મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
– રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2019

એક પહેલા વરસાદ સમી છોકરી હતી – તુષાર શુક્લ

એક પહેલા વરસાદ સમી છોકરી હતી
ને સાવ સૂક્કો રેતાળ એક છોકરો
લીલુંછમ ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

સાવે વગડાઉ એક છોકરીની વાત કરે
સીધો સડાક એક છોકરો
વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે
કોરાં આકાશ સમો છોકરો
નખશિખ ગુલાબી એક છોકરી હતી
ને એક કોરાં રૂમાલ સમો છોકરો
રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

આંખોથી પીધેલી છોકરીની વાત કરે
તરસી હથેલીને છોકરો
ગુલમ્હોરે ખીલેલી છોકરીની વાત કરે
બપોરે બળબળતો છોકરો
ધોધમાર ધોધમાર છોકરી હતી
ને સાવ પાણીમાં બેઠેલો છોકરો
અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.

બે કાંઠે ઊછળતી છોકરીની વાત કરે
કોરો કડાક એક છોકરો
મધદરિયો વ્હાણ સમી છોકરીની વાત કરે
કાંઠે ઊભેલ એક છોકરો
નાળિયેરી પાન સમી છોકરી હતી
ને સાવ બાંધ્યા પવન સમો છોકરો
ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો

પછી ટહૂકાની ભાષામાં છોકરીની વાત કરે
મૂંગો રહેનાર એક છોકરો
પછી ઉમટેલાં પૂર સમી છોકરીની વાત કરે
માટીના કૂબા શો છોકરો
વહી જાતાં વ્હેણ સમી છોકરી હતી
ને એમાં ઓગળતો પીગળતો છોકરો
ભીના સંબંધ તણું ગીત મારે લખવું’તું
રસ્તો મળ્યો છે મને જોઈતો.

– તુષાર શુક્લ

 

રળિયામણું ગીત…..લાજવાબ…

Comments (1)

व्यवस्था की मशीन -‘धूमिल’

मैं रोज देखता हूँ कि व्यवस्था की मशीन का
एक पुर्जा़ गरम होकर
अलग छिटक गया है और
ठण्डा होते ही
फिर कुर्सी से चिपक गया है
उसमें न हया है
न दया है
नहीं-अपना कोई हमदर्द
यहाँ नहीं है। मैंने एक-एक को
परख लिया है।
मैंने हरेक को आवाज़ दी है
हरेक का दरवाजा खटखटाया है
मगर बेकार…मैंने जिसकी पूँछ
उठायी है उसको मादा
पाया है।
वे सब के सब तिजोरियों के
दुभाषिये हैं।
वे वकील हैं। वैज्ञानिक हैं।
अध्यापक हैं। नेता हैं। दार्शनिक
हैं । लेखक हैं। कवि हैं। कलाकार हैं।
यानी कि-
कानून की भाषा बोलता हुआ
अपराधियों का एक संयुक्त परिवार है।

-‘धूमिल’

ઘણા વર્ષો પહેલાની આ કવિતા આજે પણ કેટલી પ્રાસંગિક છે !!!!!

Comments

કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી હવે નાખ્યું છે, ત્યારે પણ તું જો ધારે,
મોતના મોઢેથી એને તું પરત જીવન તરફ લાવી જ શકશે.

જ્યારે એના નામનું નાહી જ નાંખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

*

સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલ રણ દૂર કરવાની સમજણ આપતી માઇકલ ડ્રાઇટનની આ રચનાનો વિશદ આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે.

*

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

Comments (1)

હંઅ ન્ ઓવ્અ – રાહુલ તુરી

હંઅ ન્ ઓવ્અ, મારી દશમન મારી હોશ તમોંન્ ફુટે કાળો કોડ, તમોંન્ જુઅ મારો રોમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ જલમની પેટ બળેલી,કરમ ફૂટેલી,
અભાગણી આ કંકુવરણી કાયા ઇમાં હુંય કરું શું?
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ એટલે મેલાઘેલા લુગડે
ઈંન્ જેમતેમ હું ઢોકી રાખી જગ આખાથી બહુ બીવું સુ

હંઅ ન્ ઓવ્અ, મારા રંડાપા પર કરી ઓંગળી ચીયા ભવોનું વેર વાળવા કરો તમે રે ઓમ,
તમારું જાય મૂળથી…

હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી હાહરવેલે એક રહ્યુ ના પોન લીલુંડુ,
મર્યા માવતર પિયરવાટે ધૂળ ઉડે રે
હંઅ ન્ ઓવ્અ,મારી બૈ ક મારી લીલુંડી કાયાની માથે
જાત જાતની વાત ભરેલું કાળમીંઢ આકાશ તુટે રે

