સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2017

એકાદ વાર – પન્ના નાયક

આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…

– પન્ના નાયક

સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.

પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…

Comments (8)

હું ગુલામ? – ઉમાશંકર જોશી

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

 

એક ક્લાસિક રચના….

Comments (5)

ગાલ્લું – પ્રિયકાન્ત મણિયાર

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ !
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

-પ્રિયકાન્ત મણિયાર

આ કાવ્ય એક અદભૂત શબ્દચિત્ર દોરે છે….સરકતા જતા સમયની ભાસતી નિરર્થકતા એક ઘેરી વેદનાનું દ્રશ્ય નિરૂપે છે….નકરા fatalism ની ચૂભતી અનુભૂતિ….

Comments (4)

પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી (અનુ.: વિવેક મનહર ટેલર)

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

Comments (8)

સખ્ય – સંજુ વાળા

દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.

ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ

તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન

તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ

મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ

ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ

ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

– સંજુ વાળા

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફે કહ્યું હતું, ‘change is the only constant.’ આ અફર સાર્વત્રિક નિયમથી ગુજરાતી કવિતા પણ કેમ બચી શકે? સમયની સાથે-સાથે મહાકાવ્ય, ખંડકાવ્ય, આખ્યાનકાવ્ય, સૉનેટ અને દોહા -જેવા કાવ્યપ્રકારો ક્રમશઃ લુપ્ત થઈ જઈ રહ્યાં છે. સંજુ વાળા દોહાની વિસરાતી જતી પ્રણાલિનો હાથ ઝાલીને દોસ્તીના દોહા લઈને આવ્યા છે. એક-એક દોહા ખૂબ ધીમે ધીમે મમળાવવા લાયક…

Comments (8)

તમારી યાદના સૂરજ- આદિલ મન્સૂરી

તમારી યાદના સૂરજ ઉપર છાઈ નથી શકતા,
કદી એકાન્તના પડછાયા લંબાઈ નથી શકતા.

નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.

નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.

પડ્યાં છે પીઠ પર જખ્મો; મુકું આરોપ કોના પર?
ઘણા મિત્રોનાં નામો છે જે લેવાઈ નથી શકતા.

ખુદા, એવાય લોકોની તરફ જોજે કે જેઓને,
જીવનમાં રસ નથી ને ઝેર પણ ખાઈ નથી શકતા.

સુખો તો કોઈ દી’ આવે અને વ્હેંચાઈ પણ જાયે,
પરંતુ એ દુઃખોનું શું જે વ્હેંચાઈ નથી શકતા.

પછી એ વાદળો તૂટી પડે છે દર્દના રણમાં,
સમી સાંજે સુરાલય પર જે ઘેરાઈ નથી શકતા.

ગઝલ સારી લખો છો આમ તો ‘આદિલ’ સદા કિંતુ,
કસર બસ એટલી છે કે તમે ગાઈ નથી શકતા.

– આદિલ મન્સૂરી

પરંપરાગત રચના છે પણ અમુક શેરમાંની ગહનતા જુઓ !!!! 1,2,5 અને 6 શેર ખાસ…. મક્તો આખી ગઝલનો મૂડ મારી નાખે છે….😀😀😀

Comments (7)

જોઈએ – દુષ્યન્તકુમાર (અનુ. ઉશનસ્)

થૈ ગઈ છે પીડ પર્વતશી – પીગળવી જોઈએ,
આ હિમાલયથી કોઈ ગંગા નીકળવી જોઈએ.

આજ આ દીવાલ, પડદા જેમ લાગી હાલવા,
પણ શરત એવી હતી, બુનિયાદ હલવી જોઈએ.

હર સડક પર, હર ગલીમાં, હર નગર, હર ગામમાં,
હાથને લ્હેરાવતી હર લાશ પળવી જોઈએ.

માત્ર હંગામો મચવવો, હેતુ એ મારો નથી,
મારી કોશિશ છે કે આ સૂરત બદલવી જોઈએ.

