મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(બસ ગમે છે એટલે શંકર મને) – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (1)

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ – મનોજ ખંડેરિયા

ઉંબરને- બારણાંને – કે ના ટોડલાને પૂછ
ઘરમાં ઉદાસી કેમ છે ? ખાલીપણાને પૂછ

રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ

નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ

આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઈ ગયું ,
પંખી હતું કે પૂર હતું, પાંદડાને પૂછ

આકાશ જેની ગોદમાં જન્મે અને ફૂટે
ખાલીપણાનો અર્થ તું એ બુદબુદા ને પૂછ

વિશ્વો ને હચમચાવતું છે કોણ કેન્દ્રમાં ?
હોવાની જેની શક્યતા તે વેદનાને પૂછ

બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ

-મનોજ ખંડેરિયા

Comments (2)

પાંખડી મનની શતદલ થઈ ગઈ – દેવિકા ધ્રુવ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

– દેવિકા ધ્રુવ

પારિજાતના ફૂલની જેમ, જીવનની સાંજે જયારે અંદરથી સમજણનું પુષ્પ -ભલેને મોડે મોડે- ખુલે છે ત્યારની -સૂર્યથીય વધુ ઉજ્જવળ અને કમળથીય વધુ કોમળ- અવસ્થાની ગઝલ.

Comments (14)

मधुशाला : ०५ : है तो है – दीप्ति मिश्र

वो नहीं मेरा मगर उससे मुहब्बत है तो है
ये अगर रस्मों, रिवाज़ों से बगावत है तो है

सच को मैने सच कहा, जब कह दिया तो कह दिया
अब ज़माने की नज़र में ये हिमाकत है तो है

कब कहा मैनें कि वो मिल जाये मुझको, मै उसे
ग़ैर न हो जाये वो बस इतनी हसरत है तो है

जल गया परवाना तो शम्मा की इसमे क्या खता
रात भर जलना-जलाना उसकी किस्मत है तो है

दोस्त बनकर दुश्मनों-सा वो सताता है मुझे
फिर भी उस ज़ालिम पे मरना अपनी फ़ितरत है तो है

दूर थे और दूर हैं हरदम ज़मीनों-आसमाँ
दूरियों के बाद भी दोनों में कुर्बत है तो है

– दीप्ति मिश्र

कुर्बत= સામિપ્ય

ત્રણેક વર્ષ પહેલા મેં આ ગઝલ પ્રથમવાર વાંચેલી… સાવ સીધી અને સરળ… વાંચતાવેંત જ એટલી ગમી ગયેલી કે મેં એનો સાછંદ ગુજરાતીમાં અનુવાદ કરી નાંખેલો.  જો કે કાફિયાઓ એ જ રાખેલા. 🙂

આખી ગઝલમાં કવિએ પ્રેમની ખુમારી અને પ્રેમમાં બગાવતને ઠાંસી ઠાંસીને ભર્યા છે. વારંવાર પુનરાવર્તિત થતો રદીફ है तो है  ખુમારી, બગાવત અને don’t careનું અદ્ભૂત વાતાવરણ સર્જે છે અને મક્તા સુધીની સફરમાં તો એ વાતાવરણને વધુ ને વધુ પ્રબળ બનાવી દે છે. પ્રિયજન સાથેની અલગતાનું acceptance પણ સામિપ્યની અદ્ભૂત ખુમારી સાથે…

***

છે, તો છે !

એ ભલે મારો નથી તો પણ મુહોબ્બત છે, તો છે !
ને જો એ રીતિ-રિવાજોથી બગાવત છે, તો છે !

સત્યને સત્ય જ કહ્યું મેં, કહી દીધું તો કહી દીધું !
એ જો દુનિયાની નજરમાં મારી ગફલત છે, તો છે !

ક્યાં કહ્યું છે મેં- મળી જાય એ મને ને એને હું ?
એ અવરનો થાય નહીં- બસ એ જ હસરત છે, તો છે !

જો પતંગિયું ખુદ બળે તો વાંક મીણબત્તીનો શો ?
રાતભર બાળીને બળવું એની કિસ્મત છે, તો છે !