હંઅ ન્ ઓવઅ,મારી ખૂટી ગયેલી ધરપત ઉપર પીઠ પસવાડે ખડખડ ખડખડ દાંત કાઢતા ગોમ,
તમારુ જાય મૂળથી…

– રાહુલ તુરી

ઉત્તર ગુજરાતની તળપદી ભાષામાં એક અત્યંત ભાવવાહી ગીત. સ્ત્રીની સંવેદના, પુરુષની જબાને. સ્ત્રીનો એકમાત્ર સાથી એનો પતિ. સ્ત્રીની ગોદ ભરાય એ પહેલાં જ એ અકાળે ગુજરી ગયો. મા બનવાના સુખથી વંચિત રહી ગયેલી આ વિધવા વળી સુંદર પણ છે ને આ સૌંદર્ય જ એનું દુશ્મન છે. ગીતની દરેક કડી ‘હંઅ ન્ ઓવઅ’થી પ્રારંભાય છે. સીધી ભાષામાં આનો મતલબ ‘હા અને હોવ્વે’ કરી શકાય પણ આ લટકણિયું દરેક પંક્તિની આગળ લગાડીને કવિ ન માત્ર વાતચીતનો કાકુ સિદ્ધ કરે છે, પુનરોક્તિના શસ્ત્ર વડે સ્ત્રી-સંવેદનાની ધાર પણ યથેચ્છ કાઢે છે. વળી, ‘તમારું જાય મૂળથી’ પછી ‘નખ્ખોદ’ શબ્દ ન લખીને કવિ એ ન કીધેલા શબ્દને વધુ અસરદાર બનાવી શક્યા છે.

એક તરફ પોતાની દુશ્મન સ્ત્રીઓને કાળો કોઢ ફૂટે એવો શ્રાપ પણ એ આપે છે તો બીજી બાજુ મારો રામ તમને જોઈ લેશે એવી ચીમકી પણ આપે છે. મારી બૈ યાને મારી બાઈ. વિધવા પોતાની સખી કે સાથી સ્ત્રી આગળ આજે પેટછૂતી વાત કરવા બેઠી છે એટલે એને સંબોધીને વાત કરે છે. એ પોતાને જનમથી પેટ બળેલી, કરમ ફૂટેલી કહે છે. અભાગણીને ખબર છે કે એની કાયા કંકુવરણી છે, ને એટલે જ લોકોની મેલી દૃષ્ટિ ન પડે એ ખાતર પોતે મેલા લૂગડે એને ઢાંકી રાખે છે. તોય વેરી દુનિયા એના તરફ આંગળી કરી ભગવાન જાણે કયા જનમનું વેર વાળે છે એ એને સમજાતું નથી. સાસરામાં એકેય જુવાનિયા નથી, જે એને હિંમત-સાથ આપે અને માવતર પણ પરણાવી દીધા પછી જાણે કે મરી પરવાર્યા છે. એટલે પિયરની વાટ પણ લઈ શકાય એમ નથી. લોકો જાતજાતની વાત કરે છે, જાણે લીલા ઝાડ ઉપર કાળમીંઢ આભ ન તૂટી પડતું હોય! એકલવાયી બાઈની ધરપત ખૂટી ગઈ છે પણ ગામ પીઠ પાછળ દાંતિયા કરવાનું ચૂકતું નથી.

કહે છે કે જમાનો બદલાઈ ગયો છે. લોકો વધુ સમજદાર થયા છે પણ અંતરિયાળ ગામોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ઝાઝી બદલાઈ નથી. એમની દુર્દશામાં ભાગ્યે જ સુધારો આવ્યો છે. વૈધવ્યને હજી આજેય સ્ત્રીનો ગુનો માણીને એને ચૂંથવા સુધરેલા ગીધડાંઓ ટાંપીને જ બેઠાં છે… રાહુલ તૂરીનું ગીત વિધવા સ્ત્રીની કરુણતાને હૃદયવિદારક રીતે રજૂ કરે છે…

Comments (6)

(નથી ‘ચોર’ હું) – ભાનુપ્રસાદ પંડ્યા

વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?

“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”

– ભાનુપ્રસાદ પંડ્યા

ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…

Comments (1)

દર્પણના રણમાં ભટકું છું – શ્યામ સાધુ

દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.

નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.

પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !

ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.

ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.

