બાપ ગઝલ છે, માત ગઝલ છે;
મારી આખી જાત ગઝલ છે
– વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2017

ગાતાં ખોવાઇ ગયું ગીત – રમેશ પારેખ

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું

આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં

જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

– રમેશ પારેખ

ઘણા વખતે નખશિખ સુંદર ગીત વાંચવા પામ્યો. અનુભૂતિ વ્યક્ત થઈ તો જાય પણ શબ્દની મર્યાદાને લીધે અર્થ/અનર્થની આડબીડમાં ભાવ ખોવાઈ જાય……. પણ છૂટ્યું બાણ પાછું કેમનું ફરે !!??

Comments (4)

મારે જવું નથી – જયંત પાઠક

એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

-જયંત પાઠક

Comments (4)

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

Comments (7)

ઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન – ચિનુ મોદી

chinu modi aakhyan

કડવું – ૦૧

મંગલાચરણ

ઋષિ જુએ કે દશરથસુતને
ક્ષણ ના પડતું સુખ રે
જુએ પાદુકા, લસલસ રુએ
ચિંતાઘેર્યું મુખ રે

સંગમસ્થાને કુંવર ગયા,
ત્યાં ત્રણ નદીઓનાં પાણી રે
ગંગા ન્હાતા, જમના ન્હાતા
પણ, ત્રીજી તરછોડે જાણી રે

ઋષિ કહે કે ‘કુંવર તમે આ આવું કરતા કેમ જી?
ત્રિવેણીમાં સ્નાન કરે, તેનું હૈયું ટાઢ હેમ જી!
કુંવર કહેઃ ‘ગંગામાં ન્હાઉં; સ્નાન કરું જમનામાં જી!
ત્રીજીને શું અંગ અડાડું? ના સ્નાન કરું સપનામાં જી!
મને નહિ, આખી નગરીને દુઃખ અપાવ્યું કેવું જી!
એવી નદીનાં વ્હેણે ન્હાવું? સરસ્વતી એ સેવું જી!

વલણ
રસની છાલક છોળ ઉડાડી કહું કથા સાંભળજો રે
રસનો ભંગ કરાવે એવા સેલ ફોન અવગણજો રે.

કડવું – ૦૨

આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રે
ઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્તનો દેશ રે.

કડવું – ૧૧

વાંસ જેમ છાતી ફાટે ને હીબકે ચઢતી જાય
ઈન્દ્રાણીને કહે વિષ્ણુ: ‘ક્યાં કાળગતિ પરખાય?
કાળગતિને વેદ ન પામ્યા; પામ્યા નથી પુરાણી,
વશમાં એના સૌ વર્તે છે, કમળા શું, બ્રહ્માણી!’

કડવું – ૧૨

કલ્પી લો કે બંધ પડ્યું છે ઘરનું એક ઘડિયાળ રે
ડાયલ પરના બે કાંટાની અટકી હરણાં ફાળ રે
ચાવી આપ્યે યંત્ર ચાલતું; થયો સમય સૂચવવા રે
ડાયલ પરના બે કાંટાને તરત પડે ફેરવવા રે
કાળકૃપા જ્યાં પૂરી થાય
વૃદ્ધત્વ વપુમાં વ્યાપી જાય.
મુખ પર કરચલીઓનું જાળું, આંખ ગઈ બે ઊંડી રે
હાથ અને પગની ચામડીઓ, લબડ્યે લાગે ભૂંડી રે.
અન્ય જોઈને, નિજને જુએ; એથી નારી ચૂપ રે
કોઈ નથી કહેતું કે ખોયું; ક્ષણમાં કેવું રૂપ રે.

કડવું – ૧૬

એક જ ક્ષણમાં દેવભૂમિ પર અંધરું કાળું ધબ
સાવ અચાનક રંગભૂમિ પર, વીજળી ઝબાક ઝબ
ઉષઃકાળની વેળા ટાણે રક્તિમ છે આકાશ;
રથમાં સાતે અશ્વ જોડવા અરુણ પકડતા રાશ.

