હું સમજદારીની ગોળી લઈ લઉં,
સત્યનો ક્યારેક તાવ આવે મને.
હરીશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રૂમી

રૂમી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સૂફીનામા : ૦3: ખાલી શ્વાસ – રૂમી

ન ઇસાઇ કે યહૂદી કે મુસ્લિમ,
ન હિન્દૂ કે સૂફી કે ઝેન.
ન કોઈ ધર્મ કે ન કોઈ સંસ્કૃતિ.

ન હું પૂર્વથી કે પશ્ચિમથી.
ન સાગરમાંથી કે ન ધરતી પરથી,
ન પાર્થિવ કે ન અપાર્થિવ,
નથી બન્યો હું તત્વોથી.

હું હોવામાં નથી.
હું નથી આ દુનિયાનો કે નથી બાજુની દુનિયાનો,
નથી હું આદમ-ઇવથી જન્મ્યો કે સ્વર્ગથી ઉતારી આવ્યો.

મારું સ્થાન સ્થાનરહિત છે, પગેરાવિહીન પગેરું .
ન આત્મા ન શરીર.

હું મારા પ્રિયતમનો છું ને જોયા છે એમાં
બે જગતને એક થઇ જતા જેને હું પોકારું છું અને જાણું છું.
એ જ પહેલો અને છેલ્લો, એ જ બાહરનો અને અંદરનો,
ખાલી એ શ્વાસ લેતો માનવ.

– રૂમી (કોલમેન બાર્કસના અનુવાદના આધારે)

સૂફીવાદની વાત નીકળે તો પહેલો રૂમી યાદ આવે. એની રહસ્યવાદી કવિતાઓ આજે લગભગ હજાર વર્ષ પછી પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. એની હજારો કવિતાઓ છે અને એકે એક ઉમદા છે.

સુફીમાર્ગમાં ‘ફિત્ર’ની વાત છે. ફિત્ર એટલે નિર્દોષ અને નિર્મળ સ્થિતિ. દરેક માનવ જન્મે આ જ સ્થિતિમાં હોય છે. સંસારના રંગે ના રંગાય ત્યાં સુધી. બીજે બધે વાત છે વધારે જ્ઞાન મેળવીને આગળ જવાની, અહીં વાત છે બિનજરૂરી આવરણો ઉતારીને શુદ્ધ થવાની. બધું પોતાની અંદર છે જ. માત્ર શોધવાની જ વાર છે.

અહીં રૂમી પોતાની જાતને એક પછી એક આવરણમાંથી મુક્ત કરતા જાય છે. પોતાના પરથી જાણે એક પછી એક ‘લેબલ’ ઉખાડતા જતા હોય એમ. કવિને ધર્મ કે સંસ્કૃતિ ખપતા નથી. નથી એમને શરીરનો ભાર ખપતો. પોતાના અસ્તિત્વનું પોત કવિને એટલું પાતળું કરી દેવું છે કે એ શબ્દ વાપરે છે – ‘સ્થાનરહિત સ્થાન’ અને ‘પગેરાવિહીન પગેરું.’ કવિ આત્મા અને શરીર બંનેથી આગળ વધી જવા માંગે છે. એમનુ ગંતવ્ય છે પ્રિયતમ. પોતાના પ્રિયતમમાં એમને બંને જહાન એક થતા દેખાય છે. છેલ્લે રહી જાય છે ખાલી એક શ્વાસ લેતો માનવ. કોઈની પણ આટલી ઓળખાણ પર્યાપ્ત હોય છે. એનાથી વધારેના કોઈ પણ આવરણો આખરે તો અડચણ જ બની રહેતા હોય છે.

Comments (2)

રુમી

Are you searching for your soul?
Then come out of your prison.
Leave the stream and join the river
that flows into the ocean.
Absorbed in this world
you’ve made it your burden.
Rise above this world.
There is another vision…

– રુમી
[ સૌજન્ય – નેહલ ]

ભાષા સરળ છે અને વળી આ પોતે પણ અનુવાદ જ છે તેથી ત્રીજો અનુવાદ કરતો નથી.

કેદખાનામાંથી બહાર આવવાનું આહવાન છે….સ્વરચિત કેદખાનામાંથી. બાળપણથી જ અસંખ્ય રૂઢિઓ વડે થતાં conditioning ના કેદખાનામાંથી…. ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે….. વ્યવહારુ રીતે આમ કરવું કઈ રીતે ? – એક જ ઉપાય છે – સંપૂર્ણપણે open mind રાખીને honest inquiry કરતા રહેવાનો…..સતત…….

