આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2006

હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ

તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

– ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (4)

શેર – બેફામ

આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.

જિંદગીને   મોતનો   જો ભેદ  ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી  નથી  મારે તો  રચવી છે   નવી  દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની  નિશાની   કાંઈ   લાલી  થઈ નથી શકતી !

પથ્થરોને   જે   ઘડે  એ   હો   કલાકારો  ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

– બેફામ

Comments (13)

ઠેસ રૂપે જોયો – રમેશ પારેખ

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

થાય અહીં એ દુર્ઘટના – કે માણસને
બીજો માણસ ગળી જતો અજગરની જેમ

રમેશજીના ઊડી ગયા ફુરચા – ફુરચા
જ્ઞાન ખાબક્યું જાત વિશે લશ્કરની જેમ

એકલતાનો થાક બિછાવી સૂઈ જાતા
લોકો, ટોળું ઓઢીને ચાદરની જેમ

રમેશ હું પયગંબર થઈને વરસું છું
કાગળિયાં છલકાવું છું સરવરની જેમ

– રમેશ પારેખ

નખશિખ રમેશ પારેખ એવી આ ગઝલને અંતે કવિનું નામ ન લખ્યું હોય તોય ચાલે. જ્ઞાન ખાબક્યું એવો શબ્દપ્રયોગ રમેશ પારેખ જ કરી શકે અને એને ગઝલમાં નિભાવી ય શકે. આ નાની શી ગઝલમાં એમણે મોટા ગજાની વાતો વણી લીધી છે.

Comments (1)

બે નવા ગુજરાતી બ્લોગ

છેલ્લા બે દિવસમાં બે નવા ગુજરાતી બ્લોગ જોયા. બેયનું ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત.

પહેલો છે મુંબઈમાં રહેતા કાર્તિકનો બ્લોગ મારા વિચારો, મારી ભાષામાં… અને બીજો છે મૌલિક સોનીનો બ્લોગ પ્રતિદિપ્તિ.

ગુજરાતી બ્લોગજગતની મહેફિલ ઝડપથી જામતી જાય છે !

Comments (6)

— ની ઉક્તિ – જગદીશ જોષી

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
           મને મનગમતી સાંજ એક આપો :
           કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
           મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
           કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
           અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
           મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
           તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
           કાયમની કેદ મને આપો !

– જગદીશ જોષી

Comments (6)

નીર છું – શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

– શેખાદમ આબુવાલા

Comments (1)

બક્ષી હવે નથી રહ્યાં…

મુંબઇ –
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…

ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.

Comments (5)

કેમ આવું ?

પંકજે એના ગુજરાતી બ્લોગ હાથતાળીમાં એક મુદ્દો ઉઠાવ્યો છે –

ગુજરાતી બ્લોગજગતમાં કવિતાઓ જ કેમ જોવા મળે છે? આજ સુધીમાં હું ૮-૯ ગુજરાતી બ્લોગ વાંચી ચુક્યો છું, અને મૈ જોયુ કે લગભગ દરેક લેખક પોતાનાં બ્લોગ પર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતાઓ જ મુકે છે. હું સ્વિકાર કરું છું કે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે આ એક ઉપયુક્ત માધ્યમ તો છે જ. આ બ્લોગો દ્વારા મને ઘણી સારી અને કદીએ ના વાંચવા મળી હોય એવી કવિતાઓ વાંચવા મળી. આ એક ઘણો જ સારો પ્રયાસ છે અને હું એને આવકારું છું. પણ મારો પ્રશ્ન એ છે કે કેમ આપણે આપણા સમાજ, રાષ્ટ્ર અને મુલ્યો વિશે પણ આપણા તારણો વ્યક્ત નથી કરતાં?

ગુજરાતના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર ( અને કદાચ છેલ્લી વાર પણ ! ) ગુજરાતીઓ પર વધારે પડતા સાહિત્યલક્ષી હોવાનો આક્ષેપ આવ્યો છે. એ મારા મતે તો ઘણા આનંદની વાત છે. હિસાબના ચોપડા સિવાય બીજા કોઈ પુસ્તકમાં રસ ન ધરાવવાનું મહેણું ગુજરાતી બ્લોગ-જગતથી પહેલી વાર ટળ્યું લાગે છે. 🙂 🙂

અત્યારે રમૂજની વાત જવા દઈએ. મેં એનો જવાબ આમ આપ્યો છે –

વાત સાચી છે, પંકજ. હું પોતે લયસ્તરો નામનો ગજરાતી કવિતાનો બ્લોગ ચલાવું છું. કવિતા સિવાય બીજું લખવાનું નથી એમ નહીં પણ, કવિતાઓ મારા આનંદનો વિષય છે એટલે એના વિષે લખું છું. બીજા લોકો એમના રસના વિષય પર પણ ધીમે ધીમે લખતા થશે. ગુજરાતી વેબ પર લખી શકાય, અને એ પણ સહેલાયથી, એ વિચાર જ હજુ નવો છે. ગુજરાતી બ્લોગજગતમાં નવા નવા વિચારો અને અભિપ્રાયો ધરાવતા લોકો આવતા જ જવાના છે. દરેક પોતાને ગમતો અવાજ લાવશે અને પોતાને મહેફિલ જમાવશે. આજ નો આ નવો વિચાર કાલે એક વટવૃક્ષ બની જશે !

ગુજરાતી ભાષાએ ગુજરાતી સાહિત્ય કરતા બહુ મોટી વાત છે. ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિ અને સમાજથી બની છે. ગુજરાતી એ જીવંત ઘટના છે. સાહિત્ય તો માત્ર એનું એક પ્રતિબિંબ છે. હવે જ્યારે ગુજરાતી ભાષા નેટ ઉપર સ્થાપિત થઈ ચૂકી છે, સમય આવ્યો છે કે વધુ ને વધુ લોકો ગુજરાતીમાં લખતા થાય. તમે પણ તમારો બ્લોગ બનાવો. રોજ ન લખાય તો અઠવાડિયે એકાદ વાર લખો. નવી વાત લખો, દીલની વાત લખો. ગુજરાતી ભાષા માટે તમારું ગૌરવ બતાવો. ગુજરાતીના નેટ પર પ્રસારમાં તમારો પણ અવાજ ઉમેરો.

Comments (2)

એમ પૂછીને થાય નહીં : તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

તુષાર શુકલ (29-9-1955) કવિ ઉપરાંત સારા સંચાલક પણ છે. તેઓ આકાશવાણી, અમદાવાદ સાથે સંકળાયેલા છે. એમની આ રચના શ્યામલ મુન્શીના કંઠે ‘હસ્તાક્ષર’ આલ્બમમાં સ્વરાંકિત થઈ છે.

Comments (21)

ફૂલમાળ – ઝવેરચંદ મેઘાણી

વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
                      રોપાણાં ત્રણ રૂખડાં હો…જી 1
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
                      મુગતિના ઝરે ફૂલડાં હો…જી

વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
                      ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી
વીરા મારા ! સતલજ નદીને તીર
                      પિંજર પૂરાં નો બળ્યાં હો…જી

વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
                      નવ નવ ખંડે લાગિયું હો…જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
                      ઠારેલી ભલે ટાઢિયું હો…જી

વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
                      ઓરાણો તું તો આગમાં હો…જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
                      લાડકડા ! ખમા ખમા હો…જી

વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
                      ધાવેલાં હજી ફોરતાં હો…જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
                      જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી

વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
                      દુનિયાથી દૂરે દોડવા હો…જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
                      જનમીને ફરી આવવા હો…જી

વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
                      તરસ્યોયે નો’તો રક્તનો હો…જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
                      માભૂમિ કેરા ભક્તનો હો…જી

વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
                      પે’રીને પળ્યો પોંખણે હો…જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
                      સ્વાધીનતાના તોરણે હો…જી

ઝવેરચંદ મેઘાણી

પંચોતેર વર્ષ પૂર્વે આજે, ત્રેવીસમી માર્ચે, અંગ્રેજોએ છળપૂર્વક નિર્ધારિત દિવસથી પહેલાં જ પ્રજાના રોષથી બચવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને એમના મૃતદેહોને કાયરતાપૂર્વક સતલજના કાંઠે અધકચરો અગ્નિસંસ્કાર આપ્યો હતો. એ ત્રણ લબરમૂછિયા નવજવાનોને સમર્પિત ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય આજે પણ આપણા રૂંવાડા થથરાવી જાય છે. અગમ્ય કારણોસર શહીદદિન તરીકે આજનો દિવસ ભલે ઓળખવામાં આવ્યો ન હોય, લયસ્તરો તરફથી એ ત્રણે તથા માભોમ પર ફના થનાર તમામ શહીદોને આજના દિવસે અમારી આ નાનકડી શબ્દાંજલિ છે.

