આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બેફામ

બેફામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

એ આવશે કદી – બરકત વીરાણી ‘બેફામ’

દિલથી બધાને પ્યાર કરો ને ગઝલ કહો,
દિલ એક પર નિસાર કરો ને ગઝલ કહો.

જો ઊંઘ આવે તો ય સતત જાગતાં રહી,
હર રાતને સવાર કરો ને ગઝલ કહો.

હરએક કળીને ફૂલ થવામાં મદદ મળે,
પ્રસ્વેદને તુષાર કરો ને ગઝલ કહો.

માણસથી છેતરાતાં રહો રોજ, તે છતાં,
માણસનો એતબાર કરો ને ગઝલ કહો.

એ આવશે, એ આવશે, એ આવશે કદી,
બસ એમ ઇન્તેઝાર કરો ને ગઝલ કહો.

આપે છે કોણ શે૨ને માટે વિચાર સૌ,
એના ઉપર વિચાર કરો ને ગઝલ કહો.

– બરકત વીરાણી ‘બેફામ’

સામાન્ય રીતે ગઝલને વિષય બનાવી કહેવાતી ગઝલો મને ગમતી નથી પણ આ ગઝલ અપવાદ છે… મજબૂત ગઝલ….

Comments (1)

તમારી આંખમાંથી – બરકત વિરાણી ‘બેફામ’

તમારી આંખમાંથી છો ને છલકાઈ રહ્યો છું હું,
પરંતુ મારા જીવનમાં તો સૂકાઈ રહ્યો છું હું.

હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું.

કોઈ ગોતે મને તો પગલે પગલે હું જડી આવું,
કંઈક એ રીતે પગલે પગલે ખોવાઈ રહ્યો છું હું.

બને તેા ઘા નવા મારા ઉપર કરશો નહીં કોઈ,
હજી જૂના પ્રહારોથી જ પીડાઈ રહ્યો છું હું.

છે એ પણ દુ:ખ કે નીકળવું પડયું મારે ફૂલોમાંથી,
છે એ પણ સુખ કે ખુશ્બૂ જેમ ફેલાઈ રહ્યો છું હું.

ભલે બાંધું છું માળા બાગમાં, પણ છે દશા એવી,
તણખલાં એકઠાં કરવામાં પીખાઈ રહ્યો છું હું.

કર્યાં છીદ્રો સિતારાનાં, ગગનમાં તમને જોવાને,
જરા એ તો જુઓ – કયાં કયાંથી ડોકાઈ રહ્યો છું હું.

ખુદા! મારી પ્રગટતાનું છે કારણ ગુપ્તતા તારી,
તું દેખાતો નથી એથી જ દેખાઈ રહ્યો છું હું.

જીવન કર્તવ્ય માટે છે, હૃદય છે ભાવના માટે,
જગતની ને તમારી વચ્ચે વહેંચાઈ રહ્યો છું હું.

અરે આ મારી નિર્જીવતાય ઘરની શોભા જેવી છે,
જુઓ ભીતે છબી રૂપે ટીંગાડાઈ રહ્યો છું હું.

કફનનું આ નવું નક્કોર કપડુ તો જુઓ બેફામ,
જવાને સ્વર્ગમાં કેવો સજાવાઈ રહ્યો છું હું.

– બરકત વિરાણી ‘બેફામ’

અગિયાર શેરની ગઝલ, પણ લગભગ બધા જ શેર દમદાર. કોઈ પોતાને શોધવા નીકળે તો પગલે પગલે પોતાને પામી શકે એ નેમથી પગલે પગલે પોતાની જાતને ખોતા જવાની વાત કરતો શેર તો ઉત્તમ અને ખાસ્સો અર્થગહન છે. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓને પ્રિયજનને જોવા માટે કરેલ છીદ્રોની ઉપમા આપતો શેર તો આધુનિક ગઝલનેય જૂની કહેવડાવે એવો મજાનો થયો છે.