Comments (5)

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Comments (10)

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

Comments (5)

નવનિર્માણ – રૂમી – અનુ-વસંત પરીખ

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !

હીરાના તેજને નિખારવા માટે
તેને ખૂબ ઘસવો પડે છે.
એમ આત્માની શુદ્ધિ માટે
કષ્ટોમાંથી ગુજારવું પડે છે.
પણ એ કષ્ટની સાધક જો ફરિયાદ કરે છે
તો મને નવી લાગે છે કે એ શુદ્ધિનો આગ્રહ જ
કેમ રાખે છે ?
પ્રેમ-ન્યાયાલયમાં દાખલ થયેલો છે દાવો,
અને ત્યાં છે પીડા એ જ પુરાવો.
જો તમે એ પુરાવો રજૂ નહીં કરી શકો,
તો તમે દાવામાં સફળતા ક્યાંથી મેળવશો?
કાજી જયારે પુરાવો માગે
ત્યારે તમે અકળાતા નહીં.
કરી લેજો સાપને પણ ચુંબન
અને મેળવી લેજો મહામૂલું પ્રેમધન.

સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે.

– જલાલુદ્દીન રૂમી

અહીં જે પીડામાંથી પસાર થવાની વાત છે તે બંને ક્ષેત્રમાં લાગુ પડે છે – બાહ્ય અને આંતરિક. બાહ્ય પીડાની વાત સમજી શકાય તેમ છે પરંતુ આંતરિક વેદના ઘણી વધારે પડકારજનક હોય છે. આપણાંથી આપણી એક સામાન્ય માન્યતા બદલી શકાતી નથી હોતી, તો સમગ્ર આંતરિક ઢાંચો કે જે સંપૂર્ણપણે વિચાર-ભૂતકાળની યાદો-મગજની તિકડમબાજી પર અવલંબિત છે તેને ધ્વસ્ત કરવો કેટલો કઠિન હશે ! અને આ ઢાંચાની નિરર્થકતાનું સુપેરે જ્ઞાન હોવા છતાં તેને તોડી ન શકવાની સ્થિતિમાં જે guilt ઉદભવે છે તે એથી વધુ કષ્ટદાયક હોય છે. આ એક વિષચક્ર છે જે સાધકને કદી જંપવા નથી દેતું.

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

Comments (4)

અપ્રતિમ – રૂમી – અનુ. વસંત પરીખ

તે અપ્રતિમનાં કાર્યોને કોણ વર્ણવી શકે ?
હું તો એટલું જ કહી શકું,
જેટલું મારું મર્યાદિત મન પામી શકે.
છે તેની અકળ ગતિ.
ક્યારેક વર્તે એક રીતે તો
ક્યારેક તેનાથી સાવ વિપરીત.
તેનો તાગ ક્યાંથી લઈ શકે આપણી મતિ ?
ઈમાન કે મજહબનું સાચું રહસ્ય છે
સતત પ્રગટતું આશ્ચર્ય !
પણ એનો અર્થ એવો નથી
કે એ આશ્ચર્યમાં અંજાઈને
તમે તેનાથી ભાગો દૂર.
તેનો અર્થ તો એ છે કે
તે ચકાચોંધ આનંદમાં ચકનાચૂર
થઇ તમે ખુદમાં ડૂબી જાઓ
અને નશા-એ-ઇશ્કમાં ખોવાઈ જાઓ.

 

आश्चर्यवत पश्यति कश्चित् एनम
आश्चर्यवत वदति तथैव चान्य:
आश्चर्यवत च एनम अन्य: श्रुणोति
श्रुत्वा अपि एनम न चैव कश्चित् .
– ભગવદ ગીતા અધ્યાય ૨ શ્લોક ૨૯

કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી.

આથી વધુ શું પ્રમાણ હોઈ શકે કે તમામ ધર્મ,તમામ ફિલસુફી એક જ વાત કહે છે !

