નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2013

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !

કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!

 

Comments (22)

ના આવડે – હરીન્દ્ર દવે

તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .

ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .

મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .

-હરીન્દ્ર દવે

બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.

Comments (8)

ગઝલ – રઇશ મનીઆર

સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે

જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે

મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે

કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે

એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે

– રઇશ મનીઆર

Comments (15)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

Comments (8)

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

Comments (13)

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

ગઝલ – કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

A timeless classic…..

Comments (13)

નડતર – જવાહર બક્ષી

જો   ચાલવા   ચાહીશ   તો   રસ્તો  થઈ  જશે,
પગલાં   જો   હું  ભરીશ  તો  નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની  પ્યાસ  આખરૅ  મૃગજળને  પી  જશે.

– જવાહર બક્ષી

Comments (5)

ગીત – મુકેશ જોષી

આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

-મુકેશ જોષી

Comments (6)

ગઝલ – પ્રમોદ અહિરે

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર  સાત  અને  તત્ત્વ  પાંચ છે  –
એક્કેય  સાથે   તારે   કશી  ઓળખાણ  છે ?

પાંચેય  તત્ત્વ  લઈ  જશે, જે  એમનું છે  તે,
બાકી  બચી  જશે  જે, તે  મારી  પિછાણ છે.

‘હું’  ‘હું’  નહીં રહીશ, પછી  ‘હું’  રહીશ  ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
ફૂટીને  જળ  થશે, છતાં  જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં   છેક   ઊંડે   લપાયું   લખાણ   છે.

– પ્રમોદ અહિરે

કવિની શબ્દયાત્રા સતત એના જીવનનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. પ્રમોદ અહિરે ગઝલ વિશ્વમાં આવ્યા ત્યારે ‘પ્રિયે ! તું અહીંથી જવાની’ જેવા પ્રેમાસિક્ત નામાભિધાનવાળો સંગ્રહ લઈ આવ્યો… જીવનના એક નાજુક વળાંક પરથી કવિનો કાફલો જ્યારે દિશા બદલે છે ત્યારે આ જ યુવાકવિની વાતોમાં જીવનની ઉત્તમ ફિલસૂફી કેવી અનાયાસ આવી જાય છે !

કવિ જ્યારે પડખું બદલે ત્યારે આવી ઉત્તમ ગઝલો આપણને ભેટ મળે છે…

 

 

Comments (7)

નથી માગવી – જિજ્ઞા ત્રિવેદી

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !

બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?

– જિજ્ઞા ત્રિવેદી

Comments (7)

જલસા પડત – મધુસૂદન પટેલ ‘મધુ’

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

જલસા પડત જેવી રમતિયાળ રદીફને કવિએ કેવી બખૂબી નિભાવી છે. આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી… વાહ કવિ! જલસા પડી ગયા…

Comments (14)

કોણ પુશ્તુ બોલે ? – ઉદયન ઠક્કર

બંસુરીનો     નાદ-મંજુલ     મૂકીને
શ્રેષ્ઠ બનવા, સ્થાન અનુકૂલ મૂકીને,
હરકોઈને   જાવું    પડતું   હોય   છે
આખરે    પોતાનું    ગોકુલ  મૂકીને.

બસ, ગઝલ બે કાંઠ છલકાતી રહી,
માણસો  ચાલ્યા  ગયા, પુલ મૂકીને.

જોખમી  સ્વપ્નો  તળે  ભીંજાઈ જો,
છત્રીનું   રોજિંદુ   વર્તુલ    મૂકીને !

આટલા   ટહુકા?  ને તે પણ શ્હેરમાં?
કોણ   ‘પુશ્તુ’   બોલે  કાબુલ મૂકીને?

ચકલીઓનું   વૃંદ   ચાલ્યું  સાંજના,
ચાંચમાં   તડકાના   તાંદુલ  મૂકીને.

– ઉદયન ઠક્કર

ગઝલ એક છે પણ કથાઓની વણઝાર છે.

પહેલા બે શેર(કે એક મુક્તક)માં કવિ જન્મભૂમિ મૂકીને કર્મભૂમિમાં જવાની કપરી જરૂરતને વણી લે છે. (અમારા જેવાઓ વળી એમાં ભારત છોડીને આવવાના દુ:ખનો દિલાસો પણ શોધી લે છે.)

નદી છલકાઈ જાય, પૂરની નોબત આવે તો પુલને અસલામત ગણીને બંધ કરી દેવામાં આવે છે. જે નદી માટે સત્ય છે એ ગઝલ માટે પણ સત્ય છે ? સીમા ઓળંગી જાય તો ગઝલ પણ શું એટલી જ જોખમી થઈ જાય?  

