બાપ ગઝલ છે, માત ગઝલ છે;
મારી આખી જાત ગઝલ છે
– વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અંજની ગીત

અંજની ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક કવિતા કાન્તની, એક કવિતા કલાપીની…

વ્હાલાંઓને પ્રાર્થના – મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

[અંજનીગીત]

રોનારું ભીતરમાં રોતું :
લ્હોનારું ભીતર ના લ્હોતું :
દૂર સખાનું હૈયું
.                   સાથે રોતું ને જોતું !

વ્હાલાંઓ ! વ્હાલાંને કહેજો !
સાગરમાં તો સાથે વ્હેજો !
સ્હેવાનાં એકાબીજાનાં
.                   સાથે સૌ સ્હેજો !

– મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

* * *

વીત્યાંને રોવું – કલાપી

રોતું અન્તરનુ રોનારૂં :
રોતું ભીતરનું જોનારૂં :
લ્હોનારૂં હૈયું એ લ્હોતુ
પણ વીત્યાંને શુ રોવું ?

મળતાં પ્રેમજમાતી ખાખી,
હજુ એ ના રોશું પડ રાખી,
ભર સમુદરિયે સાથે વ્હેશું,
વીત્યાંને રોશુ :
ત્હેાયે વીત્યાંને રોશુ :

– કલાપી
(૨૯-૪-૧૮૯૭)

આ બે કાવ્યોને અડખે પડખે રાખીને જોવા જેવાં છે. કાન્તનો સમયકાળ ૧૮૬૭થી ૧૯૨૩. કલાપીનો સમયકાળ ૧૮૭૪થી ૧૯૦૦. કલાપીએ કાવ્યસર્જનની તારીખ લખી છે, જ્યારે કાન્તની રચનાઓમાં એની અનુપસ્થિતિ જોવા મળે છે. બંને કવિઓનો જન્મસમય ખૂબ નજીકનો હોવાથી બંનેનો સક્રિય કાવ્યસર્જનનો સમય એકસરખો જ હોવાનો એ સમજી શકાય છે.

આ બંને રચનાનો વિષય એકસમાન છે અને કલાપીએ એક પંક્તિ વધુ ઉમેરી છે, એને નજરઅંદાજ કરીએ તો બંનેની કાવ્યરીતિ પણ એક –અંજનીગીત- જ છે. કાન્ત પણ ભીતરમાં રોનારાની વાત કરે છે પણ આંસુ લૂંછનાર ભીતર લૂંછી શકતું ન હોવાની વાસ્તવિક્તા પણ સમજે છે. કલાપી પણ ભીતરમાં રોનારની જ વાત કરે છે પણ આજન્મ નખશિખ પ્રેમી હોવાના કારણે જે ભીતરને જોઈ શકે છે, એ રોનારના ભીતરને લ્હોઈ પણ શકે છે એવો આશાવાદ સેવે છે અને સાથોસાથ વીત્યાંને શું રોવું કહીને carpe diem –આજમાં જીવવાનો મંત્રોચ્ચાર પણ કરે છે. બીજા બંધમાં કાન્ત વહાલાંઓને વહાલાંઓને સાગરમાં સાથે વહેવાનો બોધ આપે છે, તો કલાપી પણ વહાલાંઓની આખી પ્રેમજમાતને એક જ રંગે રંગી દઈને ભર સમુદ્રમાં સાથે જ વહેવાનું કહે છે.

કેટલું સામ્ય! બંને કવિઓએ એકમેકની રચના વાંચી હશે કે કેમ અને વાંચી હોય તો કોણ કોનાથી પ્રેરિત થયું હશે એ તો સંશોધન કે કલ્પનાના જ વિષય બની રહે છે. જો કે એક હકીકત એ પણ છે કે કલાપી કવિતાની બાબતમાં કાન્તની સલાહ ઘણીવાર લેતા હોવાની હકીકત આપણે જાણીએ જ છીએ… એટલે આ બધી પળોજણમાં પડવાના બદલે આપણે તો બસ, કવિતાનો આનંદ લઈએ…

Comments (8)

ભેટ – વિવેક મનહર ટેલર

“સોના-ચાંદી, હીરા-મોતી,
સ્વપ્ન કહે, તું કોના જોતી ?
આભ ચીરીને લાવું ગોતી
.                         જન્મદિને તારા”

એ ના બોલી એક હરફ પણ,
થોડી ઊંચકી, ઢાળી પાંપણ,
હૈયામાં શી થાય વિમાસણ
.                           એના ને મારા !

