ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

11 Comments »

  1. Janki said,

    June 4, 2022 @ 12:25 PM

    કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
    વાહ…

    સુંદર રચના

  2. Pravin Shah said,

    June 4, 2022 @ 1:55 PM

    ખૂબ સરસ !

  3. સિકંદર મુલતાની said,

    June 4, 2022 @ 2:13 PM

    નાઝિર સાહેબની શ્રેષ્ઠ ગઝલ.. આ સાથે આ ગઝલનું સ્વરાંકન પણ મૂક્યું હોત તો સોનામાં સુગંધ ભળત..

  4. firdaus Dekhaiya said,

    June 4, 2022 @ 3:01 PM

    આભારી છું.

    નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન પ્રાપ્ય બને એ માટેનો આ એક પ્રયાસ છે. શયદાયુગીન પરંપરામાંથી આવનાર નાઝિરનું સ્થાન મુખ્ય પ્રવાહથી અલગ – લોકસાહિત્યમાં મળે છે. એમના થકી ગઝલ જેવી ચીજ જે મહેફિલ-એ-ખાસની વસ્તુ છે એ મહેફિલ-એ-આમમાં-ડાયરાઓમાં, રામકથામાં, સૂફી ગાયનમાં પ્રવેશી. આજદિન સુધી કોઈ નોંધનીય સ્તરે કોઈ વિવેચક-સંપાદકે ઉલ્લેખ કર્યો હોવાનું થાદ તો નથી પણ નાઝિરની વાણી આજે કોઈ અદના માણસના મુખે ય સાંભળવા મળી જાય..નાઝિરની ગઝલો ભજન તરીકે ગવાય છે એ એની વિશિષ્ટતા છે. આ જ બ્લોગ પરની નાઝિરની એક ગઝલ આપની નોંધ હતી:’શાયરનો ખાસ પરિચય નથી પણ રચના બળકટ છે’ એ ઘણું બધું સૂચવી જાય છે. અત્યાર સુધી મરીઝ-ઘાયલ-શૂન્ય-બેફામનો ઉલ્લેખ જે પ્લેટફોર્મ્સ પરથી થતો આવ્યો છે એ જ વિધામાં નાઝિરે કામ કર્યું હોવા છતાં એ આપણા સુધી પહોંચ્યું નહોતું. નાઝિરની જન્મશતાબ્દી 2021થી આ ઉલ્લેખ શરૂ થયો એ કલેજું ઠારનારી ઘટના છે. આ સાથે રાસબિહારી દેસાઈ દ્વારા ગવાયેલી ઉપરોક્ત ગઝલની લિંક આપું છું.

    -ફિરદૌસ દેખૈયા

    Listen to ખુશી દેજે જમાનાને by drfirdaus on #SoundCloud
    https://soundcloud.app.goo.gl/EBdzt

  5. pragnajuvyas said,

    June 4, 2022 @ 5:21 PM

    ભાવનગરના કવિ મા. નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે.તેનો ડૉ વિવેક અને ડો ફિરદૌસ દેખૈયા દ્વારા સ રસ આસ્વાદ માણી આનંદ
    મનમા ગુંજે
    માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
    ’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.

  6. પ્રજ્ઞા વશી said,

    June 4, 2022 @ 6:44 PM

    નાઝિર દેખૈયાની ગઝલો તો ખૂબ જ સરસ
    પ્રસ્તુત ગઝલ પણ સરસ
    અભિનંદન કવિને
    અભિનંદન વિવેકભાઈ.

  7. Poonam said,

    June 5, 2022 @ 9:39 AM

    😍
    જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
    હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે…
    – નાઝિર દેખૈયા – Aakhi ghazal all time Favourite!

  8. જયેન્દ્ર ઠાકર said,

    June 6, 2022 @ 6:46 AM

    સુંદર ગઝલ! કવિની ખુમારી, નિર્મળતા અને સાદગી બધા જ શેરોમાં વ્યાપક છે!

  9. હરીશ દાસાણી.મુંબઈ said,

    June 6, 2022 @ 7:41 AM

    સદાબહાર રચના

  10. Vineschandra Chhotai 🕉 said,

    June 6, 2022 @ 5:13 PM

    ગુજરાતી સાહિત્ય
    બહુજ પ્રગતિ ના શિખર
    રચના અભિનંદન

  11. kantilal babulal sopariwala said,

    December 13, 2025 @ 10:27 AM

    નાઝીર સાહેબ ની હયાતી ને ઘણો સમય જતો રહ્યો
    પણ આજે પણ ગુજરાતી ગઝલ કાવ્ય ના ચાહકો ને
    એમી કલમ ની કમાલ રસમય બનાવી રહીછે
    કે બી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment