કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નાઝિર દેખૈયા

નાઝિર દેખૈયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુકદ્દરથી – નાઝિર દેખૈયા

સુણે ના સાદ મારો તો મને શું કામ ઈશ્વરથી?
છિપાયે ના તૃષા તો આશ શી રાખું સમંદરથી?

ભલા આ ભાગ્ય આડે પાંદડું નહિ તો બીજું શું છે?
કે એ ડોકાઈને ચાલ્યા ગયા મુજ ઘરના ઉંબરથી.

લખ્યા છે લેખ, એની આબરૂનો ખ્યાલ આવે છે;
નહીં તો ફેંસલો હમણાં કરી નાખું મુકદ્દરથી.

બતાવી એક રેખા હાથમાં એવી નજૂમીએ;
સરિતની મીઠી સરવાણી ફૂટી જાણે ગિરિવરથી.

કોઈ સમજાવો દીપકને કે એની જાતને પરખે;
ઉછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી?

નકામી જીદ છોડીને તમારી આંખને વારો;
નથી અજમાવવું સારું અમારા દિલને ખંજરથી.

ભલા પરદા મહીં દર્શન મળ્યેથી શું વળે ‘નાઝિર’
તૃષા છીપી નથી શકતી કદીયે ઝીણી ઝરમરથી.

– નાઝિર દેખૈયા

પરંપરાના શાયરના ખજાનામાંથી એક અમૂલ્ય મોતી…

Comments (3)

શું કરશો ? – “નાઝિર” દેખૈયા

બળેલો છું હવે મુજને વધુ બાળીને શું કરશો?
રહ્યો ના અર્ક કંઈ બાકી, જીવન ગાળીને શું કરશો?

તમન્ના કંઈ નથી. મુજને હવે આ દીન-દુનિયાની,
જીવનની આપદા મારી હવે ટાળીને શું કરશો?

અમે માન્યું બીજાને તો તમે શિક્ષાય કરવાના,
ઉજાડે બાગ ખુદ માળી તો એ માળીને શું કરશો?

પતંગાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે વિરહે બળવાની,
તમે નાહક શમા જીવનની પ્રજવાળીને શું કરશો?

પુરાણી પ્રીત તોડીને ઊડી જાશે એ પળભરમાં,
પછી ખોટાં વચન એનાં તમે પાળીને શું કરશો?

જીવનમાંથી ઉમંગો, આશ, અરમાનો ગયાં ‘નાઝિર!”,
હવે પુષ્પો વગરની એકલી ડાળીને શું કરશો?

– “નાઝિર” દેખૈયા

Comments

આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા

તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.

પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.

નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.

ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.

તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.

ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.

દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.

– નાઝિર દેખૈયા

ટાઇમલેસ ક્લાસિક.

Comments (3)

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

Comments (10)

તો સારું…- નાઝિર દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…

એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…

જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું…

– નાઝિર દેખૈયા

 

શું નઝાકત છે !!!!

Comments (5)

આવો – નાઝિર દેખૈયા

તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.

ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.

તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?

લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.

નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.

– નાઝિર દેખૈયા

શાયરનો ખાસ પરિચય નથી, પણ રચના સશક્ત છે…..

Comments (8)