(1 ત્રણ રૂખડાં= ત્રણ વૃક્ષો (ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ), 2 દોખી= દુશ્મન,
3 દાવ= વિરોધી, 4 પળ્યો= જવું, 5 પોંખણે=નવદંપતીને લગ્ન પછી પોંખીને અપાતો આવકાર.)

Comments (9)

ઉત્તમ ગુજરાતી સાહિત્ય : એક યાદી

ઉત્તમ ગુજરાતી સાહિત્યની એક યાદી શ્રી અશોક મેઘાણીની વેબસાઈટ પર જોઈ. એમા એમણે ગુજરાતીમાં ‘ક્લાસિક’ ગણાય એવા બધી જાતના પુસ્તકો – નવલકથાઓ, કવિતા, નિબંધો, વાર્તાઓ, હાસ્યરસ, આત્મકથાનકો અને નાટકોનો -સમાવેશ કર્યો છે. ગુજરાતી સાહિત્યના રસિકો માટે આ યાદી રસપ્રદ છે. આમાંથી તમે કેટલા પુસ્તકો વાંચ્યા છે? આવી જ એક યાદી આરપાર મેગેઝીને ગયા વર્ષે પ્રગટ કરેલી એ અહીં સરખાવવા જેવી છે.

Comments (1)

ગઝલ – રાજેન્દ્ર શુકલ

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

– રાજેન્દ્ર શુકલ

આભાર : પંચમ શુક્લ

Comments (5)

તો ખરા ! – ‘પથિક’ પરમાર

ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
પેટમાં અજગર પાળો તો ખરા.

દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારને ઉલેચો, તો ખરા.

પાનખરને આમ હડસેલો નહીં;
શક્યાતાને આવકારો, તો ખરા.

સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસારવા નિહાળો તો ખરા.

ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.

દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.

– ‘પથિક’ પરમાર

Comments (4)

ગળતું જામ છે – ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

Comments (12)

આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

– કૃષ્ણ દવે

Comments (2)

વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છોળ’.

Comments (4)

સમજો નહીં કે – – બરકત વીરાણી ‘બેફામ’

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (7)

ફાગુનમેં – સુર્યભાનુ ગુપ્ત

ઐસે ખિલતે હૈ ફૂલ ફાગુન મેં
લોગ કરતે હૈ ભૂલ ફાગુન મેં

ધૂપ પાનીમેં યૂં ઊતરતી હૈ
ટૂટતે હૈ ઉસૂલ ફાગુન મેં

કોઈ મિલતા હૈ ઔર હોતે હૈ
સારે સપને વસૂલ ફાગુન મેં

એક ચહેરે બાદ લગતે હૈ
સારે ચહેરે ફુઝુલ ફાગુન મેં

ભૂલે બિસરે હુએ ઝમાનોંકી
સાફ હોતી હૈ ધૂલ ફાગુન મેં

– સુર્યભાનુ ગુપ્ત

ફાગણ મહિનામાં આ મારી અતિપ્રિય ગઝલ રજુ કરવાની લાલચ છોડી શકતો નથી. તદ્દન સરળ – લગભગ સામાન્ય વાતચીત જેવી જ – ભાષાનો પ્રયોગ આ ગઝલના અવાજમાં સચ્ચાઈ ઉમેરે છે. એવું લાગે છે જાણે કે કવિ ખૂણામાં બોલાવીને પોતાની કોઈ અંગત વાત ન કહેતા હોય. ફાગણ તો વારી જવાનો મહિનો છે – કુદરત પર, રંગો પર કે પછી પ્રિયજન પર. આ ગઝલ એવા જ કોઈ ‘કારસ્તાન’ માટે મનને ઉશ્કેરે છે !

Comments (1)

દેવબાલ – ચંદ્રવદન મહેતા

ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.

ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

– ચંદ્રવદન મહેતા

Comments (10)

ફાગુનકે દિન ચાર – મીરાંબાઈ

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે… 
મીરાંબાઈ

મીરાંબાઈ (આશરે 1500-1550) નો જન્મ મેડતા (રાજસ્થાન) અને લગ્ન મેવાડના રાજકુટુંબમાં. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું. મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી. હોળીના અવસર પર પ્રસ્તુત છે મીરાંબાઈનું એક સુંદર હોળીગીત.

Comments

કોને મળું ? – મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

ભીડના દરબારમાં કોને મળું ?
રેતની વણઝારમાં કોને મળું ?

લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?

મૌનના હોઠો તણી ઝુંબિશ લઈ,
શબ્દની જંજાળમાં કોને મળું ?

અજનબી થઈને મળે મિત્રો બધા,
ખોખરા સંસારમાં કોને મળું ?

સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં,
હું હવે પળવારમાં કોને મળું ?

કોઈ મળતું પણ નથી ઘરમાં હવે,
તો પછી પરસાળમાં કોને મળું ?

-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

Comments (2)

પુસ્તક પ્રસારના કસબી

લોકમિલાપનું નામ કોઈ ગુજરાતી માટે અજાણ્યું નથી. ગુજરાતી લોકોને વાંચવાનું વળગણ લગાડવા માટે લોકમિલાપે જેટલું કામ કર્યું છે એટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. સુંદર પુસ્તકો સસ્તી કીંમતમાં વર્ષોથી લોકમિલાપ પ્રગટ કરે છે. સૂરતમાં લોકમિલાપનો પુસ્તકમેળો દર વર્ષે જાન્યુઆરી મહીનામાં એકાદ અઠવાડિયા માટે આવતો. અમે દોસ્તો લગભગ રોજ એની મુલાકાતે જતા. ગુજરાતીના શ્રેષ્ટ પુસ્તકોની આ મેળામાં ઓળખાણ થતી.

લોકમિલાપના સ્થાપક એ શ્રી મહેન્દ્ર મેધાણી. ઝવેરચંદ મેઘાણીના એ દીકરા થાય. એમના વિષે નાનો મઝાનો લેખ આઉટલૂકમાં વાંચવામા આવ્યો. આ લેખ ખાસ વાંચવાલાયક છે. એમના વિષે વધુ માહિતી અહીં પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી પુસ્તકોના પ્રસાર માટે આવું પાયાનું કામ કરનાર મહાનુભવને સલામ !

Comments

લાગણી મારી સતત રણભેર છે

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

– ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (1)

નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખુદના બંધનનો,
બહારનો કોઈ ચોકિયાત નથી.

તેથી તો પુનર્જન્મમાં માનું છું
આ વખતની હયાત-હયાત નથી.

કયાંથી દર્શન હો આખા માનવનું,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઈને ડૂબું છું.
આ ફ્કત મારો આપધાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું
હજી હમણાં તો કંઈ જ વાત નથી

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

Comments (1)

પ્રીત કીધી – જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!

પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.
એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!

– જયન્ત પાઠક

Comments

કહો – મનસુખ વાઘેલા

નજર કરું ત્યાં જળ વહેતું ને સેતુ ત્યાંના ત્યાં જ;
શ્વાસોનાં બિંબો ઝલમલતાં, પડછાયામાં સાંજ,
કહો હવે ક્યાં પડતું મેલું?

લોહી હોત તો ઠીક અરે! આ આંસુ કોને આપું?
ફૂલો વચ્ચે ઊભી ઝાકળ-જન્મારાને કાપું,
ઝાંઝવે હવે જવું શું વ્હેલું?

અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

– મનસુખ વાઘેલા

Comments (1)

આંખ સામે રાખીએ – મકરન્દ દવે

અફસોસને આસન કદી જો આપશું,
                      જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
                      ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;

આંખ સામે ઊગતો દિન રાખીએ,
                      જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
                      રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

મકરન્દ દવે

મકરંદ દવે એટલે “ગમતાંનો ગુલાલ” કરનાર ખુદાનો અલગારી બંદો. એમની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. સંતસાહિત્ય સાથે પ્રગાઢરીતે સંકળાયેલા મકરંદ દવેએ ભક્તિરસથી રંગાયેલી મસ્તીભરી કવિતાઓમાં અધ્યાત્મરંગને સહજરીતે સારવી આપ્યો છે. એમના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાવિષ્ટ છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, નિબંધો, નવલકથા, ગીતનાટિકા – આ બધા એમના કાવ્યપિંડની નિપજ છે. જન્મ: ૧૩-૧૧-૧૯૨૨. નંદીગ્રામ સંસ્થાના સર્જક. કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ વિ. ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા).

Comments (1)

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

Comments (14)

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

Comments (4)