– શ્યામ સાધુ

Comments

લાગણીઓ આ ભરચક ભરચક – મુકેશ જોષી

તણખો તણખો રમતાં રમતાં આગ લગાડી બેઠા
ફૂલો ફૂલો મૂકતાં મૂકતાં બાગ ઉગાડી બેઠા
ભલે ધગે એ આગ કશુંય છાંટો ના
ભલે ઊગે એ બાગ કશુંય નાખો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

શબ્દો શબ્દો કાગળ કાગળ, વ્હાલ વ્હાલ બસ આગળ પાછળ
તારું મળવું ઝાકળ ઝાકળ, છુટ્ટા પડવું વાદળ વાદળ
હવે શબદને વાણી રૂપે છાપો ના
હવે આંખ પર તડકા જેવું ચાંપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

કારણ કારણ શોધો કારણ, પ્રીત પ્રીતનું મારણ મારણ
નથી નથી કો’ એનું વારણ બે હૈયાં બસ હૈયાધારણ
હવે પ્રીતનો વ્યાપ કશાથી આંકો ના
હવે હૃદયની ઇચ્છાઓને માપો ના
કે તારી મારી લાગણીઓ આ ભરચક ભરચક

– મુકેશ જોષી

રમતિયાળ લાગતી પરંતુ અર્થગંભીર રચના….

Comments

(કેવી છે આ નદી) – મનહર મોદી

તારો ચહેરો કરે છે વાત પછી ખબર પડી,
વાતાવરણની જેમ તું જ્યારે મૂંગી બની

સરખામણીની રીત સફળ શી રીતે થશે?
લાગે છે આપનાથી જુદી છાયા આપણી.

ત્યારે હળીમળીને રહું છું હું મારી સાથ
જ્યારે ન હોય મારી કને મારી હાજરી

મારો વિકાસ મારાથી આગળ વધી ગયો
પગલીઓ મારી મારાથી પાછળ રહી ગઈ

જાણીબૂઝીને સ્થિર ઊભી છે યુગો થકી
મારી વિચારભોમમાં કેવી છે આ નદી?

પાંખો હજી છે મારી બેય આંખને વિષે
ભ્રમણાની પરી આમ શી રીતે ઊડી ગઈ?

પૂછો મને તો હુંય બતાવી નહીં શકું
પહેલાં હતો હું ક્યાંક, પણ હમણા કશે નથી.

– મનહર મોદી

સામાન્યરીતે દુર્બોધ ગણાતા કવિ પાસેથી ક્યારેક આવી સરસ મજાની સહજ-સરળ રચના પણ મળી આવે. બધા જ શેર સાર્થક થયા છે.

Comments (1)

(મ્હેકને પીવી હતી) – બેન્યાઝ ધ્રોલવી

ફૂલમાં થોડી જગા લીધી અમે,
મ્હેકને પીવી હતી, પીધી અમે.

દૃશ્યની ભરચક નજાકતને ભરી
આંખમાં આંજી હવા લીલી અમે.

ચિત્રનો ઉઠાવ સુંદર લાગશે,
રંગમાં ડૂબ્યાં તમે, પીંછી અમે.

પ્રેમપત્રોની હવેલી ખોલ મા,
બારીમાં ફેંકી હતી ચીઠી અમે.

શબ્દની ખલકત પડી છે ચોતરફ,
જ્યાં ગયા ત્યાં-ત્યાં ગઝલ દીઠી અમે.

– બેન્યાઝ ધ્રોલવી

મત્લા પર જ કુરબાન કુરબાન પોકારી જવાય એવી ગઝલ. મત્લામાં ચુસ્ત કાફિયા વાપર્યા પછી ગઝલમાં પ્રયોજાયેલ મુક્ત કાફિયાઓ અને ચિઠ્ઠીના સ્થાને ચીઠી શબ્દ જરા ખટકે છે પણ ગઝલનું સૌંદર્ય એને મનભર માણવા જબરદસ્તી કરે એવું છે.

Comments (1)

વિષમભોગ… – જગદીશ જોષી

…તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઈ ગઈ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં ઍરકન્ડીશનરનો અવાજ ગૂંચવાઈ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ…
મારાં બૂટ, મોજાં, ટાઈ, રૂમાલ –ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઈ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.