કડવું – ૧૮

વૈશંપાયન એણી પેરે બોલ્યા: સુણ જનમેજય જંત રે
બધી કથાનો ક્યારે આવે, કલ્પ્યો એવો અંત રે

ફલશ્રુતિ

કાળપ્રભુની કથા કહી તે જે સાંભળશે લોક રે
કાળ કરે તે કરવામાં નહિ હરખ ધરે, ના શોક રે

– ચિનુ મોદી

ઉમાશંકર જોશી પાસે ચિનુ મોદીને પ્રેમાનંદ ભણવા મળ્યા. ચિનુભાઈ કહે છે, ‘પ્રેમાનંદના આખ્યાનોમાં રહેલું નાદતત્ત્વ કાવ્યકારક કેવી રીતે બને છે, કઈ રીતે દૂધમાં સાકર ઓગળે એમ અલંકાર ઓગળે છે, આખેઆખી ગુજરાતી ભાષા આ કવિ કઈ રીતે ખપ લગાડે છે – એના ભેદ તો કવિશ્રી ઉમાશંકર જોશીએ જ ચીંધી બતાવ્યા.’ ગુજરાતી ભાષાના સર્વકાલિન શ્રેષ્ઠ ‘વન મેન થિએટર’ પ્રેમાનંદના અમર આખ્યાનોમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાયું અને આજની ગુજરાતી સામાન્ય લોકો સુધી પહોંચી.

લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાંના પ્રેમાનંદનું આખ્યાન ચિનુ મોદી ‘કાલાખ્યાન’માં પુનર્જીવિત કરે છે. આખ્યાનના ઘટકતત્વો જેવા કે કડવું, વલણ, મંગલાષ્ટક, ફલશ્રુતિ વગેરેનો સુપેરે પ્રયોગ કરીને સેલફોન જેવા નવા સંદર્ભો લઈને પુરાણકથાવસ્તુની મદદથી સમય-કાળનો મહિમા કરે છે.

શરૂઆત રામના વનવાસ બાદ વ્યથિત ભરત ત્રિવેણીસ્નાન કરતી વેળા સરસ્વતીમાં નહાવાનું ટાળે છે ત્યાંથી થાય છે. આખ્યાન ચાલતું હોય ત્યારે સેલ ફોન અવગણવાની ચીમકી આપીને કવિ બીજા કડવાથી આખ્યાન પ્રારંભે છે.

દ્વાપર યુગ પૂરો થતાં ઈન્દ્રને સ્વર્ગ છોડવાનું થાય છે પણ સ્વર્ગના એશોઆરામ ત્યજવા મન તૈયાર નથી. બીજી તરફ ઈન્દ્રાણીને નવો ઈન્દ્ર મળે એ વિષયની મથામણ બંને પતિ-પત્નીના મનમાં છે. પુરુષસહજ માનસિક્તાવાળો ઈન્દ્ર પત્નીનો પ્રેમ અને સંવેદના સમજી શકે એમ નથી. વિષ્ણુ ઈન્દ્રાણીને કાળની અકળ ગતિ સમજાવે છે. કાળગતિને વેદ કે પુરાણ પણ પામી શક્યા નથી તો આપણું શું ગજુ? કાળકૃપા પૂરી થઈ નથી કે વૃદ્ધત્વ વ્યાપ્યું નથી. અંતે ફલશ્રુતિરૂપે કવિ કહે છે કે જે લોકો કાળની આ કથા ધ્યાનથી સાંભળશે એ લોકો કાળ કહે તે નિઃસ્પૃહભાવે, હરખ-શોક અનુભવ્યા વિના કરશે…

અઢાર કડવાં (પ્રકરણ)માં વહેંચાયેલ આ “કાલાખ્યાન”ના કેટલાક કડવાંમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે..

Comments

ઈર્શાદગઢ : ૦૬ : ખંડકાવ્ય: બાહુક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

ઉર્ધ્વતાને કારણે જ
આકાશમાર્ગ ઈષ્ટ?