Comments (2)

પ્રેમ અને તર્ક – રૂમી – અનુ.વસંત પરીખ

હે પ્રિય !
પ્રેમ એકલો જ તમામ દલીલબાજીને છેદી નાખે છે,
કારણ કે
જયારે દ્વિધા – વિવાદ ને સંકટ સમયે
તું મદદ માટે પોકારી ઉઠે છે,
ત્યારે કેવળ પ્રેમ જ એકલો તને ઉગારે છે.
પ્રેમની સામે મુખરતા થાય છે સ્તબ્ધ !
ત્યાં વાચાળ બનવાનું સાહસ થઈ શકે નહીં.
કારણ કે –
પ્રિયતમને લાગે છે ડર
કે જો આપીશ હું ઉત્તર
તો અંતરનિગૂઢ પ્રેમાનુભૂતિનું મોતી
મોંમાંથી બહાર ફેંકાઈ જશે,
વેડફાઈ જશે.

 

રૂમી કવિ નહોતો-નખશિખ સૂફી હતો……એ જે બોલતો તે કવિતા થઈ જતી ! એણે હજારોની સંખ્યામાં ગદ્ય-પદ્ય રચનાઓ લખી છે. સરળ વાણીમાં ભારોભાર ગૂઢાર્થ સંતાયેલા હોય છે તેની રચનાઓમાં.

દલીલ એટલે reaction . પ્રેમ એટલે pure effortless action.

Comments (5)

રુબાઈઓ – રૂમી (અનુ. સુરેશ દલાલ)

અગ્નિથી જ ઝાળ લાગે એવું નથી હોતું.
જ્યારે તું એકાએક મારે બારણેથી
ચાલ્યો જાય છે ત્યારે
મને ઝાળ લાગે છે.
જ્યારે તું આવવાનું વચન આપે છે
અને આવતો નથી
ત્યારે હું એકલવાયી અને ઠંડીગાર થઈ જાઉં છું.
હિમ પાનખરમાં જ દેખાય એવું નથી.

*

જો મેં જાણ્યું હોત કે
પ્રેમ આટલો જંગલી છે
તો મેં પ્રેમના મકાનના દરવાજા
બંધ કરી દીધા હોત !
પીટીને, બરાડ્યો હોત ‘દૂર રહેજો !’
પણ હું મકાનમાં છું… અસહાય…

*

તારા હૃદયથી
મારા હૃદય સુધીનો એક રસ્તો છે
અને મારું હૃદય એ જાણે છે,
કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે.
જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય
ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે.

*

તારા ઉઘાડા પગ જ્યાં ચાલે છે
ત્યાં મારે પહોંચવું છે,
કારણ એવું પણ બને
કે તું પગ મૂકે એ પહેલાં
જમીનને જુએ પણ ખરો.
મને જોઈએ છે એ આશીર્વાદ.

*

તારે માટે મને જે પ્રેમ છે
એમાં જ હું આ રીતે મરીશ.
જેમ વાદળોના ટુકડાઓ
સૂર્યપ્રકાશમાં ઓગળી જાય, એમ.

*

પ્રેમ,
એક એવી જ્વાળા છે
કે જ્યારે એ પ્રકટે છે
ત્યારે બધું જ બાળી નાખે છે.
કેવળ રહે છે ઈશ્વર.

– મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી
(અનુવાદ: સુરેશ દલાલ)

તેરમી સદીના પર્શિયન ભાષાના સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. શ્રી સુરેશ દલાલ “હું તો तमने પ્રેમ કરું છું” નામના અદભુત પુસ્તકરૂપે એમની રુબાઈઓનો અમૂલ્ય અનુવાદ આપણા માટે લઈ આવ્યા છે. આ પુસ્તક પ્રગટ થયાના પાંચ વર્ષ મોડું કેમ હાથમાં આવ્યું એનો જ વસવસો છે…

આજે ‘વેલેન્ટાઈન ડે’ના અવસર પર ‘લયસ્તરો’ના પ્રેમીઓ માટે મહાસાગરના કયા મોતીઓ -રુબાઈઓ- પસંદ કરવા અને કયા છોડવા એ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો. નાની-નાની રુબાઈઓના સ્વરૂપે અહીં ચારે તરફ ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો ભર્યો પડ્યો છે. આ રુબાઈઓ જેટલી સરળ ભાસે છે, એટલી જ અર્થગહન છે. એને પોતપોતીકી સમજણ મુજબ જ મમળાવીએ…

(રૂમી: જન્મ: ૩૦-૦૯-૧૨૦૭, બાલ્ખ, અફઘાનિસ્તાન ~ મૃત્યુ: ૧૭-૧૨-૧૨૭૩, કોન્યા, તુર્કી)

Comments (3)