Comments (15)

સવા શેર : ૦૯ : પરદો – બરકત વિરાણી ‘બેફામ’

તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,
ને પરદા પર હું ચહેરો ચીતરું છું.
– બરકત વિરાણી ‘બેફામ’

સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક છે. પ્રિયજન, પ્રકૃતિ અને પરમેશ્વરના સૌંદર્યનું ગાન વિશ્વભરની કવિતાને શરૂથી જ ખૂબ માફક આવ્યું છે. જો કે સૌંદર્યની કવિતામાં પણ કવિતાનું સૌંદર્ય તો હોવું જ ઘટે. એ વિના તો રચના સૌંદર્યવર્ણન કરતો નિબંધ બનીને જ રહી જાય. બેફામ આમ તો પરંપરાના શાયર પણ કવિતાને પરંપરા કે આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નહીં. આ વાડા તો ઈશ્વર-અલ્લાહ-ગોડની જેમ આપણે આપણી અનુકૂળતા માટે સર્જ્યા છે. બેફામનો આ શેર આધુનિકને પણ જૂનો કહેવડાવે એટલો આધુનિક છે.

બેફામના સમયગાળામાં પરદાપ્રથા હિંદુ સ્ત્રીઓમાંથી હજી ગઈ નહોતી, અને મુસ્લિમ સ્ત્રીઓમાં તો સવાલ જ ઊઠતો નહોતો. અજાણ્યા શખ્સ સામે બુરખો લગભગ ફરજીયાત હતો. નાયકની ઉપસ્થિતિમાં નાયિકાએ પોતાના ચહેરા ઉપર પરદો ધરી દીધો છે. શિસ્ત ગુજરાતીમાં આમ તો ‘પરદો કરવો’ પ્રયોગ ‘પરદો ધરવો’ કરતાં વધુ યોગ્ય ગણાય પણ મુસલમાન કોમનું ગુજરાતી આજે પણ પ્રશિસ્ત ગુજરાતી ધારા સાથે દૂધમાં સાકરની જેમ ભળી શક્યું નથી એટલે કવિએ પ્રયોજેલ ક્રિયાપદને નિર્વાહ્ય ગણીએ. આમેય, કવિતા નિજાનંદ માટેની કળા છે, ગણિતનો પ્રમેય નથી, જેને તબક્કાવાર અને તર્કબદ્ધ રીતે જ ઉકેલવો પડે.

સનમે ચહેરા ઉપર પરદો ધરી દઈને પોતાનું સૌંદર્ય છૂપાવી દીધું છે. પણ નાયકને તો એ સૌંદર્યની જ આરત છે ને! પ્રીતિને આવરણો સાથે સંબંધ કાંઈએ નથી. આવરણ ન હોય તો તો સૌંદર્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે. સાચો પ્રેમી તો એ જ જેને દુનિયાભરના આવરણ નડી ન શકે. નાયિકાએ પરદો કરીને ચહેરો ઢાંકી દીધો તો નાયક પરદા ઉપર જ એનો ચહેરો ચીતરી રહ્યો છે. મતલબ, ચર્મચક્ષુ માટે જે સૌંદર્ય પરદાપાછળ ગોપિત છે, એને નાયક મનઃચક્ષુ વડે નિરખી રહ્યો છે, ચાક્ષુષ કરી રહ્યો છે. વાત સામાન્ય છે, પણ કલ્પનાની શક્તિ અને નજાકત –બંનેનું સૌંદર્ય શેરને સવાશેર બનાવે છે. નાયકે પ્રેમ કર્યો છે, પણ પરદો હટાવી લેવાની કે હટાવવાની વિનંતી કે આગ્રહ કરવા જેટલીય ગુસ્તાખી એ કરવા નથી ઇચ્છતો. એ નાયિકની પરદાદારીનું સંપૂર્ણ માન જાળવે છે. અને સાથોસાથ નાયિકાના મુખદર્શનની પોતાની તલબને અંજામ પણ આપે છે.

સૌંદર્યાનુરાગિતાની વાતને કવિએ જે સૌંદર્યથી રજૂ કરી છે એની જ ખરી મજા છે. કેટલાક શેર એવા હોય છે જેની પાસે બે ઘડી થોભવા જેટલી ધીરજ ધરો તો એ પરદો ઊઘાડીને મુખદર્શન અને સુખદર્શન બને આપશે. આ શેર એવો જ એક શેર છે. આવો. થોભો. અને શેર આપોઆપ ઉઘડે એટલી રાહ જુઓ.