દોસ્ત થઈને પણ એ દુશ્મન જ્યમ સતાવે છે મને,
તોય એ નિર્દય પર મને મરવાની આદત છે, તો છે !

દૂર છે ને દૂર રહેવાના સદા ધરતી ને આભ,
દૂરતા છે તોયે બંને વચ્ચે ચાહત છે, તો છે !

(અનુવાદ: મોના નાયક ‘ઊર્મિ’ )

Comments (8)

અંતિમ દલીલ છું ! – હરકિશન જોશી

તોડો તો એક ફૂલ છું, વાંચો તો વિલ છું
સંવેદનોના કેસની અંતિમ દલીલ છું !

સડકો જ મારી સોડનું અજવાળું લઈ ગઈ
રાખો બહાલ આંધળા ઘરની અપીલ છું !

પાંચેય તત્વ સાક્ષીઓ હોસ્ટાઈલ થઇ ગયા
કાયાની કોર્ટમાંનો પરાજિત વકીલ છું !

આપો ઉગાડી મારાં કપાયેલા જંગલો
અરજી લઇ ભટકતો આદિવાસી ભીલ છું !

સ્પર્શ્યા વિના રહી ન શકે કોઈ પણ કમળ
ભીંજાય જાય શબ્દ હું એવું સલીલ છું !

– હરકિશન જોશી

ગઝલ રોજબરોજની ભાષામાં લખાવી જોઈએ. જે બોલી બોલીએ એ બોલીમાં જ ગઝલ વણવી જોઇએ. એટલે આજે અંગ્રેજીના થોડા શબ્દો ગઝલમાં આવે તો સારું લાગે છે. અને એ શબ્દો અહીં તદ્દ્ન કુદરતી રીતે આવ્યા છે. પાંચે તત્વો ‘હોસ્ટાઈલ’ થઇ જવાની વાત બહુ ગમી ગઇ.

Comments (6)

बझम-ए-उर्दू : 08 : आग़ाज़ तो होता है अंजाम नहीं होता – मीना कुमारी

आग़ाज़ तो होता है अंजाम नहीं होता
जब मेरी कहानी में वो नाम नहीं होता

जब ज़ुल्फ़ की कालक में घुल जाए कोई राही
बदनाम सही लेकिन गुमनाम नहीं होता

हँस हँस के जवाँ दिल के हम क्यूँ न चुनें टुकड़े
हर शख़्स की क़िस्मत में इनआम नहीं होता

दिल तोड़ दिया उस ने ये कह के निगाहों से
पत्थर से जो टकराए वो जाम नहीं होता

दिन डूबे है या डूबी बारात लिए कश्ती
साहिल पे मगर कोई कोहराम नहीं होता

– मीना कुमारी

आग़ाज़ – શરૂઆત; अंजाम – અંત; कालक – ઘટા; कोहराम – કલ્પાંત

મીનાકુમારીનાં અવાજમાં એમની આ ગઝલ માણો:

૧૯૩૨માં જન્મેલા અભિનેત્રી મીનાકુમારી (જેમનું ખરું નામ મહજબી હતું)ના ચહેરાની ભીતર એક કવયિત્રીનો ચહેરો પણ હતો એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા. પોતાની જાત નિચોવીને રંગમંચના રૂપેરી પડદાને સોનેરી બનાવનાર ‘ટ્રેજેડી ક્વીન’ મીનાકુમારીનું અંગત જીવન પણ એક ટ્રેજેડી જ હતું. એમનાં જ શબ્દોમાં કહીએ તો – “તુમ ક્યા કરોગે સુનકર મુજસે મેરી કહાની, બેલુત્ફ જિંદગી કે કિસ્સે હે ફિક્કે ફિક્કે.” ફિલ્મો માટે સર્વશ્રેઠ અભિનેત્રીના એવોર્ડ વારંવાર મેળવનાર મીનાકુમારીના હાસ્યને પિતા સહિત અનેકાનેક સ્વાર્થી પુરુષોના ચહેરાઓએ બાળપણથી જ છીનવી લીધેલું. નિર્દેશક કમલ અમરોહી સાથેના દસ વર્ષના નિષ્ફળ લગ્નજીવનની વેદના અને અન્ય અભિનેતા સાથેના સંબંધોની ચર્ચાના આઘાતને લીધે શરાબમાં ડૂબીને માત્ર ચાળીસ વર્ષની વયે શાશ્વત અતૃપ્ત પ્રેમની ઝંખના અને તરસને લઈને ૧૯૭૨માં મૃત્યુની ગોદમાં જતા રહ્યા.

તેઓ ‘નૂર’ નામે ઉર્દૂ-હિન્દી કવિતાઓ લખતા. મહજબીની કલમમાંથી અભિનેત્રી મીનાકુમારીના આંસુ ટપકતાં હતાં. એમણે પોતાની અંદર કવયિત્રી અને અભિનેત્રીનાં અસ્તિત્વની અભિન્નતા કાયમ જાળવી રાખેલ. એમની 250 અંગત કવિતાઓમાંથી થોડી નઝમો, ગઝલો અને શેરોને વણીને ફિલ્મ લેખક અને નિર્દેશક ગુલઝરે પ્રગટ કરેલો એમનો એકમાત્ર મરણોતર કાવ્યસંગ્રહ એટલે ‘મીનાકુમારીકી શાયરી’.  અહીં પ્રસ્તુત સીધી અને સરળ ગઝલને સમજાવવાની જરૂર જ ક્યાં છે! હા, આ ગઝલની જેમ જ એમની અન્ય ગઝલો પણ એમનાં હૃદયની વેદનાથી એવી ભરપૂર છે કે એ વેદનાને પ્રત્યેક વાચક-ભાવકનું હૃદય અચૂક અનુભવી શકે છે.

Comments (4)

बझम-ए-उर्दू : 07 : कू-ब-कू फैल गई बात शनासाई की – परवीन शाकिर

कू-ब-कू फैल गई बात शनासाई की
उस ने ख़ुशबू की तरह मेरी पज़ीराई की

कैसे कह दूँ कि मुझे छोड़ दिया है उस ने
बात तो सच है मगर बात है रुस्वाई की

वो कहीं भी गया लौटा तो मिरे पास आया
बस यही बात है अच्छी मिरे हरजाई की

उस ने जलती हुई पेशानी पे जब हाथ रखा
रूह तक आ गई तासीर मसीहाई की

तेरा पहलू तेरे दिल की तरह आबाद रहे
तुझ पे गुज़रे न क़यामत शब-ए-तन्हाई की

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

– परवीन शाकिर

(कू-ब-कू – ચોતરફ; शनासाई – ઓળખાણ, મુલાકાત; पज़ीराई – સ્વીકાર; रुस्वाई – બદનામી;शब-ए-तन्हाई – ઘોર એકલતા; पेशानी – કપાળ, the forehead, तासीर – અસર, ખાસિયત; मसीहाई – સંજીવની શક્તિ; पहलू = પડખું; शब-ए-तन्हाई = એકલતાની રાત)

Parveen Shakir’s recitation:

Raj Kumar Rizvi

MEHDI HASSAN

મુલાકાતથી શરૂ થઈને વિરહ તરફ લઈ જતી આ ગઝલ વાચકને પણ ઘોર એકલતાનો ‘સ્પર્શ’ કરાવી જાય છે. પ્રિયજનનું ફરીફરીને ફરી પોતાની પાસે જ આવવાનાં હરખનું ખોખલું આશ્વાસન.. તો પોતે ત્યજાવાનું દર્દ સહન કરીને પણ એ માટે પ્રિયજનને બદનામ ન કરવાની જીદ… પોતાને મળેલી ઘોર એકલતા એને ન મળે એવી પ્રાર્થના…. છતાં અધૂરી ઈચ્છાઓની અંગડાઈ. પરવિનની ઘણી વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરપૂર ગઝલોમાંની એક ગઝલ.

પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994). શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા. સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે અસત્યના ફરિસ્તાઓએ પરવીનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. કદાચ એટલે જ એમણે એવું લખ્યું હશે કે ‘હું સત્ય બોલીશ છતાંય હું હારી જઈશ એ ખોટું બોલશે તો પણ અસત્યને લાજવાબ કરી દેશે.’

પરવીન કવિતા લખતી ન્હોતી, કવિતા જીવતી હતી. પરવીન એવી કેટલાક સ્ત્રીસર્જકોમાંની એક છે કે જેમણે શબ્દને સાધન બનાવીને પોતાના અસ્તિત્વનો અધિકાર માંગ્યો છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સહજ બાબત છે જે એમના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી ભારોભાર રેલાય છે. આ લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડા નહીં, પરંતુ ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષિપ્ત મનોદશા. સ્વાભાવિકપણે જ સ્ત્રીસંવેદના એ એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આ કહેવાતી વિદ્રોહી કવયિત્રી ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવે લખે છે- “યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા, યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.”

Comments (3)

ખેચાઉં છું કા ? – મનોજ ખંડેરિયા

IMG_1752

ઘણી વાર ખુદથી ડરી જાઉં છું કા ?
હું ભાગીને મારામાં સંતાઉ છું કા ?

પ્રબળ ઝંખના જ્યાં જવાની હતી, ત્યાં,
પહોંચીને પાછો વળી જાઉં છું કા ?

બધે હોઉં છું તો કળાતો ન ક્યાંયે,
નથી હોતો ત્યારે જ દેખાઉં છું કા ?

શિલાલેખની હું લિપિ ક્યાં અકળ છું,
સરળ સાવ છૂં પણ ન સમજાઉં છું કા ?

બધી ભૂલભૂલામણી ભેદું છૂં પણ –
સીધાસાદા રસ્તે જ અટવાઉં છું કા ?

તને કાનમાં વાત કહેવી હતી તે,
ગઝલ રૂપે જાહેરમાં ગાઉં છું કા ?

નથી મારે ચાવંડ-લાઠીથી નાતો,
છતાં ત્યાંથી નીકળું તો ખેચાઉં છું કા ?

– મનોજ ખંડેરિયા

કવિ બે બાજુ ખેંચાતા જાય છે. સરળ ને અઘરું અને અઘરાં ને સરળ કરતા જાય છે. આ મથામણ જ સર્જનના રસ્તાની શરુઆત હશે ?

Comments (6)

ક્યાંથી ક્યાં સુધી – મનોજ ખંડેરિયા

IMG_9508

પગલાંનું વ્હેતું જાય ઝરણ ક્યાંથી ક્યાં સુધી
પ્હોંચ્યા હશે તો બોલો ચરણ ક્યાંથી ક્યાં સુધી

તારી ભીની હથેળી સમી તાજગી નથી
પથરાયું શુષ્ક વાતાવરણ ક્યાંથી ક્યાં સુધી

આ શ્વાસમાંય કેટલી કુમળાશ આવી ગઈ
એક વિસ્તરી છે રેશમી ક્ષણ ક્યાંથી ક્યાં સુધી

આંખોમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી

સૂરજ તળાવ ફૂલ વગર ને વને વને
ભટક્યાં કરે છે તારાં સ્મરણ ક્યાંથી ક્યાં સુધી

– મનોજ ખંડેરિયા

વિષાદને વરખની જેમ ઓઢીને ફરતો કવિ જ આટલી સહજતાથી અભાવને ગાઈ શકે. હરણને લીલાશનુ સપનું માત્ર નસીબ થાય એ અવસ્થાનો સૂર પકડીને આખી ગઝલ વાંચજો.

Comments (7)

– કર્યું હતું – મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

Comments (6)

વાત છે – ઉદયન ઠક્કર

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે

એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે

લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે

વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે

દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે

– ઉદયન ઠક્કર

 

ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……

Comments (7)

એક ઊખાણું! – રાજેન્દ્ર શુક્લ

ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!

– રાજેન્દ્ર શુક્લ

સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.

Comments (10)