આકાશ જેવું જ ઊંડાણ
પૃથ્વીના પેટાળમાં
શું નહીં જ હોય?
હે વૃક્ષરાજ!
આપ તો
પૃથ્વીના આંતરમર્મ સાથે
મૂળગત બંધાયેલા છો.

આપ
મૃદુ પૂર્ણઅંગુલિઓથી
પૃથ્વીના પટને
સ્પર્શતા રહ્યા છો

અને આપ
નિત્ય ગગનચારી
એવાં વિહંગોના
નિવાસસ્થાન રહ્યા છો.

આપને, એથી જ, કરું છું
પૃચ્છા
કે

વાદળનું પૃથ્વી પરનું આગમન
એ પતન જ લેખાય?

(વૈદર્ભી ઉવાચ: બાહુક- સર્ગ:03)

-ચિનુ મોદી

નળાખ્યાનમાં દ્યુતમાં હાર્યા બાદ નળરાજા નિષધનગરીની બહાર વનમાં જતાં પહેલાં ત્રણ રાત્રિઓ પસાર કરે છે. નળ, વૈદર્ભી તથા બૃહદશ્વ – આ ત્રણ પાત્રો આ ત્રણ રાતમાં જે ઘટનાઓમાંથી પસાર થાય છે એ ઘટનાઓનો લોપ કરીને આ પાત્રોના મનોજગતમાં પ્રવેશ કરવાનો શ્રી ચિનુ મોદીનો અનૂઠો પ્રયત્ન એટલે ‘બાહુક’. કવિ કહે છે એમ નવલકથાની વર્ણનાત્મક શક્તિ, નાટકની સંવદશક્તિ, કવિતાનું એકાંટિક વિશ્વ અને ટૂંકી વાર્તામાં શક્ય, ઘટનાલોપત્વની સુવિધા આ રચનામાં એમને ઉપયોગી નીવડ્યા. ન્હાનાલાલની ડોલનશૈલીનો અ-છાંદસથી સિદ્ધ ગદ્યાન્વિત લય તથા સંસ્કૃત વૃત્તો અને માત્રમેળ છંદોના કોકટેઇલથી ચિનુ મોદી આપણને વીસમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલ ‘કદાચ’ એકમાત્ર ખંડકાવ્ય પીરસે છે. આ દીર્ઘ ખંડકાવ્યનો એક નાનકડો ખંડ અહીં રજૂ કરવાનો એકમાત્ર હેતુ કવિશ્રીની વૈવિધ્યસભર કાવ્યશક્તિથી વાચકોને સુપરિચિત કરાવવાનો છે.

Comments (3)

ઈર્શાદગઢ : ૦૫ : સૉનેટ : વૃદ્ધ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છે
હજી સન્નાટાની હરફર; હજી એક જણ છે
અને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છે
અને રોજે રોજે વિકસિત થતું એક રણ છે.

હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાં
તરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાં
બધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતા
પ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા.

ખવીસે પાળેલા જડભરત એકાંત સરખું
ભલે ભુરાટેલું અણસમજ એ હિંસક પશુ
ધસે ભીંટો ત્યારે ભરભર ભૂકો થાય પળમાં
હવેલી જૂની છો કણ કણ વિખેરાય…

ભલે તોડીફોડી કણ કણ કરે કાળ તદપિ
હવેલી હીંચે છે વયવગરના વૃદ્ધ મનમાં.