Comments (1)

કોની કરૂં હું રાવ – બરકત વિરાણી ‘બેફામ’

કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.

દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.

હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.

મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.

એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફ઼ામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.

– બરકત વિરાણી ‘બેફામ’

બરકતની બળકટ ગઝલ.

Comments (4)

નથી…..– બરકત વીરાણી ‘બેફામ’

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.

કેવું મૂંગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી.

માપી લીધી છે મેં આ ગગનની વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝકઝમક નથી.

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી.

એના વદનને જોઈને ઓ ચાંદ માનનાર
મારા વદનને જો કે જરાય ચમક નથી.

આરામથી રહો ભલે પણ અગવડોની સાથ,
આ મારું મન છે કંઈ તમારું મથક નથી.

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ મુલક નથી.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (3)

કરશું અમે – બરકત વિરાણી ‘બેફામ’

કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે,
કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે.

સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે,
એ પછી જે કાંઈ બચશે, લાગણી કરશું એમે.

પ્રીતને પણ એટલી સોહામણી કરશું અમે,
કે તમારા રૂપની સરખામણી કરશું અમે.

આ જગત અમને ભલેને નોખનોખા માર્ગ દે,
પણ સફર જીવનની તારા ઘર ભણી કરશું અમે.

આભધરતીનો તફાવત છે તો એથી શું થયું ?
ચંદ્ર થઈ જાશું ને તમને પોયણી કરશું અમે.

તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.

શી દશા થઈ છે જીવનની, ખ્યાલ તો આવે તને,
એની કુરબાની નહીં પણ સોંપણી કરશું અમે.

કાં મળે સૌ કાંઈ અમને, કાં મળે ના કાંઈ પણ,
એની પાસે એની ખુદની માગણી કરશું અમે.

એક વખત સ્પર્શી અમારી શુધ્ધતા પણ જોઈ લો,
છો તમે પથ્થર ભલે, પારસમણિ કરશું અમે.

છે ખુદા સૌના અને એથી એ સંતાઈ ગયો,
ડર હતો એને કે એની વહેંચણી કરશું અમે.

ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (3)

નથી શકતો – ‘બેફામ’ બરકત વિરાણી

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

ત્રીજો શેર !!!! અદભૂત !!!

Comments (9)

એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

-બરકત વિરાણી ‘બેફામ’

નગ્ન સત્ય……unadulterated truth

Comments (5)

નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (8)

અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

-બરકત વિરાણી ‘બેફામ’

Comments (2)

મહોબ્બતમાં – બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (9)

ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’

વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .

રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .

સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .

એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .

આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (10)

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (16)

મુક્તક -બરકત વિરાણી ‘બેફામ’

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (9)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

આવ – બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

– બેફામ

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? – બેફામ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!  

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]

ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા.  એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું.  ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100%  ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે.  એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે.  આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે.  ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…!  જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે.  અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.

Comments (12)

નયનને બંધ રાખીને – બેફામ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે

ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

-બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…

ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…

Comments (12)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

ગઝલ – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…

Comments (15)

શેર – બેફામ

આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.

જિંદગીને   મોતનો   જો ભેદ  ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી  નથી  મારે તો  રચવી છે   નવી  દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની  નિશાની   કાંઈ   લાલી  થઈ નથી શકતી !

પથ્થરોને   જે   ઘડે  એ   હો   કલાકારો  ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

– બેફામ

Comments (13)

સમજો નહીં કે – – બરકત વીરાણી ‘બેફામ’

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (7)

જીવનનો માર્ગ – ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-‘બેફામ’

બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.

Comments (11)

પગલાં -‘બેફામ’

એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.

-‘બેફામ’

Comments (3)

દાદ -બેફામ

મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

-બેફામ

Comments (2)