મારી છાતીમાં નહીં તો તારી છાતીમાં, ભલે;
ક્યાંક હો એ આગ, પણ આગ જલવી જોઈએ.

– દુષ્યન્તકુમાર
(અનુ. ઉશનસ્)

દુષ્યન્તકુમારની આ ગઝલ હકીકતમાં ગુજરાતી અનુવાદની મહોતાજ નથી કેમકે આપણી રગોમાં ગુજરાતી જો રક્તકણ બની વહે છે તો હિંદી શ્વેતકણ બનીને. પણ સાક્ષાત્ યુગપુરુષ ઉશનસ્ જેવા પરંપરાના કવિ ગઝલની ચેતનાથી સરાબોળ ભીંજાઈને આ રચનાનો અનુવાદ કરે ત્યારે અનુવાદની ગુણવત્તા કરતાં એનું ઐતિહાસિક મહત્ત્વ વધી જાય છે. ગઝલ તો સ્વયંસ્પષ્ટ જ છે પણ ઉશનસનો અનુવાદ આપણા માટે વધારાના પુરસ્કાર સમો છે…

हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

– दुष्यन्त कुमार

Comments

ચણીબોર – મકરંદ દવે

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

બોરમાં તે શું ? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર.

પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારેખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
ચખણી ચારેકોર.

જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલતાં આઠે પ્હોર.

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

– મકરંદ દવે

ક્ષણોમાં જીવવાની વાત કેવી ખૂબીથી આલેખાઈ છે !!! મૂઠીમાં દરિયાની રેતીને જેટલા વધુ જોરથી ભીંસીને પકડવા જઈશું તેટલી જ ત્વરાથી એ સરકી જશે….

Comments (4)

ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)

“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.

– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે.

*
Talking in their sleep

“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”

“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”

“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”

– Edith Matilda Thomas

Comments (1)

કાગડો મરી ગયો – રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

– રમેશ પારેખ

રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

Comments (7)

ગઝલ – દિલીપ રાવલ

હોઠોના સ્મિત સાથે આંખોમાં છે તળાવો,
તારામાં તારી સાથે કંઈ કેટલા બનાવો.

ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.

સૂરજનું અસ્ત થાવું કોઈ તળાવ વચ્ચે,
હો સ્વપ્ન છો ને કિંતુ એક સાંજ ત્યાં વિતાવો.

આંસુ, વિરહ, વ્યથાઓ, સપનાં અને નિઃસાસા,
છે આપણી જ વાતો ને આપણા બનાવો.

છોને વસંત માણો, એક કામ પૂરું કરજો,
ફૂલોને પાનખરમાં જઈને તમે હસાવો.

– દિલીપ રાવલ

આજકાલ વાંચવા મળે છે એના કરતાં સાવ નોખો જ અંદાજે-બયાં લઈને આવતી ગઝલ… બધા જ શેર કેવા મજાના!

Comments (4)

વ્યક્તમધ્ય – જવાહર બક્ષી

જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ–રૂપ નાં
કાજળ ન આંજ હમણાં…આ પળમાં વહી જઈશ

– જવાહર બક્ષી

ગઝલનું શીર્ષક અત્યંત સૂચક છે- ભગવદ્દગીતાનો બીજો અધ્યાય – શ્લોક 28:-

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना॥ 2.28॥

All created beings are unmanifest in their beginning, manifest in their interim state, and unmanifest again when they are annihilated. So what need is there for lamentation?

Comments (3)

જન્મીલું મરણ – સિતાંશુ યશશ્ચંદ્ર

આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે
કે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે

થીર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે
નદીઓના આ છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે
હવે જોયું ને થાય
થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જ જાણજો પય હે રે

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?
તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?
અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે

પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો
ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
રે
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
આ પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો
સ્મિતકલરવ અક્ષય હે રે

-સિતાંશુ યશશ્ચંદ્ર

અનિત્ય મધ્યે એક જ નિત્ય – જીવન…..

