આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.
રમેશ પારેખ

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

10 Comments »

  1. Janki said,

    June 4, 2022 @ 12:25 PM

    કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.
    વાહ…

    સુંદર રચના

  2. Pravin Shah said,

    June 4, 2022 @ 1:55 PM

    ખૂબ સરસ !

  3. સિકંદર મુલતાની said,

    June 4, 2022 @ 2:13 PM

    નાઝિર સાહેબની શ્રેષ્ઠ ગઝલ.. આ સાથે આ ગઝલનું સ્વરાંકન પણ મૂક્યું હોત તો સોનામાં સુગંધ ભળત..

  4. firdaus Dekhaiya said,

    June 4, 2022 @ 3:01 PM

    આભારી છું.

    નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન પ્રાપ્ય બને એ માટેનો આ એક પ્રયાસ છે. શયદાયુગીન પરંપરામાંથી આવનાર નાઝિરનું સ્થાન મુખ્ય પ્રવાહથી અલગ – લોકસાહિત્યમાં મળે છે. એમના થકી ગઝલ જેવી ચીજ જે મહેફિલ-એ-ખાસની વસ્તુ છે એ મહેફિલ-એ-આમમાં-ડાયરાઓમાં, રામકથામાં, સૂફી ગાયનમાં પ્રવેશી. આજદિન સુધી કોઈ નોંધનીય સ્તરે કોઈ વિવેચક-સંપાદકે ઉલ્લેખ કર્યો હોવાનું થાદ તો નથી પણ નાઝિરની વાણી આજે કોઈ અદના માણસના મુખે ય સાંભળવા મળી જાય..નાઝિરની ગઝલો ભજન તરીકે ગવાય છે એ એની વિશિષ્ટતા છે. આ જ બ્લોગ પરની નાઝિરની એક ગઝલ આપની નોંધ હતી:’શાયરનો ખાસ પરિચય નથી પણ રચના બળકટ છે’ એ ઘણું બધું સૂચવી જાય છે. અત્યાર સુધી મરીઝ-ઘાયલ-શૂન્ય-બેફામનો ઉલ્લેખ જે પ્લેટફોર્મ્સ પરથી થતો આવ્યો છે એ જ વિધામાં નાઝિરે કામ કર્યું હોવા છતાં એ આપણા સુધી પહોંચ્યું નહોતું. નાઝિરની જન્મશતાબ્દી 2021થી આ ઉલ્લેખ શરૂ થયો એ કલેજું ઠારનારી ઘટના છે. આ સાથે રાસબિહારી દેસાઈ દ્વારા ગવાયેલી ઉપરોક્ત ગઝલની લિંક આપું છું.

    -ફિરદૌસ દેખૈયા

    Listen to ખુશી દેજે જમાનાને by drfirdaus on #SoundCloud
    https://soundcloud.app.goo.gl/EBdzt

  5. pragnajuvyas said,

    June 4, 2022 @ 5:21 PM

    ભાવનગરના કવિ મા. નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે.તેનો ડૉ વિવેક અને ડો ફિરદૌસ દેખૈયા દ્વારા સ રસ આસ્વાદ માણી આનંદ
    મનમા ગુંજે
    માણી રહ્યાઁ છો આજે ગઝલો થઇ સૌ આનઁદ વિભોર
    ’નાઝિર’!કારણ શુઁ બતાવુઁ ? એ તો છે શબરીના બોર.

  6. પ્રજ્ઞા વશી said,

    June 4, 2022 @ 6:44 PM

    નાઝિર દેખૈયાની ગઝલો તો ખૂબ જ સરસ
    પ્રસ્તુત ગઝલ પણ સરસ
    અભિનંદન કવિને
    અભિનંદન વિવેકભાઈ.

  7. Poonam said,

    June 5, 2022 @ 9:39 AM

    😍
    જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
    હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે…
    – નાઝિર દેખૈયા – Aakhi ghazal all time Favourite!

  8. જયેન્દ્ર ઠાકર said,

    June 6, 2022 @ 6:46 AM

    સુંદર ગઝલ! કવિની ખુમારી, નિર્મળતા અને સાદગી બધા જ શેરોમાં વ્યાપક છે!

  9. હરીશ દાસાણી.મુંબઈ said,

    June 6, 2022 @ 7:41 AM

    સદાબહાર રચના

  10. Vineschandra Chhotai 🕉 said,

    June 6, 2022 @ 5:13 PM

    ગુજરાતી સાહિત્ય
    બહુજ પ્રગતિ ના શિખર
    રચના અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment