એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મીનાક્ષી ચંદારાણા

મીનાક્ષી ચંદારાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(હટાવીશ નહિ હું પડદો) – ઝેબુન્નિસા ‘મખ્ફી’ (ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

ના, હટાવીશ નહિ હું પડદો,
ગ૨ હટાવી દઉં હું પડદો, ના થવાનું થઈ જશે!
બુલબુલો વીસરી જશે ગીતો ગુલ-ઓ-ગુલઝા૨નાં,
ક્યાંક એ ફરતી મને ભાળી જશે જો બાગમાં;
બ્રાહ્મણો વીસરી જશે આદર્શ સહુ બ્રાહ્મણ તણા,
મારી સુંદરતા જો જોવી હોય તો વિચાર કરજો પુષ્પનો, કે–
જે છુપાયું છે લતામંડપ મહીં!
કોઈને દેખાય નહિ, પણ એના અંતરની સુગંધી તો બધાં માણી શકે!
એમ બસ, જોઈ શકે આલમ મને!
બસ, ભલા થઈ રૂપ ના શોધો, નિહાળો શબ્દને!
પાંખડીમાં જેમ અત્તર, એમ હું છું શબ્દમાં!
ના, હું પડદો નહીં હટાવું!

– ઝેબુન્નિસા ‘મખ્ફી’
(અંગ્રેજી પરથી ભાવાનુવાદ: મીનાક્ષી ચંદારાણા)

*
લયસ્તરો પર કવયિત્રીના ભાવાનુવાદ સંગ્રહ ‘દીવાન-એ-ઝેબુન્નિસા’નું સહૃદય સ્વાગત છે.

ઈ.સ. ૧૬૩૭માં જન્મેલી ઝેબુન્નિસા મુગલસમ્રાટ ઔરંગઝેબની દીકરી હતી. ‘મખ્ફી’ એટલે ‘છૂપાયેલું.’ એક તો, એ બાપથી અને દુનિયાથી પોતાની ઓળખ છૂપાવીને શાયરી કરતી હતી અને બીજું, એ બુરખામાં છૂપાઈને રહેતી હતી, એટલે એને આ ઉપનામ મળ્યું હોવાનું કહેવાય છે. હાજરજવાબીપણું અને શીઘ્ર પાદપૂર્તિ માટે તે જાણીતી હતી. નાસિર અલી નામના કવિએ મખ્ફીને ‘રસ્કે-કમર’ સંબોધીને લખ્યું હતું, ‘ચંદ્ર પણ જેની ઈર્ષ્યા કરે છે (એવી હે સુંદરી!), તારો બુરખો હટાવ અને મને તારા સૌંદર્યનો જાદુ માણવા દે.’ જવાબમાં મખ્ફીએ જે કવિતા સંભળાવી એ અહીં રજૂ કરી છે. પર્શિયન ભાષામાં લખાયેલ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કટાવ છંદમાં કરાયેલ ગુજરાતી ભાવાનુવાદ આસ્વાદ્ય થયો છે.

બુરખો ન હટાવવા પાછળનાં કારણ આપતાં મખ્ફી કહે છે, હું નકાબ હટાવી લઉં અને બુલબુલ ગુલાબને ભૂલી જાય એ કોને ખબર? મારો ચહેરો જોવાની લાલસામાં બ્રાહ્મણ લક્ષ્મીની પૂજા કરવી ભૂલી જઈ શકે છે. જે રીતે કુંજલતામાંના ફૂલમાં ખુશબૂ છૂપાઈને રહે છે, એ જ રીતે દુનિયા મારો ચહેરો જોવાના બદલે મેં જે કવિતાઓ લખી છે એની સુગંધ જ માણે એ વધુ ઉત્તમ છે.

*
I will not lift my veil,—
For, if I did, who knows?
The bulbul might forget the rose,
The Brahman worshipper
Adoring Lakshmi’s grace
Might turn, forsaking her,
To see my face;
My beauty might prevail.
Think how within the flower
Hidden as in a bower
Her fragrant soul must be,
And none can look on it;
So me the world can see
Only within the verses I have writ—
I will not lift the veil.

