વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2017

ન ઈચ્છે – રાજેન્દ્ર શુકલ

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો-
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

– રાજેન્દ્ર શુકલ

Comments (1)

નથી શકતો – ‘બેફામ’ બરકત વિરાણી

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

ત્રીજો શેર !!!! અદભૂત !!!

Comments (9)

ઘર વિશે, વિદેશથી – રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)

આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!

અને આ એપ્રિલ જશે પછી જે વસંત લઈને મે આવશે,
અને આ સઘળા અબાબિલો ને આ શ્વેતકંઠો ગળું ગજવશે!
સાંભળ, વાડામાંનાં મારાં ફુલ્લ કુસુમિત નાસપતિ જ્યાં
ખેતની ઉપર લચી પડીને ઘાસની ઉપર વિખેરે છે
ફૂલ ને ઝાકળ – સ્પ્રેની વક્ર નળીના છેડે બેસીને ત્યાં-
જો ને કેવી ડાહી ચકલી, ગીત દરેક જે દોહરાવે છે,
ક્યાંક આપ એવું ન વિચારો, ઝીલી ન શકશે ફરી એ ક્યારેક
એ પહેલો બેફિકર હર્ષોદ્રેક!
અને ભલેને જીર્ણ તુષારે મેદાનો નિષ્પ્રાણ લાગતા,
બધું જ આનંદિત ભાસશે, બપોર જ્યારે જગાડશે નવલાં
બટરકપ્સના પીળાં ફૂલો, બચ્ચાંઓના ખરા ખજાના
– આ ભદ્દા તડબૂચના ફૂલો કરતાં તો ભઈ, લાખ મજાના!

– રોબર્ટ બ્રાઉનિંગ
(અનુ. વિવેક મનહર ટેલર)

‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા’વાળી વાત ગમે એટલી સાચી કેમ ન હોય, ‘ધરતીનો છોડો ઘર’ જ હોવાનો. ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિતામાં ભલે અઢારમી સદીના ઇંગ્લેન્ડનું વાતાવરણ છે પણ કવિતાનું હાર્દ કાળાતીત અને સ્થળાતીત છે. કોઈપણ સદીના કોઈપણ શહેરને આ કવિતા પૂરેપૂરી તાજગી સાથે સ્પર્શે છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો કવિતા બે અંતરામાં વહેંચાયેલી છે. પહેલો અંતરો નાનો 8 પંક્તિનો છે, જેમાં ટ્રાઇ, ટેટ્રા અને પેન્ટામીટર, 3-3-4-4-5-5-5-3 મુજબ પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-બ-અ-બ-ક-ક-ડ-ડ મુજબની છે. બીજો લાંબો અંતરો 12 પંક્તિનો, જેમાં આઠમી પંક્તિના ટેટ્રામીટરને બાદ કરતાં લગભગ બધી જ પંક્તિમાં પેન્ટામીટર પ્રયોજાયા છે અને પ્રાસરચના અ-અ-બ-ક-બ-ક-ડ-ડ-ખ-ખ-ગ-ગ જેવી અટપટી છે. બે અસમાન અંતરાઓ, બંનેમાં અસમાન પંક્તિલંબાઈ –પહેલા અંતરામાં વધઘટ તો બીજામાં લગભગ સમાન પંક્તિઓમાં એક જ ટૂંકી પંક્તિ અને અસમાન પ્રાસરચના – બ્રાઉનિંગ જેવા માસ્ટર-પોએટને શું છંદ અને પ્રાસમાં સમજ નહીં હોય ? કે પછી હોમ-સિકનેસથી વ્યથિત માનવીની અસ્તવ્યસ્ત મનોદશાનો તાદૃશ ચિતાર આપવા માંગે છે કવિ?

ખેર, મૂળ કવિતાના સ્વરૂપને વફાદાર રહીને પંક્તિસંખ્યા અને પ્રાસરચના અનુવાદમાં પણ યથાવત્ રાખવા સાથે મૂળ રચનાની સમાંતરે જ માત્રામાં પણ વધઘટ કરીને છંદ પ્રયોજવાનો વ્યાયામ મેં અહીં કર્યો છે. જોઈએ, આ પ્રયાસ કેટલો સફળ નીવડ્યો છે તે.

Home Thoughts from Abroad

Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!

And after April, when May follows,
And the whitethroat builds, and all the swallows!
Hark, where my blossomed pear-tree in the hedge
Leans to the field and scatters on the clover
Blossoms and dewdrops—at the bent spray’s edge—
That’s the wise thrush; he sings each song twice over,
Lest you should think he never could recapture
The first fine careless rapture!
And though the fields look rough with hoary dew,
All will be gay when noontide wakes anew
The buttercups, the little children’s dower
—Far brighter than this gaudy melon-flower!

– Robert Browning

Comments

ક્યાંથી? – તેજસ દવે

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?

– તેજસ દવે

ટૂંકી બહેરના ગઝલમાં સૌથી મોટું ભયસ્થાન સાંકડી ગલીમાં માંડ-માંડ સમાવેલા શબ્દો સપાટી પર જ તરતા રહી જવાનું છે. મુંબઈની સાંકડી ગલીઓમાં રમવાની પડેલી ટેવના કારણે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સ્ટ્રેઇટ ડ્રાઇવના બેતાજ બાદશાહ ગણાયા… તેજસ દવે ગાગાલગા લગાગાની સાંકડી બહેરની ગલીમાં ઊભા રહીને એક પછી એક સ્ટ્રેઇટ ડ્રાઇવ ફટકારે છે જે સીધી આપણા દિલની બાઉન્ડ્રી વટાવી જાય છે.

Comments (2)

(ઠાઠ વધતો જાય છે) – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.

—પારુલ ખખ્ખર

વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…

Comments (9)

સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર

ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.

ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.

તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.

ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !

ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.

ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?

ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.

આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.

Comments (3)

રંગ છે – હરીન્દ્ર દવે

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.

– હરીન્દ્ર દવે

Comments (3)

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

(ખુદની તરફ વળાશે) – લક્ષ્મી ડોબરિયા

એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.

આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.

કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.

દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.

આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.

ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.

– લક્ષ્મી ડોબરિયા

પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…

આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…

Comments (8)

મનજી – ડૉ.મનોજ જોશી ‘મન’

ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !

માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !

કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.

ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !

તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !

– ડૉ.મનોજ જોશી ‘મન’

તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…

Comments (11)

થયો ! – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.

મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !

– રાજેન્દ્ર શુકલ

ચોથો શેર લાજવાબ છે…..

Comments (1)

આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (4)

પાંખડી મનની શતદલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

– દેવિકા ધ્રુવ

પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.

Comments (14)

દોહા – કબીર

साहेब मेरा एक है दूजा कहा न जाय,
दूजा साहेब जो कहूं साहेब खरा रिसाय।

મારો સાહેબ (ઈશ્વર) એક જ છે. બીજાને સાહેબ કેમ કહેવું? અદ્વૈતમાં દ્વૈત જોવા જઈએ તો સાચો સાહેબ રિસાઈ ન જાય?

एक कहौं तो है नहीं, दोय कहौं तो गारि,
है जैसा तैसा रहै कहै कबीर विचारी।

(ઈશ્વરને) એક જ છે એમ કહું તો (એ તો શૂન્યરૂપ છે એટલે) એ છે જ નહીં, દ્વૈતભાવે એ અદ્વૈતીને બે કહું તો ઈશ્વરને ગાળ દીધા બરાબર જ ગણાય. એટલે સમજી વિચારીને કબીર કહે છે એ જેમ છે એમ જ ભલે રહે, એના વિશે પિષ્ટપેષણ કરવું નકામું છે.

साहेब सों सब होत है बंदे ते कछु नाहि,
राई ते पर्बत करे, पर्बत राई माहि।

સાહેબની કૃપાથી જ બધું થાય છે, બંદાની તો હેસિયત જ શી છે વળી? એ ઇચ્છે તો રાઈમાંથી પર્વત બનાવી દે ને ઇચ્છે તો પર્વતને રાઈ કરી દે.

जाको राखे सांईयां मारि न सक्के कोय,
बाल न बाका करि सकै जो जग बैरी होय।

જેને રામ રાખે એન કોણ ચાખે? આખી દુનિયા દુશ્મન થઈ જાય તોય જેના પર પરમકૃપાળુની કૃપા હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં.

ज्यों तिल माहीं तेल है ज्यों चकमक में आगि,
तेरा सांई तुझमें जागि सकै तो जागि।

જે રીતે તલની અંદર તેલ (છૂપાયેલું) છે અને ચકમક પથ્થરની અંદર અગ્નિ (છૂપાયેલો) છે, એ જ રીતે તારો ઈશ્વર તારી અંદર જ છે. ઈશ્વર બહાર ક્યાંય છે જ નહીં. अहं ब्रह्मास्मि। જાગી શકાય તો જાગ.

नाम रतन धन पाई कै गांठि बांधि ना खोल,
नाहीं पटन नहिं पारखी नहिं गांहक नहिं मोल।

(હરી) નામ રત્નનું ધન મળ્યું છે તો એને (અંતરમાં જ) ગાંઠે બાંધી રાખ. ખોલીશ નહીં, અહીં એની કોઈ કિંમત નથી, કે નથી કોઈ પારખુ. નથી કોઈ ગ્રાહક કે નથી કોઈ મૂલ્ય.