વીજ ઝબૂકે મેઘાડંબર,
એ ઝંખે છે આજ જીવનભર,
રેલાવી દઉં જન્મદિવસ પર
.                         ગીત તણી ધારા

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૯-૨૦૧૨)

સામાન્યરીતે લયસ્તરો પર હું મારી પોતાની રચના જવલ્લે જ મૂકતો હોઉં છું પણ આજે એક ખાસ પ્રસંગના અંતર્ગત એક અંજનીગીત લયસ્તરોના ભાવક માટે…

ભેટ આપણે કાયમ રૂપિયાના ત્રાજવે જ તોલીએ છીએ પણ ક્યારેક એવું પણ બને કે આપણી કુંઠિત મટિરિયાલિસ્ટિક વિચારધારાના અંધારા મેઘાડંબર આકાશમાં સમજણની વીજળીનો મજાનો લિસોટો થાય અને આપણને સમજાઈ જાય કે જેની વર્ષગાંઠ છે એ વ્યક્તિ ખરેખર શું ઝંખે છે… જીવનસાથી પાસે કોઈ પ્રતિભા હોય તો વર્ષગાંઠ પર બીજો જીવનસાથી એ પ્રતિભાનો પમરાટ જ ઇચ્છે કે બીજું કંઈ? વર્ષગાંઠ પોતાની હોય પણ વિકાસ જીવનસાથીનો થાય એનાથી વધીને પ્રેમની કઈ સાબિતી હોઈ શકે? અને એનાથી વધુ કિંમતી ભેટ બીજી કઈ હોય શકે, કહો તો…

Comments (14)

ઓછાબોલી – મિલિન્દ ગઢવી

એવામાં તો મોડાં મોડાં
અવસર લઈને આવ્યા ઘોડા
મેં કીધું કે, ‘લઈ લઉં થોડાં’, –
.                                       એ બોલી, ‘ઊંહું !’

‘कत्थई आँखों में क्या छल है ?
पलकों पे जो भीगा कल है
आँसू है या गंगाजल है ?’ –
.                                       वो बोली, ‘पानी!’

Relations went through recession
Time had come for alteration
When I stopped her at the station; –
.                                            She said, ‘Destiny!’

– મિલિન્દ ગઢવી

મરાઠીમાંથી ઊતરી આવેલ અંજની-ગીત આપણે ત્યાં શરૂથી જ બહુ પ્રેમાદર પામ્યું નથી. કાન્ત, બ.ક.ઠા. જેવા કવિઓથી માંડીને ઘણાખરા કવિઓએ એના પર હાથ અજમાવ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મનોજ ખંડેરિયાએ તો આખેઆખો સંગ્રહ અંજની-ગીતોનો આપ્યો પણ તોય અંજનીથી સર્જકો ખાસ અંજાયા નહીં. મને લાગે છે કે અંજનીનું બારીક પોત આ માટે જવાબદાર છે. ૧૬ માત્રાનો એક એવી સાડાત્રણ પંક્તિનો બંધ, જે આમ જોવા જઈએ તો દોઢ પંક્તિ જેટલો જ છે… એટલે એક બંધમાં ગઝલના એક આખા શેર કરતાં પણ ઓછી જગ્યા મળતી હોઈ કદાચ આ પ્રકાર આપણે ત્યાં વધુ પ્રચલિત થઈ શક્યો નથી.

મિલિન્દ આવા સંજોગોમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાનું કોકટેલ કરીને એક અંજની લઈ આવે છે એ સુખદ નિશાની છે. કમાલની વાત એ છે કે મિલિન્દ અંજનીની આ સા…વ સાંકડી ગલીમાં ત્રણ ત્રણ ભાષાઓ બાથમાં ભરીને ખૂબ જ આસાનીથી ચાલી શક્યો છે. હા, જો કે એણે ત્રણેય બંધમાં અંત્યાનુપ્રાસ જાળવીને કામ કર્યું હોત તો વાત ઓર કમાલની થાત…

Comments (11)

વિપ્રયોગ – કાન્ત

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
.                          ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
.                          દારા એની એ ?”

