ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2013

જ્યારથી – મુકેશ જોષી

મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.

શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.

ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.

– મુકેશ જોષી

એક તાજગીસભર રચના…….

Comments (3)

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

Comments (4)

સર્જનહાર સમેત – હરિકૃષ્ણ પાઠક

સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.

કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.

મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.

– હરિકૃષ્ણ પાઠક

ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.

• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !

Comments (5)

ખળભળ ! – નીતિન વડગામા

અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !

ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.

ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.

કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !

ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !

ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.

કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?

– નીતિન વડગામા

વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…

Comments (9)

શક્યતા – હેલ્પર ક્રિસ્ટી

આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –

રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…

તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.

નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…

બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…

શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !

– હેલ્પર ક્રિસ્ટી

માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!

Comments (5)

વિદાય ટાણે – મકરંદ દવે

ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.

તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !

– મકરંદ દવે

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.

Comments (3)

પ્રેમ – હરીન્દ્ર દવે

‘ પ્રેમ મુજ તુજ પરે – ‘

કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’

પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.

પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.

હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.

-હરીન્દ્ર દવે

‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………

Comments (5)

‘શ્રી સવા’ લાગી… – દિવ્યા રાજેશ મોદી

surya na hastaksharo

*

હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.

જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?

ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

– દિવ્યા રાજેશ મોદી

સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…

પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…

કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (16)

આઝાદ ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો

સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !

મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.

સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.

કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

– જિગર જોષી ‘પ્રેમ’

ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.

કવિને ખૂબ ખૂબ અભિનંદન !

Comments (10)

કારણ – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.

હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?

જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…

Comments (8)

દીકરાને……- સિતાંશુ યશશ્ચંદ્ર

તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.

કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.

એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.

ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો

પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……

– સિતાંશુ યશશ્ચંદ્ર

કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……

Comments (10)

ધીંગાણું – રમેશ પારેખ

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ

બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો

ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા

થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…

-રમેશ પારેખ

Comments (6)

ગીત – નીલેશ રાણા

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
.                 તોય મને દેખાતું બધું આરપાર.

સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
.                 ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
.                 વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
.                 આપું નિરાકારને હુંયે આકાર.

વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
.                 ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
.                 ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
.                 હવે જોઈએ નહીં કોઈનો આધાર.

– નીલેશ રાણા

પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…

 

Comments (1)

હું, માશૂક, બદલતો રહું છું ! – કરસનદાસ માણેક

હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !

.       કદી વૈરાગી, કદી વિલાસી,
.       કદી વૈભવરત, કદી ઉપવાસી,
.       કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
.       કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
.       કદી અધૂરો, કદી છલતો રહું છું !
.      હું, માશૂક, બદલતો રહું છું !

.                કદી મિલનમાં પણ રહું ઠાલો,
.                કદી વિરહમાં પણ મતવાલો,
.                કદી ગંભીર, કદી અતિ કાલો,
.                કદી સુક્કો, કદી લહેરી લાલો,
.                કદી ટાઢો, કદી જલતો રહું છું !
.                હું, માશૂક, બદલતો રહું છું !

.                          હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
.                          વધુઘટું રંગ તારો વરતી :
.                          આરતી બનીને તારા ફરતી
.                          પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
.                          તૃપ્ત તોય ટળવળતો રહું છું !
.                          હું, માશૂક, બદલતો રહું છું !

– કરસનદાસ માણેક

Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!

Comments (3)

ગઝલ – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…

Comments (10)

ચાલ – જગદીપ સ્માર્ત

અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.

– જગદીપ સ્માર્ત

પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.

Comments (8)

નહીં રહે – મરીઝ

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.

બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.

એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.

ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.

એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.

-મરીઝ

Comments (6)

દૂર બહુ એ દિવસ નથી – અમૃત ઘાયલ

મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !

વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.

મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.

પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.

‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.

– અમૃત ઘાયલ

આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…

Comments (6)

ગઝલ – સુરેન્દ્ર કડિયા

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ

શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ

અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

– સુરેન્દ્ર કડિયા

ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!

Comments (8)

સમસ્યા – જયશ્રી ભક્ત

હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..

નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં

બસ, આ મેદાન છોડી દેવું છે!

પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…

– જયશ્રી ભક્ત

સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.

કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.

કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.

સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.

અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !

Comments (36)

…..હતો ! – રતિલાલ ‘અનિલ’

મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !

આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !

પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !

ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !

કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !

બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !

-રતિલાલ ‘અનિલ’

Comments (3)

મમ નિર્વાણ પછી – રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?

હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !

મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?

એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???

Comments (5)