चंदन गया बिदेसडे सब कोई कहि पलास,
ज्यों ज्यों चूल्हे झोंकिया त्यों त्यों अधकी बास।

ચંદન કાષ્ઠ (જ્ઞાનીજન) વિદેશ ગયું તો ત્યાં બધા એને ખાખરો (અજ્ઞાની) કહેવા માંડ્યા. પણ જેમ જેમ એને (કસોટી)ના ચૂલામાં નાંખતા ગયા, તેમ તેમ એની સુગંધ (ખરું સ્વરૂપ) વધુ ને વધુ મહેકી ઊઠી.

दुर्बल को न सताईये जाकी मोटी हाय,
बिना जीवे की साँस से लोहा भसम ह्वै जाय।

નિર્બળને સતાવવા જોઈએ નહીં કેમકે એમની હાય ભારે હોય છે. જીવ વિનાની (ધમણના) શ્વાસથી લોઢું પણ પીગળી જાય છે.

Comments (4)

ઢાંચો અધૂરો – સાહિલ

જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.

ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.

ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.

શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.

શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.

એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.

આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.

– સાહિલ

રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !

Comments (5)

આકાર ગઝલ – હિમલ પંડ્યા

ઓગળીને!
કે બળીને!

આપણે જઈશું અહીંથી,
એક સપનું થઈ, ફળીને!

એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!

છે પથારીવશ, પરંતુ એક ઈચ્છા છે હજુ યે,
જે પુરાવે છે હયાતી રોજ થોડું સળવળીને!

એક ડગલું પણ ભરાશે ત્યાં જ વહેતી થઈ જવાની લાખ વાતો!
પણ બધી યે વાત કાઢી નાખ બીજા કાનમાંથી, સાંભળીને!

થાય એવું કે હવે હું પાંખ ફફડાવી, ઊડીને ક્યાંક નીકળી જાઉં આઘે!
થાય એવું પણ પછી કે શું કરીશું આ મજાના પિંજરેથી નીકળીને?

છો અહીં દુઃખ-દર્દ-પીડા ને ઉદાસી-આંસુઓ-અવહેલના હો!
પણ ઘણું એવું છે જેને કારણે જીવાય છે સઘળું ગળીને!

ખૂબ સ્હેલું છે નીકળવું પણ જો ત્યાં ફાવે નહિ તો?
આવવા મળશે ખરું ત્યાંથી ફરી પાછા વળીને?

પામવાનું, જે નવું પામી શકાતું;
ને ઉતારી ફેંકવાની કાંચળીને!

આપણે ઝરણાંની માફક;
વહી જવાનું ખળખળીને!

રહી જવાનું,
ઝળહળીને!

– હિમલ પંડ્યા

આકાર ગઝલના ઘણા પ્રયોગો આ પહેલાં પણ થઈ ચૂક્યા છે અને જે રીતે હિમલ પંડ્યા પહેલાં ગાલગાગાના એક-એક આવર્તન વધારતા જાય છે અને પછી ઘટાડતા જાય છે એ જ રીતે પણ અગાઉ ગઝલો લખાઈ ચૂકી છે પણ જે વાત અહીં ધ્યાન ખેંચે છે એ છે પ્રયોગની સફળતા. પ્રયોગ પ્રયોગ બનવાને બદલે યોગની કક્ષાએ પહોંચે એમાં જ એની ઉપલબ્ધિ. સ્વરૂપ સિદ્ધ થાય એના કરતાં વધુ અગત્યનું કવિતા સિદ્ધ થાય એ છે જે અહીં સાંગોપાંગ સિદ્ધ થયેલું નજરે ચડે છે. આખી ગઝલ અર્થસભર અને આસ્વાદ્ય બની રહી છે. વાહ, કવિ!

Comments (16)

(ખાલીપો) – ડૉ.મનોજ જોશી ‘મન’

રાંક બની ધ્રૂજે રાજીપો;
એમ ભીતર ખખડે ખાલીપો.

વર્તન એમ જ સીધું થાશે,
ટીપો, ટીપો, વિચાર ટીપો !

અહીં નિયમ છે blind જ રમવું;
રાત-દિવસનાં પત્તાં ચીપો !

આંસુ પીધાં; લોહી’યે પીધું,
ખમ્મા તરસદે ! હવે તો છીપો.

જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !

– ડૉ.મનોજ જોશી ‘મન’

બહર ટૂંકી પણ કામ મોટું.

બંધ ડબ્બામાં એલ્યુમિનિયમના સિક્કા મૂકીને બાળપણમાં સહુએ ખખડાવવાની મજા માણી હશે, ખરું ને? પણ ડબ્બો સિક્કાઓથી આખો ભરેલો હોય તો? ખખડે ખરો? જી, ડબ્બાને ખખડવા માટે ભીતર ખાલીપો જોઈએ પણ ખાલીપાની ભીતર પણ ખાલીપાનો જ સિક્કો હોય તો? ખાલીપાનો આ તે કેવો ગુણાકાર? રાજીપો તો બિચારો દૂર ઊભા રહી થર-થર ધ્રુજવા સિવાય હવે કરેય શું?