જોખમી સ્વપ્નોમાં તરબતર થાય તો માણસ કદાચ ઊઘડી પણ જાય. પ્રાર્થના કરો કે એ છત્રી ઘરે જ ભૂલી જાય !

ગઝલનો સૌથી કોમળ પ્રયોગ હોય તો એ છે – ચાંચમાં તડકાના તાંદુલ. તાંદુલ શબ્દ આવે એટલે સુદામા અને એમની નાનકડી પોટલી યાદ આવ્યા વિના રહે ? આખા દિવસના વિરહ પછી બચ્ચાઓને મળવા પાછી જતી ચકલીઓ માટે આનાથી વધારે પ્રસન્ન-ચિત્ર દોરવું અશક્ય છે.

ને છેલ્લે વાત ગઝલના ટાઈટલ-શેરની. કાબુલીવાલાની અમરકથાની વાત છે. નાનકડી છોકરીની મીઠી વાતો કાબુલીવાલાને માતૃભાષા (અને પોતાની દીકરી) ય ભૂલાવી દેવા સક્ષમ હોય છે. (જો આ વાર્તા વાંચે ઘણો સમય થઈ ગયો હોય -અને રડવાની તૈયારી હોય- તો કાબુલીવાલા વાંચવા અહીં ક્લીક કરો.)

Comments (9)

નીકળ્યો’તો – મુકુલ ચોકસી

લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.

-મુકુલ ચોકસી

Comments (8)

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

Comments (5)

સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

Comments (13)

સાંભળ્યું ? – પરાજિત ડાભી, તમન્ના આઝમી

મેં તને જે પણ કહ્યું, તેં સાંભળ્યું ?
બાગને તેં રણ કહ્યું, મેં સાંભળ્યું.

પ્રેમનું કારણ કહ્યું, તેં સાંભળ્યું ?
છીછરું તારણ કહ્યું, મેં સાંભળ્યું.

આંખને દર્પણ કહ્યું, તેં સાંભળ્યું ?
આંસુઓનું ધણ કહ્યું, મેં સાંભળ્યું.

ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

બધી જ રીતે અનૂઠી ગઝલ. આમ ગણો તો મત્લા ગઝલ અને આમ ગણો તો રદીફ ખરેખર કઈ એ વિશે પ્રશ્ન જાગે. આને યુગ્મ (ડ્યુએટ) ગઝલ ગણી શકાય અને કવિ પણ પહેલી નજરે બે લાગે.

જો કે મારી જાણકારી મુજબ તમન્ના આઝમી એ પરાજિત ડાભીની ડામી ન શકાયેલ અપરાજિત ઇચ્છાઓનું જ બીજું નામ છે… 😉

Comments (18)

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

Comments (4)

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..

Comments (9)

ઠીક છે – આબિદ ભટ્ટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.

ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.

છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.

લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !

– આબિદ ભટ્ટ

આજના ગઝલના અતિરેકના દોરમાં આવી સાદ્યંત સુંદર અને સંતર્પક ગઝલ મળે એ મોતી ઉપલબ્ધિ ગણાય. બીજા નંબરનો શેર થોડો ગૂંચવાડાભર્યો લાગ્યો પણ એ સિવાય એક-એક શેર પાણીદાર. ‘સિંદરી બળે પણ વળ ના મૂકે’ની કહેવતનો આધાર લઈ દોરડી નહીં પણ એના વળને બાળવાની વાતને જાત નહીં પણ ‘હું’પણા સાથે સાંકળે છે ત્યારે એક ઉત્તમ શેર આપણને મળે છે…

Comments (10)

વાંચે છે – અનિલ ચાવડા

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

કવિતા વિશે તો ઘણા કવિઓ કવિતા કરી ગયા, કરતા રહેશે પણ કવિ કવિતા વાંચતો હોય એ ધન્ય ઘડીએ ખુદ ઇશ્વર કાન લગાવી ઊભો રહે અને પંચત્ત્વ આતિથ્ય સ્વીકારતા હોય એવી કલ્પના તો અનિલ જેવો નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ કરી શકે. વાંચીએ, ગણગણાવીએ અને ભીતરથી ભીંજાઈએ…

Comments (19)

નથી રહ્યો – અનંત રાઠોડ ‘પ્રણય’

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

– અનંત રાઠોડ ‘પ્રણય’

આમ તો આખી ગઝલ સરસ પણ છેલ્લી બે શેર અનંત પ્રભાવ છોડી જાય એવા…

Comments (9)