મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મેરી ઓલિવર

મેરી ઓલિવર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નિજાનંદ : આરંભ ક્યાં, અંત ક્યાં? – મેરી ઓલીવર ( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)

IMG_1764

બધું હાથમાં ના જ આવે.
પણ, એમની અનુભૂતિનો લ્હાવો જરૂર માણી શકાય. સતત.

પવન, આકાશમાં ઊડી જતું પંખી, ઈશ્વરનો સંકેત.

એ લ્હાવો એટલે સમયનો સદુપયોગ.
અને પરમ આનંદ, એ નફામાં.

સરકતો સાપ.
કમળના નાનકડા ફૂલની માફક પાણીમાં સંતાકુકડી રમતી
કુદતી માછલી.
વૃક્ષની ટોચેથી પાવા વગાડતા પીળા પાંખાળા પોપટ …

બસ, સવાર સાંજ ઉજવું એમનો અગોચર સ્પર્શ.

જોતો જ રહું. ઉભો રહું ખુલ્લા હાથે
તત્પર, એમને મારા બાહુપાશમાં જકડી લેવા માટે.
આશા સભર, કોઈ અનેરી ભેટ સાંપડશે:
પવનની એક ઘૂમરી,
વૃક્ષદાદાની ડાળી પર લહેરાતાં જૂજ પર્ણો —
એ સઘળા પણ ભાગ ભજવે છે આ રંગમંચ ઉપર.

સાચ્ચે જ, દુનિયામાં બધું જ પ્રાપ્ય છે.
કમસેકમ, હાથવેંતે.
અને ખુબ જ દિલચસ્પ.

ધાનનો બારીકતમ ટુકડો ચપચપ ગળે ઉતારી દેતી
આંખો ચમકાવતી માછલી,
ગૂંચળાંમાંથી વળી ફરી સીધો થતો સાપ,
ફેરફુદરડી ફરતી સોનપરીઓ આકાશના આ છેડે

ઈશ્વરના, નિર્મળ હવાના…

– મેરી ઓલીવર
( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)

મેરી ઓલિવર એ આધ્યાત્મિક કવિ છે. અને કુદરતના પ્રેમી છે. કુદરત અને ઈશ્વર બંનેને એ એક જ સિક્કાની બે બાજુની જેમ ગાય છે. આખું જાગત એમને ઈશ્વરની સાહેદી પુરતું લાગે છે. દરેક ચીજ એમને ઈશ્વરની નજીક લઈ જતી લાગે છે. કવિનો ઈશ્વર સહજ છે, સર્વવ્યાપી છે, અને અનંત છે.

* * *

મૂળ અંગ્રેજી કવિતા:

Where Does The Temple Begin, Where Does It End?
There are things you can’t reach, But
you can reach out to them, and all day long.
The wind, the bird flying away. The idea of God.
And it can keep you as busy as anything else, and happier.
The snake slides away; the fish jumps, like a little lily,
out of the water and back in; the goldfinches sing
from the unreachable top of the tree.
I look; morning to night I am never done with looking.
Looking I mean not just standing around, but standing around
as though with your arms open.
And thinking: may be something will come, some
shining coil of wind,
or a few leaves from any old tree —
they are all in this too.
And now I will tell you the truth.
Everything in the world
comes.
At least, closer.
And, cordially.
Like the nibbling, tinsel-eyed fish: the unlooping snake.
Like goldfinches, little dolls of gold
fluttering around the corner of the sky
of God, the blue air.
– Mary Oliver

Comments (8)

જ્ઞાનપિપૂડી – મેરી ઓલિવર

વગાડતા રહ્યા છે અનુભવીઓ
એમની જ્ઞાનપિપૂડીઃ સજીવ નથી હરેક ચીજવસ્તુ.
હું કહું છું
મને જંપવા દો.
તમારું ડહાપણ તમને મુબારક.

સાંકેતિક વાતો મેં કરી છે આછેરાં વાદળો સાથે.
જ્યારે એ ગભરાતાં
પાછળ પડી જવાના ડરે.
હું ચીમકી આપતોઃ પગ જરા ઉપાડો.
આભારસહજ એ બોલતાં
ઉપાડીએ છીએ, ઉપાડીએ છીએ.

વાછરડી, માછલી, ચમેલી
કોઈ વિવાદ નહીં, મૃત્યુ એમનું
નિશ્ચિંત છે.