Comments

તૂટ, તૂટ, તૂટ – આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન (અનુ. વિવેક મનહર ટેલર)

તૂટ, તૂટ, તૂટ,
તારા ઠંડા ભૂખરા ખડકો પર, ઓ સાગર!
ને હું ઇચ્છું છું કે મારી જીભ ઉચ્ચારે
વિચાર જે ઊઠે છે મારા માનસપટ પર.

ઓહ, સારું છે કે પેલો માછીમારનો દીકરો
બૂમ પાડીને રમી રહ્યો છે બહેનની સાથે;
ઓહ, સારું છે કે ખારવો પેલો
ગાઈ રહ્યો છે ખાડીમાં હોડીના માથે.

અને આ આલિશાન જહાજો જઈ રહ્યાં છે
પોતપોતાના સ્વર્ગમાં ટેકરીની ઓથે.
અરે પરંતુ! અલોપ થયેલા હાથનો સ્પર્શ
અને ધ્વનિ એ અવાજનો જે થીજી ગયો છે!

તૂટ, તૂટ, તૂટ
જઈને તારી કરાડના પગ પર, ઓ સાગર!
પણ એ દિવસ જે મરી ચૂક્યો છે એની કૃપા
ફરી કદી પણ નહીં વરસશે મારા પર.

– આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

વિક્ટોરિયન યુગના રાજકવિ, અને જીવતેજીવ દંતકથા સમાન બહુમાન પામનાર ટેનિસનના પરમમિત્ર આર્થર હેન્રી હેલમ, જે માત્ર 22 વર્ષની કાચી વયે અવસાન પામ્યા એની યાદમાં જ લખાયેલ આ રચના ઉત્તમ શોકગીત છે.સરળ ભાષા, ઓછામાં ઓછા શબ્દો, હૃદયને સીધેસીધી સ્પર્શી જતી બાનીના તાણા સાથે સજીવ ચિત્રો, પ્રગાઢ સંવેદના, ગમગીન સંગીત અને અભિવ્યક્તિની સચ્ચાઈના વાણાથી વણાયેલ આ ગીતનું પોત આપણા દરેકની અનુભૂતિને ઢાંકી શકે એવું હોવાથી એ સમયાતીત બની રહે છે.

પોતાની વેદના એ પોતાની જ હોઈ શકે. વેદનાનો ‘સ્વ’ કદી ‘સર્વ’ બનતો નથી. સમય એક જ છે પણ બધાની પાસે પોતપોતાની ઘડિયાળ છે અને બધાનો સમય પોતપોતાની ઘડિયાળનેજ વશવર્તી ચાલે છે. આપણી જિંદગી થીજી ગઈ હોય ત્યારે પણ દુનિયાની ઘડિયાળના કાંટા અટકતા નથી. કોઈના જવાથી કાળની ગતિ અટકવાની નથી. માછીમારના છોકરાઓ રમવાનું કે ખારવાઓ હોડી હંકારવાનું કે જહાજો ખેપ ખેડવાનું છોડવાના નથી. દરિયાના મોજાં તો પહેલાં પણ કિનારા પરના પથ્થરો પર માથાં પટકી પટકીને તૂટતાં જ હતાં અને પછી પણ તૂટતાં જ રહેશે. સૃષ્ટિનું સત્ય તો એનું એ જ રહે છે, માત્ર આપણા દુઃખના ચશ્માંમાંથી દૃશ્ય બદલાયેલા નજરે ચડે છે, બસ!
*

Break, Break, Break

Break, break, break,
On thy cold gray stones, O Sea!
And I would that my tongue could utter
The thoughts that arise in me.

O, well for the fisherman’s boy,
That he shouts with his sister at play!
O, well for the sailor lad,
That he sings in his boat on the bay!

And the stately ships go on
To their haven under the hill;
But O for the touch of a vanish’d hand,
And the sound of a voice that is still!

