આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

દિલીપ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સિતાંશુ યશશ્ચંદ્ર

સિતાંશુ યશશ્ચંદ્ર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બાળક યાદ કરે છે – અગ્નિશેખર (હિન્દી) (અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો’તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે “દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

– અગ્નિશેખર (હિન્દી)
(અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

કેટલીક રચનાઓ આસ્વાદની મહોતાજ હોતી નથી. આ કવિતા શેના વિશેની છે અને શું કહી રહી છે એવું કશું અલગથી કહેવાની જરૂર જણાય છે? કવિતાના શબ્દ-શબ્દેથી જે પીડા નીંગળે છે એ આપણને ઘાયલ ન કરી જાય તો જ નવાઈ…

Comments (9)

આ અંધારામાં છ કલાક : ૦૪ થી ૦૬ – સિતાંશુ યશશ્ચંદ્ર

૪.
કોકે બહુ બહુ રોવડાવ્યું છે આજે
આ કાળી મજૂરણના બેત્રણ વર્ષના ગટિયા છૈયા જેવા આકાશને
અકારણ.

ઓતરાતી-દખણાદી ડાળીઓએ સટક ગાંઠ મારી
પેલીએ ઝુલાવેલી ઝોળીમાં જંપી ગયું’તું એ,
મજૂરીએ મોકલી’તી જ્યારે કરાડો પાછળની ખોમાં ત્યારે
અફીણની આંગળી ચટાડી પેલીએ પોઢાડ્યું’તું એને.

પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.

હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી

ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…

૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.

સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?

તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.

ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.

જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.

૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.

બોલ તારો શું વિચાર છે ?

તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?

તું હા ભણે એક જ વાર તો હું..

– સિતાંશુ યશશ્ચંદ્ર
(૨૦૦૬)

[નાનકડી નોધ : પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિ સાથે…]

નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…

કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!

છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…

અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.

Comments (4)

આ અંધારામાં છ કલાક : ૦૧ થી ૦૩ – સિતાંશુ યશશ્ચંદ્ર

૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.

તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.

૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.

આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ

શરદ પૂનમ સુધી

૩.
અથવા તો, રહો,
.               છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી

દૃશ્યને અજવાળતી, આંખોને આંધળી કરી મૂકતી
વિધ્વંસની ગંધના કાદવમાં ફેફસાંને દાટી દેતી
આગના પહોળા પાવડાથી એક ઉલાળે છેક તળિયા સોતું અંધારું
.                                      આઘું ફંગોળી મારું ઘર મને બતાડતી,

એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?

બોલો.

– સિતાંશુ યશશ્ચંદ્ર

‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?

વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?

પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.

Comments (3)

બેહુલાનું મૃત્યુ – અંજલી બસુમતારી (અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.

અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.

બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…

એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?

એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.

મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!

મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…

જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.

જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..

છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી

અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…

તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?

મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?

નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)

– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…

લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.

ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…

લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…

Comments (7)

લક્કડબજાર – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. [ લાતી = કોઠી ]

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

ધીમી ગતિએ આગળ વધતું માવજતથી ગૂંથવામાં આવેલું નાજુક ગીત…..સંદેશ સ્પષ્ટ છે, માવજત મોહક છે.

Comments (1)

અછાંદસોત્સવ: ૦૮: સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સર્જનપ્રક્રિયાનું વર્ણન અહીં કવિ સમુદ્રના રૂપકથી કરે છે.

ભાષાને સમુદ્ર કહી છે. દેવો અને દાનવોએ – એટલે કે જગતના સારા અને નસરા પરિબળોએ- વલોવીને સરળ કરી નાખી એ પહેલાની ભાષા સુધી કવિ પહોંચ્યા છે. ભાષા પહેલા શબ્દ હતો ને શબ્દ પહેલા સ્વર હતો. ને એનાથી ય પહેલા આદિ રવ હતો – એને પુરાણોમાં નાદ-બ્રહ્મ કહ્યો છે. આપણે ત્યાં વેદના સમયથી નાદ-બ્રહ્મ નો મહિમા છે. સાહિત્ય અને સંગીત બધું એમાંથી ઉતારી આવ્યું છે. ખરા કવિ થવું હોય તો એ નાદ-બ્રહ્મ સુધી પહોંચવું પડે.