– જગદીશ જોષી

લગ્ન પછી થોડાં વર્ષ તો જીવન બહુ મજાનું લાગે છે પણ પછી સમયના ભેજના હાથે એને કટાતાંય બહુ વાર નથી લાગતી. પ્રેમની વાતો ધીમે ધીમે વ્હેમની વાતો બની જાય છે. પુરુષ આમ આરસ જેવો ઠંડો પણ આમ સિંહની જેમ ત્રાડવાનું ચૂકતો નથી. નરમ હૃદય સ્ત્રીની અંદરનું ભોળું પારેવડું પણ ક્યાંક ઊડી જાય છે. બે શરીર તો ભેગાં થાય છે પણ સમ્-ભોગ વિષમ-ભોગ બનીને રહી જાય છે. ચરમસીમાની પરિતૃપ્તિની પણ કલ્પના કરવાની રહે છે. જીવન એક routine બનીને રહી જાય છે. ચાવી દીધેલા પૂતળાંની જેમ સ્ત્રી સ્ત્રીની અને પુરુષ પુરુષની ફરજ બજાવ્યે રાખે છે. પોતાના અસ્તિઓત્વ અંગે પ્રશ્ન થાય અને પ્રેમનાં સ્વપ્નો પણ આંખમાંથી ગાયબ થઈ જાય ત્યારે પડખું ફરીને પસાં ઘસવાથી વિશેષ જીવનમાં કંઈ બચતું નથી. જગદીશ જોષીની આ રચના સાથે પ્રગટપણે સહમત થવામાં તો આપણામાંના મોટાભાગનાંનો અહમ્ ઘવાય પણ અંદરખાનેથી આપણે સહુ જાણીએ છીએ કે કવિએ લગભગ સાર્વત્રિક સત્ય જ ઉચ્ચાર્યું છે…

Comments (2)

અનાદર લાગે છે – ગની દહીંવાલા

બહુરૂપી ! તમારાં નયનોનાં બે રૂપ બરાબર લાગે છે,
મીંચાય તો બીડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે.

છે પુણ્ય પ્રતાપ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે,
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે.

લો ટૂંકમાં દોરી દેખાડું, મારી આછી જીવનરેખા,
તે વાત ખરી માની લઉં છું, જે જૂઠ સરાસર લાગે છે.

પડતીમાં પડે છે જે મુજ પર ઉત્કર્ષ ગણી લઉં છું તેને,
તે મારા જીવનનું ઘડતર છે, જે ચોટ હૃદય પર લાગે છે.

તોફાનમાં મુજને જોનારો ! એ દોષ છે તારી દૃષ્ટિનો,
નૌકા તો હિંડોળે હીંચે છે, તોફાનમાં સાગર લાગે છે.

માનું છું જીવનના ઉંબર પર વેરાય કંઈ પ્રીતિ-પુષ્પો,
સત્કાર યુવાનીનો એ વિણ મુજને તો અનાદર લાગે છે.

દુનિયામાં ‘ગની’, વ્યાકુળ દિલને ઠરવા ન મળ્યો કોઈ આરો,
આ ફરતી પૃથ્વી પણ મારા તકદીરનું ચક્કર લાગે છે.

– ગની દહીંવાલા

માસ્ટર કલાકારની ખુમારી જુઓ……!!!

Comments (2)

છીપલાનું ગીત – સૌમ્ય જોશી

હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.
દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત,
મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે,
ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઉગતી ઈચ્છાઓ મારામાં પાંગરે,
દરિયો બનીને મારે આપવો છે એક વાર છીપલીને આછો સંગાથ.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

દરિયાનેય કો’ક વાર છીપલાની સોડ મહીં ડૂબવાની ઈચ્છા તો થાશે.
ભરતીની હૂંફ વડે મારી આ હાંફ એક દિવસ મોતી થઈ જાશે
મારા બે હોઠમાંથી ઓસરશે નીર, ને દરિયાની ઓટમાંથી ખુલશે પ્રભાત,
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આવે કિનારે જે પાણીની છાલક ને છાલકને દરિયો કહેવાય નઈ,
સાચુકલા દરિયાનું દૂર કુઆંક ઘૂઘવતું, છીપલાંથી કાંઠો સહેવાય નઈ,
એકે જગાએ એ પૂરો મળે નઈ, દરિયાનાં સરનામાં સાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

આથમતાં અંધારે દરિયો છોડીને મને ઊગેલા સૂરજમાં તરશે
કાંઠે બેઠેલો મારો નાનકડો જીવ પછી ઘૂઘવાટ વાગોળ્યા કરશે
મારા બે હોઠમાંથી ખુલ્લું આકાશ પછી સાંભળશે દરિયાને સાચવ્યાની વાત.
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત.

-સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની લાક્ષણિક રચના…એક ચેતના દ્વારા થતું વિશ્વચેતનાનું દર્શન…..

