તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2013

ક્રાન્તિનાદ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !

સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…

પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’

Comments (4)

ગઝલ – હરીશ ઠક્કર

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.

નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

– હરીશ ઠક્કર

ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…

Comments (15)

કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ – કૈલાશ પંડિત

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

–  કૈલાશ પંડિત

આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….

Comments (6)

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Comments (10)

ગઝલ – નયન હ. દેસાઈ

વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો.

નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.

કોઈ ડૂબે તો કેટલું ? ડૂબી જવાનો મર્મ ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો !

વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો !

નયન દેસાઈ

ચાર જ શેરની એક અદભુત ગઝલ… પાણી-જાણી-નાણી જેવા ચુસ્ત કાફિયાઓમાં કવિએ કેવું કમાલનું કામ કર્યું છે ! કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કોયડો બની જાય છે…

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.

અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.

મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.

સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.

– હરીશ ઠક્કર

સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…

Comments (9)

ડૂસકાં – મુકેશ જોષી

મારું ઓશીકું ભલે લાગતું ફૂલેલું
દોસ્ત ! એમાં ડૂસકાં ભર્યાં છે,
કાચા ને કાચા ઉજાગરા વસંતમાં
રાતોની રાતભર ખર્યા છે.

છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
આરસનો પથ્થર છું એમ કહી
કેટલાંકે મારામાં નામ કોતર્યાં છે.

દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.

  – મુકેશ જોષી

Comments (17)

ગોરજ ટાણે – મકરંદ દવે

બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

-મકરંદ દવે

ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ

Comments (5)

ઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

Comments (7)

ગઝલ – કિરીટ ગોસ્વામી

કોઈ સાથે લાગણી બંધાય છે,
મૂળ દુઃખનાં ત્યાં જ તો નંખાય છે !

પોતપોતાની ઉકેલે સહુ વ્યથા;
ક્યાં પીડાઓ પારકી વંચાય છે ?

એમનાથી માળવા પ્હોંચાય નહીં;
જેમનું મન હર ઘડી શંકાય છે !

વારતા શરૂઆતમાં સારી ભલે;
વાત-વાતે એ પછી વંકાય છે !

રંગ સંસારી બધાં ભોઠાં ‘કિરીટ’.
સાવ ઠાલી આંખ આ અંજાય છે !

– કિરીટ ગોસ્વામી

જિંદગીના નાનાવિધ આયામોને સ્પર્શતી મનનીય ગઝલ…

Comments (8)

ગઝલ – મનીષ પરમાર

આ હવાની ભીંત કોતરવી પડે,
શ્વાસને ડ્હોળી નદી તરવી પડે.

વેદનાનાં વ્હેણ ક્યારે થંભશે ?
કે ક્ષણોની નાવ લાંગરવી પડે.

મ્હેકને ઢાળી હવા ચાલી ગઈ,
શ્વાસની શીશી ફરી ભરવી પડે.

સૂર્યના ઘોડા ઉપર બેસી હવે,
વાદળોની ખીણ ઊતરવી પડે.

હુંય સરનામું બની ભૂલો પડ્યો,
ને ગલી અંધારની ફરવી પડી.

– મનીષ પરમાર

મત્લાના શેરમાં જ કવિ બે મિસરામાં બે સાવ અલગ-અલગ ચિત્રો દોરી આપે છે. એકબાજુ હવાની ભીંત કોતરવાની વાત છે તો બીજી બાજુ શ્વાસની નદી તરવાની.. બંને સાવ જ નોખા કલ્પન અને તોય બંને વચ્ચેનો તાંતણો હવા અને શ્વાસના અદ્વૈતના કારણે અલગ નથી અનુભવાતો. આ જ તો કવિની તાકાત છે. આખી જિંદગી હવાની ભીંત કોતર્યા કરતા શ્વાસને અંતે તો ડ્હોળાઈ ગયેલી નદી – વૈતરણી?- તરવી જ પડતી હોય છે…

પણ આવી મજાની ગઝલમાં કવિએ આખરી શેરમાં રદીફ ‘પડે’ની જગ્યાએ ‘પડી’ કેમ લીધી હશે? કે પછી એ ટાઇપ-ભૂલ હશે?!

Comments (5)

…બેઠા – અનિલ ચાવડા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં ‘કશું નથી’ ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.

– અનિલ ચાવડા

એક જુદી જ જાતની freshness છે આ ગઝલમાં…..

Comments (12)

બધીયે અટકળોનો – હિતેન આનંદપરા

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

અંગત રીતે મને પહેલા પાંચ શેરની સરખામણીએ અંતિમ શેર કમજોર લાગ્યો….