વડવાનલ એ સર્જનપ્રક્રિયા સાથે વણાયેલી વેદનાનું પ્રતીક છે. ભીંજાવું (એટલે કે સર્જન કરવું) અને દાઝવું (એટલે કે વેદનામાંથી પસાર થવું) બન્ને અભિન્ન છે.

કવિ ભાષા-સાગરમાં ડૂબકી મારીને આવે તો શું લઈને આવે? એ ભૌતિક કિંમત ધરાવતું કાંઈ ના લાવે. એ તો માત્ર લાવે – આંખમાં નવી ચમક, નવા વિચારો, નવી રચનાઓ!

આ કવિતા મારા દિલની બહુ નજીક છે. વારંવાર હું આ કવિતા વાંચતો રહું છું. કવિએ જે વાત સર્જનપ્રક્રિયા મારે કરી છે એ જ વાત બીજા કોઈ પણ કામને લાગુ પડે છે. કોઈ પણ ચીજનો ખરો અભ્યાસ કરવો હોય તો એના મૂળ સુધી ઉતારવું જોઇએ. અને વેદનામાંથી- જેને આજની ભાષામાં લર્નિગ કર્વ કહે છે- પસાર થવાની તૈયારી રાખવી જ પડે. સાચો અભ્યાસ કર્યા પછી જે જ્ઞાન મળે છે તેને ઉંચકીને ફરવું પડતું નથી. એ તો આંખમાં સ્વતઃ ચમકતું રહે છે.

Comments (6)

જન્મીલું મરણ – સિતાંશુ યશશ્ચંદ્ર

આ પૂનમ કેરો ચાંદ ઊગ્યો ને તળેટીઓને લાગ્યો એવો ભય હે રે
કે થીજેલી ભરતી જેવાં આ શિખરોનો સળવળશે કે શું લય હે રે

થીર માનીને અમે ટોચ પર પ્રભુનાં મંદિર ચણ્યાં હતાં રે
નદીઓના આ છેડાને તો અડગ પ્હાણના ગણ્યા હતા રે
હવે જોયું ને થાય
થાય કે હેલારે ઊંચકાયેલાં છલક્યાં જ જાણજો પય હે રે

મોજાં જેવા પહાડમાંથી પહાડ જેવાં મોજાં જો પ્રગટી પડશે તો?
તૂટે કળશ કમાડ ને ગર્ભાગાર છેક આને જડશે તો?
અધ્ધર અટકી રહેલા ધસમસ આકારોનો બદલાશે નિશ્ચય હે રે

પછી ઘૂઘવ્યા પહાડ-સાગર, ડૂબ્યાં કૂપ તળાવ નદી હો
ડૂબ્યો દરિયો ડૂબી ધરતી ડૂબી વીસેવીસ સદી હો
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
રે
પીતપર્ણ શો ખર્યો ચંદ્ર
આ પીતપર્ણ પર પોઢેલા એ, સાંભળજો, નવજાત શિશુનો
સ્મિતકલરવ અક્ષય હે રે

-સિતાંશુ યશશ્ચંદ્ર

અનિત્ય મધ્યે એક જ નિત્ય – જીવન…..

Comments

સૂફી દોહરા – 2 :- સિતાંશુ યશશ્ચંદ્ર

ક્ષણ મળવું, ક્ષણ બિછડવું, ક્ષણ આંસુ, ક્ષણ હાસ,
મરણ-પિયાલી હોઠ પર, [મને] અમરત પીધાંની આસ.

ભીતર તું, બાહિર નહીં – આને મિલન કહું કે વ્રેહ ?
બેય બાહુથી સાહવા હું ચહું તારો નમણો દેહ.

તારા નરદમ નેહને હું શોધું છું જગ માંહ્ય,
[પણ] ઝબકી ખરતા તારલા, એનાં નક્ષત્રો ન રચાય.

ખરતા તારા ઝબકતા, અમે જોઈ તારી મુખરેખ,
શાશ્વતને અજવાળતું કેવું અજવાળું પળ એક !

ઝંખા બીજલી ઝબકતી, બહુ અજંપ વરસે મેહ,
દુઃખ તે માટી, સુખ સુગંધ, ને ભીંજાવું તે નેહ.

ઝંખા બીજલી ઝબકતી, કયો પથ આ અજબ અંકાય,
[મને] મારગ માટીમાં મળ્યો, કેમ તારે ગગનમંડળ પહોંચાય ?