પણ, પાણીનું શું? પાણી
ખુદ જીવંત ખરું ?
દરિયાના પેટાળમાં તો
જીવતા ઘૂમે છે કંઈ કેટલાએ જીવ. એવા
જીવનદાતાના ધબકારા પર, અરે,
ચોકડી કેમ પડાય?

વિચારમાં મગ્ન, કિનારે પથરાયેલી રેતી પર
બેઠો છું હાથમાં
એક કોડી, બે ચાર છીપલાં, અબરખનો ટુકડો
અને કાંકરી મિશ્રિત રેતી લઈને.

એ સઘળા, હાલ પૂરતા, ગાઢ નીંદરમાં છે …

– મેરી ઓલિવર
(અનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

(કાવ્યનો આસ્વાદ પણ ચંદ્રેશ ઠાકોરના જ શબ્દોમાં)

મેરી ઓલિવર કુદરતમય કવિ છે. એ પ્રથમ કવિ છે કે પ્રથમ કુદરતના ચાહક છે એ એક રસપ્રદ સવાલ છે. કુદરતનું સૌંદર્ય, એની કરામત, એનું રહસ્ય એમની ઘણી કવિતાઓમાં તરબતર હોય છે.

કવયિત્રી, બહુ સરળતાથી, અસ્તિત્વ-જીવ-ચેતનના ગૂઢ વિષયમાં વાચકને ઊંડે લઈ જાય છે. પણ, એની બળવાખોર શરુઆત જુઓ. કહેવાતા જ્ઞાનીઓએ બાંધી લીધેલી અસ્તિત્વની સીમીત વ્યાખ્યા એમને મંજૂર નથી. અને, કહેવાતા જ્ઞાનીઓને એ પડકાર ફેંકે છે તમારા ચીલાચાલુ જ્ઞાનથી મારા વિચારવિશ્વને ડહોળવાનું માંડી વાળો. પણ, એ પડકાર કરીને એ અટકતા નથી. પડકારના ટેકારૂપ દલીલો હાજર છે.

હાથી-ઘોડા, મરઘા-બતકા, કળીઓ-ફૂલ, જરૂર, હાલતા-ચાલતા-ખીલતા-મુરઝાતા જીવનના સામાન્ય નિયમોને આનુસંગિક અસ્તિત્વ ભોગવે છે અને એનો અંત પામે છે. પણ, કવયિત્રીને સતાવે છે વાદળ અને પાણી જેવા સત્વો અને તત્વો. એમને સજીવ કેમ ના લેખાય? એમનો સમજુ જીવ વાદળો જોડે વાર્તાલાપ પણ કરે છે, કો’ક જીવંત વ્યક્તિ સાથે કરતા હોય એમ. અને પાણી? એક મૂળભૂત સવાલ કવયિત્રીના મનમાં ઉદ્ભવે છે – અગણિત જીવોમાં હયાતીનો ધબકાર રેડનાર ખુદ પાણીને નિર્જીવ કેમ ગણાય? એ સવાલમાં જ એમનો જવાબ છે.

વાદળ અને પાણીમાં ગતિ હોય છે. કે, જીવંતપણાની સાબીતીરૂપ, ગતિનો અણસાર તો જરૂર હોય છે. એટલે, કવયિત્રી બે ડગ આગળ માંડે છે. લોકગણત્રીએ સાવ સ્થગિત રેતી અને કાંકરા કે અબરખ કે છીપલાં — એમનું શું? કવિસમજ નિર્ણય પર ઉતરે છે દેખાવ પુરતા જ એ બધા સ્થગિત છે. દેખીતી નિર્જીવતા માત્ર એમની શયનાધીનતા છે. રખે ને લોક હલનચલનના અભાવને કારણે એમની યોગ્ય કિંમત ના આંકે એ કવયિત્રીનો અજંપો છે. કવિદૃષ્ટિની એ પરાકાષ્ટા છે!

અને એક વિચારકની રુએ, પુછ્યા વગર પણ એક સવાલ કવયિત્રી ઉભો કરે છે – કાંકરા-છીપલાં અને એમના જેવા એમના, જીવંત, સમકક્ષી સહયોગીઓની “ગાઢ નીંદર” એ કોઈ અમરત્વનું સ્વરૂપ હશે?

Comments (6)

ધસી જજે ! – મેરી ઓલિવર

તું યુવાન છે.
એટલે તને બધી જ ખબર છે.
ભલે તું હોડીમાં કૂદી પડ અને હંકારવા માંડ.
પણ પહેલા જરા મને સાંભળ.
ધમાલ વિના, અચકાટ વિના કે શંકા વિના.
સાંભળ. હું વાત કરું છું સીધી તારા આત્મા સાથે.

