેખાને વાળો અને બે છેડા ભેગા કરો
તો પૃથ્વી ના બને?
પછી તો પૈંડુ પણ આ જ
અને શૂન્ય પણ આ જ.
ઓહો! આમાં તો evolutionની નિરર્થકતાનો પણ ભાવ છે.

ત્રીજો કહે,
આ સીધી રેખામાં તો આખું કલા-જગત છે.
કલમ પણ આ જ, પીછીં પણ ને ટાંકણું પણ.
રેખાને તમે વચ્ચેથી જાડી કરો.
તો નૃત્ય કરવા તત્પર સ્ત્રી પણ બને.
અને ખૂબી જુઓ કે
આ એ કલમ છે જેમાંથી શબ્દ ટપક્યો નથી.
એ પીછીં જેમાંથી ચિત્ર થયું નથી.
ટાંકણું પથ્થરની રાહ જુએ છે.
અને નૃત્ય પણ થવાનું બાકી છે.

ચોથો કહે,
આ રેખાથી એક સીમા બંધાઇ જાય છે.
રેખા હટાવીને માત્ર કૅન્વાસને જુઓ
કેટલા અનંત વિકલ્પો છે.

– હેમેન શાહ

માણસ પોતાના અનુભવો, વિચારો અને પૂર્વગ્રહોથી આગળ વધીને વિચારવા અસમર્થ છે. આપણી આ સૌથી મોટી સીમા છે.

હમણા એક પુસ્તકમાં બહુ સરસ વાક્ય વાંચવામાં આવ્યુંઃ All advise is autobiographical. હું એનાથી એક ડગલું આગળ જઇને કહું છું: All interpretations are autobiographical.

Comments (6)

તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

-સુરેશ દલાલ

ઘણાં વખતે આ ગીત પાછું નજરે ચડી ગયું…… અમર કૃતિ…..

Comments (5)