ઝંખા બીજલી ઝબકતી, [તેમાં] કંઈ જોઈ સુરત તારી,
[પછી] શ્યામ શિલા બિરહા સઘન, નખશિખ મૂરત કંડારી.

આંખ મીંચું તો જોઉં, સાંભળું જો શ્રુતિને જઉં ભૂલ,
શ્વાસ રૂંધું, તો સૂંઘી લઉં તારી છાતીના બેય ફૂલ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

આગળ માણેલા સૂફી દોહરાનો બીજો ભાગ. પ્રત્યેક દોહરો સ્વતંત્ર છે. તમામમાં જગન્નિયંતા સાથે જાણે સંવાદ છે….ધ્યાનના ઊંડાણે નીપજતી અનુભૂતિને શબ્દે કંડારવાનો પ્રયાસ છે.

Comments (3)

સૂફી દોહરા – સિતાંશુ યશશ્ચંદ્ર

રાતો સાગર ચઢ્યો હિલોળે, એના હિંસ્ર ગરજતા લોઢ,
તળિયાના અંધારને અમે થઈ આવ્યા મોઢામોઢ.

અંધકારના તળિયે જઈને જોયું તો, સ્થિર જ્યોતિ
વડવાનલ જેમ ઝલકી ઊઠતું ઝંખાનું જે મોતી.

ઝંખું ઝંખું તારાં દરસ ને તું કેવળ અણસાર,
તારું હોવું મને અડકતું થઈ છેક જ તીણી ધાર.

લોચનથી હેરાય નહીં, તું છે જ નહીં જાણે સાવ,
[મારો] કર લંબાતો નજર થઈ [તો] તુજ દરસ મળે થઈ ઘાવ.

મરણતોલ ઘાયલ થયા [તો] થયો જીવવાનો આરંભ,
મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ.

સદાકાળના સંગની ઝંખા જેવી કઈ ભૂલ ?
પંખી થઈને મળ્યું એક ડાળીને એનું ફૂલ.

શબદ હોય તો સમજવો, આ તો સાંભળવો ભણકાર,
પડતા પર્ણને મળીને મળ્યો પવન તણો આધાર.

સત્ય ફક્ત છે ઝંખા, મળવું ના-મળવું, એ ય શું ?
બીજની રાતે પૂનમનો ચાંદો શોધું છું હું.

– સિતાંશુ યશશ્ચંદ્ર
[આ સૂફી દોહરા ‘જટાયુ’માંથી લીધા છે.]

સંપૂણપણે આંતર-ગતિ કરતો સર્જક જ આ કક્ષાએ પહોંચી શકે ! પ્રત્યેક દોહરામાં નિષ્પક્ષ અને તલસ્પર્શી introspection – આંતરદર્શન છલકે છે. સિતાંશુભાઈની રચના હોય અને સૂક્ષ્મતા ન હોય એ સંભવે જ નહીં….જેમ કે – ‘ મિલનનું એક જ નામ છે – ઝંખન મનનું વણથંભ. ‘- આ કક્ષાનું દર્શન ભાગ્યે જ જોવા મળતું હોય છે.

Comments (7)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

ફરી પાછું વૃક્ષ – સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ – કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે
ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

– સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

બારીક ઈશારો છે – બ્રહ્માંડમાં મૂળતત્વ એક જ છે તે શક્તિ [ energy ] અને દ્રશ્ય તમામ matter એનું જ સ્વરૂપ છે. જે આજે વૃક્ષ છે, તે કાલે ફર્નીચરનું લાકડું છે, તે જ કાલે બળતણનું લાકડું છે, તે જ અગ્નિ છે, તે જ શક્તિ છે, પ્રકાશ છે, કિરણ છે, ધુમ્રસેર છે……સમયાવકાશે તે એક સમગ્ર વર્તુળ ફરીને ફરી વૃક્ષ બને છે અને આ ચક્ર નિરંતર ચાલતું રહે છે. Nietzsche જેને ‘ eternal recurrence ‘ કહે છે તે આ વર્તુળ. જયારે આ વાત એકદમ દિલથી સમજાય, આત્મસાત થાય, માંહ્યલે વણાઈ જાય ત્યારે કોઈ attachments ટકતા નથી. Desire નું છદ્મસ્વરૂપ ત્યારે સમજાય છે. ચૂલાના અગ્નિમાં સૂર્ય અને સૂર્યમાં ચૂલાનો અગ્નિ દ્રષ્ટિગોચર થાય છે…..

Comments (2)

કાચનો પ્યાલો – સિતાંશુ યશશ્ચંદ્ર

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.

કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.

Comments (5)

સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો,
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જયારે હું બહાર આવું,
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.

હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

સમુદ્રમંથનના રૂપકથી વાત કહી છે કવિએ….. મુખ્ય પંક્તિઓ પાંચમી અને છઠ્ઠી છે – ‘ આગ અને ભીનાશ…’. અદ્વૈતધ્વનિ….

આ દુર્બોધ કવિની કોઇપણ રચના લાગે તેટલી સરળ ન જ હોય !! આ કાવ્યમાં પણ બે-ત્રણ ગર્ભિત અર્થો છુપાયેલા છે….. દેવ-દાનવે સરળ કર્યો-અર્થાત હળાહળ વિષ જેના ગર્ભમાં હતું તેના જ ગર્ભમાં અમૃત હતું….આગ અને ભીનાશ….ભીંજાવું અને દાઝવું… જે એક લેવા જાય તેને આપોઆપ બીજું મળે જ મળે…..

Comments (3)

દીકરાને……- સિતાંશુ યશશ્ચંદ્ર

તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.

કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.

એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.

ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો

પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……

– સિતાંશુ યશશ્ચંદ્ર

કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……

Comments (10)

એરંડો – સિતાંશુ યશશ્ચંદ્ર

આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.

સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.

પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.

પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?

વધુ આગળ વાંચો…

Comments (3)

એક વેદના – સિતાંશુ યશશ્ચંદ્ર

વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના….

દુર્બોધ કવિની આ અદભૂત રચના વાંચી ઝૂમી ઉઠાયું ! આંસુને ઇંધણ બનાવવાની વાત અવનવા રૂપકોને સહારે આલેખાઈ છે. મને સવિશેષ તો -‘ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર [ ભીંતચિત્ર ] દે…’ – રૂપક બહુ ગમ્યું. અંતિમ પાંચ પંક્તિઓ પણ અનેરી ઊંચાઈ આંબે છે.

Comments (13)

કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર

કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.

મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.

ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય. વધુ આગળ વાંચો…

Comments (73)

મૃત્યુ : એક સરરિયલ અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર

ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
કાળાડમ્મર ઘોડા ધોળે ખડકાળે રથ જોડ્યા.
ભડક્યા સામી છાતી અડધાં કરું બંધ જ્યાં કમાડ
ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા ધાડ
પાંપણ તોડી તોડ્યા ખડકો
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા.
સેળભેળ ભંગાર પડ્યો ત્યાં ગોળ ગોળ હું ફરું
મારી ને ઘોડાઓની ફાટેલી આંખે લળી ડોકિયાં કરું
અંદરથી ત્યાં
ક્યાં ક્યાં ક્યાં ક્યાં
ખરી પછાડી પુચ્છ ઉછાળી દોડ્યા
ડમ્મર, ધોળા ઘોડા, કાળે ખડકાળે રથ જોડ્યા.

– સિતાંશુ યશશ્ચન્દ્ર

(સિતાંશુભાઈની મોટાભાગની રચના મારી ક્ષમતા બહારની છે એટલે ચંદ્રકાંત શેઠે (કવિતાની ત્રિજ્યામાં) આપેલ સમજૂતીના આધારે સાભાર સંક્ષિપ્ત પ્રયાસ કરું છું)

મૃત્યુનો ‘રિયલ’ અનુભવ – આપણા પોતાના મૃત્યુનો ‘રિયલ(વાસ્તવ)’ અનુભવ શક્ય નથી; ‘સરરિયલ(પરાવાસ્તવ)’  અનુભવ શક્ય છે. વાસ્તવની અપેક્ષાએ જ આ પરાવાસ્તવ અનુભવાતું હોય છે. આ કવિતા સરરિયલના બદલે રિયલ અનુભવની વાત કરતી હોત તો પ્રેતીતિકરતાનો પાયાનો પ્રશ્ન ઊભો થાત !