પાણીમાંથી હલેસા લઈ લે, જરા તારા બાવડાઓને આરામ કરવા દે.
અને તારા હૈયાને, ને હૈયામાંની જરાઅમથી બુદ્ધિને પણ આરામ કરવા દે.
ને મારી વાત સાંભળ.

પ્રેમ વિના જીવન શક્ય છે.
પણ એનું મૂલ્ય કાણી પાઈ કે ફાટેલાં જૂતાં જેટલું ય નથી.
એની કિંમત નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ જેટલી પણ નથી.

જ્યારે તને માઈલો દૂરથી
તીણા ખડકોની ફરતે અમળાતા ને અફળાતા
અદીઠ જળનો ઘૂઘવાટ સંભળાય,
જ્યારે ભીનું ધુમ્મસ આવીને તારા ચહેરાને અડકી લે,
જ્યારે આગળ આવી રહેલા ખાબકતા ને ખળભળતા
જબરજસ્ત જળપ્રપાતનો
તને ખ્યાલ આવી જાય –

ધસી જજે,
જિંદગી બચાવવા માટે એ જ દિશામાં ધસી જજે.

– મેરી ઓલિવર
(અનુવાદ -ધવલ શાહ)

જીવનમાં પ્રેમ હંમેશ બહુ મોટા જોખમ સાથે આવે છે. એક માણસ પર ઓવારી જવું એ આખી જીંદગી દાવ પર મૂકવાથી કમ જોખમ નથી. પ્રેમમાં ડગલે ને પગલે તકલીફો, અડચણો, ને કપરા ચડાણો છે. તો પછી કરવું શું ? પ્રેમની શોધ ચાલુ રાખવી કે એ રસ્તાથી દૂર જ રહેવું ? આ પ્રશ્નનો જવાબ આ કવિતા છે.

આખી કવિતા નવી પેઢીને – યુવાનને – સંબોધીને છે. કવિ શરૂઆત હળવી કરે છે. તું યુવાન છે એટલે તને બધી જ ખબર છે કહીને હળવો વ્યંગ કરે છે. પણ સાથે જ દિલ ખોલીને, જીંદગી શરૂ કરવાની ઉતાવળમાંથી બે ઘડી કાઢીને, પોતાની વાત સાંભળવાનું કહે છે.

પછી તરત કવિ મુદ્દાની વાત પર આવે છે : પ્રેમ વિના જીવન શક્ય તો છે પણ એ તદ્દન નકામું જીવન છે. અહીં કોઈ દાખલા દલીલ નથી. અહીં શંકાને કોઈ સ્થાન નથી. અહીં કોઈ અડધી પડધી વાત નથી. કવિ સ્વયંપ્રકાશિત સત્ય કહેતા હોય એટલી દ્રઢતાથી આ વાત કહે છે. પ્રેમ વિનાના જીવનથી કવિને એટલી તો સૂગ છે કે એને એ નવ દિવસથી કોહવાતી કૂતરાની લાશ સાથે સરખાવે છે !

હોડી જીવનનું પ્રતિક છે. તો પ્રેમનું પ્રતિક શું રાખવું ? –  કવિ એના માટે જબરજસ્ત મોટા ધોધનું પ્રતિક પસંદ કરે છે. હોડી લઈને આવા ધોધમાં જવું એ મોટામાં મોટું જોખમ ગણાય.

છેલ્લી બે પંક્તિમાં કવિએ કમાલ કરી છે. જબરજસ્ત ધોધ – એટલે કે પ્રેમ – નું વર્ણન કર્યા પછી એ સલાહ શું આપે છે ? – પાછા ફરવાની ? – ના. સાવચેતી રાખવાની ? – ના. વિચાર કરવાની ? – ના. એ તો સલાહ આપે છે ધોધની દિશામાં બને તેટલી ઝડપથી ધસી જવાની ! અને એ દિશામાં જવાનું કારણ ? – કારણ કે જીંદગીને બચાવવાનો આ એક જ રસ્તો છે !

જીંદગી બચાવવાનો એક જ રસ્તો છે -પ્રેમ. આ અર્થહીન જીવનમાં આશાનું એક જ કિરણ છે – એ છે પ્રેમ.

(મૂળ અંગ્રેજી કવિતા નીચે મૂકી છે.)

Comments (12)