Break, break, break
At the foot of thy crags, O Sea!
But the tender grace of a day that is dead
Will never come back to me.

– Alfred, Lord Tennyson

Comments (2)

ગઝલ – મંથન ડીસાકર

નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.

આશાનો સૂર્ય એટલે રંગીન છે હજુ
અંતિમ ચરણ છે સાંજનું પણ આથમી નથી

બારી ઉઘાડવાની છે ઇચ્છા? ઊઘાડી દે,
તો શું થયું? ભલે ને હવા મોસમી નથી

કડવાશ પારખું છું મીઠા શબ્દમાં હવે
એવા અનુભવોની જીવનમાં કમી નથી

ઘટનાની જાણ મેં કરી તો એમણે પૂછ્યું
શું સનસનાટીવાળી કશી બાતમી નથી?

ચર્ચા તો મારા નામની થઈ જોરશોરથી
મારા સિવાય જાણે બીજો આદમી નથી

આશ્ચર્યમાં પડ્યા એ મને હસતો જોઈને
એને થયું કે ચોટ મને કારમી નથી.

આવે નહીં મિલનની એ સાચી મજા કદી,
તેં જ્યાં સુધી વિયોગની પીડા ખમી નથી

અંદાજ ભાવિનો શું મૂકો વર્તમાનમાં?
મારી દશા જે આજે છે તે કાયમી નથી.

– મંથન ડીસાકર

રાણીવાડા(રાજસ્થાન)થી એક પરિવાર ડીસા(ગુજરાત) આવ્યો અને આગમનના બે જ મહિનામાં નરેશ ગંગવાલનો જન્મ થયો. દોઢ દાયકાથી સુરતને નિવાસસ્થાન અને મંથન ડીસાકરને પોતાની કાયમી ઓળખ બનાવનાર આ કવિ સંતાન રાજસ્થાની પરિવારનું છે, MA અને BEdનો અભ્યાસ અંગ્રેજીમાં કર્યો છે અને કવિતા ગુજરાતીમાં કરે છે. ‘અભિનવ સાહિત્ય સભા’ જેવી નાનાવિધ સાહિત્યલક્ષી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ અવિનાભાવે સંકળાયેલા છે.

મત્લાના શેરમાં જ ‘નમી’નો શ્લેષ- ‘નમવું’ અને ‘ભીનાશ’ સ્પર્શી જાય છે. આજના 20-20ના સમયમાં કુલ નવ-નવ શેરની પ્રમાણમાં લાંબી લાગે એવી આ ગઝલ એટલા માટે ગમી જાય છે કે એકપણ શેર નબળા પડતા નથી. આખેઆખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે. ભાષાની સરળતા અને અભિવ્યક્તિની તાજગી સહજ સ્પર્શી જાય છે…

Comments (7)

તારી ગલી સુધી – હરિશ્ચંદ્ર જોશી

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં
રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં

આ રેતના નગરમાં વિહ્વળ તમામ આંખ
મૃગજળ તો એનાં એ જ છે હરણો નવાં નવાં

જીવનને જરી જાણ્યું, ન જાણ્યું- પૂરું થતું
ડાઘુ તો એનાં એ જ છે મરણો નવાં નવાં

વાસંતી વસ્ત્ર ઓઢે કે પહેરે નવી હવા
વૃક્ષો તો એનાં એ જ છે પરણો નવાં નવાં

શ્રદ્ધાને સાચવી રહ્યું આંગળ યુગો પછીય
મંત્રો તો એનાં એ જ છે શ્રમણો નવાં નવાં

ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં

નીકળ્યો હરીશ પહોંચવા તારી ગલી સુધી
નક્શા તો એનાં એ જ છે ભ્રમણો નવાં નવાં

– હરિશ્ચંદ્ર જોશી

સહજ, સુંદર…

Comments (6)

મારો અનહદ સાથે નેહ ! – મકરંદ દવે

મારો અનહદ સાથે નેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ. [ ગેહ = સ્થાન,થાનક ]

