સાત સાગર બંધ પાંપણમાં હતા,
બંધ કૈં કાચો હતો, તૂટી ગયો.
શયદા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આભ – મણિલાલ દેસાઈ

આભને નહીં હોય રે આભની માયા,
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્.હેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી, જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્.હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથંભે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન !
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્.હેતી છાયા !

– મણિલાલ દેસાઈ

સ્વની માયા ન હોય એ જ માણસ પરમાર્થે જોડાઈ શકે. આભના મિષે આ વાત કવિએ કેવી સરસ રીતે કહી છે એ જોવા જેવું છે. આભને આભની પોતાની માયા નથી હોતી. માયા હોય તો એ સ્વને ત્યાગીને વેરાન હોય કે વન, આવળબાવળ હોય કે લોકો, એ પોતાની સોનલવરણી છાયા સૌ પર એકસમાન હેતથી પાથરે નહીં ગીતોમાં સામાન્યરીતે જોવા મળતાં આવર્તનો કરતાં એક આવર્તન વધુ ગૂંથીને કવિએ લયને પણ લહેકાવ્યો છે. સરવાળે આખું ગીત સુપથ્ય બની રહે છે.

Comments (3)

માતૃમહિમા : ૦૪ : બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…

*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (6)

ડાંગરના ખેતરમાં તડકો – મણિલાલ દેસાઈ

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
પીળાં પીળાં રાઈ તણાં ફૂલ થઈને

દૂર ક્યારડો વાલોળે લીલો
ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો
ને પાસ થોરની ટોચ ટૂકડો આભ બનીને
ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો
બહાર ઊભેલો આંબો એનાં
પાન પાન આ ઊડી જાય રે પંખીટહૂકા થઈને

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

નીક મહીં ખળખળતા જળમાં
આભ પડી અમળાય
સૂરજનાં અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય
કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો
જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય
રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહીં
ને સીમ તણા શેઢાઓ તો આ
ખીલે રે ફૂલે રે ઝૂલ સવાર થઈને

ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને

-મણિલાલ દેસાઈ

ક્લાસિક….

Comments (2)

અમદાવાદ – મણિલાલ દેસાઈ

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ
અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ
પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું
એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.
અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા
પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ
ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.
સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો
બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર
અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ
બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી,
અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર
નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો
ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા
મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે
હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા
તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી
નાસી છૂટીશ.

– મણિલાલ દેસાઈ

દરેક શહેર એમાં રહેતા કવિઓને સતત પીડતુ રહે છે. કવિઓ પોતાના શહેરને જાણે ડંખતા જોડાની જેમ સહન કરે રાખતા હોય છે એવું લાગ્યા કરે છે. મહાદેવની જેમ વિષને ગળામાં રાખીને જીવવાની આ પીડા જાણે નગરકાવ્યોમાં બહાર આવે છે. ( સાથે જોશો : નગર એટલે, અમદાવાદ અને મુંબઈ )

Comments (4)

યાદગાર ગીતો :૨૧: બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઈ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

(જન્મ: ૧૯-૦૭-૧૯૩૯, મૃત્યુ: ૦૪-૦૫-૧૯૬૬)

પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સંગીત: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

[audio:http://urmisaagar.com/saagar/audio/Umbre-Ubhi-Shmbhalu-Nirupama-Seth.mp3]

મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

આ ગીત વિશે લયસ્તરો પર આગળ લખી ચૂક્યો છું, એમાં એક શબ્દ પણ બદલવાનું મન થતું નથી: ‘ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાં ય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાં ય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાંય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાંય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

આભમાં – મણિલાલ દેસાઈ

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

આ ગીત કાનથી વાંચવાનું ગીત છે.  ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

Comments (5)

ગઝલ- મણિલાલ દેસાઈ

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

મણિલાલ ભગવાનજી દેસાઈ (19-7-1939 થી 4-5-1966) વલસાડના ગોરેગામમાં જન્મ્યા અને યુવાનવયે અમદાવાદમાં મૃત્યુ પામ્યા. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.

Comments (2)

પલ -મણિલાલ દેસાઈ

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

-મણિલાલ દેસાઈ

Comments (3)