તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કચ્છી ગઝલ – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ટાંણે મથે જ આઉં ખબરધાર નતો રાં,
નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં.

ડીંધલ તાં ડિનેં ચસ્મેંજા કાંચ લાટ ચુટા,
તાંય આઉં નજરસેં આરપાર નતો રાં.

હુંધે છતાં કરવેરા ભરે જિતરી શાહુકારી,
કેડી ખબર કુલા આઉં ચીકાર નતો રાં.

મૂંકે જ આય મૂંજી એલર્જી, કુરો ચાં,
રાંતો હિતે જ રાંતો, છતાં યાર, નતો રાં.

સમજાજે નતો, ફિરીસિરી જીરો કીં થીયાં,
કરીયાંતો રોજ પિંઢકે જ ઠાર! નતો રાં.

નેં ખોટ-ચોટ ખાઈ, ડીંયા પ્યાર મુફતમેં,
તાંય જિંધગીમેં ધમધોકાર નતો રાં.

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કચ્છ ગુજરાતનું જ એક અંગ પણ કચ્છી બોલી ગુજરાતીથી કેટલી અલગ છે એ તો જુઓ. આજે લયસ્તરોના વાચકો માટે એક કચ્છી ગઝલ અને સાથે જ ગઝલ સમજવા માટે શ્રી આનંદ મહેતાએ કરેલું ભાષાંતર (અછાંદસ) પણ મૂકીએ… ભાષાંતર વાંચ્યા પછી ફરીથી કચ્છી ગઝલ વાંચીશું તો તરત જ સમજાશે કે જે શબ્દો પહેલીવારમાં પરભાષાના લાગ્યા હતા એ આપણી ભાષાની કેટલા નજીક છે!

ટાંણા ઉપર હું જ ખબરદાર નથી રહેતો,
ને હોંઉં છું તોય હોશિયાર નથી રહેતો.

આપનારે આપ્યા છે ચશ્માનાં કાચ ચોખ્ખા,
તોય હું નજરથી આરપાર નથી રહેતો.

હોવા છતાંય કરવેરા ભરવાની શાહુકારી,
કોને ખબર શા માટે હું ચિક્કાર નથી રહેતો.

મને જ છે મારી જ એલર્જી લો , શું કહું?
રહું અહીં જ રહું છું, છતાં યાર નથી રહેતો.

સમજાતું નથી કેમ ફરી જીવતું થવાતું હશે?
કરું છું રોજ ખુદને જ ઠાર, નથી રહેતો.

નેં ખોટ ચોટ ખાઈ ,આપું પ્યાર મુફ્તમાં,
તોય જિંદગીમાં ધમધોકાર નથી રહેતો..

Comments (6)

(કદ) – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

અખંડ
મીણબત્તી
નાની થતી જાય છે,
પણ
છેવટની ક્ષણ સુધી
ઘટતું નથી
એની જ્યોતનું કદ !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક જ લીટી જેટલું નાનું પણ કેવું વિરાટ કદનું કાવ્ય !

Comments (11)

ગાંધીજી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

આપણે જેના માટે
માત્ર બે જ મિનિટનું
મૌન પાળીએ છીએ
એ ગાંધી
આપણા સૌના માટે
પાળી રહ્યો છે
કાયમનું મૌન !

ગાંધીજીની પ્રતિમાને
ગુલાબનાં તાજાં ફૂલોનો હાર
આરોપવામાં આવી રહ્યો હતો,
ત્યારે –
ગાંધીજી તો
શીતળ વાયુનું રૂપ ધરીને
એ વેદનાગ્રસ્ત ડાળીઓને
પંપાળી રહ્યા હતા,
જે ડાળીઓ પરથી
પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
ચૂંટી લેવાયાં હતાં !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક ‘ગાંધી-ભાવના’નું અદભૂત શબ્દચિત્ર… ગાંધીજી પર આ કવિશ્રીનું અન્ય એક લઘુકાવ્ય અહીં માણી શકો છો.

Comments (17)

મારી ધરપકડ કરો ! – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

સાક્ષાત્ છું ઝનૂન, મારી ધરપકડ કરો !
મારું કર્યું મેં ખૂન, મારી ધરપકડ કરો !

ના, કોઈથી ઊતરતા હોવું ગુનો નથી, પણ-
હું છું સ્વયમ્ થી ન્યૂન, મારી ધરપકડ કરો !

લીધેલ શ્વાસ તરત જ ઉચ્છવાસ થઈ ઢળે ત્યાં
છે જીવવાની ધૂન, મારી ધરપકડ કરો !

આ ખાટકીને ઠંડી ક્યાંથી પડે, જમાદાર !
આ ધાબળા, આ ઊન, મારી ધરપકડ કરો !

જે ખીણમાં વસું છું, એ ખીણની દીવાલે,
મેં ચીતર્યું બલૂન, મારી ધરપકડ કરો !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કોઈ ગઝલ ચિત્કાર લઈને આવે છે. આ એવી ગઝલ છે. બરછટ પીંછીના ઘેરા લસરકાઓથી કવિ છૂટા છવાયા ચિત્રો દોરી આપે છે. ટૂટેલા કાચના ટૂકડાઓ જેવા એક એક શે’રમાં તમને પોતાની જાતનું (ટૂટેલું) પ્રતિબિંબ દેખાય તો આ ગઝલ સમજાયલી ગણવી.

ગઝલમાં બહુ ઝીણી વાતો કરી છે : પોતાની નજરમાંથી પડી જવાથી મોટો ગુનો (અને સજા) બીજી કોઈ નથી. એક પછી એક અપરાધ કર્યા પછી જાડી થઈ ગયેલી ચામડીની વાત ખાટકી અને ઊન દ્વારા કરી છે. અને સ્વતંત્રતાનું સપનું જોવાના ગુનાની વાત બલૂન ચિતરવાથી કરી છે.

Comments (6)

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

Comments (2)