Comments (5)

કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ (અનુ. વિવેક મનહર ટેલર)

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. પણ મૂળ સવાલ કવિતાનો સ્વાદ કેવી રીતે લેવો એ છે. કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

કવિતાના વિગતવાર આસ્વાદ માણવો હોય તો અહીં ક્લિક કરવા વિનંતી છે…

*
How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

Comments (1)

ગુણાંક – લિન્ડા પાસ્ટન (અનુ. ઉદયન ઠક્કર)

મારા પતિ ગઈ કાલના ભોજન માટે
મને ‘એ’ આપે છે,
ઈસ્ત્રીકામ માટે ‘અધૂરું’
અને શૈયાસુખ માટે ‘બી પ્લસ.’

મારો દીકરો કહે છે કે હું ‘સાધારણ સારી’ છું,
‘સાધારણ સારી’ માતા,
પણ મહેનત કરું તો સુધરી શકું.

મારી દીકરી ‘પાસ/ફેલ’માં માને છે.
મને કહે છે- ‘પાસ.’

એ લોકોને હજી ખબર પડી નથી
કે હું ‘ડ્રોપ આઉટ’ થવાની છું.

– લિન્ડા પાસ્ટન
(અંગ્રેજીમાંથી અનુ. ઉદયન ઠક્કર)

 

આ મજાની કવિતાનો અનુવાદ કરાવનાર કવિશ્રી ઉદયન ઠક્કરના શબ્દોમાં જ આ કવિતાનો આસ્વાદ પણ માણીએ:

‘ગૃહિણીની કામગીરી બાબત નુકતેચીની કરવાનો અધિકાર જાણે કુટુંબના દરેક સભ્ય પાસે હોય છે.’પંખા પર મહિનાની ધૂળ ચડી ગઈ છે’ ‘છાપું ક્યાં મૂક્યું છે?’ ‘પાછા વટાણા?’ ‘કેબલમાં સ્ટાર સ્પોર્ટ નખાવવાનું તને કેટલી વાર કહ્યું?’ ગૃહિણી જાણે વિદ્યાર્થિની અને બાકી બધાં પરીક્ષકો. પરીક્ષા રોજેરોજ લેવાય. કોઈ ‘એ,બી, સી’ પ્રમાણે ચકાસે, કોઈ ‘નબળું, સાધારણ સારું, ઉત્તમ’ પ્રમાણે, તો કોઈ ‘પાસ-નપાસ’ કરે.

‘પરિવારના બીજા સભ્યોને પણ પડકારોનો સામનો કરવો પડે છે, પણ પરીક્ષકો ઘરની બહારના હોય છે- ઓફિસ કે કારખાનાના માલિક, શાળા કે કોલેજના શિક્ષક. ગૃહિણીના પરીક્ષકો ઘરની અંદરના હોવાથી પરિવારમાં તાણ ઊભી થાય છે.ક્યારેક લાગે કે ગૃહિણીનું સ્વમાન સચવાતું નથી.

‘શાળા કે કોલેજ છોડી દેનાર વિદ્યાર્થીને ‘ડ્રોપ આઉટ’ કહેવાય. અંતિમ પંક્તિમાં ગૃહિણી રહસ્યસ્ફોટ કરે છે કે તે ડ્રોપ આઉટ થવાની છે. શું તે ઇબ્સનના નાટક ‘અ ડોલ્સ હાઉસ’ની નાયિકા નોરાની જેમ ઘર ત્યાગવાની હશે? કે પછી ‘હોમ મેકર’ની ભૂમિકા નકારીને કેરિયર-વુમન બનવાની હશે? કે પછી કુટુંબની વ્યક્તિઓના નકારાત્મક માપદંડ અવગણવાની હશે? ટૂંકા કાવ્યમાં કવયિત્રી બંધનમાંથી મુક્તિ તરફ ગતિ કરે છે. તેમનો સ્વર મક્કમ હોવા છતાં કટુ નથી.’

એ સાથે જ, આ કવિતા વિશે કવિશ્રી સંજુ વાળાનો પ્રતિભાવ પણ મમળાવવા જેવો છે:કવિતા થવા માટે ઊંડા ચિંતનમનનયુક્ત દર્શન કે અનુભૂતિજન્ય આગવા પરિવેશ જ હોય એવું નથી. કયારેક સાધારણ અને વ્યવહારું ઘરઘરાવ બાબતો પણ યોગ્ય ભાષાભિવ્યક્તિ મળે તો કવિતા થઈને ઊભી રહેતી હોય છે.

 

Comments (4)

સોનચંપો – બાલમુકુંદ દવે

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

– બાલમુકુંદ દવે

પોતાને જીવતેજીવ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. પોતાના સંતાનના અકાળ અવસાન પછી કવિએ લખેલું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ જેણે ન વાંચ્યું હોય એવો ગુજરાતી કાવ્યરસિક મળે તો એક તો એના ગુજરાતી હોવા વિશે અને બીજું, એના કાવ્યરસિક હોવા અંગે અવશ્ય શંકા સેવવી. જીવનની આ એક જ દારુણતમ ઘટના પર કવિ સૉનેટ લખે અને એ જ કવિ ગીત લખે ત્યારે સ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે.