અહીં મૃત્યુનું બયાન એક તરફ ગતિના પ્રતીક અશ્વ દ્વારા તો બીજી તરફ સ્થગિતતાના પ્રતીક ખડકાળા રથ વડે કરાયું છે. અશ્વ અને રથનું આ જોડાણ ગતિ-સ્થિતિના સંકુલ સંબંધનું, મૃત્યુ -જીવનના નિગૂઢ સંબંધનું દ્યોતક ન ગણાય ? કાળોડમ્મર ઘોડો એ મૃત્યુના ભયાદિ ભાવોનું સૂચન કરે છે.  જે અજ્ઞાત, જે ભયંકર તેને કાળાડમ્મર રંગમાં અવલોકવામાં એક મનોવૈજ્ઞાનિક સત્યનો જ સંચાર વરતાય.  એ કાળાડમ્મર અશ્વની ગતિને ઉઠાવ આપવામાં ખરીનો પછડાટ, પુચ્છનો ઉછાળ જેમ કારણભૂત તેમ રથ, અને તે ય પાછો ખડકાળ, ધોળો, તે ય પણ ઓછો જવાબદાર નહીં !ઘોડા દેખાય એ પહેલાં એના ડાબલા સંભળાય છે. અવાજ દ્વારા અશ્વ એની આક્રમક્તા સાથે આપણા કાવ્યાનુભવના પ્રદેશમાં પ્રવેશે છે.

આપણો અનુભવ છે મૃત્યુને આંખમાં જોવાનો. સેળભેળ ભંગાર, ખોપરીના ભુક્કા અને આંખોના કલ્પનથી મૃત્યુના આકસ્મિક આઘાતનું ઊંડું બળ, ઊંડો પ્રભાવ પામી શકાય છે. મૃત્યુનું આગમન – એની દેમાર દોડ. એ સામે બંધ કમાડરૂપે વ્યક્ત થતો પ્રતિકાઅર; પણ એ ટકવાનો નહીં. ‘ધડ ધડ ધડ ધડ’ ધાડ્ કરતાંકને અથડાતી એ હસ્તી સામે કેમ બચી શકાય?

આપણી ફાટેલી આંખ અને અશ્વની ફાટેલી આંખ વચ્ચે એક ચૈતસિક સાતત્યનો સંબંધ છે જ. મૃત્યુ આ આવ્યું, આ મારામાં પેઠું ને આ… આ સોંસરું વીંધીને ચાલ્યું ! જે દૂર હતું ત્યારે કાળુંડમ્મર – બિહામણું લાગતું હતું તે હવે શ્વેત લાગે છે. રાત(શ્યામ)- દિવસ(ધવલ)ના રૂપ અશ્વમાં ભળી જતાં લાગે. મૃત્યુ એતલે અંત નહીં, ગતિનું સાતત્ય, ચૈતસિક રૂપાંતરનું મૃત્યુ….

Comments (12)

શાશ્વતી – સિતાંશુ યશશ્ચંદ્ર

સૂરજને તો ટેવ છે
લાલ રંગની લૉલીપૉપ આપીને માણસને ફોસલાવવાની.

દિવસ તો માનો ખોળો  – એના રંગબેરંગી છાપેલા સાળુમાં
મોં સંતાડીને પડ્યા રહેવાનું ગમે.

આખો  દિવસ
નાની મોટી ચીજોની આડાશ લઈને આપણે સંતાઈ રહીએ છીએ.

પણ રાત.

મેનહટ્ટનના એક યહૂદી કવિએ મારી હાજરીમાં એની પત્નીને કહ્યું હતું :
I love you, but I don’t like you.
રાત્રિના કામ્ય દેહમાં પ્રગટી જતા બ્રહ્માંડને
જ્યારે ચાહું છું ત્યારે હું નથી હોતો.

શાશ્વત તારાઓની વચ્ચે
વારંવાર મૃત્યુ પામીને વારંવાર જન્મ પામતો ચંદ્ર
કેટલી શરમથી રહેતો હશે !

અને તોપણ
વદ ચૌદશની રહીસહી આડશ પણ ફેંકી દઈને
અમાસની રાત
તારાઓના અઢળક રૂપથી ભરી ભરી પોતાની કાયાને
મારી સામે નિર્લજ્જતાથી ધરી દે છે.

ત્યારે મારીયે ભીતરથી પ્રગટી પડે છે
અરે મનેયે ના ગણકારતો
માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ;

આવતા પરોઢ સુધી પંજો લંબાવીને
ઝડપી લે છે એ તાજા સૂરજને
ને રાત્રિના કમનીય પણ અગોચર અવકાશમાં
કરે છે એનો ઘા…

– સિતાંશુ યશશ્ચંદ્ર

અમુક કવિતાઓનું પોત અંગત વાત જેવું હોય છે  જે કોઈ તમને કાનમાં કહેતું હોય. આ એવી કવિતા છે. વળી સિ.ય.નું કાવ્ય છે એટલે બહુઆયામી જ હોવાનું.

