આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોણ ચલાવે રાજ, બોલો! – સરૂપ ધ્રુવ

ચાળીસમે પણ ચલકચલાણું?
થતાં રહ્યાં તારાજ, બોલો!
અમેય રૈયત, તમેય રૈયત!
કોણ ચલાવે રાજ, બોલો!

મતપેટી કે મંત્રતંત્રથી
ફાટફૂટ ભઈ, ફૂલફટાક!
માણસથી મત મોટા કીધા;
નેવે મૂકી લાજ, બોલો!

ટળવળતી, તરફડતી
સગ્ગી જનતા સામે મીંચી આંખ,
થર્ડ વર્લ્ડના ચક્કરવરતી!
જાતે પ્હેર્યા તાજ, બોલો!

દેશવિદેશે ધજા ફરકતી;
સ્વીસબેન્કમાં આણ વરતતી;
સબમરીન સગતળિયે હોંચી;
કોનાં સરતાં કાજ, બોલો!

શ્હેર સળગતાં, નદીઓ મેલી;
સડતી લાશો, જંગલ ખાલી;
ગંગાજળથી શબ નવડાવ્યું,
પછી સજાવ્યા સાજ, બોલો!

સપના ઉપર સપનું મૂકી,
ચાળીસ માળ ચડાવ્યા ભારે!
ભૂખ્યાં પેટે ભમતાં માથાં,
હવે તો આવ્યાં વાજ, બોલો!

કેટલું કહેવું? કયાં લગ સ્હેવું?
નથી થવું નારાજ, બોલો!
ચલો, ઉગામો મુક્કી સાથી!
રગદોળીશું તાજ, બોલો!

– સરૂપ ધ્રુવ
(૧૫ ઑગષ્ટ, ૧૯૮૭)

આઝાદી મળ્યાના ચાળીસ વર્ષ પછી લખેલી આ રચના આજે બીજા છત્રીસ વરસ વીતી ગયાં હોવા છતાંય એટલી જ પ્રસ્તુત લાગે છે. સાચી કવિતા જ એ જે સમયના સીમાડાઓને વળોટી જાય…સપનાં ઉપર સપનું મૂકીને ચાળીસ માળ ચડાવવાની વાતનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી…

Comments (4)

અવસર મૂકું – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

લાવ, તારો હાથ, એમાં આપણો અવસર મૂકું,
માછલી જળમાંથી કાઢું ને પછી તટ પર મૂકું.

સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું.

સાવ મારું છે, છતાં સાવ પરબારૂં જ છે,
આંસુ તાજું છે, છતાં હું હોડમાં સરવર મૂકું.

આંખ ભીની થાય ત્યાં તું વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભેાંયને પડતર મૂકું.

સ્હેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

– ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

સાવ અલગ મિજાજના અને સાવ અલગ ઓળખ ધરાવતા બે બંડખોર સર્જક ભેગા થઈને એક સહિયારી કાવ્યકૃતિ આપે ત્યારે ક્યારેક એવું બને કે સર્જન તો થાય પણ કવિતા મરી પરવારે… પણ દાળ અને ભાત ભેગાં થઈને અનુપમ સંતુષ્ટિ આપે એ રીતે ક્યારેક અનનુભૂત આહ્લાદનું નિમિત્ત બની શકે એવી મજાની કવિતા પણ ભાષાને ભેટ મળી શકે… ખરું ને?

ચિનુ મોદી અને સરૂપ ધ્રુવ. બંને બળવાખોર કવિ તો ખરા જ, સાથે તદ્દન અલગ છેડાના કવિ પણ ખરા. ચિનુ મોદીનો બળવો પરંપરા સામે તો સરૂપ ધ્રુવનો બળવો સમાજ અને રાજકારણ સામે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બે કવિઓનું આ એક સહિયારું સર્જન છે. પ્રસ્તુત ગઝલના દરેક શેરમાં એક પંક્તિ ચિનુ મોદીની છે અને એક સરૂપ ધ્રુવની. કઈ પંક્તિ કોણે લખી એની પળોજણમાં ન પડતાં રચનાને જ માણીએ.

