સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શયદા

શયદા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આપણી યાદગાર ગઝલો : ૦૩ : ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા
(1892 -1962)

ગુજરાતી ગઝલને પોતીકુ રૂપ આપવાનુ શ્રેય શયદાને જાય છે. એમણે મુશાયરાની પરંપરાને જીવંત કરીને ગઝલને ગુજરાતમાં લોકપ્રિય બનાવી. ગઝલમાં ફારસી શબ્દોનો ઉપયોગ ઓછો થયો અને ખરેખર ‘ગુજરાતી’ ગઝલ લખાતી થઈ.  શયદાની ગઝલના વિષયો આજે પરંપરાગત લાગે પણ એમની શબ્દો પાસે ધાર્યુ કામ લઈ શકવાની આવડત છાની રહી શકે એમ નથી. ગુજરાતી ગઝલના પિતામહ શયદાની આ ગઝલ એમના મિજાજ અને શૈલીની સારી ઓળખાણ આપે છે.

Comments (4)

ગઝલ – શયદા

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું

પગથી છૂટી જવાની પગદંડી
એમનું જો કદી રટણ છૂટ્યું

મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું

કોઈની આશને ઘરણ લાગ્યું
કોઈની આશનું ઘરણ છૂટ્યું

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું

એમના પગ પખાળવા કાજે
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યુ

કોણ શયદા મને દિલાસો દે ?
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું
                  

– શયદા

તમે હરજી લવજી દામાણી બોલો તો કોણ ઓળખે? પણ જો ધીમેથી શયદા બોલ્યા તો? આખી મહેફિલમાં એક માનભર્યું મૌન ન છવાઈ જાય?! આંખોમાં ખુમારી, ચાલમાં નફકરાઈ, કવનમાં કમનીયતા અને પઠનમાં માર્દવતા – શાયરોના શાયર ગણાતાં શયદા (24-10-1892 થી 30-06-1962) મુશાયરાઓની જાન હતા. અભ્યાસ ફક્ત ચાર જ ચોપડી પણ કોઠાસૂઝમાં પી.એચ.ડી.! ગુજરાતે એમને ગઝલસમ્રાટના બિરૂદથી સર્વોચિત સન્માનેલા. પ્રિયાના પગ પખાળવા માટે આંસુના ઝરણા તો એ જ વહેવડાવી શકે જે પ્રિયાના રટણમાત્ર છૂટી જવાના ભયથી પગદંડી ચૂકી જતા હોય!  

Comments (1)

બે ગઝલ – શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.

પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.

***

હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.

યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.

સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.

તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.

દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.

મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.

વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.

શયદા ( હરજી લવજી દામાણી )

જે જમાનામાં અરબી કે ફારસી શબ્દોથી અને ચીલાચાલુ વિષયોથી ગુજરાતી ગઝલો પ્રચૂર રહેતી તે જમાનામાં શયદા નવો પ્રવાહ લઇ ને આવ્યા હતા. ( કલાપી અને મણિલાલ નભુભાઇની ગઝલો સાથે આ બે રચનાઓને સરખાવીએ તો આપણને આ વાતની પ્રતીતિ થશે. ) ગુજરાતી ગઝલના આ મહાન પ્રણેતાને ‘ગઝલ સમ્રાટ’ યોગ્ય રીતે જ ગણવામાં આવે છે.

Comments (3)

ન જાય ઘરમાં, ન બહાર આવે – શયદા

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.

– શયદા

બાલાશંકર કંથારીયા, મણિલાલ નભુભાઇ દ્વિવેદી અને કલાપીએ શરુ કરેલી, ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલ સર્જનની પ્રક્રિયા, પરંપરાગત ગઝલની હતી.
‘શયદા’ પહેલા એવા શાયર હતા જેમણે આ પ્રકિયાને તદ્દન નવો વળાંક આપ્યો. એટલે જ ‘શયદા’ નૂતન ગુજરાતી ગઝલના પ્રણેતા કહેવાય છે. તેમના જમાનાની પરંપરાથી અલગ પડતી આ ગઝલમાં ફારસી શબ્દ ઘણા ઓછા વપરાયા છે.
શ્રી. મનહર ઉધાસના કંઠે ગવાયેલ આ ગઝલને સાંભળવી તે પણ એક લ્હાવો છે.

Comments (6)