રાત્રિની કમનીયતાના આ કાવ્યનું નામ કવિ શાશ્વતી આપે છે.  કવિને દિવસ ગમે છે પણ પ્રેમ રાત્રિ સાથે છે. દિવસમાં તો ખાલી પૃથ્વી દેખાય છે જ્યારે રાત્રે તો સમગ્ર બ્રહ્માંડનો વરદ દેહ ઉજાગર થાય છે. રાત્રિના સથવારે પોતાની અંદરથી જે ઊગે છે એને કવિ ‘માણસાઈ વિનાનો કોઈ અતિમાનવ’ કહે છે… એના હાથે જ રાત્રિનો – અને રાત્રિ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓનો – અંત લખાયેલો હોય છે.

Comments (7)

છોરી પંજાબની – સિતાંશુ યશશ્ચંદ્ર

છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !

ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !

આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…

– સિતાંશુ યશશ્ચંદ્ર

પંજાબી છોકરીનું વ્યક્તિત્વ કાબેલ પીંછીના લસરકાથી આબાદ ઊપસી આવે છે. ગીતનો લય, વિચારનો તંતુ અને વર્ણનની ગરિમા – ત્રણે ક્યાંય ખોટકાતા નથી. ‘તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી’ – પાંચ શબ્દોમાં કવિએ એક આખા અધ્યાય જેટલી વાત કરી દીધી છે ! સરખાવો : કેરલ કન્યા.

(પંચનદ=પંજાબ)

Comments (3)

કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર

છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…
જળ જેવી લીલી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો.

એને બિન્દાસ મ્હેક મ્હેક ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન,
લોચનમાં ડોકાતું એનું અમાસના તારલિયા આભ જેવું મન,
નક્ષત્રો બાંધી શકાય નહીં એનાં એની રોશની ઝલાય નહીં ઝાલી જો.

ભૂરી ભૂરી ઝાંય ભરી ઢેલ એની ચાલમાં ને ઊડે છે આંખોમાં હંસ,
હોય જો નસીબ તો એ આગભરી નાગણ થઈ દઈ જાય અમરતના ડંસ,
ધારદાર ધારિયેથી ફોડી જોવો તો એનું નારિકેલ એકે નથી ખાલી જો.
છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…

– સિતાંશુ યશશ્ચન્દ્ર

ગયા રવિવારે (11-03-2007)ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રી સિતાંશુભાઈને ‘નર્મદચંદ્રક’ એનાયત થયો ત્યારે લાગલગાટ દોઢ કલાક સુધી એમની વાણી સાંભળવા મળી.’ટેન્કટ…ટેન્કટ…’ કે ‘હો ચી મિહ્ ન’ જેવી કવિતાઓ સાથે પરંપરાગત ગુજરાતી કવિતાના કલેવરને પાયામાંથી હચમચાવી નાંખનાર સિતાંશુભાઈની અસ્ખલિત વાક્ધારા સાંભળવી એ પોતે જ એક લ્હાવો હતો. ‘બુકર પ્રાઈઝ’ તો હું ડાબા હાથે લખું તો પણ મેળવી શકું છું એવો જાહેર ‘હું’કાર એક તરફ એમના ગર્વીલા સ્વભાવ અંગે શંકિત કરતો હતો તો બીજી બાજુ ‘લખતે લખતે અનુભવો અને અનુભવતે અનુભવતે લખો’ની લાખેણી શીખ એમની મૃદુ સર્જક્તાનું શરસંધાન કરતી જણાતી હતી. સામા પ્રવાહે તરવાની છાતી ધરાવતા આ સર્જક પોતાની પરંપરાના પેંગડામાં પણ પગ નાંખીને પડી રહેતા નથી. એમની સરરિયલ કવિતાઓ પોતે એક આંદોલન છે. અહીં એક નાનકડા ગીતમાં કેરળકન્યાનું પ્રતીક લઈ આખા કેરળખંડના કાચા અને અક્ષુણ્ણ સૌંદર્યને એમણે સુંદર રીતે આરાધ્યું છે. (જન્મ: 18-08-1941, કાવ્યસંગ્રહો: ‘ઓડિસ્યૂસનું હલેસું’, ‘જટાયુ’, ‘મોએં-જો-દડો’ (ઑડિયો), ‘લડત’)

(મરાલી = હંસી)

Comments (3)

સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

Comments (3)