ખરી પડે તે ફૂલ ન ચૂંટું,
મરી મટે તે મીત;
મનસા મારી સદા સુહાગણ
પામી અમરત પ્રીત :
અનંત જુગમાં નહીં અમારે
એક ઘડીનો વ્રેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

ચારે સીમ પડી’તી સૂની
માથે તીખો તાપ;
મેઘરવા મુંને હરિ મળ્યા ત્યાં
અઢળક આપોઆપ!
મીટ્યુંમાં વરસ્યો મોતીડે
મધરો મધરો મેહ!
મુંને મળ્યું ગગનમાં ગેહ.

સતનાં મેલી રંગ સોગઠાં
ખેલું નિત ચોપાટ;
જીવણને જીતી લીધા મેં
જનમ જનમને ઘાટ;
ભદ ન જાણે ભોળી દુનિયા
ખોટા ખડકે ચેહ :
મુંને મળ્યું ગગનમાં ગેહ.

– મકરંદ દવે

સાંઈકવિની લાક્ષણિક રચના… હું તો પ્રથમ પંક્તિથી જ ઘાયલ થઇ ગયો……

Comments (3)

એટલું નક્કી કરો – ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

– ગૌરાંગ ઠાકર

Comments (10)

કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે. આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. કવિ જો આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો દુર્લભ પક્ષી કે જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ કવિતા પણ સામે ચાલીને આવી મળશે. સાચી કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.
*

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

Comments (7)

(ઘર હતાં) – સુરેન ઠાકર ‘મેહુલ’

આંગણું, પરસાળ ને ઊંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.

ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.

એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.

ગામને પાદર ભરેલી ભવ્યતા,
આમ વચ્ચે કેટલાં પાદર હતાં.

એને આથમણી હવા ભરખી ગઈ
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.

એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.

– સુરેન ઠાકર ‘મેહુલ’

Comments (13)

ધારણા તૂટી પડી – સંજુ વાળા

સ્વપ્ન સોનેરી થવાની ધારણા તૂટી પડી
આંખ ખૂલી ગઈ તો છાની ધારણા તૂટી પડી

આપની હે સ્વપ્નજ્ઞાની ધારણા તૂટી પડી
માંગતા મળતી મઝાની ધારણા તૂટી પડી

આભ ગોરંભે ચડયું, સંકેત સૌ ડૂબી ગયા
‘ને ઉપરથી ખારવાની ધારણા તૂટી પડી

જોઈ લો, સંજોગ કેવા મૂડ બદલે છે નવા
મન હતું પણ માળવાની ધારણા તૂટી પડી

જીવતા માણસને જ્યાં ફોડાય છે શ્રીફળ ગણી
એ વધુ કઈ કરશે હાની ? ધારણા તૂટી પડી

શહેરી બત્તીઓનું ટોળું તેજના દરબારમાં
જઈ પહોંચ્યું તો દીવાની ધારણા તૂટી પડી

તથ્યની પડખે ઉછરતી વાયકા ચર્ચામાં છે
ત્યારથી સૌ સત્યતાની ધારણા તૂટી પડી

– સંજુ વાળા

અનુમાન બાંધવા એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે અને અનુમાન પ્રમાણે જિંદગી વળાંક ન લે તો હતાશ થવું એય આપણો સ્વ-ભાવ છે. આપણા અખ્તિયારમાં હોય કે ન હોય, આપણે દરેક ચીજ માટે ધારણા તો બાંધી જ લેતા હોઈએ છીએ. કવિ આજ વાતને કેન્દ્રમાં રાખીને ભ્રમનિરસનની મજાની ગઝલ લઈ આવ્યા છે… અહીં ભલભલી ધારણા તૂટી પડતી નજરે ચડશે પણ સારી ગઝલ મળવાની ધારણા છેલ્લા શેર સુધી અડીખમ રહે છે…

Comments (3)