– ચિનુ મોદી

સાંપ્રત સમયમાં ચિનુ મોદીએ નાનાવિધ કવ્યપ્રકારોમાં જેટલું ખેડાણ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ કવિએ કર્યું હશે. કવિ ઉત્તમ સૉનેટકવિ પણ ખરા. પ્રસ્તુત સૉનેટ કવિના પ્રિય શિખરિણીમાં જ આલેખાયું છે. દીકરાઓ ત્યજીને ચાલ્યા જાય પછી ગામની સૂની હવેલીમાં માત્ર સન્નાટાની હરફર છે, બરાબર એ જ રીતે જેમ વૃદ્ધના ખખડધજ શરીરમાં શ્વાસની છે. હવેલીની અંદર સતત રણ વિકસતું રહે છે. કાન બહેરાં થઈ ગયાં છે પણ ભૂતકાળનાં પ્રસંગો હજી અકબંધ સંભળાય છે. હિંસક એકાંત ભૂરાયું થાય ત્યારે જૂની હવેલીના કણ કણ વિખેરાઈ જાય છે. ભલે કાળની હથોડી હવેલીના કાંગરા રોજ-રોજ કેમ ન ખેરવતી જતી હોય, વૃદ્ધના મનમાં હવેલીનું વય વગરનું એ જ ઐશ્વર્ય સદાબહાર અકબંધ છે, હતું ને રહેવાનું… સમય ભલે ભલભલાંનો કળિયો કેમ ન કરી જાય, સ્મરણ કાળાતીત છે, ટાઇમપ્રુફ છે.

Comments (4)

ઈર્શાદગઢ : ૦૪ : ગીત: જેલ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

જન્મ્યા પહેલાં શું હતું
.                   મરણ પછીથી શું?
બે અંધારા ખંડમાં
.                   જીવન વિતાવે તું-
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

આંસુના વરસાદથી
.                   કાદવ કીચડ બઉ;
બે પગ ઊંચા રાખીને
.                   ક્યાં લગ ઊભીશ તું?
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

શ્વાસોના ચગડોળમાં
.                   બહુ બહુ ઘૂમ્યો તું,
અટક્યું પૈડું ક્યારનું
.                   હવે ઉતર ને તું;
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

આટાપાટા બહુ રમ્યા
.                   બહુ બહુ ખેલ્યા દા’
તનમનની માયા મૂકી
.                   નિજની પાસે જા;
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

– ચિનુ મોદી

ચિનુ મોદી જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ ઉત્તમ ગીતકાર પણ હતા. જન્મ અને મૃત્યુ -બંનેમાંથી દરેક માણસ અનિવાર્યપણે પસાર થતો હોવા છતાં મનુષ્યજાતિ બંને વિશે હજીયે અણજાણ જ છે, જાણે કે બે અંધારા ઓરડા. અને આ બે અંધારા ઓરડામાં આપણે જીવન વિતાવીએ છીએ. ક્ષણે ક્ષણે કાયાની જેલ વધુને વધુ પ્રબળ બનતી જાય છે. જીવનમાં દુઃખથી ક્યાં સુધી બચી શકાય? આંસુમાં ન ભીંજાવું કદી શક્ય બને? બહુ દાવ રમી લીધા, હવે તો આ ક્ષણભંગુર કાયાની માયા પડતી મૂકીને પોતાની પાસે જવું ન જોઈએ? તમે ચાલ્યા ગયા એમ, ચિનુભાઈ?

Comments (3)

ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા
અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ
પૉર્ટ્સ
અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા,
દાટવા
કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

– ચિનુ મોદી

૨૦૦૯ની સાલમાં ચિનુ મોદી આ અછાંદસ લખી ગયા એ જાણે છેલ્લી ગુડબાય કહેવા માટે જ ન લખ્યું હોય! દેહદાન કરવાનો વિચાર શું એ વખતથી એમના મનમાં ચાલતો હશે? કવિનું મૃત્યુ આમેય નાનીસૂની ઘટના નથી હોતી. કવિ કોઈપણ દેશ-કાળમાં સંસ્કૃતિના સાચા પ્રહરી હોય છે. સિકંદર યુદ્ધમાં પોતાના સૈનિકોને ખાસ આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખજો, બધું લૂંટી લેજો પણ કવિઓને કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરશો કેમ કે કવિ જ સમાજનો ખરો આત્મા છે.

Comments (1)

ઈર્શાદગઢ : ૦૨ : ઉર્દૂ: जाना है – चिनु मोदी

OLYMPUS DIGITAL CAMERA
ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭)
(તસ્વીર- વિવેક ટેલર, ડિસે., ૨૦૧૦)

*

अब यहाँ से जाना है
मौत तो बहाना है।

अब्र से उतर आये
चाँद को छुपाना है।

गुमसुदा खुदा का भी
अब पता लगाना है।

रुक गई हवा लेकिन
कश्ती को चलाना है।

एक काम बाकी है
आप को मनाना है।

रात-दिन इबादत कर
सरफ़िरा झुकाना है।

जो कभी जलाया था
वह दिया बुझाना है।

-चिनु मोदी

ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭). ગુજરાતી ગઝલગઢનો એક મોભ તૂટી પડ્યો. ચિનુ મોદીને કોઈ ગઝલકાર કહે એ ગુજરાતી કવિતાનું અપમાન છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ગઝલ (इर्शादनामा)માં બહોળું ખેડાણ કરનાર ચિનુ મોદીએ ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ જેવા પ્રચલિત કાવ્યપ્રકારો ઉપરાંત ખંડકાવ્ય (બાહુક), દીર્ઘકાવ્ય (વિ-નાયક), આખ્યાનકાવ્ય (કાલાખ્યાન), પદ્ય એકાંકી નાટકો (ડાયલનાં પંખી) તથ પદ્યસભર વાર્તાઓ (ડાબી મૂઠી, જમણી મૂઠી) પણ આપણને આપ્યાં છે. આ પ્રકારનું કાવ્યપ્રકારબાહુલ્ય આપણે ત્યાં “રેરેસ્ટ ઑફ ધ રેર” ઘટના છે.

 

ગઈ કાલે આપણે ગુજરાતી ગઝલ માણી. આજે, એક ઉર્દૂ ગઝલ…

પ્રસ્તુત ગઝલનો મત્લા અને આખરી શેર જાણે ચિનુ મોદીએ આ રવિવારની સાંજની અલવિદા માટે જ લખ્યો હોય એમ લાગે છે.

Comments (3)

ઈર્શાદગઢ : ૦૧ : ગઝલ : હું નથી હોતો – ચિનુ મોદી

પાતળી પડતી હવામાં હું નથી હોતો
શ્વાસ અટકે એ જગામાં હું નથી હોતો.

એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો.

રાતભર વરસાદ વરસે , ઓરડો ગાજે;
આંખ ઝરમરતાં, મઝામાં હું નથી હોતો.

બે ઘડી માટે થવું છે પર – સુગંધથી;
પુષ્પની અંગત વ્યથામાં હું નથી હોતો.

જીવન જેમ જ સાચવ્યા એકાંતના સિક્કા;
ભીડથી ભરચક સભામાં હું નથી હોતો.

– ચિનુ મોદી

ચિનુભાઈ નથી રહ્યા……

Comments (3)

તુ શું કરીશ ? – મુકેશ જોશી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોશી

તીક્ષ્ણ-અણિયાળા સવાલો…..ટિપિકલ મુકેશ જોશી !!

Comments (8)

કળી શકો નહીં – હર્ષવી પટેલ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,
સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.

– હર્ષવી પટેલ

કેસરી, સફેદ અને લીલો – એમ ત્રણ રંગ ભેગા કરીને બનાવ્યું ન હોય એવા ‘કેસલી’ ગામની વતની હર્ષવી નખશિખ ‘ભારતીય’ પરવીન શાકિર છે. એના શેરમાં પરવીનની નજાકત છે, મીનાકુમારીનું દર્દ છે અને સાથે જ અમૃતાની પરિપક્વતા પણ છે. હર્ષવી ગુજરાતી ગઝલની ઊજળી આજ છે. એની ગઝલો આજના ફેક્ટરી પ્રોડક્શનની ગઝલો નથી, સાચું સોનું છે. મત્લાનો શેર હાથમાં લઈએ… સંસારનો સાર્વત્રિક નિયમ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે એટલે “બંને” વ્યક્તિમાં ઇચ્છો કે ન ઇચ્છો, નજીવો તો નજીવો પણ ફરક તો આવવાનો, આવવાનો ને આવવાનો જ. આ સત્ય હર્ષવી કેવી કારીગરીથી ઉજાગર કરી શકે છે એ જુઓ… તમે ગમે એટલા હોંશિયાર કેમ ન હોવ પણ તમારી પાસે એ આંખ તો નથી જ, જે બે વ્યક્તિની મુલાકાતથી વ્યક્તિત્વમાં વ્યક્તિની ખુદની પણ જાણ બહાર નિપજતા આ subtle પરિવર્તનને કળી શકે.

