પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયા મહેતા

જયા મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.

Comments (7)

સ્ત્રી – જયા મહેતા

સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ છે
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.

– જયા મહેતા

છેલ્લે તીર્થેશે “સ્ત્રી” વિશેની મનીષા જોષીની કવિતા મૂકી એટલે મને આ રચના યાદ આવી… બંને રચના સ્ત્રી વિશેની અને બંને રચના કવયિત્રીઓ વડે લખાયેલી…

તમે પુરુષ હોવ કે સ્ત્રી, જો તમારી છાતીના પિંજરામાં એક સહૃદય હૈયું ધબકતું હોય તો આ કવિતા વિશે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી…

આખી કવિતા કવયિત્રી એકીશ્વાસે બોલતા સંભળાય છે એ આ કવિતાનો વિશેષ છે. સ્ત્રી વિશેના બધા વિશેષણ પૂરા થાય ત્યાં સુધી કવિતામાં ક્યાંય પણ એકે અલ્પવિરામ, પૂર્ણવિરામ કે ઉદગારચિહ્ન આવતા જ નથી. સ્ત્રીના જીવનમાં પણ કોઈ વિરામ, અલ્પ કે પૂર્ણ- ક્યારેય ક્યાં આવતો જ હોય છે? પંક્તિઓ એકમાંથી બીજામાં પાણીની જેમ દડી જાય છે, બિલકુલ એ જ રીતે જે રીતે સ્ત્રી એક જીવનમાંથી બીજા જીવનમાં સમાઈ જાય છે.

Comments (10)

પ્રિય…ને, – જયા મહેતા

તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે,
તમે મારા દિવસોને આનંદથી ભરી દીધા છે.
તમે મારા આંગણામાં પારિજાત ઉછેર્યો છે,
તમે મારી રાત્રીઓને મઘમઘતી કરી છે.

તમે મારા ડૂબુંડૂબું થતા વહાણને ઉગાર્યું છે,
તમે કિનારાને કિનારો હોવાની સાર્થકતા બક્ષી છે.
તમે ઘુવડની આંખને પ્રકાશનું માહાત્મ્ય સમજાવ્યું છે,
તમે મારા ખંડમાં અજવાળું પાથર્યું છે.

તમે મને તૃણથી તરુવર સુધી વહેતી હવાની ઝાંખી કરાવી છે.
તમે મારી બધી થોરકાંટાળી વાડને તોડી છે.
તમે મને સાઇરન અને મંદિરના ઘંટનો ભેદ સમજાવ્યો છે,
તમે મને તમને પ્રેમ કરતાં શીખવ્યું છે.

તમે મને દુનિયાને પ્રેમ કરતાં શીખવ્યું છે.

– જયા મહેતા

ચૌદમી પંક્તિ ઉમેરી હોય તો મુક્ત-સૉનેટ કહેવાનું મન થાય એવું મજાનું કાવ્ય. પહેલી બાર પંક્તિમાં તો કવિતા એક પ્રેમીનું બીજા સામેનું કબૂલાતનામું જ બની રહે છે. તમે મારા જીવનમાં આ ને તે અને પેલું અને ઓલું અને વગેરે વગેરે બનીને આવ્યા છો… પણ કવિતાનો ખરો પંચ એની આખરી પંક્તિમાં છે.. જે કોઈ એકની મહત્તા અને મહત્વ સમજી-સ્વાકારી કોઈ એકને સાચા અર્થમાં પ્રેમ કરી શકે એ સમસ્ત વિશ્વને ચાહતાં શીખી જાય છે…

Comments (6)

મધ્યવર્ગીય ગાર્ગી – ઇન્દિરા સંત

એક પથ્થર દુઃખનો.
એક પથ્થર કાળનો.
એક પથ્થર ત્યાગનો.
વાત્સલ્યના થર ઘાટ માટે વાપરવાના.
આવો સુરેખ ચૂલો ઘરે ઘરે હોય.
ઘર સંભાળનારી… ઘર સાચવનારી.
તેનું જ નામ ગૃહસ્વામિની… ગૃહલક્ષ્મી. ઘરધણિયાણી
આમ ઘરબારથી વીંટલાયેલી. બંધાયેલી.
ઘર આખામાં ફરતી ભમરડાની જેમ.
ઓતપ્રોત અને અતૃપ્ત.

