મને હાથમાં છો હલેસાં ન આપો
નદીના પ્રતાપે તરે છે તરાપો
કુમારજૈમિનિ શાસ્ત્રી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાત છે – હિમાંશુ ભટ્ટ

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની બીજી કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં તો મળે છે નવું જીવન
કુંપળની વાતમાં કદી ખરવાની વાત છે

દેખાય છે જે એજ હકીકત નથી હ’તી
ઇશ્વર, ધરમ ને પ્રેમ એ શ્રધ્ધાની વાત છે

– હિમાંશુ ભટ્ટ

ભાષા સરળ છે…….અને એ જ ખૂબી છે….

Comments (6)

વિચાર આવે – હિમાંશુ ભટ્ટ્

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજરમાં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો કયા  વિશ્વનો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

 

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે……..    – અને જો સખી કને હોય તો ??? – વિચાર અદ્રશ્ય થઇ જાય !! હું તો જો કે છેલ્લા શેર ઉપર ફિદા થઇ ગયો…..

 

 

Comments (2)

સવા-શેર : ૪ : ન હો જો કશું તો – હિમાંશુ ભટ્ટ

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની મને પ્રિય એવી એક ગઝલનો અમર થવાને સર્જાયેલો આ શેર! એમની ગઝલોમાં વાસ્તવિકતા ક્યારેક સખીપણાનાં શણગાર બનીને આવે છે તો ક્યારેક અભાવ અને સ્વભાવ બનીને આવે છે. કાં તો માણસ કોકને નડે છે કાં સ્વયંને. જીવનમાં કંઈ જ ન હોય તો એનો અભાવ અને બધું જ હોય તો પોતાનો જ સ્વભાવ નડે છે. મતલબ કે નડવું એ માણસની મૂળ પ્રકૃતિ છે, પછી એ ભલે અન્યને નડતરરૂપ હોય કે સ્વયંને. આ શેર મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં એક પ્રખ્યાત અને અમર શેરની હંમેશા યાદ અપાવે છે:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

– ઊર્મિ

કવિતાના ગળામાં પહેરાવવામાં આવતું સૌથી વધુ મૂલ્યવાન ઘરેણું સરળતા છે. એક જ શેર લખાય અને તોય અમરતા મળી જાય એવો ઝળાંહળાં છે આ શેર. ભાષાની સરળતા અને બહુ જૂજ શબ્દોની ફેરબદલથી જે ભાત અહીં ઉપસી આવી છે એ શબ્દાતીત છે. મૂળે આપણી જાતમાં જ નડતર ઘર કરી ગયું છે. શેક્સપિઅરના "મર્ચન્ટ ઑફ વેનિસ"ના પહેલા અંકના બીજા દૃશ્યમાં નેરિસા કહે છે: "they are as sick that surfeit with too much as they that starve with nothing."

– વિવેક

અભાવની લાગણી સ્વભાવજન્ય જ ન ગણાય !!!!

– તીર્થેશ

અલ્પમાં જે મઝા છે તે અતિશય આવતાની સાથે ભાગી છૂટે છે. ચીજોનો અભાવ સહન કરવો સહેલો છે. પણ મનનો અભાવ (સ્વભાવ) સહન કરવો અઘરો છે. કદાચ માણસની પ્રકૃતિ જ એવી છે. દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

– ધવલ

Comments (8)

અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ !

આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. એ બહુ સમયથી મોતને નજીક આવતુ જોતા’તા. આવા અઘરા સમયમા પણ એમના વિચારો અને લાગણીની સ્પષ્ટતા ડગી નહોતી. આ આખી જીંદગીની ગઝલ-રચના કરતા ય મોટી સિદ્ધિ છે. શબ્દોને કાગળ પર રમતા મૂકવાનુ કામ સહેલું છે, પણ એને જીવનમાં જીવી બતાવવાનું કામ ભાગ્યે જ કોઈ કરી શકે છે. અલવિદા હિમાંશુભાઈ! સલામ હિમાંશુભાઈ!

  HBPortrait2005

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

Comments (35)

નથી જો લાગણી તો શું થયું? – હિમાંશુ ભટ્ટ

નથી જો લાગણી તો શું થયું ? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની કેટલીક ગમતી ગઝલોમાંની મારી એક પ્રિય ગઝલ.  બધા શેર ખૂબ જ ગહન અને સુંદર થયા છે… એક તરફ સખીનાં શણગારવાળા શેર પર આપોઆપ આફિન થઈ જવાય છે તો બીજી તરફ સફળતાથી છકી ન જવાય એ માટેની કવિની સલાહ પણ પરાણે ગમી જાય એવી છે.   લગભગ ચારેક વર્ષ પહેલા આ ગઝલ હિમાંશુભાઈએ એમના કાવ્યપઠન સાથે ગાગરમાં સાગરની બીજી વર્ષગાંઠની ઉજવણી વખતે મોકલાવી હતી… એ જરૂરથી સાંભળશો. (હવે બીજી નવી નક્કોર ગઝલો મોકલવાનો સમય થઈ ગયો છે, હિમાંશુભાઈ! 🙂 )  કવિનાં સ્વમુખે એમની જ ગઝલનું કાવ્યપઠન સાંભળવું, એ પણ એક ખૂબ જ મજાનો લ્હાવો છે.  આની સાથે મને એમની એક ગઝલનો અમર થવાને સર્જાયેલો મારો એક ખૂબ જ પ્રિય શેર યાદ આવે છે – ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

Comments (10)

ગઝલ – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ

અમેરિકાના હિમાંશુ ભટ્ટની એક ગઝલ… ભૂલોને નજર અંદાજ કરવાવાળૉ શેર મને તો ખૂબ ગમી ગયો. સાચી વાત છે, આપણે સામાની ભૂલને એટલી મેગ્નિફાય કરીએ છીએ કે એની પછીતે રહેલો સારો માણસ કદી નજરે ચડતો જ નથી… સંબંધોની, ખાસ કરીને દામ્પત્યની શિથિલતાનું મુખ્ય કારણ આ જ છે ને? અને છેલ્લો શેર તો ખાસ વિચાર માંગી લે એવો થયો છે…

કવિ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (22)

‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ

TRI 2 2-1

[audio:http://tahuko.com/gaagar/layastaro/08 Lahar Lahar Na Pravaho Alag-HimanshuBhatt.mp3]

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ

Comments (13)

ઝાકળબુંદ : ૮ : ગુલોગુલ અલગ છે – હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ

Comments (8)

તો શું થશે? -હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?

માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?

તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?

મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

-હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે  કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!

Comments (4)

એક બસ સમજણ… હિમાંશુ ભટ્ટ

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

Comments (6)

ગઝલ- હિમાંશુ ભટ્ટ

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

હિમાંશુ ભટ્ટ

કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?!

Comments (17)