ગરીબની વાડીએ તો ઘાસ-ફૂસ કે આવળ-બાવળ ઊગે પણ અહીં તો સોનચંપા જેવું મજાનું સંતાન મ્હોર્યું હતું. એનું જતન કરવામાં પોતે નિષ્ફળ ગયા હોવાનો અહેસાસ કવિને કોરી ખાય છે. નંદનવનના નિવાસી છોડને ગરીબની ઉજ્જડ ભૂમિ ક્યાંથી ગોઠે? કૂવાથાળે કાથીના ઘસારા સમય સાથે પડતા જાય એમ મા-બાપના હૈયે ઘાનાં ઘારાં સર્જાય છે. દેશદેશાવરનો મુસાફર અંધારે ભમવા ગયો ને મા-બાપ માટે તો ગામની ભાગોળ કાયમી રાત જેવી બની ગઈ, બાવરી મા જીવતરની આ કાળી રાતમાં ઠેબાં ખાતી જીવી રહી છે. બાવળના કાંટા જેવી વેદનાસિક્ત બનેલી ભવભુલામણીના આ કાંઠે મા-બાપ એકલા ઝૂરે છે, ને સામે કાંઠે સ્વર્ગમાં અકાળે મરણ પામેલ દીકરાના-સોનચંપાના બગીચા હોવાનું કલ્પે છે; બે વચ્ચે આંસુના અખાત છે!

 

Comments

થઈને રહીએ લીટી – સંજુ વાળા

સળવળ સળવળ સરતી ફરતી વૃતિ કહેતાં કીડી કહેતાં ચીંટી
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

એક્કે એવું નહીં જોવાનું સપનું
જેમાં આકાશી ફૂલોની હો સુગંધ,
વીજળીઓનાં તોરણ બાંધી શણગાર્યા હો ઘર
પરંતુ હોય બારણાં બંધ,

ભલો આપણો કૂબો જેમાં ભાર ઝીલવા હોય અધીરી ખીંટી,
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

ઝીણેરું ઝિલાય તો એને મોતી કહીએ
પણ, મબલખ ને શું કહેવું એ કહો !
ગુપ્ત વહો કે લુપ્ત રહો પણ હે સરસત્તી
દિવસ-રાત કાં મૃગજળ થઈને દહો ?

શું પહેરાવું? શું ઓઢાડું? કઈ જાતરમાં જઈ પધરાવું વીંટી ?
ચાલ, બધીએ ગૂંચ-વળાંકો છોડી – છાંડી થઈને રહીએ લીટી

– સંજુ વાળા

 

The greatest truths in the world are the simplest.

Comments (1)

……….કે હું – જવાહર બક્ષી

વિસ્મયભર્યું વ્હેલી પરોઢે ઊઘડ્યું
તે કોણ, મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું,
એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?

ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ
તો હાથ લાગ્યાં તડકો રેતી ને તરસ,
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોના,
મૂળમાં છે કોણ ? સૂરજ રણ કે હું ?

ક્ષણક્ષણ સમયજળમાં સતત વહી જાઉં છું.
પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું.
આ કોણ વ્હેતું જાય છે ? કાયા કે
પડછાયા કે માયા કે નહીં કૈ પણ કે હું ?

પ્રત્યેક ઘર કરચોથી વેરણ-છેર છે
ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું
બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?

અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો,
જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો* [ *નાદ પ્રગટ કરવો. ચચરી ચચરીને બળવું ]
તો આમ ઠંડું પડ્યું તે કોણ ?
ધૂણી, રાખ કે અંગાર કે ઈંધણ કે હું ?

– જવાહર બક્ષી

સ્વગતોક્તિનો ઉત્તમ પ્રયોગ ! થોડીક ધીરજથી વાંચતા રચના સરળતાથી ખૂલે છે, કોઈ ટિપ્પણીની મહોતાજ નથી. ત્રીજો અંતરો ખાસ આકર્ષક છે….

Comments

-અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી

કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. મોહન અને મોહનદાસ જેવી બે સાવ વિઅપ્રિત વિભૂતિઓને એક જ રંગે રંગવાનું કામ કવિતા સિવાય શક્ય જ નથી. એક ભાગમાં મોહન અને બીજામાં મોહનદાસ –એમ બે ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી આપી છે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર જોશી આજની ગ્લૉબલ કવિતામાં રજૂ કરે છે.

સવિસ્તાર વિશ્લેષણ અને આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

Comments

જીવણ – હિરેન ગઢવી

વેંઢારી ભાર એનો થાકી જવાય જીવણ,
સપનાની જેમ સમજણ તોડી નખાય જીવણ.

જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવણ,
તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ.

દેખાય ના કશું પણ એના સિવાય જગમાં,
સાચી મદિરા ત્યારે પીધી ગણાય જીવણ.

બેઠું છે કોણ સામે? આસન તમારું ક્યાં છે?
એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવણ.

નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?
મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ.

પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે,
મસ્તાન માનવીને ભેટી પડાય જીવણ.

કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે,
તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ.

-હિરેન ગઢવી

કેવી ઉત્તમ ગઝલ! એક-એક શેર મમળાવી-મમળાવીને માણવા જેવા. એક જ ગઝલ પરથી સમજી શકાય કે આ કવિ પાસે પોતીકો અવાજ છે. એ ઉછીનું સીધુ લાવીને રોટલી ઘડનાર કવિઓમાંના એક નથી. આ નિસબત જળવાઈ રહેશે તો ગઝલકારોની હકડેઠઠ જામેલી ભીડમાંથી એક સાચો ગઝલકાર ગુજરાતી ભાષાને સાંપડે એવી એંધાણી આ રચનામાંથી વર્તાય છે.

જો કે હકીકતદોષ, તર્કદોષ કે સમજણદોષ ભલભલા ગઝલકારોને ક્યારેક નડતા હોય છે. હીરેન ગઢવીની આ ગઝલનો આ એક મિસરા લાંબા સમયથી મનમાં વમળ જન્માવ્યે રાખે છે. પ્રસ્તુત ગઝલના બીજા શેરનો સાની મિસરો જરા ધ્યાન દઈ ચકાસવો પડે એમ છે:

તો લઠ કબીર સમ લઈ નીકળી પડાય જીવણ

– આ મિસરામાં હકીકતદોષ થયો હોવાનું પ્રતીત થાય છે. કબીર કદી તુલસીદાસ કે મીરાંબાઈ, સિદ્ધાર્થ કે મહાવીરની જેમ ગૃહત્યાગ કરી ઈશ્વરપ્રાપ્તિ માટે નીકળી પડ્યા નહોતા. એ ગૃહસ્થ હતા અને એમની મોટાભાગની જિંદગી બનારસમાં વણકરકામ કરતાં-કરતાં જ વીતી હતી.

આ સિવાય મને એમ લાગે છે કે કોઈ પણ સંતના નામ સાથે કોઈ પ્રતીક પ્રયોજવામાં આવે તો એ સુસંગત જણાવું જોઈએ. જેમ કે, નરસિંહ સાથે કરતાલ કે હાથનું મશાલ બની સળગવું, મીરાંબાઈ સાથે એકતારો કે ઝેરનો પ્યાલો; કબીર સાથે ઝીણી ચદરિયા વગેરે. દરેક સંતની એક આભા હોય છે. કવિ એને નવી દૃષ્ટિથી જોઈ જરૂર શકે કે એને નવો અર્થ જરૂર આપી શકે પણ એને અણસમજથી ખરડી તો ન જ શકે. કબીરનું જીવન, વ્યક્તિત્વ, સાલસતા અને વિનમ્રતા એવા હતા કે ‘લઠ’ શબ્દ બિલકુલ આઉટ ઑફ કન્ટેક્સ્ટ લાગે છે. એક દોહો આવો કબીરના નામ પર છે:

કબીરા ખડા બજાર મેં, લીયે લુકાઠી હાથ.
જો ઘર ફૂંકે અપના, ચલે હમારે સાથ

-અહીં લુકાઠી એટલે સળગતી લાકડી અથવા મશાલ, જેનાથી પોતાનું ઘર –મોહ,માયાના બંધનો- ફૂંકવાનું છે. લુકાઠીનો અર્થ લઠ કરાયો હોય તો એ અયોગ્ય જણાય છે.

જાણકાર મિત્રો વધુ પ્રકાશ નાંખશે તો ગમશે.