Comments (5)

ગઝલ – હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઈ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઈ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું,
પ્રકાશમાં જુદા પરદાઓ સાત હોઈ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઈ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઈ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઈ શકે.

– હેમેન શાહ

એક-એક શેર પાણીદાર !! વાહ કવિ, વાહ !

Comments (8)

ગઝલ – મહેન્દ્ર ગોહિલ

સમયને શું બીબામાં ઢાળી શકાશે ?
ને સિક્કાની માફક ઉછાળી શકાશે ?

સતત રાતભર વેરાતું જાય ઝાકળ,
ને સૂરજને તોયે પલાળી શકાશે.

સરી જાય રેતીની માફક હમેશાં,
શબદનાં હરણ કેમ પાળી શકાશે ?

કે સૂરજ નથી આંખમાં ઊગવાનો,
તો અંધારને કેમ ભાળી શકાશે?

હથેળીમાં સંભવની રેખા સરે છે,
ક્ષણોને સંભવતી ટાળી શકાશે ?

– મહેન્દ્ર ગોહિલ

બધા જ શેર એક સાવ અનૂઠા શબ્દ-ચિત્રો દોરી આપે છે… પણ અંધારાને જોવાનું કલ્પન અને સંભવતી ક્રિયાપદની મજા સાવ અલગ જ છે…

Comments (8)

ગઝલ – હરિશ્ચંદ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

– હરિશ્ચંદ્ર જોશી

Comments (9)

બંદી – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ

‘ બંદી, કોણે બાંધ્યો છે તને,
આટલી સખ્ત રીતે ?’

‘ માલિકે મને વજ્ર જેવા સખ્ત
બંધનથી બાંધ્યો છે.
મનમાં મારે હતું-
સૌ કરતાં હું મોટો થઈશ.
રાજાનું ધન મેં મારા ઘરમાં
ભેગું કર્યું હતું.
ઊંઘ આવતાં માલિકની પથારી પાથરી
હું સૂઈ ગયો હતો.
જાગીને જોઉં છું તો સ્વ-સંચિત ભંડારમાં
હું બંધાયેલો છું.’

‘ ઓ બંદી, વજ્ર જેવું બાંધણ કોણે ઘડ્યું છે ?’

‘ મેં પોતે જ બહુ જતનપૂર્વક
એ ઘડ્યું છે.
મેં ધાર્યું હતું કે મારો પ્રતાપ
જગતને ગ્રસશે,
હું એકલો જ સ્વાધીન રહીશ,
બધા જ દાસ થશે.
એટલે મેં રાત-દિવસ લોઢાની સાંકળ ઘડી હતી-
-કેટલી આગ,કેટલા ઘા તેનું કંઈ ઠેકાણું નથી.
ઘડવાનું જયારે પૂરું થયું ત્યારે જોઉં છું-
તો
મારી એ સખ્ત અને કઠોર સાંકળે
મને જ બંદી બનાવ્યો છે.’

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુ- નગીનદાસ પારેખ

અહીં લૌકિક બંધનની વાત નથી. આપણે પોતે જ્ન્મપશ્ચાત આપણી પોતાની જાતને – જેને આપણે ‘મન’ કહીએ છીએ – અસંખ્ય જડ પૂર્વગ્રહો અને અર્ધદગ્ધ જાણકારીઓ [ જેને આપણે ‘જ્ઞાન’ કહીએ છીએ ] વડે રચાતી નાગચૂડમાં જકડાઈ જવા દઈએ છીએ. આ નાગચૂડમાં સંપૂર્ણપણે ગ્રસ્ત થયા બાદ આપણે વિવિધ ધર્મ-સંપ્રદાય-માર્ગ-ગુરુ-ફિલોસોફી ઈત્યાદીમાં આ નાગચૂડમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ છીએ જેને કારણે આપણને ગ્રસ્ત કરનાર નાગચૂડનો માત્ર પ્રકાર બદલાય છે – real freedom , સાચી મુક્તિ જોજનો દૂરની જોજનો દૂર જ રહે છે. વળી આ બધા તરફડીયાને લીધે આપણે સાચા માર્ગથી વધુને વધુ અળગા થતા જઈએ છીએ. પછી આત્મવંચનાનો ભયાનક તબક્કો આવે છે. અંતે બચે છે માત્ર huge Ego……

Comments (5)

ચાલ્યા જુઓ – મુકુલ ચૉકસી

બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.

એક બીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતાં માણસો અળગાં રહી ચાલ્યાં જુઓ.

જે તૂટે તે લાકડા જેવું ય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.

રાહ જોતા’તા સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યા જુઓ.

કોઇને ગમતા નહોતા તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યા જુઓ.

– મુકુલ ચૉકસી

Comments (3)

રાખ ઊડે શ્વાસની – પરાજિત ડાભી, તમન્ના આઝમી

કેમ હું સાગર તરી શકતો નથી ?
ને કિનારે આછરી શકતો નથી.

શું લખાશે કબ્રની તક્તી ઉપર,
એ વિચારે હું મરી શકતો નથી.

આપમેળે એ ગઝલમાં અવતરે
શબ્દને હું સંઘરી શકતો નથી.

ના કરે કોશિશ કહો વરસાદને,
આગ જેવો છું, ઠરી શકતો નથી.

રાખ ઊડે શ્વાસની ચારેતરફ,
એક ચપટી પણ ભરી શકતો નથી.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

Comments (8)

સલામ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી;
ભૂલ્યો, ગણી ગણી તને હૃદયની અને માહરી,
ગુલાબ નહિ તું કરેણ, મુજ આંખડી ઊઘડી.

ખુશામત ગણી ? કરું ન પ્રભુ પાસ, ને તાહરી?
કદીક અભિમાનથી મલકી જાય વિભાવરી-
ખુશામત તણી ગણી, અલખની જ એ ગર્જના,
ગમે અગર રાતને, કદી ન, સિંધુને શી પડી ?

સલામ, સખી ! છો પડે અગર આંસુડાં આંખથી,
નહીં જ મુજ હાથથી કદીય તેમ લ્હોવાં નથી;
નિશામુખ પરે પણે ચળકતા નહિ તારકો,
તનેય, સખી ! રાતનેય અભિમાનનાં આંસુડાં !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સત્તર વરસની લબરમૂછિયા ઉંમર એટલે માણસની પ્રેમમાં મુગ્ધ થવાની અવસ્થા. આ કાચી ઉંમરે કવિ પ્રણયભ્રમનિરસન નિમિત્તે પ્રિયતમાને ઉપાલંભ આપવાની વાત જે પ્રગલ્ભતાથી કરી શકે છે એને સલામ !

કવિ સખીને સલામ કરીને વાત શરૂ કરી કહે છે કે હું તારા પ્રેમમાં મરી ફીટ્યો છું એવું અભિમાન હવે ન રાખીશ. હું સમજ્યો હતો કે તું ગુલાબ છે જે સાથે રહી ખુશબૂ ફેલાવશે પણ તું તો માત્ર ઊંચે ને ઊંચે વધવા માંગતી કરેણ છે. દરિયાના મોજાં એકધારું ગર્જન કર્યાં કરે છે એને પોતાની ખુશામત માનીને રાત જેમ હરખાય કે ન હરખાય એનાથી દરિયાને કશો ફરક નથી પડતો તેમ તેંય મારા પ્રેમને ખુશામત ગણી લીધી હોય તો એ તારી ભૂલ છે, મારી નહીં… રાત્રિના મુખ પર ચળકતાં તારાઓ એ રાત્રિના અભિમાનના આંસુ છે. તારા ચહેરા પર પણ જે આંસુ ઉપસી આવ્યાં છે એ અભિમાનનાં છે અને હું મારા હાથથી એ કદી નહીં લૂંછું…

બાર પંક્તિના અંતે ચોટ આપી વિરમી જતું આ કાવ્ય કવિની કાવ્યનિષ્ઠાનું પણ દ્યોતક છે. આજે જેમ ગઝલ એમ જે જમાનામાં સોનેટનો સુવર્ણયુગ હતો એ જમાનામાં આવું મજાનું કાવ્ય રચીને માત્ર બે નવી પંક્તિઓ ઉમેરીને એને સૉનેટાકાર આપવાનો મોહ જતો કરવો એ પણ એક મોટી વાત હતી…

સલામ કવિ ! સો સો સલામ !

Comments (6)

ગઝલ – હેમંત ધોરડા

છૂટી પડી ગયેલી ક્ષણોમાં પડાવ રે,
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં સાવ રે.

સુક્કો જ રેતપટ બહુ સુક્કો જ રેતપટ,
પથ્થર નીચે ભીનાશમાં ઊંડે અભાવ રે.

ભીતર કશું અજંપ અજાણ્યું કશું અબોલ,
ઊડી જતા વિહંગની છાયામાં રાવ રે.

નભની નીચે અફાટમાં અકબંધ જળ અખંડ,
કાળા ખડકથી દૂર નિકટ દૂર નાવ રે.

એકાંતમાં ઊમટતાં દિશાહીન વાદળાં,
કોને કહું, ગણાવું વિખૂટા બનાવ રે.

– હેમંત ધોરડા

ગીતનુમા ગઝલ રવાનુકારી શબ્દવિન્યાસના કારણે સાચે જ ભાવકને હિલ્લોળે ચડાવે છે…

Comments (5)