Comments (14)

વરસાદમાં – સુરેશ પરમાર ‘સૂર’

વા-ઝડી થઈ યાદ સૂસવાતી રહી વરસાદમાં,
હું અહીં, ત્યાં તુંય વળ ખાતી રહી વરસાદમાં.

જાગરણ પ્રોઈ શકું હું જિંદગીની સોયમાં,
એ જ કારણ વીજળી થાતી રહી વરસાદમાં.

હું કવિનો કોટ પહેરી બારીએ બેસી રહ્યો,
ને ગઝલ સાબોળ ભીંજાતી રહી વરસાદમાં.

લાકડાં લીલા જલાવી ડાઘુઓ ચાલ્યા ગયા,
એકલી ચિતા જ ધુમાતી રહી વરસાદમાં.

પિંજરામાં કેદ મેના ‘સૂર’ સામે જોઈને
ભીની આંખે મેહૂલો ગાતી રહી વરસાદમાં.

– સુરેશ પરમાર ‘સૂર’

બધા જ શેર મમળાવવા ગમે એવા… હર મોસમમાં તરબતર કરી દે એવી મજાની વરસાદી ગઝલ…

Comments (6)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતું હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

– પ્રીતિ સેનગુપ્તા

મુદ્દાની વાત કરે છે કવયિત્રી ! માણસ જે કંઈ પણ કરે છે તે સ્વ-હેતુથી કરે છે.

Comments (6)

ભીનાશ – જવાહર બક્ષી

બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય

થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

– જવાહર બક્ષી

Comments (7)

કોની સંગ રમવી રે હોળી? – મીરાંબાઈ (અનુ. વિવેક મનહર ટેલર)

કોની સંગ રમવી હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ ને ભોજન થયાં અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણ અધૂરો લાગે. મીરાં કહે છે, કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે?રંગોના મેળાની વચ્ચોવચ એકલતાથી વધુ ફિક્કો ને પ્રાણહીન અવર કયો રંગ હોઈ શકે? પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત નખશિખ પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે. જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

લયસ્તરોના વાચકમિત્રોને હોળી-ધૂળેટીની રંબિરંગી સ્નેહકામનાઓ…

*

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

Comments (6)

(રાતરાણી છે) – શૈલેન રાવલ

દુઃખતી નસ તેં ફરી દબાવી છે,
બંધ મુઠ્ઠી વળી ઉઘાડી છે.

નીંદ પર સ્વપ્નના ગુના આવ્યા,
જિંદગીને આમ તેં ફસાવી છે.

એક ખોબાને હું તરસતો’તો;
એણે આખી નદી પચાવી છે.

તું મને મારી પાસે રહેવા દે,
માંડ પીડાને ફોસલાવી છે.

ઓળખી લે સ્વરૂપ ઝાકળનું !
એ અગમ તત્ત્વની નિશાની છે.

જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.