Comments (7)

પક્ષીતીર્થ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદૃશ્ય થઇ ગયો છે.
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઇ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો
ખડક ચઢી શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો
અધવચ્ચે અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો
મંદિર જડ્યું નથી.
મંદિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

માણસને તીર્થસ્થાનનો મોહ પહેલેથી રહ્યો છે. તીર્થસ્થાનો પર રહેલો ઈશ્વર આપણને હંમેશા વધુ નજીક લાગ્યો છે. ઘરમાં દસ ભગવાનની મૂર્તિઓ હોય તોય તીર્થસ્થાન પર જઈને ઈશ્વરની કરેલી પૂજા વધુ ફળે એ આશામાં આપણે સહુ તક મળ્યે જ તીર્થયાત્રાએ નીકળી પડીએ છીએ. મન ચંગા તો કથરોટમેં ગંગા બોલનાર પણ ગંગામાં સદેહે ન્હાઈ નહીં ત્યાં સુધી પોતાને શુદ્ધ થયેલો અનુભવતો નથી. અને માત્ર હિંદુઓ કે ભારત દેશની જ આ વાત નથી, દુનિયાના બધા દેશોમાં બધા ધર્મોમાં ધર્મસ્થાનોનું હંમેશા સ-વિશેષ મહત્ત્વ રહ્યું છે. માણસ હોંશનો માર્યો તીર્થસ્થાનોએ અવારનવાર જતો રહે છે, પણ ઈશ્વર ક્યાંય સાંપડતો નથી. કેટલાક લોકો પોતે દર વરસે વૈષ્ણવદેવી કે તિરૂપતિ અચૂક જાય છે, દર પૂનમે ડાકોર થાળ ભરવા જાય છે એવી પોતાની ધાર્મિકતાની ચરમસીમાની ડીંગ હાંકતા હોય છે, પણ એમનો ચહેરો જોતાં જ સમજી શકાય છે કે ઈશ્વર એનાથી જોજનો દૂર છે.

જો કે આ કવિતા કોઈ ધર્મતીર્થની નહીં, પક્ષીતીર્થની કવિતા છે. શીર્ષક જ વાચકને વિસ્મિત કરવા માટે પૂરતું છે. પણ ધર્મ અને પક્ષી – આ બે શબ્દોની ફેરબદલ કરીએ તો ઉપરની બધી વાત આ કવિતાને લાગુ પડે છે. પક્ષી ઉડ્ડયનનું, આઝાદીનું, સીમાહીનતાનું પ્રતિક છે. વાસ્તવનું હોય કે સ્વપ્નનું, આકાશમાં ઊડવા માટે પાંખ જરૂરી છે. ઊડવાની ઇચ્છા જ ન હોય તો ક્યાંય પહોંચી શકાતું નથી. કવિને પણ ઊડવાની ઇચ્છા છે. એ પોતાના પક્ષીનો સાક્ષાત્કાર કરવા માંગે છે. પણ જે રીતે અધૂરી આસ્થા લઈ-લઈને ગામ આખાના તીર્થસ્થાનોએ રખડતા ‘પત્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન’ પ્રકૃતિના મૂર્ખાઓ કદી ઈશ્વરને પામી શકતા નથી, એ જ રીતે કવિ આ પક્ષી સાથે રૂ-બ-રૂ થઈ શકતા નથી. આ કારણોસર કે પેલા કારણોસર એ દર વખતે પંખીને ચૂકી જ જાય છે, બાકી પંખી તો અવશ્ય આવે જ છે…

Comments (1)

પાવન કોણ કરે ? – ગની દહીંવાલા

ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !

શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !

પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !

દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !

દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત, દુનિયાના અંધારને રોશન કોણ કરે !

કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !

ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે !

– ગની દહીંવાલા

પ્રત્યેક શેર એક કહાની….ક્લાસિક ગઝલ….

Comments (1)

વ્હાલાથી વેગળાં….- તુષાર શુક્લ

વ્હાલાથી વેગળાં થઈ રહેવાનું ભાગ્યમાં
સીતા કે રાધિકા કે મીરાં
વિરહની વેદનાને જીરવતાં શીખવ્યું કે
પ્રેમી ન હોય કૈં અધીરાં.

વિરહની આગ એ જ વ્હાલપનો બાગ
એમાં પ્રેમી તો મસ્ત થઈ મ્હાલે
પંચવટી, વૃંદાવન, મેવાડી ધરતી પર
ચાલે એ મનગમતી ચાલે
વ્હાલપનાં વારિ કૈં છીછરાં ન હોય
એ તો વહી રહ્યાં ગહન ગભીરાં…

મળવાની ઝંખના તો એનામાં જાગે
જે હોય એકબીજાંથી આઘાં
વેગળાં ન હોય એને ભેગાં શું થાવું ?
એને કેવાં વિઘન, શેની બાધા ?
સરયુ કે યમુનાનો કાંઠો કે બળબળતા
રણ કેરી રેતીને તીરાં !

– તુષાર શુક્લ

Comments (8)