– Zeb-un-Nissa Makhfi

Comments (10)

શબ્દની ધજા – મીનાક્ષી ચંદારાણા

Minaxi

છલકતાં ફરે ચોક, છત ને છજાં,
ગઝલમાં પલળવાની કેવી મજા !

ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પુછે રજા !

નગર બ્હાર જાતાં જડ્યાં જંગલો,
છું હદપાર, કેવી મજાની સજા !

ઊડ્યાં મનભરી અંતહીન આ નભે,
અમે છોડી સરહદ, વળોટ્યાં ગજા !

અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.

– મીનાક્ષી ચંદારાણા

વડોદરાના કવિ-દંપતિ શ્રી અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા એકીસાથે પોતપોતાના પ્રથમ ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની મીનાક્ષીબેનના “સાંજને સૂને ખીણે”માંથી એક કૃતિ માણીએ…

આખી ગઝલ મજાની પણ ગઝલનો આખરી શેર કદાચ માત્ર હાંસિલે-ગઝલ જ નહીં, હાંસિલે-જીવન સમો !

Comments (5)

ચાલો હવે! – મીનાક્ષી ચંદારાણા

ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે!
સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે!

સાવ સોનલ સાંકળી શાં દીસતાં આ બંધનો,
દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે!

રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
કુંભ આ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે!

આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!

શ્વાસના આવાગમનના છળ વચાળે હર કદમ,
દૂર ઝળહળ જ્યોત શું વરતાય રે, ચાલો હવે!

– મીનાક્ષી ચંદારાણા

ગરબીના ઢાળમાં ગઝલ… પણ બધા જ શેર અટકીને વાંચવા પડે તેવા…

Comments (7)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – १)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…

દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:

યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:

सीमीत मनकी  पंखका निस्सीम हो विस्तार,
अब  घोंसला  है  विश्व  सभीका  सदन  रहें

तस्बीमें   पीरों   दूँ में ये  बिखरे  हुए   दाने
हरदम  खुशीमें चुरचुर  मन  और  तन  रहें

ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:

हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे

વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:

कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।

-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:

अंधी जो आंखे  देख  सके उस  लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे

– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:

सरहदकी   दोनों    और   चहकता  चमन  रहे’
बेसाखता    हे    हसरत   अमनो    अमन   रहे

અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:

हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.

तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.

-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:

आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे

भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे

-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:

हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |

– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….

Comments (10)

જીવવું શું કોઇ રડનારા વગર ? – મીનાક્ષી ચંદારાણા

જીવવું શું કોઇ રડનારા વગર?
શ્વાસ, માંડો ચાલવા મારા વગર.

મેઘ શાણા થઇ વરસશો મા હવે,
ઓણ ચોમાસું ભલું ગારા વગર.

ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
આંગણું સૂનું છે ભણકારા વગર.

કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.

ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
ને નથી ઉદ્ધાર પિંજારા વગર.

ચાંદની ખીલી રહી પૂરબહારમાં,
રાત સંતાણી છે અંધારા વગર.

કોક વીજ કે આગિયાની રાહમાં,
આયખું વીત્યું છે ઝબકારા વગર.

શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
ને ભજન સોતરાય એકતારા વગર.

આવવાનું જો બને તો આવજે,
કોઇ એંધાણી કે અણસારા વગર.

-મીનાક્ષી ચંદારાણા

ગુજરાતમાં કેટલા કવિ-દંપતિઓ હશે એ વિષય સંશોધન કરવા જેવો છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની ગઝલ વાંચી. આજે માણીએ એમના શ્રીમતિજીની ગઝલ. શ્વાસને પોતાના વિના જ ચાલી નીકળવાનું ફરમાન કરતા આ કવયિત્રી આરા-ઓવારા વિના ત્રાટકતા સુનામીને પણ શેરમાં બ-ખૂબી વણી લે છે. પારકી વીજળીની કે આગિયાના ઝબકારાની પ્રતીક્ષામાં રહેનાર પોતાનું તેજ જન્માવવામાં ભલે વિફળ રહી જતા હોય, મીનાક્ષીબેને અહીં કાવ્યત્વનો ઝબકારો મજાનો કર્યો છે…અને આ ઝબકારનું તેજ લાં…બું ચાલે એમ પણ છે…

Comments (16)