– શૈલેન રાવલ

પ્રેમ એ સમર્પિત થઈ જવાની લગણીનું બીજું નામ છે એ સાચું પણ સાથે એ પણ સાચું કે પ્રેમ એટલે પારાવાર પીડાનું શાશ્વત સરનામું. પ્રેમમાં તકલીફની કોઈક ક્ષણે તો આપણે ચિત્કારી જ ઊઠીએ કે મારે સમર્પિત નથી થવું. મને મારી જ પાસે રહેવું છે કેમકે પ્રેમમાં સમર્પણ અપેક્ષા પણ જન્માવે જ છે અને અપેક્ષા જન્મ આપે છે પીડાને. કવિ કદાચ એટલે જ પોતાને પોતાની પાસે જ રહેવા દેવાની માંગણી કરે છે. અને છેલ્લો રાતરાણીવાળો શેર તો અદભુત થયો છે, ગઝલ આખી મઘમઘ કરી દે એવો !

Comments (7)

ફટકાર લાગી ગઈ – કિરણસિંહ ચૌહાણ

સુંવાળા શબ્દની પણ એમને તો ધાર લાગી ગઈ,
અમારી લાગણી પણ જાણે અત્યાચાર લાગી ગઈ.

અમે ઉચ્છવાસ મૂક્યો ને નવો આ શ્વાસ લીધો બસ…
અને બસ એટલામાં આપ કહો છો ‘વાર લાગી ગઈ !’

મુસીબત એમણે તો મોકલી‘તી મોટી સંખ્યામાં,
અમે સાવધ રહ્યા પણ તે છતાં બે–ચાર લાગી ગઈ.

જરા સંભાળ લઈએ ખુદની ત્યાં તો પાછા વિખરાયા,
તમારી ઓઢણી અમને આ બીજી વાર લાગી ગઈ.

સરળ છે એમ સમજીને બધા ફટકારવા લાગ્યા,
ગઝલને એટલે તો આટલી ફટકાર લાગી ગઈ.

– કિરણસિંહ ચૌહાણ

સંબંધમાં સંવેદના માપવાનું કોઈ થર્મોમીટર આવતું નથી. ક્યારે કઈ વસ્તુ કેટલી માત્રામાં ખટકી જાય એ નક્કી કરવું દોહ્યલું બની જાય. મૂડ બરાબર ન હોય તો સુંવાળા શબ્દો પણ ઘસરકો કરતાં જાય. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ ઓઢણી બીજીવાર લાગવાવાળી ઘટનામાં નજાકત અને પ્રણયની તીવ્રતાનું જે શબ્દાંકન થયું છે એ તો અદભુત છે…

Comments (5)

રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! – ‘ગની’ દહીંવાળા

તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,
સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ.

મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,
મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ.

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ !

હો કોટિ ધન્યવાદ વહાલી ઓ જિંદગી !
આવી વિકટ સફરને તું પૂરી કરી ગઈ.

મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.

જીવી ગયો તમારી મહોબ્બતને આશરે,
જૂઠી વિગત જહાનમાં સાચી ઠરી ગઈ.

છે મારું દિલ ‘ગની’, અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ કોઈ બખિયા ભરી ગઈ.

– ‘ગની’ દહીંવાળા

અમર ગઝલ……..

Comments

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

આવો – આદિલ મન્સૂરી

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો,
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– ‘આદિલ’ મન્સૂરી

Comments (5)

નથી – લક્ષ્મી ડોબરિયા

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈના થઈ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હૃદયમાં જગા નથી.

હું તો ગઝલ છું, કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

– લક્ષ્મી ડોબરિયા

આગળ ન વધી શકાય કે પાછળ ખસી ને શકાય, જ્યાં કોઈપણ પ્રકારની શક્યતાનો શૂન્યાવકાશ જ હોય એ વાતને વધારીને શો ફાયદો? આપણા સમગ્ર અસ્તિત્વને એવી રીતે ભરી દે કે આપણી પોતાની જાતને મળવા માટે એક ખૂણો પણ ન બચે એ જાહોજલાલી, એ વૈભવનો અર્થ શો? દાવા-દલીલ વિના કહી શકાય કે સરવાળે ઝીણી ક્ષણે અવતરેલી આ ગઝલમાં એકય શેર એળે જાય એવો નથી.

Comments (9)

એક કાવ્ય – બાબુ સુથાર

હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.