ક્યાંક ક્યાંક કે ઘણુંખરું ઘરમાં જ સિઝાતી
વાનગીઓની ફરસી વરાળ બહાર ફેલાય છે.
દૂર દૂર પ્રસરે છે અને કોઈક તે સ્વાદિષ્ટ વરાળનાં વાક્યો
બનાવે છે,
મથાળાં બાંધે છે :
આધિનિક સ્વતંત્ર સ્ત્રી. સ્ત્રીનો વિકાસ.
પ્રગતિપથ પર સ્ત્રીની હિલચાલ. વગેર વગેરે.
કાનને મનને વાક્યો મીઠાં લાગે.
આંકડાઓની પ્રગતિ તો સૂર્ય સુધી પહોંચે.
સાંજે થાકેલી હારેલી જમણાડાબા હાથમાં
પર્સ પડીકાં ને ઝોળી સંભાળતી ઘરે પાછી આવતી તે.
તે ગાર્ગી. મધ્યવર્ગી તે
પેલાં મથાળાંની માલિક
પર્સના હોદ્દાની સાથે જ સંભાળીને આણેલાં પેલાં
વાક્યોનાં લાકડાં ચૂલામાં મૂકે છે,
બહુ જલ્દી ચા કરવા માટે.
ચાના નશામાં જ પાંખો સંકેલી લેવી જોઈએ.

અને પછી કૂકર. પછી રોટલી. પછી વઘાર.
મોટાંનાનાં સૌનાં મન સાચવવાનાં. નોકરોની જડતા
કેટલાયે દોર ઘટ્ટ જકડી રાખનારા.
બધું જ કંટાળા ભરેલું. સીઝવનાર પણ તે જ.
અને સીઝનાર પણ તે જ.

– ઇન્દિરા સંત (મરાઠી)
(અનુ. જયા મહેતા)

ગાર્ગી નામ કાને પડતાં જ આપણા મનોચક્ષુ સમક્ષ ભરી રાજ્યસભામાં ભલભલા વિદ્વાનોનું ગુમાન ઉતારી દેતી વિદૂષી આવી ઊભે છે. અહીં કાવ્યનાયિકા ગાર્ગી આજના મધ્યમવર્ગની સ્ત્રીની પ્રતિનિધિ છે.

ત્રણ પથ્થર મૂકીને છાણ-માટીના ગારાથી એને ઘાટ આપી તૈયાર થતા ચૂલાથી શરૂ થઈ કવિતા કેરિયર-વુમન સુધી જઈ ફરી ચૂલા અને રસોઈ સુધી પહોંચે છે ત્યારે આપણી અંદર કશુંક હચમચી જતું અનુભવાય છે.

આ ગાર્ગી એના સંસારમાં ઓતપ્રોત થઈ ભલે જીવતી હોય, અતૃપ્ત છે. મોટા ભાગે ઘરની ચાર દીવાલો વચ્ચે જ સ્ત્રીનું જીવન પૂરું થાય છે. ક્યાંક આ “ફરસી વરાળ” બહાર પણ ફેલાય છે અને અખબારોમાં મોટા મથાળાં આવે છે કે આજની સ્ત્રી પુરુષ-સમોવડી બની ચૂકી છે. સૂર્યને આંબી જાય એવા સ્ત્રીઓની પ્રગતિના આંકડા અંતે તો ચૂલો અને ઘરની જવાબદારીઓમાં જ સિઝાઈ જતા હોય છે. સ્ત્રી સ્ત્રી જ રહે છે. એની સાચી પ્રગતિ ન એ ગાર્ગીના સમયમાં થઈ હતી, ન આજની આ ગાર્ગીના સમયમાં…

Comments (8)

નજર – સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)

સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.

સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું

રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.

– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)

પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !

Comments (8)

કદ – માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)

તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.

મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.

– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)

વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…

Comments (10)

ગેઈશા ગીત ~ અનામી (અનુ. જયા મહેતા)

આજની રાતે એકલી સૂતી છું ત્યારે
હું મારી આંસુની પથારી પર છું
ઊંડા સમુદ્ર પર
તરછોડાયેલી હોડીની જેમ.

