આજ એકાંત અઘરું લાગે છે –
એને તારી અસર કે તાવ કહું ?
– સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પંચપદી

પંચપદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ત્રણ પંચપદી – હર્ષદ ત્રિવેદી

કદી તો અમારે વિશે કૈં વિચારો,
અહીં રૂના ઢગમાં પડ્યો છે તિખારો;
પરિસ્થિતિ કાયમની આવી રહી છે,
ને બાકી ગઝલ એક ગાવી રહી છે;
ન દીઠો કદી કોઈએ આ નઝારો !

* * *

આપણી વચ્ચેની દૂરી ક્યાં ગઈ ?
જાળવેલી એ સબૂરી ક્યાં ગઈ ?
એમ લાગ્યું રણઝણે છે કોઈ સાજ,
સાંભળ્યો મેં દૂરથી તારો અવાજ;
બંદગીનો જીહજૂરી ક્યાં ગઈ ?

* * *

અલગ કંપ લાગ્યો મને આ ધરામાં,
તમે પગ મૂક્યો જ્યારથી ઉંબરામાં;
જગતને અમે જાગતું જોઈ લીધું,
કદી છાને ખૂણે જઈ રોઈ લીધું,
રહ્યું ના અજાણ્યું કોઈ જાતરામાં !

-હર્ષદ ત્રિવેદી

મુકેશ જોષી, હેમેન શાહ અને ઉદયન ઠક્કરની કલમે ત્રિપદીઓ આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યા છીએ. આજે હર્ષદ ત્રિવેદીની કલમે ત્રણ પંચપદીઓ માણીએ. મુક્તકથી થોડું વિશાળ ધરાવતી આ પંચપદીઓમાં પહેલી, બીજી અને આખરી કડીમાં રદીફ-કાફિયાની જાળવણી ગઝલની રૂએ જ કરવામાં આવે છે જ્યારે ત્રીજી અને ચોથી પંક્તિઓ વળી સ્વતંત્ર રદીફ-કાફિયા જાળવે છે. કવિ અને કવિતા પ્રયોગ વિના અધૂરા છે અને પંચપદીનો આ નવતર પ્રયોગ આ વાતને હકીકતની તાજગી બક્ષે છે…

Comments (2)