Comments (6)

રાજકારણ વિશેષ : ૦૧ : મુખ્યમંત્રીજીનું પહેરણ – સરૂપ ધ્રુવ

અલ્યા,
આ તો સાવ પેલી વાર્તા જેવું થયું!
એ તો કહે છે કે આપણા ગુજરાતમાં શાંતિ છે.
બધું થાળે પડવા માડ્યું છે, રાબેતા મુજબ કામેકાજે ચડી ગયું છે આપણું શાણું
ગુજરાત-આગવું ગુજરાત.
હિંસા? પહેલાંના મુખ્યમંત્રીઓના રાજમાં ચાલતી હતી
એનાં કરતાં વહેલી બંધ થઈ ગઈ છે.
જાન હાનિ? – ખાસ ન કહેવાય; એમાં પણ આંકડા એમની તરફેણમાં છે.
હા, આમતેમ છમકલાં થતાં રહે: હોય; છોકરમત છે – છાનાં રહી જશે.
આપણને પટાવવાની લૉલિપોપ તો એમના ખિસ્સામાં જ છે ને ?!
ખિસ્સું… એમના પહેરણનું ખિસ્સું.
.                     શું પૂછો છો ?- પ્રધાનમંત્રીજી શું કહે છે, એમ?
.                     અરે, પીએમજી તો પ્રેમમાં પડેલા છે ને, આમના! ગળાબૂડ!
.                     રોજ ચાર વખત ફોન કરે છે ને કહે છે, કાંઈ વાતો….
.                     કાંઈ વાતો કરે છે… મીઠી મીઠી… લાંબી લાંબી … અહાહાહા…
બોલો, આમના રાજમાં કોઈને કંઈ જોખમ જેવું જ ક્યાં છે?
ખાઓ, પીઓ, જીઓ ઔર ગાઓ ગીત રામજીનાં!
રામ-રાજ તો છે જ… ને એ પોતે ચલાવનારા ચક્રવર્તી પણ છે જ.
સુખી છે… સૌ સુખી છે.. . સર્વદા સુખી છે. . .સદા સુખી છે… હવે કહો:
આટલા સુખી માણસને વળી પહેરણની ચિંતા શાની ?
એમને વળી પહેરણ જ શાનું?!
યાદ આવી ને પેલી વાર્તા …? …

– સરૂપ ધ્રુવ
(માર્ચ, ૨૦૦૨)

(રચના સંદર્ભ: ગુજરાતના મુખ્યમંત્રી ન. મો. ડિઝાઇનર પહેરણના શોખીન છે. એમનું પહેરણ આગવું છે– એમના ‘ગુજરાત’ની જેમ જ! (સરૂપ ધ્રુવ))

‘પ્રતિબદ્ધ કવિ’ તરીકે જાણીતા સરૂપ ધ્રુવની કવિતાઓ સુષ્ઠુ સુષ્ઠુ કવિતાઓ વાંચવા ટેવાયેલા ગુજરાતી વાચકમનને વિક્ષુબ્ધ કરી નાંખે એવી છે. સામાજિક પ્રતિબદ્ધતા એમની છેલ્લા ત્રણેક દાયકાની કવિતાઓનો પ્રમુખ સૂર છે. મોટાભાગની રચનાઓ કોઈને કોઈ સામાજિક, રાજકીય ઘટનાના સંદર્ભે અથવા કુદરતી કે માનવસર્જિત આપત્તિના અનુલક્ષમાં લખાયેલી છે. અને મોટાભાગની રચનાની સાથે કવયિત્રીએ ઉપર ટાંક્યો છે, એમ ‘રચના સંદર્ભ’ અવશ્ય મૂક્યો છે.