* * *

“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
.                          ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
.                          દારા એની એ !”

– કાન્ત

ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત.  અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા.  જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)

લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.

*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)

Comments (2)

અંજનીકાવ્ય – મનોજ ખંડેરિયા

આ ઘરની ભીંતો ને ઝાંપો
એને એવો ધક્કો આપો
આઘે દૂર ક્ષિતિજે સ્થાપો
.                      ત્યાર પછી જુઓ !

ઘરની આ સંકડાશ ન રહેશે
ઓછો કૈં અજવાશ ન રહેશે
ગૂંગળામણના શ્વાસ ન રહેશે
.                      ત્યાર પછી જીવો !

-મનોજ ખંડેરિયા

*

ગુજરાતી ભાષામાં અંજનીગીતો બહુ ઓછા લખાય છે, પણ મનોજ ખંડેરિયાએ તો ‘અંજની’ નામે આખેઆખો સંગ્રહ આપણને આપ્યો છે. આધુનિક ગીતકાવ્યસ્વરૂપમાં રસ હોય એ મિત્રોને આ કાવ્યસ્વરૂપ ચોક્કસ પસંદ આવશે. પ્રચલિત ગીતની સરખામણીમાં અંજનીગીત અત્યંત લાઘવ ધરાવતું કાવ્યસ્વરૂપ હોવાથી ગાગરમાં સાગર ભરવાનું કવિકૌશલ્ય અનિવાર્ય બની રહે છે. શબ્દોની કરકસર વડે ઉત્કટ ભાવોર્મિનું બારીક નક્શીકામ અંજનીગીતની પૂર્વશરત બની રહે છે. પ્રસ્તુત અંજનીગીત દરેક મોરચે પાર ઉતરે છે. કવિ ઘરના ભીંટ-ઝાંપાને ધક્કો દઈને દૂર ક્ષિતિજે લઈ જઈ સ્થાપવાની વાત કરે છે. મતલબ સાફ છે. આ કંઈ માત્ર ઈંટ-સિમેન્ટના બનેલા આપણા ઘરની સંકડામણ દૂર કરવાની વાત નથી. આ વાત તો છે આપણા મનની, આપણા જીવનની, આપણા સંબંધોની અને આપણા હોવાપણાની ક્ષિતિજો વિસ્તારવાની. ઉમાશંકરનો ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’નો શંખનાદ પણ અહીં સંભળાય છે. સંકુચિતતાનો ત્યાગ કરીએ, ત્યારે જીવનમાં ન તો અજવાસની ઓછપ રહેશે, ન તો શ્વાસ લેવામાં કોઈ ગૂંગળામણ અનુભવાશે. રાજેન્દ્ર શાહનું લઘુકાવ્ય પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે: ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’*

અંજની કાવ્ય વિશે શ્રી રામનારાયણ વિ. પાઠક ‘બૃહત્ પિંગળ’માં આપેલી જાણકારીના હિસાબે એમ કહી શકાય કે જેમ સૉનેટ, હાઈકુ, ગઝલ એમ અંજની ગીત પણ આપણે ત્યાં અન્ય સાહિત્ય (મરાઠી)માંથી આયાત થયેલો કાવ્યપ્રકાર છે. ગુજરાતી ભાષામાં સૌથી પહેલું અંજની ગીત કાન્તે લખ્યું જણાય છે… (જો કે એ પહેલાં કાન્તના મિત્ર રાજારામ રામશંકરના ગુજરાતી ભાષાંતરમાં પણ અંજની કાવ્ય કહી શકાય એવી એક રચના જડી આવે છે)

અંજની ગીતમાં પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાની અને એક જ પ્રાસ ધરાવે છે. એમાં ચાર ચતુષ્કલ (ગાગા) સંધિઓ આવે છે. ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે. આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી આગલી બે પંક્તિ સાથે સંધાયેલી હોય છે, છતાં પઠનમાં એ ચોથી સાથે વધારે ગાઢ રીતે સંધાયેલી હોવાથી એક સુંદર ભંગીનો અનુભવ થાય છે. છંદના જાણકાર માટે અંજની ગીતની ઉત્થાપનિકા આ પ્રમાણે થાય:

દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દાદા ગાગા
દાદા દાદા દા –  —

Comments (18)