હવાને પેક કરી આપું, તરસ મૃગજળથી છીપાવું,
તને સમજાવવાનો યત્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ડેનિશ જરીવાલા

ડેનિશ જરીવાલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દાટી છે – ડેનિશ જરીવાલા

જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.

ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.

એ પડતાવેંત વિખેરાશે કંઈક ટુકડામાં,
બરડ આ કાચનું એક બીજું નામ ખ્યાતિ છે.

જો સમજ્યો રાતને તો જાણ્યું કંઈ સવાર વિશે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.*

કરે છે એક ને પીડાય છે બીજો જ સતત
પુરુ છે દેહ ને મન આપણું યયાતિ છે.

સમસ્યા, વેદના, સંઘર્ષ, અશ્રુઓ, આઘાત –
છૂટે તો ક્યાંથી ? બધા ઉમ્રભરના સાથી છે.

તડપ, કણસ, સ્મૃતિ, શંકા, વિરહ, કલહ, ઈર્ષ્યા –
પ્રણયના દર્દની તો સેંકડો પ્રજાતિ છે.

– ડેનિશ જરીવાલા

સાંપ્રત અને પુરાતન – બધા પ્રકારની કવિતાઓના ઉત્તમ અભ્યાસુ કવિમિત્ર ડેનિશની મજાની રચના આજે લયસ્તરોના ભાવકમિત્રો માટે. મુકુલભાઈની પંક્તિની જમીન પર લખેલી આ ગઝલમાં ડેનિશ પણ મુકુલભાઈની જેમ જ ‘યયાતિ’ કાફિયો પ્રયોજે છે.

મુકુલભાઈનો શેર જોઈએ:
પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

-પુરોગામીની જમીન પર કામ કરવા છતાં, એમણે વાપરેલ અનૂઠા કાફિયાનો પુનઃપ્રયોગ કરવા છતાં ડેનિશ અદભુત કામ કરી શક્યો છે. શરીરના ભોગે સદા યુવાન રહેતા મનને આપણી પુરાકથાના પ્રસંગ સાથે સાંકળી લઈને ડેનિશ આપણને એક ચિરસ્મરણીય શેર ભેટ આપે છે. (પુરુ એ યયાતિનો પુત્ર. શુક્રાચાર્યના શાપથી જ્યારે યયાતિ વૃદ્ધ બની ગયો, ત્યારે તેણે પોતાના બધા પુત્રોને બોલાવી પોતાનું ઘડપણ આપવા ચાહ્યું, પણ પુરુ સિવાય કોઈ પોતાની જુવાની આપી ઘડપણ લેવા સંમત થયું નહિ. પુરુ પાસેથી યૌવન મેળવી યયાતિએ ઘણો વખત સુધી સુખ ભોગવ્યું.)

(*તરહી પંક્તિ: મુકુલ ચોક્સી)

Comments (4)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)