રચનાનું શીર્ષક કુતૂહલ જગાવે એવું છે. રચનાનો પ્રારંભ આ કુતૂહલને બેવડાવે છે. બે જણ વચ્ચે એકતરફી સંવાદ ચાલી રહ્યો છે. (આપખુદ સરકાર નાગરિક સાથે કરતી હોય એવો જ!) કથક શ્રોતાને ‘આ તો પેલી વાર્તા જેવું જ થયું’ એમ કહીને કઈ વાર્તા એ કહેવાને બદલે અચાનક ગુજરાત રાજ્યમાં પ્રવર્તતી શાંતિની વાત માંડે છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવકો અને યાત્રાળુઓથી ભરેલ ટ્રેનના ડબ્બા પર હિચકારો હુમલો કરી આગ લગાડવામાં આવી, જેમાં સત્તાવાર આંકડા મુજ્બ અઠ્ઠાવન લોકો બળીને ભડથું થઈ ગયા. બીજા દિવસથી રાજ્યભરમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડોમાં આઠસો જેટલા મુસ્લિમો અને અઢીસો જેટલા હિંદુઓનો ભોગ લેવાયો. અમાનુષી બળાત્કારો અને અત્યાચાર અલગ. બિનસત્તાવાર આંકડા તો બહુ મોટા છે. આ રાજ્યવ્યાપી કોમી હુલ્લડોને જે તે વખતની સરકાર અને અધિકારીઓનું સમર્થન હોવાની વાત એ સમયે જોર પર હતી. માર્ચ, ૨૦૦૨માં લખાયેલ આ રચના જે-તે સમયના બૌદ્ધિક જનમાનસનું પ્રતિબિંબ છે. જાદુઈ અદૃશ્ય પહેરણવાળા નાગુડિયા રાજાની વાર્તાનો સંદર્ભ લઈને કવયિત્રીએ પોતાની મનોવ્યથાને વાચા આપી છે.

ગોધરા હત્યાકાંડ પછી થયેલ રમખાણો વિશે એમણે આવી અનેક રચનાઓ ‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં પ્રગટ કરી છે, કમનસીબે કવિની કલમે સમ ખાવા પૂરતી એક રચના પણ ગોધરા ખાતે ટ્રેનમાં જીવતા સળગાવી મૂકાયેલ કારસેવકો માટે અવતરી નથી. કદાચ કવિની તમામ સહાનુભૂતિ અને કવિકર્મની જવાબદારીઓ એક ખાસ કોમ પૂરતી જ સીમિત રહી ગઈ છે. આવા ઉઘાડા પક્ષપાતને ‘કવયિત્રીજીનું પહેરણ’ ગણી શકાય?

Comments (7)

કેમ નથી રે બદલાતું – સરૂપ ધ્રુવ

કેમ નથી હચમચતું તૂટતુ કડડભૂસ ના થાતું,
જીવતર જૂનું જીરણ જુઠ્ઠું કેમ નથી બદલાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

કે છે નવનિર્માણ કરે છે, નવા નગર એ બાંધે,
માણસ-માણસ વચ્ચેની જે તિરાડ કોઇ ના સાંધે
જૂનાં પાયા જૂનાં નકશા, નવું શું અહીં સર્જાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

મારી અંદર ઉથ્થલપાથલ ચાલે કંઇક સદીથી,
કાંઠા તોડું ધમરોળી દવ શીખું કંઇક નદીથી,
હમણાં તો ગુમરાતો અંદર, તડતડ કંઇ ગુમરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

એવો એ ઇતિહાસ સુણ્યો છે માણસજાત લડે છે,
ઉથલાવે છે જુલ્મની સત્તા, અગનની જાળ બને છે,
ક્રાંતિનો લલકાર ઉઠે છે, કેમ બધુ વિસરાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

સમાજ રહેજે ગતપતન(?) તો બધુંય બદલાવાનું,
જો કરવાનું હોય કશું તો મારે એ કરવાનું,
એવું નડતર શું છે મનને, કેમ ના તત્પર થાતું,
હજીયે કંઇ કેમ નથી રે બદલાતું…….

-સરૂપ ધ્રુવ

આ કાવ્ય નેટ ઉપર વાંચ્યું. કવયિત્રીનો મને ઝાઝો પરિચય નથી, તેઓનું કોઈ પુસ્તક પણ પાસે નથી. જે સ્વરૂપમાં નેટ ઉપર વાંચ્યું તે જ સ્વરૂપમાં મૂકું છું.