-અનામી
(અનુ. જયા મહેતા)

જાપાનમાં વારાંગનાને ગેઈશા કહેવામાં આવે છે. માત્ર ચાર જ નાનકડી લીટીમાં એક વારાંગનાના આખા જીવનનું કેવું આબેહૂબ ચિત્ર! વારાંગનાની પાસે પોતાની જાત સાથે વાત કરી શકે એવું એકાંત ક્યાંથી હોય? એકાદ ભૂલીભટકી રાતે ગ્રાહક ન હોય એવી ક્ષણે એને મહેસૂસ થાય છે કે એ આંસુની પથારી પર સૂતી છે… વિશાળ ગહન સંસારમાં એનાથી વધુ તરછોડાયેલ બીજું કોણ હોઈ શકે?

Comments (9)

ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)

જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.

આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !

આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.

ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.

– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)

આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે.  પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?

Comments (9)

તું એકલી નથી – વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)

ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.

– વસંત આબાજી ડહાકે (મરાઠી)
(અનુ. જયા મહેતા)

કવિ ખૂબ જ ઓછા શબ્દોમાં અનૈક્યમાં ઐક્યની વાત કરી શકે છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ નવાઈ.

Comments (4)

આનંદલોક – કુસુમાગ્રજ

મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી

મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.

સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !

Comments (9)

હું પ્રથમ જાગી – માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

હું પ્રથમ જાગી
વિશાળ નદીને કાંઠે કાંઠે પરોઢનું અભિવાદન કરતી
હસતા ગધેડાઓની અસંખ્ય ચીસોથી.
હું ફરી જાગી
પર્વત પરથી સૂર્યે
મને ઉઠાડવાને બહાર નીકળીને
ગીચ છોડ તરફ જવા માટે,
ઊંચા શ્વેત વૃક્ષો તરફ જવા માટે,
માછલી ભરી હોડીઓ અને પુરાણા
કબરસ્તાન તરફ જવા માટે
સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.

કબર પાસેના લાંબા ઘાસ પર
ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
એમની પર છલાંગ્યો.
જૂની કબરના પથ્થર ઢળતા જાય છે,બેસતા જાય છે,
ટેકરીની જમીન નીચે-
જૂના હાડકાં જૂની ભૂમિ પર માટીમાં ભળતાં જાય છે,
નવી જમીન અને નવું જીવન નિર્માણ કરતાં કરતાં.

આવી શાંત ટેકરી પર
આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
હું સૂઈ શકું
મારો સમય આવે ત્યારે
અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
મારા નકામાં હાડકાં પર.

– માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

તત્ત્વમસિ !

Comments (9)

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે – કાર્લ વેન્ડેલ હાઈન્સ

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
ચાલો તેનાં થોડા વખાણ કરીએ
તેની કીર્તિના સ્મારકો રચીએ
તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.

મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે.
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી
મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકે ?

અને વળી,
વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મરકો બાંધવાં સહેલાં છે.

તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંત જીવેથી
આપણાં સંતાનોને શીખવશું
કે તે કેવો મોટો માણસ હતો … જાણીએ છીએ
કે જે કારણ માટે તે જીવ્યો
તે તો હજીયે એમનું એમ જ છે.
જે સ્વપ્ન માટે તે શહીદ થયો
તે હજીયે સ્વપ્ન જ છે,
મરેલા માણસનું સ્વપ્ન.

– કાર્લ વેન્ડેલ હાઈન્સ
( અનુવાદ : જયા મહેતા)

દરેક પ્રજાને પોતાના શહીદો ખૂબ વહાલા હોય છે. ને સ્મારકો પર ફૂલો ચડાવવામાં કોઈ કરતા કોઈ પાછળ પડતું નથી. પણ એ શહીદી પાછળના મૂળ વિચારને કે એ કાર્યને આગળ વધારવા માટે કોઈ તૈયાર થતું નથી. ‘હવે એ સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે’ એ પહેલી જ લીટીમાં જ કવિએ એવો ફટકો માર્યો છે કે એની કળ છેલ્લે સુધી વળતી નથી.

વધારે સારી દુનિયા રચવાનું આપણું ગજુ નથી, આપણે તો સ્મારકો જ બાંધી શકીએ એમ છીએ.

Comments (14)

વારિસશાહને – અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો

[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.

Comments (10)

આ ચાર ક્ષણ – રમેશ પાનસે (અનુ. જયા મહેતા)

ઓહો !
જોયું ?
મારી જિંદગીમાં આનંદની મહાન
આ ચાર ક્ષણ !
જેને માટે જીવવાની ઝંખના રાખી હતી !

આ પહેલી
મુંબઈની ગાડીગર્દીમાં મેં એક મોકળો શ્વાસ લીધો.
બીજી
મેં તને મારી કહેવાનું ઠરાવ્યું.
ત્રીજી
આકાશ સ્વચ્છ દેખાયું ગણગણાટ વગર.
ચોથી
મેં તેને ઓળખ્યો : તે પણ એક માણસ જ.

હું હવે સમાપ્ત થવાની શરૂઆત કરું છું.

– રમેશ પાનસે
(અનુ. જયા મહેતા)

કેટલું સીધું જીવન ! માત્ર ચાર એષણા… માત્ર ચાર ક્ષણ… ! એકમાં ભીડને ઓળંગી જવી, બીજામાં એકલતા ઓળંગી જવી, ત્રીજામાં પૃથ્વીને ઓળંગી જવી અને ચોથામાં ઈશ્વરના નિગૂઢત્વને ઓળંગી જવું.  બોલો, છે ને કવિની કમાલ ?

ને બધું મળી ગયા પછી શું ? તમામ પ્રાપ્તિનું અંતિમ ધ્યેય શું ? – સમાપ્ત થવાની શરૂઆત ! Nothingness is our origin, and it is also our destiny.

Comments (8)

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

Comments (4)

વિશ્વ-કવિતા:૧૪: દિલોજાન (બ્રિટન) – ડી. એચ. લૉરેન્સ (અનુ. જયા મહેતા)

તને મારા પ્રેમની પરવા નથી ? તે કડવાશથી બોલી.

મેં તેને અરીસો આપીને કહ્યું :
મહેરબાની કરીને આ પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછ!
મહેરબાની કરીને બધી વિનંતીઓ મુખ્ય કાર્યાલયને કર!
લાગણીઓ વિશેની મહત્વની બાબતોમાં
મહેરબાની કરીને સર્વોચ્ચ સત્તાને સીધું જ પૂછ! –
એટલે મેં તેને અરીસો આપ્યો.

અરીસો એણે મારા માથા પર જ તોડ્યો હોત,
પણ એની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી
અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.

– ડી. એચ. લૉરેન્સ
અનુ. જયા મહેતા

પ્રેમના છીછરાંપણા વિષે નાનું ને તીણું કાવ્ય. અંગ્રેજીમાં કાવ્યનું શીર્ષક ‘Intimates’ છે. જે કાવ્યના વ્યંગને વધુ વેધક બનાવે છે. અનુવાદ કરવામાં જયા મહેતાએ ‘દિલોજાન’ શબ્દ વાપરીને કમાલ કરી છે. મૂળ અંગ્રેજી કાવ્ય અહીં જુઓ.

Comments (3)

માણસ મરી જાય છે પછી – જયા મહેતા

થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.

થોડા દિવસ
હોસ્પિટલની લોબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.

થોડા દિવસ
‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ની હવા.

પછી
બેંક-બેલેન્સની પૂછપરછ.
પછી
મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી
રેશનકાર્ડમાંથી નામની બાદબાકી
અને છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
અને
કંકુની ડબી પર જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગળસૂત્ર ઝૂર્યા કરે છે.

– જયા મહેતા

મૃત્યુના બે ચહેરા હોય છે. એક જાહેર અને બીજો ખાનગી. મૃત્યુના શોકના પડઘમ શમી જાય પછી પણ એના પડધા અંગત માણસોના દિલમાં કાયમ માટે રહી જાય છે. પોતાનું માણસ જતું રહે એનો ખાલીપો તો રોજ થોડો થોડો જીવવો પડે છે; આખી જીંદગી જીવવો પડે છે.

Comments (4)

આખરની કમાઈ – કુસુમાગ્રજ (અનુ.જયા મહેતા)

મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.

જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !

-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)

Comments (3)