મક્તામાં તખલ્લુસ પણ કેવું ચપોચપ કામમાં લીધું છે! આખી ગઝલ આજ રીતે આસ્વાદ્ય…

Comments (9)

(માન તો રાખ્યું જ છે) – કિરણસિંહ ચૌહાણ

માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.

એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.

આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.

એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.

આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?

– કિરણસિંહ ચૌહાણ

માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!

Comments (14)

વાખ્યાની : લાલ દીદ (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?

સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

– લાલ દીદ
અનુ. વિવેક મનહર ટેલર

*

સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નિર્વસ્ત્ર નાચતી-ફરતી લલ્લા, અથવા લાલ દીદ કે લલ્લેશ્વરી નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

આગળ એક વાખ આપણે માણી હતી. કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. ત્યાંના લોકો કહે છે કે ઉપર અલ્લા, નીચે લલ્લા.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી.

*

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

Comments (6)

મોજ જન્મે છે – ગિરીશ પોપટ ‘ગુમાન’

જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે,
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે.

ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે!
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે.

અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં,
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે.

દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો,
હૃદયમાં કોણ છે ‘ગુમાન’, જે દરરોજ જન્મે છે?

– ગિરીશ પોપટ ‘ગુમાન’

ત્રીજા શેરને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ લાખ નિરાશાની વચ્ચે છૂપાયેલી અમર આશાને શોધવા નીકળેલી પોઝિટિવિટીથી ભરપૂર…

Comments (7)

(પાનબાઈ) – મનોજ ખંડેરિયા

ઝાકળના જેવી જાતને ધારી છે પાનબાઈ;
ફૂલો ઉપરથી એને નિતારી છે પાનબાઈ.

જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.

બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.

પકડાવો એને પાસા પિયુજીના નામના,
આ જીવ નાતે-જાતે જુગારી છે પાનબાઈ.

સમજીવિચારી મેળવો તુંબડાના તારતાર,
આ શ્વાસ સાવ ઝીણી સિતારી છે પાનબાઈ.

મૂક્યો અલખની લ્હેર્યું ઉપર જેણે પગ જરા
એની પવનથી તેજ સવારી છે પાનબાઈ.

– મનોજ ખંડેરિયા

કવિશ્રી મનોજ ખંડેરિયાનો આજે ૭૪મો જન્મદિવસ છે. સોશ્યલ મિડિયાઝ એમની જૂની ને જાણીતી રચનાઓથી અભરે ભરાઈ રહ્યાં છે એવામાં રાજકોટથી કવિમિત્ર શ્રી સંજુ વાળાએ ઇન્ટરનેટ પર ક્યાંય ન મળે એવી આ મજાની ગઝલ લયસ્તરો માટે મોકલી આપી. આભાર, સંજુભાઈ.

ગંગાસતીએ પુત્રવધૂ (?) પાનબાઈને સંબોધીને અમર ભક્તિપદ આપણને આપ્યાં. મનોજભાઈ ગંગાસતીમાં કાયાપ્રવેશ કરી આજની પાનબાઈ-જાનબાઈને સંબોધીને કેટલીક ગઝલ આપી ગયા, એમાંની આ એક. આખી ગઝલ સંઘેડાઉતાર. એક-એક શેર વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવા પાણીદાર…

Comments (6)

(ટેરવાંની જેલમાં) – પાર્થ તારપરા

પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય.

આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય.

પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,
થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય

માણી રહી છે જિંદગી એવી રીતે મને,
જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય.

ભાગી છૂટે તો કેટલી હો-હા કરી મૂકે,
આ ટેરવાંની જેલમાં જે સ્પર્શ કેદ હોય.

માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.

– પાર્થ તારપરા

સુરતમાં દર મહિને યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠીની કોઈ સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો તે નિતનવી કલમ પાસેથી મળતી રહેતી સશક્ત રચના. પાર્થ તારપરાનું નામ જો કે સોશ્યલ મિડિયાના કારણે હવે અજાણ્યું નથી પણ લયસ્તરોના આંગણે આ એનો પહેલો ટકોરો છે. આશા રાખીએ કે હવેથી લયસ્તરો પર એ અવારનવાર આવતો રહે.

માત્ર મત્લાના શેરથી જ કવિ મેદાન મારી જાય છે અને આખરી શેર સુધી ગઝલની મજબૂતી બરકરાર રાખી શકે છે એ જ મજા છે. બધા જ શેર દાદ માંગે એવા છે.

Comments (8)

વિરહ – જવાહર બક્ષી

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં ?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

– જવાહર બક્ષી

Comments (5)

આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.

Comments (5)