કાવ્ય પ્રત્યે આકર્ષાવાનું કારણ એ કે ભલે વિષય જૂનો છે પણ કવયિત્રીના શબ્દોમાં એક અનોખી સચ્ચાઈ વંચાય છે……કાવ્ય દિલમાંથી બહાર આવ્યું છે….ઈમાનદાર આક્રોશ છે……

Comments (6)

ઈચ્છાકુંવરી – સરૂપ ધ્રુવ

આલબેલ ! આલબેલ !
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ !
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું ?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે ?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ !
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને !
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !

– સરૂપ ધ્રુવ

માનવને ઈચ્છાના ગુલામ રહેવાનું ચિર વારદાન છે. ઈચ્છાઓ આપણને ચોતરફ ઘસડે રાખે છે. બધું કરી છૂટો પણ છેલ્લે તો શ્રી ઈચ્છામાતની જે જ બોલવાની રહે છે.

Comments (4)

લાગણીની તિજોરી – સરૂપ ધ્રુવ

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !

– સરૂપ ધ્રુવ

જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
(ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું)

Comments (10)

ગઝલ – સરૂપ ધ્રુવ

આપણે કેવા સમયનું છળ છીએ,
રેતની શીશી છીએ કે પળ છીએ.

ઘર, ગજારો, આંગણાં શાં આપણે,
આપણે તો કાટખાધી કળ છીએ.

કોઈએ પીધાં નહીં ખોબો ધરી,
ખારાં ખારાં સાવ ખારાં જળ છીએ.

દુઃખ હશે તો દુઃખનાં ડુંગર હશે,
આપણે તો એકદમ સમથળ છીએ.

અંતમાં અટવાય છે શાને બધું ?
આપણે ક્યાં પાઘડીના વળ છીએ ?

કો’ક મોસમ આવશે ને મ્હોરશું,
ડાળ પર વળગેલ છો કાગળ છીએ.

-સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શેર વિશે વાત કરવી એ બાકીના શેરનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના – સળગતી હવાઓ – અહીં અગાઉ મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂકશો નહીં એવી ખાસ ભલામન પણ …!)

Comments (7)

સળગતી હવાઓ – સરૂપ ધ્રુવ

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

હજારો  વરસથી  મસાલો  ભરેલું  ખયાલોનું  શબ  છું  ને  ખડખડ  હસું  છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષામાં ભસું છું હું, મિત્રો !

અરીસા   જડેલું  નગર  આખું  તગતગ, પથ્થર  બનીને હું ધસમસ ધસું છું,
તિરાડો  વચ્ચેનું  અંતર  નિરંતર,  તસુ  બે  તસુ  બસ,  ખસું  છું હું, મિત્રો !

સવારે   સવારે   હું   શસ્ત્રો  ઉગાડું,  હથેલીમાં  કરવતનું  કૌવત  કસું  છું;
પછી   કાળી   રાત્રે,  અજગર   બનીને, મને  પૂંછડીથી  ગ્રસું છું હું, મિત્રો !

નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !
પણે  દોર  ખેંચાય,  ખેચાઉં  છું  હું,  અધવચ  નગરમાં વસું છું હું, મિત્રો !

સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !

– સરૂપ ધ્રુવ

સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. ડાબેરી કવયિત્રીએ એમના સંગ્રહનું નામ પણ ‘સળગતી હવાઓ’ આપેલું. પોતાની જાત માટે હજારો વરસથી મસાલો ભરેલું શબ અને અસરગ્રસ્ત ભાષામાં ભસું છું એવી વાત એમની કવિતામાં જ આવે. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. એ પોતાના અસ્તિત્વ માટે અધવચ નગરમાં વસું છું એવું રૂપક વાપરે છે. રોજ શસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની શક્તિ વધારીને માણસ પોતાને જ કરડે છે એ વાત કવિ અહીં ધાર કાઢીને રજૂ કરે છે.

આ કવિતા રમેશ પારેખની સોનલ અને પ્રિયકાંત મણિયારના કાનજીથી તદ્દન જુદી દુનિયાની કવિતા છે. આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે, એને ક્રાંતિથી ઓછું કાંઈ ખપે એમ નથી.

Comments (12)