– બાબુ સુથાર

પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષાના બદલે ઘણીવાર કવિતા “મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે. કવિતામાં નકાર પણ ઘણીવાર બળવત્તર હકારની ભાષા બની રહે છે. અહીં કવિ ઘરેલુ ભાષા અને નકાર -બંને હાથમાં લઈને ચાલે છે. રચનાનું શીર્ષક ‘એક કાવ્ય’ છે પણ રચના શરૂ થાય છે, ‘હું કવિતા નથી લખતો’ના નકારથી. કવિતાના કર્તવ્યથી કવિ પરિચિત છે. કવિતા ઇન્દ્રિયોની સફાઈ કરે છે. એરિસ્ટોટલની પરિભાષામાં કવિતા catharsisનું- અર્થાત્ લાગણીઓના વિરેચન અને શુદ્ધિકરણનું કામ કરે છે, ભાષાને જીવાડવાનું કામ કરે છે અને સામાજીક નિસ્બત પણ રાખે છે. કવિ શરૂમાં કહે છે કે હું કવિતા નથી લખતો પણ પછી કહે છે કે હું છંદમાં કવિતા નથી કરતો. ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે! કવિતાના અગત્યના અંગો જેવા કે રૂપાન્તર, પદાવલી, કલ્પન વગેરેનો માત્ર નામોલ્લેખ કરીને છોડી દીધા પછીની અડધોઅડધ કવિતા છંદશાસ્ત્ર વિશે છે. કવિ ભલે છંદમાં કવિતા નથી કરતા પણ ‘એક કાવ્ય’માં અડધાથી વધુ ભાગ છંદને ચરણે સોંપીને હકીકતમાં છંદનો જ મહિમા કરાયો છે. છંદશાસ્ત્રના અભ્યાસુ હોવા છતાં કવિ છંદમાં કવિતા નથી કરતા એ બાબત છંદ શીખ્યા વિના જ અછાંદસનો મહિમા કરનારાઓ માટે સ્પૉટલાઇટ જેવી છે. કવિતાની સાથોસાથ રોજિંદી જિંદગીને સતત જક્સ્ટાપૉઝ કરીને, કવિતાને સતત ઉતારી પાડવાનો કીમિયો કરીને પણ સરવાળે તો કવિને ‘એક કાવ્ય’ જ સિદ્ધ કરવું છે…

Comments (8)

એક પંખી બેઠું થાય રાખમાંથી – કિશોર જીકાદરા

ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?
કેમ શોધું આજને ગઈકાલમાંથી?

પ્રશ્ન મોટો છે, નથી રાખી નિશાની,
ખોલવું પાનું કયું ઈતિહાસમાંથી?

ટાંકણે એ કેટલો નીંભર બન્યો છે,
જોઈ લીધું મેં સમયની ચાલમાંથી!

રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું,
એક પંખી થાય બેઠું રાખમાંથી!

– કિશોર જીકાદરા

સ્વયંસિદ્ધ ગઝલ… આપણે ભૂત અને ભવિષ્યની ચિંતામાંને ચિંતામાં સોના જેવી આજને જેમ જીવવી જોઈએ એમ જીવી શકતાં નથી… સરકી ગયેલી પળ પછી ગમે એટલી શોધો, હાથ લાગતી જ નથી. સમયની ચાલવાળો શેર પણ બળવત્તર થયો છે. જરૂર પડે ત્યારે જ સમય મૂઢ બની જાય છે, આપણા પ્રશ્નોના જવાબ આપતો નથી. જીજીવિષા અને લાખો નિરાશામાં છુપાયેલી અમર આશાને શબ્દસ્થ કરતો છેલ્લો શેર પણ એવો જ ધ્યાનાર્હ થયો છે.

Comments (6)

મળી છે – મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.

વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.

સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.

– મનોજ ખંડેરિયા

પ્રત્યેક શેરમાં ઊંડી વ્યથા છલકે છે…….

Comments (1)