તું મળી ત્યારે ખબર થઈ શું છે ગ્લૉબલ વૉર્મિંગ?
ફૂલ વિન્ટરમાં અનુભવ્યો સમર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2013

ગઝલ – રતિલાલ ‘અનિલ’

સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !

બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !

એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !

આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !

આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !

કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !

પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !

સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?

ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !

– રતિલાલ ‘અનિલ’

એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે.  “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !

Comments (7)

રસ્તો – રતિલાલ ‘અનિલ’

ratilal anil
(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯  થી ૨૯-૦૮-૨૦૧૩)

*

રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત.  ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…

૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !

*

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

-રતિલાલ ‘અનિલ’

Comments (19)

અંગો કવિતાનાં – ભરત વિંઝુડા

કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.

એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.

સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.

એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.

હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !

– ભરત વિંઝુડા

આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે  – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.

હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.

ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.

Comments (10)

અસ્તુ !

ttheg

છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ…

એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના નિવાસસ્થાને દેહાવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના…

અસ્તુ !

Comments (17)

મધપૂડા – મનીષા જોષી

મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.

-મનીષા જોષી

તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .

Comments (4)

ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

-નિર્મિશ ઠાકર

હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….

Comments (8)

મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર)

મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

*

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…

*
Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)

*

આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,

“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”

Comments (6)

ભેંકાર – ચિનુ મોદી

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦

– ચીનુ મોદી

સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.

વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…

(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)

 

Comments (1)

કાંટો નીકળ્યો – આદિલ મન્સૂરી

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.

પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.

રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.

એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.

જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

– આદિલ મન્સૂરી

સો ટચનું સોનું !

Comments (13)

ગઝલ – રઈશ મનીઆર

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.

-રઈશ મનીઆર

આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।

ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…

Comments (14)

સૂકી જુદાઈની ડાળ – અનિલ જોશી

સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

– અનિલ જોશી

આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…

Comments (10)

શોકગીત – અજ્ઞાત (ચીન) (અનુ. વિવેક મનહર ટેલર)

તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,

અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;

પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.

આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.

– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર

*

લગભગ ચૌદસો – પંદરસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોક-ગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો ચિત્કાર આપણી ભીતર જગાડે છે. પ્રેમમાં સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ પ્રતિકો વડે વચન આપે છે અને છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…

*

Cheek to cheek on our pillows,
we promised to love until green mountains fall,

and iron floats on the river,
and the Yellow River itself runs dry;

to love till Orion rises in the day
and the north star wanders south.

We promised undying love until the sun
at midnight burns the sky.

by Anonymous
(Chinese T’sang Dynasty)

(Yellow River = એશિયાની બીજા નંબરની મોટી નદી)

Comments (4)

શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું… – ઉમાશંકર જોશી

શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.

ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.

પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.

વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.

– ઉમાશંકર જોશી

જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?

અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?

Comments (4)

માતમ (છાજિયાં) – શેખાદમ આબુવાલા

(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)

હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય

સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય

ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય

કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય

આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય

મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય

આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય

-શેખાદમ આબુવાલા

આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !

જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !

Comments (2)

મુક્તિ – – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .

એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .

હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની

જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .

Comments (9)

કે પછી – શેખાદમ આબુવાલા

કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા

શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા

શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા

હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા

બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા

મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા

કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા

કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા

એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા

– શેખાદમ આબુવાલા

અમુક શેર નબળાં લાગ્યા પણ બાકીનાં ગઝલને સરસ ઉપાડે છે.

Comments (1)

મીણબત્તી – કૃષ્ણલાલ શ્રીધરાણી

કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.

એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…

ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…

કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !

Comments (7)

(સૉનેટ યુગ્મ:૦૨) વિખૂટું – જયન્ત પાઠક

જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.

– જયન્ત પાઠક

વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.

જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!

Comments (8)

(સૉનેટ યુગ્મ:૦૧) વિખૂટું – જયન્ત પાઠક

(પયાર)

પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.

વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયન્ત પાઠક

વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?

Comments (7)

ઉપરછલ્લા છે – રઇશ મનીઆર

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે

એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે

ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે

મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે

– રઇશ મનીઆર

Comments (10)

दूसरों से हूँ – राजेश रेड्डी

अच्छा मैं दूसरों से बुरा दूसरों से हूँ
मैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?

अपने में अपने आपको जब ढूँढने गया
मालूम ये हुआ मैं भरा दूसरों से हूँ

जब तक न बन सका है मेरा अपना कोई कद
छोटा मैं दूसरों से बड़ा दूसरों से हूँ

अर्से से कुछ अजीब है इस दिल की कैफियत
नाराज़ खुद से हूँ मैं खफ़ा दूसरों से हूँ

हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ

– राजेश रेड्डी

જરાક change ખાતર આજે આ હિન્દી ગઝલ …. રાજેશ રેડ્ડી નવા યુગના બહુ પ્રતિભાશાળી શાયર છે. પ્રમાણમાં સરળ હિન્દી છે જેથી તરજુમો કરતો નથી.

Comments (12)

ગઝલ – બાપુભાઈ ગઢવી

ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !

શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !

બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?

તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?

ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?

– બાપુભાઈ ગઢવી

પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !

Comments (14)

બક્ષિસ – સુન્દરમ્

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.

– સુન્દરમ્

પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?

Comments (1)

(કાવ્ય) – રાજેશ પંડ્યા

પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.

પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.

જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.

ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.

અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.

– રાજેશ પંડ્યા

ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!

Comments (7)