એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બકુલેશ દેસાઈ

બકુલેશ દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

ગઝલ – બકુલેશ દેસાઈ

આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?!

જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે

રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે !

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?!
લાગે છે – ભીરુતા ઢબૂરી છે !

ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
જિંદગી કંઈ નથી, મજૂરી છે !

ખાસ મિત્રો છે… મોટી દહેશત છે…
રામ મુખમાં, બગલમાં છૂરી છે.

એક-માર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે.

– બકુલેશ દેસાઈ

અહિંસાના માર્ગ વિશે હંમેશા બે મત રહ્યા છે. ગાંધીજી જેવા ભડવીર તો કોઈક જ હશે જે બંદૂકની સામે અહિંસાનું હથિયાર લઈ ખુલ્લી છાતીએ ઊભા રહી શકે. બાકી મોટાભાગના અહિંસાપ્રેમીઓ હકીકતમાં હિંસા એમનો ‘કપ ઑફ ટી’ ન હોવાના કારણે અહિંસાનો માર્ગ લેતા હોય છે. કવિએ શ્રદ્ધા અને સબૂરીની બરાબર સુરતી શૈલીમાં ધૂળ ઝાડી છે…

બે દિવસ પહેલાં જ ધવલે મંગળ રાઠોડનું એક આવા જ મિજાજનું અછાંદસ મૂક્યું હતું એ પણ જોવા જેવું છે.

Comments (5)

મુક્તક -બકુલેશ દેસાઈ

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

Comments (10)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – બકુલેશ દેસાઈ

અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.

કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં,
બચેલો મધુર અંતરો પણ અહીં છે.

ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.

ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.

અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.

-બકુલેશ દેસાઈ

બકુલેશ દેસાઈ ભલે વ્યારામાં જન્મ્યા હોય, અમે એમને પક્કા “હુરતી” જ ગણીએ છીએ. વર્ષોથી સુરતમાં જ સ્થિર થયેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા બકુલેશ દેસાઈ હળવા હાસ્યલેખ અને વાર્તાઓમાં વધુ ખીલતા દેખાય. દર રવિવારે ‘નર્મદ સાહિત્ય સભા’માં નવોદિત સર્જકો સાથેની ગોઠડીમાં એમના આશીર્વાદ અચૂક મળે જ. શબ્દોમાં નાજુક મીનાકારી એ કઈ રીતે કરે છે એ સમજવું હોય તો આ ગઝલ જોવા જેવી છે…

(જન્મ તારીખ: (૧૪-૦૭-૧૯૪૭), કાવ્યસંગ્રહો: ‘અવાન્તર’, ‘અમીરાત’).

Comments (3)

ત્વચા પર – બકુલેશ દેસાઈ

અલગતા જુઓ વસ્ત્ર જેવી તમારી,
અમે છુંદણા થૈ જડાયાં ત્વચા પર.

તમારું સ્મરણ થૈ જતાં માત્રમાં તો,
શીળા સ્પર્શની છે બળતરા ત્વચા પર.

સડોસડ પડે દ્રશ્યના ચાબખા ને-
વીતી જિંદગીના ઉઝરડા ત્વચા પર!

મુલાયમપણાના ગયા સર્પ સરકી…
હવે તો કરચલીની ભાષા ત્વચા પર.

નિકટતા અહીં તો ઘડી બે ઘડીની !
દિવસરાત પ્રસ્વેદી છલના ત્વચા પર.

– બકુલેશ દેસાઈ

વાત વિરહની છે, એ રજૂ કરી છે ત્વચાના માધ્યમથી. કવિએ અલગ ભાત પાડતા કેટલા સચોટ શબ્દ પ્રયોગો વાપર્યા છે એ જુઓ – દ્રશ્યના ચાબખા, કરચલીની ભાષા, પ્રસ્વેદી છલના … વાંચતા અનાયાસ  જ ર.પા.ની ગઝલ હસ્તાયણ યાદ આવી જાય છે.

Comments (1)